ઇબર ક્રાઈમ પોલીસ ચોકીમાં આજે ખૂબ જ ભીડ હતી. આશરે સો જેટલા માણસો પોતાની સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. પી.આઈ. મહેતા સાહેબે બધાંને એક-એક કાગળ આપ્યો, અને કહ્યું, `તમે બધાં તમારી વિગતવાર ફરિયાદ આ કાગળમાં લખીને આપી દ્યો એટલે અમારે લેવલે તરત જ કાર્યવાહી કરવામાં આવશે. તમારો ફોન નંબર પણ લખજો એટલે જરૂર પડે તમને બોલાવી શકાય.’
પી.આઈ. મહેતાસાહેબે બધાંની અરજીઓ લઈ લીધી, જે 100થી પણ વધારે હતી. બધાંને એક અઠવાડિયાનો સમય આપ્યો. એ સમય દરમ્યાન જે કાર્યવાહી થશે, તેની જાણ કરવામાં આવશે, એવું જણાવી, ફરિયાદીને પાછા મોકલી દીધા.
પી.આઈ. મહેતાસાહેબે જોયું, તો બધી અરજીઓ એક સરખી ફરિયાદની હતી. જે તે વ્યક્તિના બેન્કના ખાતામાંથી બીજી કોઈ વ્યક્તિ દ્વારા પૈસા ઉપાડી લેવામાં હતા. આશરે દસ-બાર જુદી જુદી બેન્કની બ્રાન્ચમાંથી આશરે એકાદ કરોડ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. કોઈકના ખાતામાંથી વીસ… પચીસ…સાઈઠ…હજાર..કે બે…ત્રણ લાખ સુધીની રકમ હતી. મોટું બેંક બેલેન્સ ધરાવતા ખાતામાંથી પાંચ લાખથી લઈને દશ લાખ સુધીની રકમ ઉપાડી લેવામાં આવી હતી. જે તે ખાતેદારે બેન્કની બ્રાન્ચનો સંપર્ક પણ કર્યો હતો, તો બેંક દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે તમારા ખાતામાંથી પૈસા ઉપડવાની કાર્યવાહી બેન્કના નિયમ અને પ્રણાલી પ્રમાણે જ થઈ છે, એટલે તમારા ખાતાના વહીવટ માટે તમે જવાબદાર છો, બેંક નથી. બધી જ ફરિયાદવાળી અરજીઓની વિગત જાણી લીધા પછી પી.આઈ. મહેતાસાહેબે ડી.વાય.એસ.પી. દવે સાહેબનો સંપર્ક કર્યો અને બધી વિગતથી માહિતગાર કર્યા. દવે સાહેબે બધાં જ ફરિયાદીની એક મિટિંગ બોલવાનું કહ્યું અને પોતે પણ હાજર રહી માર્ગદર્શન આપશે.
`તમારા લોકોની ફરિયાદની અરજીઓ મેં વાંચી લીધી છે. મારે તમને થોડાક સવાલ પૂછવા છે. તમે લોકો સાચા જવાબ અને જે જાણતા હો તેની પૂરી વિગત આપશો, તો અમારું કામ સરળ થશે.`
`તમને બેન્કે આપેલ જવાબ અત્યારે તો બરોબર લાગે છે. તમારી કોઈ ભૂલથી, કોઈ ત્રાહિત વ્યક્તિએ પૈસા તમારા ખાતામાંથી ઉપાડી લીધા હોય, તો બેંક શું કરી શકે.`
ડી.વાય.એસ.પી. દવે સાહેબની વાત અને સવાલો સાંભળ્યા પછી બધાં જ ફરિયાદી મૂંઝાયાં, સાહેબને શું જવાબ આપવો. બધાં કોઈને કોઈ વાત સાથે સંકળાયેલા હતા. એક ફરિયાદીએ કહ્યું, `સાહેબ, આપણા શહેરમાં પંદર દિવસ પહેલાં એક મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો હતો. એ મનપસંદ રમકડાંનો સ્ટોર બંધ થઈ ગયો છે, એવી માહિતી અમને મળી એટલે અમે તપાસ કરી, તો સ્ટોર અઠવાડિયા પહેલાં બંધ થઈ ગયો હતો. અમારા પૈસા બેન્કમાંથી ઉપડી જવાને અને આ સ્ટોર બંધ થઇ જવા સાથે કોઈ સંબંધ નહીં હોય એવું વિચારીને અમે એ બાબત પ્રત્યે ધ્યાન નહોતું આપ્યું. પણ, સાહેબ, મનપસંદ રામકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે તેણે એક જાહેરાત કરી હતી. આ જાહેરાતના લોભમાં અમે બધાં આવી ગયાં છીએ અને એ જાહેરાતને અમારી બેંકનાં ખાતામાંથી પૈસા ઉપાડી જવા સાથે કોઈ ને કોઈ સંબંધ જરૂર છે.`
દવે સાહેબે પુછયુ, `એવી તો શું જાહેરાત હતી? કે રમકડાંનો બધો જ માલ વેચી સ્ટોર બંધ કરી જતા રહ્યાં? તેનો માલ પણ ઝડપથી વેચાઈ ગયો એટલે.`
`દવે સાહેબ, મનપસંદ રમકડાંનો સ્ટોર ખુલ્યો, ત્યારે એવી જાહેરાત કરી હતી, કે આ સ્ટોર ટૂંક સમય માટે છે. અમારો બધો જ માલ વેચાઈ જાય પછી અમે સ્ટોર બંધ કરી દઈશું. આ માટે અમે એક ઈનામી યોજના રાખી છે, કે પાંચસો રૂપિયાની કિંમતનું રમકડું ખરીદશો તો પાંચ હજારનું ઇનામ મળશે અને એ લાભ ફક્ત પ્રથમ સો ગ્રાહકને જ મળશે, પછીના ગ્રાહકોને ડીસકાઉન્ટ મળશે, પણ ઈનામનો લાભ નહી મળે, એટલે વહેલી તકે તમારી ખરીદી પતાવી દ્યો, એવી અમારી વિનંતી છે. પ્રથમ સો ગ્રાહકના રામકડામાંથી એક કાર્ડ નીકળશે જેને સ્ક્રેચ કરતા એક મોબાઈલ નંબર નીકળશે. આ મોબાઈલ નંબર ઉપર ફોન કરશો એટલે તમને કહેવામાં આવશે કે તમારું જે બેન્કમાં ખાતું છે, એ ખાતામાં તમે જે મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો છે, એ નંબર તમારે કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર ઉપર આપી દેવાનો. એટલે તમારું જે બેંકમાં ખાતા હશે, એ ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ જશે. કાર્ડ ઉપર જે મોબાઈલ નંબર લખ્યો હશે, એ નંબરની જરૂરી કાર્યવાહી અત્યારે ચાલતી હોવાથી લાગશે નહીં. નંબર પંદર દિવસમાં કાર્યરત થશે અને લાગશે. એટલે ઇનામનાં રૂપિયા પાંચ હજાર પંદર દિવસ પછી તમને મળશે. ત્યાં સુધી ગ્રાહકોએ ધીરજ રાખવી પડશે. અમારો સ્ટોર બંધ થઇ ગયો હશે છતાં તમને પાંચ હાજર રૂપિયા ચોક્કસ મળશે તેની અમારી ગેરંટી છે.`
`સાહેબ, પાંચસો રૂપિયાનું રમકડું ખરીદીએ અને પાંચ હજારનું ઇનામ કોને ન ગમે, એટલે બધા ય તૂટી પડ્યા હશે અને સ્ટોરેનો બધો જ માલ ફટાફટ વેચાઈ ગયો હશે. સ્ટોર બંધ થઈ ગયો છે. ત્યાં અત્યારે કાગડા ઊડે છે.`
`સાહેબ, સ્ટોરવાળાએ કહેલી વાત સાચી નીકળી હતી. અમે રમકડામાંથી નીકળેલ કાર્ડને સ્ક્રેચ કર્યું તો એક મોબાઈલ નંબર નીકળ્યો હતો. અમે ત્યારે ફોન કર્યો તો ન લાગ્યો, એટલે અમને `મનપસંદ સ્ટોર`વાળાની વાત પર ભરોસો બેસી ગયો. અમે પંદર દિવસ સુધી રાહ જોઈ. પંદર દિવસ પછી ફોન કર્યો, તો ફોન લાગ્યો. એટલે અમે સ્ટોરવાળાએ કહ્યું હતું એમ કર્યું, માંગી એ બધી માહિતી આપી. અમારા ખાતામાં પાંચ હજાર રૂપિયા જમા થઈ ગયા. અમે બધાં ખુશ થઈ ગયા હતા કે પાંચસો રૂપિયા સામે ચાર હજાર પાંચનો ફાયદો થયો હતો. સાહેબ, તમે જે કંઈ સવાલો અમને પૂછ્યા છે, એ બધાં જ સાચા છે. અમે ફોન કરનાર વ્યક્તિએ કહ્યું એ પ્રમાણે કર્યું હતું. અમે ખુશ હતા. પણ બીજે દિવસે અમારા ખાતામાંથી રકમ ઉધાર થઈ છે એવો બેન્કનો મેસેજ આવ્યો. અમે રકમ તો ઉપાડી નહોતી એટલે બેન્કનો સંપર્ક કરતાં બધું જ બરોબર છે, એવો જવાબ આપી હાથ ઊંચા કરી દીધા. એટલે અમે બધાં આપને ફરિયાદ કરવા આવ્યા છીએ.`
પી.આઈ. મહેતાસાહેબ, ડી.વાય.એસ.પી. દવેસાહેબ વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે સાઇબર ક્રાઈમ પણ ફૂલપ્રુફ યોજનાથી કર્યો છે. અને માણસની ઇનામ મેળવવાની લાલચનો અને અજ્ઞાનતાનો પૂરતો લાભ ઉઠાવ્યો છે.
દવેસાહેબે કહ્યું, `કે યોજના બનાવનારે તમારી સાથે બહુ વ્યવસ્થિત રીતે છેતરપિંડી કરી છે. છેતરપિંડીનો ગુનો બને છે. પણ ગુનો કરનારથી આપણે અજાણ છીએ. કારણ કે આવા સ્ટોર કોઈ કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થતા નથી. એમ જ ખૂલી જાય છે અને બંધ થઈ જાય છે. આજની સ્થિતિમાં આપણને તેના વિશે કોઈ જાણકારી નથી. આવા સાઇબર ક્રાઈમ કરવાવાળા બહુ ચતુર હોય છે. ગુનો કરનારે તમારા ખભા ઉપર રાખીને બંધૂક ફોડી છે. બેન્કમાં જે કંઈ કામકાજ થયું છે. એ કરનાર બીજી વ્યક્તિ છે. તમને છેતરનાર વ્યક્તિ છે, પણ બેન્કના વ્યવહારમાં તમારો જ મોબાઈલ નંબર અને તમે આપેલ ઓ.ટી.પી. થી વ્યવહાર થયો છે. એટલે પૈસા ગુમાવવા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.`
`અમે તમારી ફરિયાદના આધારે કાર્યવાહી ચોક્કસ કરીશું અને તમને તમારા પૈસા પાછા મળી જાય તે માટે અમારા પ્રયત્ન સતત ચાલુ રહેશે. તમને એક વાત જણાવી દઉં, કે ગુનેગાર પકડાશે તો પણ તમારા પૈસા પાછા મળશે તેની કોઈ ખાતરી નથી. અત્યારે તો તમારે એ ગુમાવ્યા છે એમ માનીને, હવે પછી આવું ન બને તે માટે સતર્ક રહેજો. તમે લોકો પી.આઈ. મહેતાસાહેબને તમારું રમકડું અને જે કાર્ડ નીકળ્યું છે એ પહોચાડી દેજો. એ કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર તો બંધ થઇ ગયો હશે. પણ અત્યારે તો એ એક જ પુરાવો છે. જે જેના આધારે આગળ વધી શકાય.`
દવેસાહેબે કહ્યું, `મહેતા, બધાંના કાર્ડમાં એક જ મોબાઈલ નંબર હશે. એ મોબાઈલ નંબરનું સીમકાર્ડ આપનાર દુકાનદારને પહેલાં તો શોધવો પડશે. બીજું તમે એક પ્રેસનોટ આપો કે `મનપસંદ સ્ટોર`માંથી જે કોઈએ રમકડાં ખરીદ્યા છે. અને તેમાંથી જો મોબાઈલ નંબર લખેલું કાર્ડ નીકળ્યું હોય, તો એ તરત જ પોલીસ ચોકીમાં જમા કરાવી દે. મારા માનવા પ્રમાણે આ જે લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી ગયા છે એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબરવાળું કાર્ડ નહીં નીકળ્યું હોય.`
દવેસાહેબનું અનુમાન સાચું નીકળ્યું. બધાં જ રમકડામાંથી એક જ મોબાઈલ નંબર લખેલું કાર્ડ હતું. તેમ જ જે લોકોએ ફરિયાદ આપી હતી એ સિવાયના બીજા કોઈના રમકડામાંથી મોબાઈલ નંબર લખેલ કાર્ડ નીકળ્યું નહોતું.
દવે સાહેબે કહ્યું, `મહેતા, આપણી સામે જે પરિસ્થિતિ આવી છે એ ઉપરથી મને એમ લાગે છે, કે આ કોઈ બહારની નહીં પણ શહેરની વ્યક્તિનું જ કામ છે. તેમ જ એ વ્યક્તિ કદાચ આ લોકોની આર્થિક પરિસ્થિતિ કે લોભામણી વૃત્તિને જાણતી હશે. તમે તપાસ કરો કે એકાદ મહિનામાં કોઈએ મોટી ખોટ કરી હોય કે શેરબજારમાં કરોડ રૂપિયા ઉપરનું દેવું થઇ ગયું હોય. આ એવી જ કોઈ વ્યક્તિ છે કે જેને તાત્કાલિક પૈસાની જરૂરિયાત છે. કદાચ તેણે કોઈ ટેકનોલોજીના જાણકારની મદદ પણ લીધી હોય. પહેલાં મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધી કાઢો એટલે બાકીની વિગત સરળતાથી મળી જશે.”
મહેતાસાહેબ માટે મોબાઈલનું સીમકાર્ડ આપનારને શોધવો એ અઘરું કામ નહોતું, એ મળી ગયો અને પોપટની જેમ બોલીને જગુ સટોડિયાના વટાણા વેરી દીધા. જગુ સટોડિયાનો બિઝનેસ જ શેરબજારમાં સટ્ટો કરવાનો હતો. મહેતાસાહેબે બીજી માહિતી એ પણ મેળવી લીધી કે જે ફરિયાદી હતા એ જગુ સટોડિયાના ગ્રુપના હતા. જગુ સટોડિયાને તે લોકોની આર્થિક સધ્ધરતાની ખબર હતી.
આટલી માહિતીને આધારે અને પુરાવા વગર જગુ સટોડિયાને પકડવો કેવી રીતે? એ પ્રશ્ન હતો. તેનો પણ ઉકેલ મળી ગયો, જગુ સટોડિયાએ એક ભૂલ કરી હતી કે ફરિયાદીના ખાતામાંથી પૈસા પોતાની કંપનીના ખાતામાં સીધા ટ્રાન્સફર કર્યા હતા. આ બધી માહિતી મહેતાસાહેબે એકઠી કરીને દવેસાહેબને આપી. દવે સાહેબે, તરત જ જગુ સટોડિયાને પોલીસ ચોકી મળવા બોલાવ્યો.
`મારું શું કામ પડ્યું, સાહેબ? હું, તો ઈમાનદારીથી બિઝનેસ કરું છું.`
`અમારે તો એટલું જ જાણવું છે કે તમારી બેન્કે અમને માહિતી આપી છે કે તમારી કંપનીના ખાતામાં બે દિવસમાં એક કરોડ ઉપરની રકમ જમા થઇ છે. એ રકમ તમારી કંપનીના ખાતામાં ક્યાંથી આવી એ અમારે જાણવું છે. આમ તો આ પ્રશ્ન ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો છે. પણ અમારી પાસે સો ઉપરની ફરિયાદ આવી છે કે તેમના ખાતામાંથી કોઈ અજાણી વ્યક્તિએ પૈસા ઉપાડી લીધા છે. એ અજાણી વ્યક્તિ તમે છો? કારણ કે પૈસા તમારી કંપનીના ખાતામાં જમા થયા છે. બસ, આ પ્રશ્નનો જવાબ આપી દ્યો, એટલે તમે છૂટા.`
જગુ સટોડિયો ગેંગેંફેફે થઇ ગયો. `સાહેબ, બધાં ફરિયાદીએ તેમના નામે સટ્ટો કરવા માટે મને પૈસા આપ્યા છે. મેં, મેં કંઈ ખોટું કર્યું નથી.`
`પંદર દિવસ પહેલાં તે એક રમકડાનો સ્ટોર, `મનપસંદ`નાં નામે શરૂ કર્યો હતો અને રમકડાં વેચાઈ ગયા પછી એ બંધ પણ કરી દીધો. ચાલો એ વાત તો બરોબર છે. પણ જેના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે એ ફરિયાદીના રમકડામાંથી નીકળેલ કાર્ડમાં મોબાઈલ નંબર લખેલો છે. જેનું સીમકાર્ડ, તે ખોટા દસ્તાવેજ આપીને પંદર દિવસ પહેલાં ખરીદ્યું હતું. પણ ત્યારે તે એકિટવેટ નહોતું કરાવ્યું, જે તે ત્રણ દિવસ પહેલાં કરાવ્યું હતું. જેથી કાર્ડમાં લખેલ મોબાઈલ નંબર લાગે અને તું તારી યોજનામાં સફળ થઇ જા. અમારી પાસે તારી પૂરી કરમકુંડળી છે. હવે, આ ધંધો શું કામ કર્યો? એ કહી દે, અને જેના પૈસા લીધા છે એ પાછા આપી દે.`
જગુ સટોડિયા પાસે ગુનો કબૂલી લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. જગુએ કહ્યું, `સાહેબ, તમારી બધી જ વાત સાચી છે. મને સટ્ટામાં બહુ મોટી ખોટ ગઈ હતી. મેં મારા કસ્ટમર પાસેથી લોન માંગી, એ લોકોએ ન આપી. એટલે મેં આ રસ્તો લીધો. એમાં મેં ખોટું શું કર્યું? હું એ લોકોની પાઈપાઈ ચૂકવી આપીશ. અત્યારે તો મારી પાસે પૈસા નથી. તમારી પાસે એ પણ માહિતી હશે જ, કે મારી કંપનીના ખાતામાં જમા થયેલા પૈસા મારા લેણદારને ચૂકવાઈ ગયા છે. અને એટલે તો અત્યારે તમારી સામે છું, બાકી…..`
દવેસાહેબે કહ્યું, `તે જાણી કોઈને તારા જ કસ્ટરને છેતરીને સાયબર ક્રાઈમનો ગુનો કર્યો છે એટલે હવે જેલની હવા ખાવી પડશે. અમે તારી મિલકત વેચીને ફરિયાદીના પૈસા વસૂલી લઈશું.`
મહેતાસાહેબે કહ્યું, `સાહેબ, આ વખતે તો સરળતાથી આપણે સાઈબર કેસ સોલ્વ કરી શક્યા. પણ, જો, લોકો બેન્કની સૂચનાઓનો અમલ નહીં કરે તો લોકોનાં નાણાં સો ટકા ડૂબી જવાના છે.`
`હા, મહેતાસાહેબ, લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે.`
(ભાવનગર)
e.mail : Nkt7848@mail.com
![]()

