‘ડિવાઈડ એન્ડ રુલ’ એટલે લોકોને એક થવા ન દેવા, એમને અંદરોઅંદર લડાવ્યા કરવા અને પોતાની સત્તાને નિર્વિઘ્ને ચલાવવી. લોકોને પણ પછી એક થવા કરતાં ‘અમે’ ને ‘તમે’ ને ‘તેઓ’ બનવાનું ફાવી જાય છે. રાજકારણ પાસે ‘ડિવાઈડ એન્ડ રુલ’ના પોતાનાં કારણો ભલે હોય – આપણી પાસે ‘યુનાઇટ એન્ડ લીડ’ના આપણાં કારણ ન હોવા જોઈએ?

સોનલ પરીખ
‘હિંદ સ્વરાજ’માં ગાંધીજીએ લખ્યું છે કે ‘તમને અંગ્રેજોએ શીખવ્યું છે કે તમે એક પ્રજા હતા નહીં, ને થશો પણ નહીં – એ વાત પાયા વગરની છે. એ લોકો નહોતા આવ્યા ત્યારે આપણે એક પ્રજા જ હતા. આપણી રહેણીકરણી એક હતી. ભેદ તો તેમણે જ પાડ્યા. કાળક્રમે ભારતમાં ખિસ્તીઓ, મુસ્લિમો, પારસીઓ આવ્યા ને રહ્યા. પણ જુદાજુદા ધર્મ પાળતા હોવાથી આપણે એક પ્રજા મટી જતા નથી.’
આઝાદી પછી આપણે ધર્મ ઉપરાંત ભાષા, પ્રદેશ, જાતિ જેવા અનેક મુદ્દે લડીએ છીએ. આ શિયાળે મુંબઈ કોનું એ પ્રશ્ને હવાને ગરમ કરી દીધી છે ત્યારે થોડાં વર્ષ પહેલાંનો એક બનાવ યાદ આવે છે. બસો વર્ષ જૂની એક ઘટનાને લીધે પૂનામાં પાંચ લાખથી વધુ દલિત ભાઈઓ એકઠા થયા. ઉશ્કેરણીમાં એકનું મૃત્યુ થયું, મહારાષ્ટ્રમાં અનેક સ્થળો સળગ્યાં, મેવાણી-ખાલિદ ઉમર જેવાઓએ આગઝરતાં ભાષણો આપ્યાં અને શિયાળાનું હવામાન ગરમાગરમ થઈ ગયું. ત્યારે વોટ્સ અપ પર એક સંદેશ ફરતો હતો, ‘નથી મરાઠા જીત્યા, નથી દલિતો જીત્યા કે નથી બ્રાહ્મણો જીત્યા. જીત્યા છે અંગ્રેજો – 200 વર્ષ પછી પણ આપણને અંદરઅંદર લડાવવામાં તેઓ સફળ રહ્યા છે.’
ગાંધીજી કહેતા તેમ એક પ્રજા થઈને રહેનાર લોકો ધર્મ, ભાષા, પ્રદેશ વગેરે જેવા મુદ્દા વચ્ચે લાવે નહીં. જો લાવે તો તેઓ એક પ્રજા થવાને લાયક રહે નહીં. 1909માં તેમણે કહેલું, ‘આપણે કાચા હૈયાના રહીશું તો અંગ્રેજો જરૂર આપણને લડાવશે.’ કમભાગ્યે એમ જ બન્યું. અંગ્રેજોએ આપણને અંદરઅંદર લડાવ્યા, પહેલા ગુલામીની સાંકળ આપી અને પછી આપ્યા લોહિયાળ ભાગલા. બહુ સહેલાઈથી આપણે સહુ એમની શતરંજનાં પ્યાદાં બની ગયાં અને તેમણે આપણને એકબીજા સાથે લડવામાં બીઝી રાખ્યા જેથી આપણે એક થઈને એમની સામે ન લડીએ. એમણે સળગાવેલી ફાટફૂટની જ્વાળાઓને આપણી સરકારોએ પોતાની રોટલી શેકવા માટે જીવતી રાખી છે. આ બધી આપણને ખબર છે છતાં આપણે ઇતિહાસમાંથી કે વર્તમાનમાંથી ધરાર કશું જ શીખતા નથી અને પોતાના અને બીજાઓના હાથ બાળીએ છીએ. ફૂટ પડાવો અને શાસન કરોની નીતિની આટલી બધી અસર? આખરે શું છે આ ‘ડિવાઈડ એન્ડ રુલ’?
‘ડિવાઈડ એન્ડ રુલ’ રાજકીય અને સામાજિક પોલિસી છે. લેટિનમાં તેને ‘ડિવાઈડ એન એમ્પેરા’ કહેતા. ‘ડિવાઈડ એન્ડ રુલ’ એટલે લોકો પોતાની સામે એક થઈને લડે તે કરતાં એમને અંદરોઅંદર લડાવતાં રહેવું અને પોતાની સત્તાને નિર્વિઘ્ને ચલાવવી. પછી એ શાસનને સલામત રાખવા પ્રજાને જૂથોમાં વહેંચી લડતી રાખવાની વાત હોય, કોર્પોરેટ કંપનીઓમાં સ્ટાફ એકબીજા પર વિશ્વાસ ન કરી શકે એવું વાતાવરણ ઊભું કરવાની વાટ હોય કે પછી ઘરની વહુઓને આપસમાં હરીફાઈ કરતી રાખીને પોતાનું કામ કઢાવી લેવાની સાસુઓની ચાલાકી હોય.
દુનિયાના તખ્તા પર ભારતની ઓળખ ‘હાઈલી સ્ટેટિફાઈડ’, ‘ડિસઇન્ટીગ્રેટેડ’ અને ‘ડિસ્ક્રિમિનેટરી’ શબ્દોમાં અપાય ત્યારે ભારતીય તરીકે આપણને એ ગમે નહીં, છતાં એ ઓળખમાં રહેલા સત્યને સ્વીકારવું પડે. ભારત પહેલેથી આવું ન હતું. ભારતનો સમાજ વૈવિધ્યપૂર્ણ છે એનો લાભ લઇ જાણીજોઈને તિરાડો પાડવામાં આવી અને રાજકીય સ્વાર્થ માટે એ તિરાડો વધારાતી રહેવાઈ. પહેલું પાપ બ્રિટિશ શાસને કર્યું અને બીજાં પાપ સ્વતંત્ર ભારતની સરકારો આચરતી આવી.
ઇતિહાસ તપાસીએ તો 1756થી 1857 એ સો વર્ષના ગાળામાં અંગ્રેજોએ એક પછી એક યુદ્ધો કરી લગભગ આખા ભારતને કબજે કર્યું. 1857ના વિપ્લવમાં હિન્દુ-મુસ્લિમ-શીખ સૌ એકત્ર થઈને લડ્યા એ જોઈ અંગ્રેજોએ પોતાના શાસનને મજબૂત રાખવા ફાટફૂટ પડાવવી શરૂ કરી. શરૂઆતમાં મુસ્લિમ શાસન હટાવવાનુ હતું એટલે હિન્દુઓને પાંખમાં લીધા. હિન્દુઓ શિક્ષિત, સુધારાવાદી અને પોતાનો અધિકાર માગી શકે એવા થયા એ જોઈ એમણે મુસ્લિમોને ચગાવ્યા. જમીનદારોને ઉત્તેજન આપી ગરીબ ખેડૂતોનું શોષણ કરતા કર્યા. દરમિયાન ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ થયું કેમ કે મેકોલેએ કહ્યું તેમ એમની અને ભારતની પ્રજાની વચ્ચે સેતુ બને એવી ‘ઈન્ટરપ્રિટર્સ’ની ફોજ તૈયાર કરવાની હતી. આ ફોજ લોહી અને રંગથી ભારતીય હતી, પણ રુચિ અને સંસ્કારથી અંગ્રેજ હતી.
ધર્મ, ધન અને શિક્ષણની ફૂટ પછી વારો આવ્યો દલિત-સવર્ણનો. 1918માં માયસોર ગવર્નમેન્ટે મિલર કમિટી નીમી. બ્રાહ્મણોનું સરકારી નોકરીમાં પ્રતિનિધિત્વ વધારે હતું તેથી બ્રાહ્મણ સિવાયના બધાંને ‘બેકવર્ડ’ કહ્યા. ત્યાર પછી મુંબઈ, મદ્રાસમાં બેકવર્ડ ક્લાસ માટે નોકરીઓ અનામત રખાઈ. ઉત્તર પ્રદેશમાં એમણે રાજકીય આરક્ષણ મળ્યું.
ડૉ. આંબેડકરે અસ્પૃશ્ય વર્ગ માટે અલગ મતદારક્ષેત્ર, અનામત બેઠકો, શિક્ષણસવલતો, સરકારી નોકરીઓમાં આરક્ષણ, ભેદભાવવિરુદ્ધના કાયદા અને અસ્પૃશ્ય વર્ગના હિતોને માટે અલગ ખાતાની માગણી કરી. 1932માં કોમ્યુનલ અવોર્ડ જાહેર કરી બ્રિટિશ સરકારે તેને ટેકો આપ્યો. કોમ્યુનલ અવોર્ડથી સવર્ણો, દલિતો, મુસ્લિમ, શીખ, ખિસ્તી, એંગ્લો-ઇન્ડિયનો અને યુરોપિયનોને અલગ મતદારક્ષેત્ર મળતાં હતાં. ગાંધીજી ત્યારે યરવડા જેલમાં હતા. અસ્પૃશ્યો-દલિતો માટે અલગ મતદારક્ષેત્ર વિરુદ્ધ તેઓ ઉપવાસ પર ઊતર્યા કારણ કે જો એમ થાય તો દલિતો કદી મુખ્યધારામાં આવે જ નહીં. આંબેડકર સાથે લાંબી વાટાઘાટ પછી એક જ હિન્દુ મતદારક્ષેત્રના કરાર થયા જેને ‘પૂના પેક્ટ’ કહે છે.
ટૂંકમાં 1857થી 1946 સુધીમાં અંગ્રેજોએ પ્રજાના હિતેચ્છુ હોવાનો દાવો કરી પ્રજાને શક્ય તેટલા વધારે જૂથોમાં વહેંચી પોતાનું હિત સાધ્યું. અસંતુષ્ટ પ્રજા વધુ વિચાર્યા વગર તેમની જાળમાં ફસાતી ગઈ. ભારતના ઇતિહાસના આ ગાળાને લાલબહાદુર શાસ્ત્રીએ ‘શરમનો કાળ’ કહ્યો છે. ત્યાર પછી અંગ્રેજોએ સંકેલો કરવા માંડ્યો, પણ જતા પહેલા ભારતના ભાગલા કરાવતા ગયા.
અને સ્વાતંત્ર્ય પછી શું થયું? ભારતના બંધારણની કલમો દરેક નાગરિકને શિક્ષણ ને નોકરી-વ્યવસાયનો સમાન અધિકાર આપે છે, પણ તેમાં બેકવર્ડ ક્લાસના નાગરિક માટે ખાસ સવલતોની જોગવાઈ પણ છે. બ્રિટિશ સરકારે વાવેલા ભેદભાવના બીજને ખાતરપાણી આપી આપણે પોષ્યું છે અને સ-ફળ પણ બનાવ્યું છે. બ્રિટિશ શાસને જૂથવાદને પોષી આર્થિક શોષણ કર્યું અને પોતાનું વર્ચસ્વ વધાર્યું. પહેલેથી અંગ્રેજોને જ પગલે ચાલતી સ્વતંત્ર ભારતની સરકારો જૂથોને વૉટબેંક તરીકે વાપરી પોતાનું વર્ચસ્વ વધારે છે. આપણને પણ એક થવા કરતાં ‘અમે’ ને ‘તમે’ ને ‘તેઓ’ બનવાનું ફાવી ગયું છે. નવા ઊગેલાં રાજકીય સંગઠનોને તો ગમે તે ભોગે સત્તા મેળવવી ને ટકી રહેવું એ જ લક્ષ્ય છે. કૌભાંડો અને ભ્રષ્ટાચાર એટલાં ફાલ્યાંફૂલ્યાં છે કે સ્વચ્છ અને સ્થિર શાસન સ્વપ્નવત્ બની ગયું છે. અંગ્રેજો હિતેચ્છુ હોવાનો દાવો કરતા હતા, આપણા નેતાઓ સોશ્યાલિઝમ, સેક્યુલારિઝમ, સોશ્યલ જસ્ટિસ જેવા શબ્દો ઉછાળે છે. મહોરા જુદાં છે, ચહેરા એક જ છે.
1946માં બી.એમ. નારાયણે કહ્યું હતું, ‘ઇન્ડિયા ઈઝ એન અનગવર્નેબલ કન્ટ્રી ઓફ ડાયવર્સિટીઝ, કોન્ફ્લિક્ટ્સ એન્ડ પ્રોબ્લેમ્સ.’ ત્યાર પછી પચાસેક વર્ષ પછી નાની પાલખીવાલાએ કહ્યું, ‘અવર લિગલ સિસ્ટમ હેઝ મેડ લાઈફ ટૂ ઈઝી ફૉર ક્રિમિનલ્સ એન્ડ ટૂ ડિફિકલ્ટ ફૉર લૉ ઑબિડિંગ સિટીઝન્સ.’ ઉતમ શક્યતાઓવાળી ઉદાત્ત નીતિઓને નિમ્નતમ હેતુઓ માટે કેમ વાપરવી એ આપણને બરાબર આવડે છે.
ફ્રેન્ક હર્બર્ટ કહે છે, ‘ફાટફૂટ પાડો ને રાજ્ય કરો, વધારે ભાગલા પાડો ને વધારે શક્તિશાળી બનો, નબળા પાડો ને જીતો અને પ્રેમ બતાવો ને ગુલામ બનાવો – રાજકારણ આ ચાર સિદ્ધાંતો પર રમે છે.’ આ સમજવાનું છે. રાજકારણ પાસે ‘ડિવાઈડ એન્ડ રુલ’નાં પોતાનાં કારણો ભલે હોય, આપણી પાસે ‘યુનાઇટ એન્ડ લીડ’ના આપણાં કારણ ન હોવા જોઈએ?
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 18 જાન્યુઆરી 2026
![]()

