
રવીન્દ્ર પારેખ
એમ લાગતું હતું કે ભારતીય લોકશાહીમાં વિરોધની ધાર બુઠ્ઠી થઈ ગઈ છે, પણ વિરોધ શક્ય છે એ જોઈને આશ્વસ્ત થવાય એવું છે. 27 જાન્યુઆરીએ જ દેશની બેન્કોના 8 લાખ કર્મચારીઓ ફાઈવ ડે વીકની માંગ સાથે ગુરુવારે હડતાલ પર હતા ને ગુજરાતના 15,000 કર્મીઓ એ હડતાલમાં જોડાયા હતા. દેશભરમાં ત્યારે ચારેક લાખ કરોડના ચેકનું ક્લીયરિંગ અટવાયેલું. 5 દિવસના અઠવાડિયાની 15 વર્ષની માંગ ટલ્લે ચડતી હતી, એટલે 27 જાન્યુઆરીએ હડતાલ પડેલી ને તેને વધારે વખત થાય તે પહેલાં 12 ફેબ્રુઆરીએ ફરી હડતાલ બેન્કોની પડી છે ને આ વખતે LIC, સરકારી વીજ કમ્પનીના કર્મચારીઓ પણ જોડાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સિવાયની લગભગ તમામ પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરની બેંકો કાલે બંધ રહી હતી ને બેંક કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા.
કોણ જાણે કેમ પણ રોજના નવા અખતરાને પરિણામે સરકારે ખતરા ઉઘરાવ્યા હોય એમ લાગે છે. કેન્દ્ર સરકાર દ્વારા ચાર નવા કાયદાએ હડતાલને નિમંત્રણ આપ્યું છે અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA), બેંક એમ્પ્લોઇઝ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BEFI) ઉપરાંત બીજા સાતેક સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. રાષ્ટ્રવ્યાપી હડતાલને દેશભરમાં અને ગુજરાતમાં પણ વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં હડતાલને પગલે 15,000 કરોડ બેન્કિંગ વ્યવહારોને અસર પહોંચી છે. બેંક કર્મચારીઓએ ‘હિટલરશાહી નહીં ચલેગી’ ‘લેબર કોડ વાપસ લો’ જેવા સૂત્રો પોકાર્યાં હતાં. દેશનાં દશેક કેન્દ્રીય ટ્રેડ યુનિયનોની માંગ છે કે સરકારે તાજેતરમાં જે ચાર નવા લેબર કોડ દાખલ કર્યા છે તે કર્મચારીઓના હિતમાં નથી તેથી તે પાછા ખેંચાવા જોઈએ. આ કાયદાને કારણે ગમે તેને નોકરીએ રાખવાની કે છૂટા કરવાની (હાયર એન્ડ ફાયર) તકો મળી જશે. સરકારે કોન્ટ્રેક્ટ સિસ્ટમ દાખલ કરીને બેરોજગારીમાં વધારો જ કર્યો છે. બેંક યુનિયનોનું માનવું છે કે કોન્ટ્રેક્ટ સિસ્ટમને બદલે નોકરીઓ કાયમી કરવી જોઈએ.
હડતાલ પડવાનાં કારણોમાં 29 જૂનાં મજૂર કાયદાને બદલે 4 નવા લેબર કોડ આવ્યા તે ગણાવાય છે. ટ્રેડ યુનિયનોનું માનવું છે કે નવા કાયદાઓ કામદારોની વિરુદ્ધ છે ને કામદારોની નોકરીની સુરક્ષા તેથી જોખમાય એમ છે. બીજું, લઘુત્તમ વેતનના નિયમોમાં કર્મચારીઓનું શોષણ જ વધશે. મજૂર સંગઠનો એથી જ જૂનાં કાયદાઓ પાછા લાવવાની માંગ કરી રહ્યા છે.
હવે નોકરીઓમાં કાયમી ભરતી લગભગ થતી નથી, તે એટલે કે નિવૃત્તિ પછીના પેન્શન વગેરે લાભો આપવા ના પડે. કોઈ કોર્પોરેટર ટર્મ પૂરી કરે ને ધારાસભ્ય થાય, તે જ ધારાસભ્ય ટર્મ પૂરી કરે ને તે સાંસદ થાય ને ટર્મ પૂરી કરે, તો તેને ત્રણ ત્રણ પેન્શન ટર્મ પૂરી થતાં મળે છે ને એક સાધારણ કર્મચારી 30-35 વર્ષની નોકરી પછી નિવૃત્ત થાય તો તેને પેન્શન કેમ નહીં તે સમજાતું નથી. કોન્ટ્રકટ સિસ્ટમ દાખલ જ એટલે કરવામાં આવી કે કોન્ટ્રકટ પૂરો થતા નોકરીમાંથી છૂટા કરી શકાય ને બીજી સગવડ એ કે પૂરો પગાર ના આપવાનો અને પેન્શનનું તો નાહી જ નાખવાનું.
સુરતમાં પણ ગુરુવારની એક દિવસીય હડતાલ સફળ રહી. સવારથી જ બેંક યુનિયનો અને અન્ય સંગઠનોના પ્રતિનિધિઓ તથા કામદારો કલેકટર કચેરી, સુરત ખાતે એકઠા થયા હતા અને સૂત્રો પોકારીને વિરોધ પ્રગટ કર્યો હતો. આ હડતાલમાં બેંક કર્મચારીઓ ઉપરાંત LIC, રેલવે, પોસ્ટ, ઇન્કમટેક્સ, એસ.ટી., આંગણવાડી અને આશાવર્કરો પણ જોડાયાં હતાં, એટલું જ નહીં, સુરતના કાપડ અને હીરાઉધોગ સાથે સંકળાયેલાં કેટલાંક યુનિયનોએ હડતાલને ટેકો જાહેર કર્યો હતો. એ સાથે જ ટ્રેડ યુનિયનોએ સરકારને ચીમકી પણ આપી છે કે જો સરકાર ઘટતું નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. રાજકોટમાં પણ LIC અને અન્ય બેંક કર્મચારીઓ દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવામાં આવ્યો ને શ્રમિક કાયદાઓમાં કરવામાં આવેલા ફેરફારોનો પણ સખત વિરોધ કરવામાં આવ્યો.
લેબર કોડ કોઈ રીતે પણ પરત ખેંચાવા જોઈએ, કારણ કે એ મહિલાઓની સલામતીના પ્રશ્નો વધારે છે. નવા ચાર લેબર કોડ આવવાને લીધે મહિલાઓને નાઈટ શિફ્ટ કરવાની આવશે. એમ થશે તો સ્ત્રીઓનાં પારિવારિક જીવન પર અસર પડશે. લેબર કોડમાં સુધારો ન થાય તો મહિલાઓએ પહેલાંની જેમ ઘરકામથી જ સંતોષ માનવાનો રહેશે. એક તબક્કે 100ની સંખ્યા હોય તો યુનિયન બનતાં હતાં હવે 300ની સંખ્યા હોય તો જ યુનિયન બનાવી શકાય છે. સંખ્યા વધવાને લીધે ઓછા લોકોનાં યુનિયનો બનશે નહિ. યુનિયન ન બની શકવાને લીધે તેમની માંગણીઓ કે અન્ય તકલીફોની રજૂઆતના જ પ્રશ્નો હશે. એ અત્યંત દુખદ છે કે કાયદાઓ શોષણને અટકાવવા માટે હોય, પણ નવા કાયદાઓમાં 8 ક્લાક્ને બદલે 12 કલાક ફરજિયાત કામ કરવાનો નિયમ દાખલ કરવામાં જ શોષણ છે. એમ થશે તો પારિવારિક જીવન પર કાપ પડશે. બાર કલાકની ડ્યૂટી બાળકોનાં શિક્ષણ પર અસર પાડશે ને પરિવાર તરફ ધ્યાન જ ઓછું અપાશે.
આ હડતાલમાં LIC પણ જોડાઈ છે, તે એટલે કે સરકાર LICના શેર વેચીને તેનું ખાનગીકરણ કરવા જઈ રહી છે. આમેય સરકાર પોતાની જવાબદારીઓ ઓવારી દઈને ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે. ખબર નથી પડતી કે સરકાર દરેક બાબતમાં દખલ કરીને કે બધું સખળડખળ કરીને કરવા શું માંગે છે? અગાઉ કશું હતું જ નહીં કે હતું તે ઠેકાણાં વગરનું જ હતું, એમ માનીને સરકાર બધું જ ઉપરતળે કરવા માંગે છે ને એમ કરવા જતાં જે સામે આવે છે તે અગાઉને ટપી જાય એવું ભાગ્યે જ હોય છે. નવા લેબર કોડે અનેક સંગઠનોને વિરોધ કરવાની સામટી તકો પૂરી પાડી. લેબર કોડ બદલાતા એ સ્થિતિ આવી કે મહિલાઓને પક્ષે રહેલી સરકાર એકાએક જ સામે પક્ષે બેઠી હોય એમ થયું છે. રોજ જ છેડતી, બળાત્કારનાં ઢગલો કિસ્સાઓ સામે આવતા હોય ત્યારે મહિલાઓને રાતપાળીમાં નોકરી કરાવવાનું ડાહપણ ભરેલું કેટલું? મહિલાઓને બાળઉછેરની, ગૃહિણી તરીકેની અન્ય ફરજો પણ હોય, એવામાં 8 કે 12 કલાકની નોકરી હોય કે રાતપાળી કરવાની આવે, તો તે કેટલી હદે ને ક્યાં સુધી સહ્ય હોય એ વિચારવાનું રહે. નોકરીમાં કે બહાર મહિલાનું શોષણ થાય તો તેનાં રક્ષણની સુવિધા અંગે સરકારે કંઇ વિચાર્યું હોય એમ લાગતું નથી. પુરુષોને પણ 12 કલાકની નોકરી હોય તો તે ઘરમાં ધ્યાન આપે એવું સરકારને અપેક્ષિત છે કે કેમ? જે વ્યવહારુ જ નથી એવું કાયદા તરીકે ઠઠાડી દેવામાં સરકારની માનસિક સ્થિતિ અંગે પ્રશ્નો થાય એમ બને. એવો વહેમ પડે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી કે રાષ્ટ્ર વિરોધી છે. સરકારની નીતિ કોર્પોરેટ તરફી અને ખાનગીકરણને સ્વીકૃતિ આપનારી છે ને એમાં માણસ તરફી ભાગ્યે જ કંઇ હશે.
ભારત બંધના એલાનથી 600 જિલ્લાઓને તથા બેંક, બસ, રેલ સેવાઓને અસર થઈ છે. સરકાર રોજ જ ફેરફારો કરવામાં પાવરધી છે તે ખરું, પણ તેથી પડતી હડતાલો અનેક લોકોને પ્રભાવિત કરતી હોય છે એ ભૂલવા જેવું નથી. આ ઉપરાંત ઊર્જા ક્ષેત્રમાં વ્યાપક રીતે વિભાજન સહિત ખાનગીકરણનો વિરોધ કરવા સરકારી વીજ કંપનીઓના 45,000 કર્મચારીઓ પણ હડતાલ પર રહ્યા, એની અસરો સામાન્ય માણસો સુધી પહોંચી. હડતાળથી સરકારને તો બહુ ફેર પડતો નથી, પણ તેની અસર અનેક લોકોને પહોંચતી હોય છે. એક દિવસની હડતાલ જે રોજિંદા વ્યવહારો પર અસર પાડે છે તે વ્યક્તિઓને તો ઠીક, બીજી અનેક રીતે પ્રભાવિત કરે છે.
હડતાલ, તાલ ખોરવે જ છે, વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ફેબ્રુઆરી 2026
![]()

