Opinion Magazine
Number of visits: 9448374
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, કવિતા માણીએ

ધીરુ પરીખ|Opinion - Literature|19 May 2015

કાશ, તે આવે

• દીપક બારડોલીકર


મૃત્યુ
મારા માટે
કોઈ નવી વસ્તુ નથી !
હું
અર્ધનગ્ન દશામાં
ફળિયા વચ્ચે
દોડાદોડી કરતો હતો ત્યારે
મૃત્યવશ થતાં જોયેલા
મારા પ્રતાપી પિતાને !
અને
ત્યાર પછી
મારી સમીસાંજ થાય તે પહેલાં તો
ઘર ખાલી થઈ ગયું !
વહાલચમેલી બની જતી બહેનો
પોરસના પ્યાલા પિવરાવતા ભાઈઓ
ને જેનો કોઈ જોટો જડે નહીં
તે મમતાના મેહ સમી મારી મા,
માની દુઆઓનું છત્ર,
બધું જ ચાલ્યું ગયું !
મૃત્યુ
મારા માટે કોઈ નવી વસ્તુ નથી !
એક વાર
મગરને જડબે જતાં
તો એક વાર
વાઘનો કોળિયો થતાં
બચી ગયેલો !
હા, અણીચૂક્યો આદમી છું !
અને
બહુ નજીકથી જોયું છે મૃત્યુને
ઘરમાં અને ઘર બહાર !
ઉપાડ્યા છે જનાઝાઓ બેશુમાર !
અને
હવે કોઈક દિવસ
ઊપડશે જનાઝો આ બંદાનો !
ઉપાડશે મારા વહાલા, મારા દુલારા,
ઓઢીને ગમદુશાલા !
પરંતુ
સાચું પૂછો તો
મને એનો ઇન્તેઝાર નથી
હું તો બેઠો છું
કોઈક અન્યની પ્રતીક્ષામાં !
કાશ !
તે આવે !
સિતારે સિતારે પગલાં પાડે
ને સ્નેહભીના શબ્દોમાં
માત્ર આટલું કહે :
ચાલો, દીપકજી !
સાંજ થઈ ગઈ છે !

દીપક બારડોલીકરના આ કાવ્ય ‘કાશ, તે આવે’નો કાવ્યનાયક કોની રાહ જુએ છે ? ‘કાશ’ શબ્દથી જાણે એની વાટ જોવાનો થાક લાગ્યો હોય કે પછી તેના આવવાની ઝંખનામાં શંકા પ્રવેશી ગઈ હોય તેમ જણાય છે. પણ આ ‘તે’ છે કોણ ? ‘તે આવે’ એટલે કોણ આવે ? શીર્ષક પરથી જાત-ભાતના તર્કો જાગે તે સ્વાભાવિક છે ! પણ સમગ્ર કાવ્યના વાચનથી આ કાવ્યનાયકની પ્રતીક્ષા કોની છે તે તરત સમજાઈ જશે. અહીં પ્રતીક્ષિત છે મૃત્યુ.

આમ તો મૃત્યુ મનુષ્ય માટે, ના; પ્રાણીમાત્ર માટે અનિવાર્ય ઘટના છે. પરંતુ મનુષ્યને જીવનભોગ પછી મૃત્યુનો ઓડકાર જાણે ભારે દુ:ખદાયક લાગે છે. મરવું કોને ગમે ? આ પ્રશ્નનો જવાબ આપવાની જરૂર ખરી ? પણ કાવ્યાન્તરે કાવ્યનાયક,, અહીં કાવ્યસર્જન પોતે, મૃત્યુ આવવાની પ્રતીક્ષા કરી રહ્યો છે. તે મૃત્યુને સ્વીકારવા તત્પર છે.

હા, આવા અનિવાર્ય મૃત્યુના અનુભવો તો પરલક્ષી જ રહેવાના. મૃત્યુનો અનુભવ ક્યારે ય આત્મલક્ષી ના બની શકે. મૃત્યુ બાદ મૃત્યુક્ષણનું વર્ણન કરવા તેને ભેટનાર કરી શકતો નથી. પણ માણસ પોતાના જીવન દરમિયાન અનેકોના અવસાનનાં અનુભવ તો પામતો જ હોય છે. અને એ અનુભવ જ વ્યક્તિને પોતાના મૃત્યુની ક્ષણનો તલસાટ કેવો હોઈ શકે તે કલ્પી શકતો હોય છે.

કાવ્યના ઉપાડમાં જ કવિ કહે છે કે −

મૃત્યુ

મારા માટે

કોઈ નવી વસ્તુ નથી !

મતલબ કે કાવ્યનાયકે અન્યોના મૃત્યુને જોયું છે અને જાણ્યું છે આ અન્યો પણ કોઈ પરાયાં નહીં પણ પોતીકાં આથી મૃત્યુનો એ અનુભવ માણસને, અહીં વિશ્વનાયકને, વધુ વિચારો-વિમાસતો કરી દે છે. કવિ પોતાના બાળપણનું સ્મરણ આરંભમાં રજૂ કરે છે. એક નિર્દોષ બાળક છે તે ‘નગ્ન દશા’ શબ્દોથી ઇંગિત કરાયું છે. આ બાળવયે મૃત્યુનો જે પ્રથમ અનુભવ થયો છે તે પોતાના પિતાનો છે. અને તે પણ ‘પ્રતાપી’ પિતા ! બાળવયે પિતાના મૃત્યુનો આ પ્રથમ અનુભવ કોઈને પણ હલબલાવી દે. પણ વાત આટલેથી અટકતી નથી. કાવ્યના નાયકની બાલ્યાવસ્થાથી આ મૃત્યુના અનુભવો તેનાં પાછલી વય સુધી સુધી સતત થતા રહ્યા. એટલે જ કવિ કહે છે :



મારી સમી સાંજ થાય તે પહેલાં તો

ઘર ખાલી થઈ ગયું !

અહીં સમીસાંજના પ્રતીક દ્વારા કાવ્યનાયકની જીવનસંધ્યા નિર્દેશાયેલી છે. કાવ્યનાયકને પોતાની વૃદ્ધાવસ્થા સુધીમાં મૃત્યુના અવારનવાર અનુભવો થતા રહ્યા છે, અને એ પણ બહેનો, ભાઈઓ અને માતા પણ કાવ્યનાયક ગુમાવે છે. બહેનો માટે જે વિશેષણ વપરાયું છે ‘વહાલચમેલી’ તે બહેનના ભાઈ પ્રત્યેના સહજ વહાલની પ્રતીતિ તો કરાવે જ છે પણ સાથેસાથે કવિની સર્જનાત્મક કલ્પનાનો આ ‘વહાલચમેલી’ શબ્દયુગ્મથી આવે છે. તો વળી ભાઈઓનું પણ મૃત્યુ થાય છે. આ ભાઈઓ કેવા ? કવિ કહે છે ‘પોરસના પ્યાલા પીવરાવતા’. ભાઈઓ પણ કાવ્યનાયકને જીવનમાં ‘જોસ્સો’ જગાવતા હતા. એમાં પણ ‘પ’ વર્ણની વર્ણસગાઈ સહેજ રીતે અનુભવને અલંકૃત કરે છે. પણ જાણે આટલું અધૂરું હોય તેમ માતા પણ કાવ્યનાયક ગુમાવે છે !

માતા તો ગમે તેટલી ઉંમરના દીકરા માટે સહજ વહાલનું છત્ર છે. આ કાવ્યનાયક પોતાના આયુના સાંધ્યસમયે માતા ગુમાવે છે. આમ, જીવનના પાકટકાળે પણ મમતામયી માતા ગુમાવવી તે વ્યક્તિ માટે ભારે આઘાતજનક ઘટના બની રહે છે. આથી જ કાવ્યનાયકને માતા ગુમાવતા લાગે છે −



મારી સમીસાંજ થાય તે પહેલાં તો

ઘર ખાલી થઈ ગયું !

અત્યંત વેદના ગર્ભ અનુભૂતિના આ કરુણ સહજોદ્દગાર છે. આથી કાવ્યનાયક કહે છે કે −

મૃત્યુ

મારા માટે

કોઈ નવી વસ્તુ નથી !

કાવ્યનાયક આગળ જતાં પોતાના જીવનના બે અનુભવો વર્ણવે છે કે જ્યારે તે સ્વયં મૃત્યુના મુખમાંથી બચી ગયેલો. પાણીમાં તરતી વખતે મગરનો કોળિયો થઈ જતાં બચી ગયેલો તો વળી કો વનની વાટે જતાં વાઘનો કોળિયો થતાં પણ કાવ્યનાયક બચી ગયેલો. આમ, કાવ્યનાયકને સ્વમૃત્યુના મુખમાંથી બચી જવાના અનુભવોએ પણ તેને મૃત્યુની કરાળતા કે કરુણતાનો કલ્પનાનુભવ કરાવી જાય છે આથી આ કાવ્યનાયક કહે છે :

હા, અણીચૂક્યો આદમી છું !

પરિવારજનોના અને સ્વજનોની મૃત્યુયાત્રામાં પણ ઓછો ભાગ નથી લીધો ! અનેકોની નનામી ઊંચકીને એમણે મૃત્યુનો માતમ જાણ્યો-જોગવ્યો છે, અને ત્યારે આત્માનુભૂતિ પણ થઈ છે કે −

હવે કોઈક દિવસ

ઊપડશે જનાઝો આ બંદાનો !

ઉપાડશે મારા વ્હાલા, મારા દુલારા,

ઓઢીને ગમદુશાલા !



આમ તો આ ભાવિ સંકેતમાં નવું કશું ન લાગે, પણ એમાં ય કવિનું ચિંતન છે કે મૃત્યુ તો અનિવાર્ય જ છે. જેમ મેં મારાં સ્વજનોનાં મૃત્યુનો અનુભવ કર્યો છે તેમ મારા દુલારાઓ પણ મારા મૃત્યુથી એમના સ્વજનના અવસાનનો વસમો અનુભવ કરશે. આ અનુભવ ગાત્રો થીજવી નાખે તેવો છે. અને તેથી જ કવિ રૂપક પ્રયોજે છે કે આ સ્વજનો ‘ગમદુશાલા’ ઓઢીને મૃત્યુના અનુભવનો થરથરાટ જીરવવાનો પ્રયત્ન કરશે.

આવા મૃત્યુ વિશેના ચિંતનથી કાવ્યનાયક પોતાના નામ સાથે જ મૃત્યના આગમનની રાજીખુશીથી રાહ જુએ છે :



તે આવે !

સિતારે સિતારે પગલાં પાડે

ને સ્નેહભીના શબ્દોમાં

માત્ર આટલું કહે :

ચાલો, દીપકજી !

સાંજ થઈ ગઈ છે !

અહીં જીવનસંધ્યાએ પહોંચેલા કાવ્યનાયકની મૃત્યુને આવકારવાની હિંમતભરી આરત સહજ રીતે અભિવ્યક્ત થઈ છે. ‘ચાલો, દીપકજી ! / સાંજ થઈ ગઈ છે !’

માણસ જો પોતાની જીવનસંધ્યાએ મૃત્યુની વેદના કરતાં તેને વધાવવાની એષણા રાખે તો મૃત્યુ ભયાનક લાગતું નથી. નરસિંહરાવના શબ્દો યાદ આવે :



મૃત્યુ મરી ગયું રે લોલ.

સૌજન્ય : “ગુર્જરી ડાયજેસ્ટ”, જાન્યઆરી 1016; પૃ. 11-13


Loading

19 May 2015 admin
← ફૂલ ખીલેંગે બાગો મેં જબ તક ગુલાબ કા પ્યારા, તબ તક ઝીંદા હૈ ધરતી પર નેહરુ નામ તુમ્હારા
ધર્મ, ધર્માંતર અને મારું બાળપણ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved