Opinion Magazine
Number of visits: 9446507
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપત્તિ હવે ખાતરીપૂર્વક આવી રહી છે 

નેહા શાહ|Opinion - Opinion|6 September 2025

નેહા શાહ

ચોમાસું શરૂ થયું છે ત્યારથી લગભગ સતત હિમાલયના રાજ્યોની તબાહીનાં દૃશ્યો આપણી સામે આવ્યા જ કરે છે. કાગળના ઘરોની માફક તણાઈ જતાં મકાનોના વીડિયો આપણે સોશ્યલ મીડિયા પર લગભગ રોજ જોઈ રહ્યા છીએ ! માત્ર ૨૦૨૫ના વર્ષમાં ત્રીસથી વધુ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. વાદળ ફાટે, અચાનક પૂર આવે, તળાવ ફાટવાની ઘટના બને, મકાનો પાણીમાં તણાઈ જાય, આખું ગામ કાદવ તળે દટાઈ જાય, પુલ તૂટી જાય, ઠેર ઠેર ભૂસ્ખલન થાય અને નદીનો પ્રવાહ બદલાઈ જાય …. આ ઘટનાઓના સમાચાર અટકતા જ નથી.  હિમાચલ પ્રદેશમાં કુલ્લુ અને મંડી, ઉત્તરાખંડમાં ધરાલી, જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડ, તેમ જ ઉત્તરાખંડમાં ચમોલી – લગભગ એક જ મહિનાની અંદર આ બધી ઘટના બની !  આ માત્ર ભારે વરસાદની ઘટનાઓ નથી. હવે આપણી સામે સ્પષ્ટ થઇ ગયું છે કે બદલાયેલી પર્યાવરણના ચક્ર સાથે બદલાયેલી વરસાદની તરાહ છે જે માનવ વસાહત માટે ખતરનાક બની રહી છે. ડાઉન ટૂ અર્થ (ડી.ટી.ઈ.) દ્વારા કરાયેલા એક વિશ્લેષણ જાન્યુઆરી થી ૧૮ ઓગસ્ટ 2025 સુધીના સમય દરમ્યાન હિમાલયમાં લગભગ રોજની એક કટોકટી નોંધાઈ છે, જેમાં 632 લોકો માર્યા ગયા! માત્ર હિમાચલ પ્રદેશમાં જ પાછલા બે મહિનામાં ૨૦૦ થી વધુ લોકોનાં પૂરને કારણે મૃત્યુ થયાં છે. પાંચ વર્ષનું વિશ્લેષણ કરીએ તો દર વર્ષે વરસાદી પેટર્ન વધુ ને વધુ ખરાબ થઈ રહી છે. આ લખાય છે ત્યારે રાવિ, સતલજ, બિયાસ અને જેલમ જેવી મોટી નદીઓ પૂરગ્રસ્ત છે જે કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં તારાજી ફેલાવી રહી છે. 

હિમાલયમાં બદલાયેલી વરસાદની તરાહ માટે વૈજ્ઞાનિકો આબોહવાના પરિવર્તનને જવાબદાર માની રહ્યા છે. વિશ્વના અન્ય વિસ્તારોની તુલનામાં હિમાલય ઝડપથી ગરમ થઈ રહ્યાનું અનુમાન છે. ઉષ્ણતામાન વધવાની સાથે હવામાં વધુ ભેજ ભેગો થાય છે, પરિણામે વરસાદ વધુ તીવ્ર અને અનિયમિત બનાવે છે. હિમાલયનો પ્રશ્ન જેટલો વૈશ્વિક ગ્લોબલ વોર્મિંગનો છે તેટલો જ સ્થાનિક પણ છે. આ પર્વતમાળાની નાજુક ભૌગોલિક અને ભૂસ્તરીય રચનાને ધ્યાનમાં રાખી ત્યાં થઇ રહેલા વિકાસનાં કામોની સંભવિત અસરો વિષે વર્ષોથી વૈજ્ઞાનિકો ધ્યાન દોરી રહ્યા છે. પહાડોમાં બંધાયેલા બંધ અને હાઈડ્રો પાવર પ્લાન્ટ, મોટા પાયે જંગલોની કાપણી, ખાણ અને ખનીજકામ અને ઉદ્યોગો ભેગા થઈને આ વિસ્તારના પર્યાવરણ ચક્રને પૂરતું નુકસાન કરી ચુક્યા છે. એમાં ઉમેરો થાય છે પ્રવાસન (ટુરીસમ) ઉદ્યોગની માંગને પહોંચી વળવાનું દબાણ. હિમાલયના રાજ્યોમાં ટુરીસમ સીધી રીતે સાતથી આઠ ટકા આવક ઊભી કરે છે અને આડકતરી રીતે લગભગ વીસથી પચીસ ટકા આવકનો સ્રોત છે. હાલનો પ્રવાસન ઉદ્યોગ ઉપભોગતાવાદી છે. ધાર્મિક સ્થળોએ પહોંચતી માનવ મહેરામણમાં શ્રદ્ધાળુઓ કરતાં પૈસા ખર્ચી સગવડો માણવા પહોંચેલા ગ્રાહકો વધારે હોય છે. જેમની માંગને પહોંચી વળવા ઊભા થયેલા બજારમાં આડેધડ બંધાયેલા હોટેલોનાં મકાન, બેફામ વપરાતું પાણી અને બેરોકટોક વાહનોની અવરજવર ભેગા થઇ ને સ્થાનિક પર્યાવરણ પર ભારણ વધાર્યું છે. જ્યાં ત્યાં બંધાયેલાં મકાનો ઘણી વાર પાણીના પ્રવાહને અવરોધતા હોઈ પૂરનાં પાણી એને વહાવીને લઇ જાય. ચાર લેનના રોડ પર સડસડાટ વાહન ચલાવીએ ત્યારે અપ્રતિમ આનંદ મળે એ ખરું, પણ એની પાછળ કપાતાં જંગલ અને પર્વતના ઢોળાવને સમથળ કરવા થતી તોડફોડનું શું? હિમાલયની ભૂમિ એને ટકાવી શકે એમ છે?

આપણે વિકાસના એ તબક્કા પર પહોંચ્યા છીએ જ્યાં બધા ને બધું મેળવી લેવું છે. ઉદ્યોગો-ધંધાના વિકાસે જે ગતિ પકડી છે એમાં વિકાસને ટકાઉ બનાવવાનાં કોઈ પણ પગલાંને  વિકાસના વિરોધ તરીકે જોવામાં આવે છે. એટલે જ કોઈ પણ પ્રોજેક્ટને મંજૂરી આપવા માટે પર્યાવરણનાં મૂલ્યાંકનને પણ એક વિઘ્ન તરીકે જોવામાં આવે છે, એટલે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર પણ જોવા મળે છે. હિમાચલમાં એક ખાનગી હોટેલ ચલાવતી કંપનીએ રિસોર્ટ બનવવા માટે જમીનને ‘ગ્રીન એરિયા’ની કક્ષામાંથી હટાવવાની માંગ કરી હતી જેથી તેઓ મોટું બાંધકામ કરી શકે. નિયમો સાથેની બાંધછોડ ઘણી સામાન્ય બની ગઈ છે. આ સંદર્ભે જુલાઈ મહિનામાં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે એ દિવસ દૂર નથી જ્યારે દેશના નકશામાંથી હિમાચલ પ્રદેશ ગાયબ થઇ જશે ! થોડાં વર્ષ પહેલા બનેલ મનાલીનો એક પ્રસંગ છે. પ્રવાસીઓના ધસારાને નિયંત્રિત કરવા રાજ્ય સરકારે રોહતાંગ પાસ પર જવા માટે મર્યાદિત પાસ આપવાનો હુકમ કર્યો. પણ, પ્રવાસન પર નભતા ટેક્સી ડ્રાઈવરો વિરોધમાં હડતાલ પર ઉતરી ગયા. વિકાસ અને કુદરત વચ્ચે જે વિરોધાભાસ ઊભો થયો છે એનું આ એક ઉદાહરણ. જો પર્યાવરણને બચાવાની કોશિશ કરો તો લોકોના પેટ પર લાત વાગે અને જો લોકોની રોજી-રોટીની ચિંતા કરો – જે બિન ટકાઉ વિકલ્પો પર નભી રહી છે, તો પર્યાવરણ ચક્રમાં એ હદ સુધી વિક્ષેપ થાય કે કુદરત રિસાઈને રૌદ્ર સ્વરૂપ ધારણ કરે! એની માઠી અસર સામાન્ય લોકોની રોજી રોટી પર જ સૌથી વધારે પડવાની છે. 

ટકાઉ અને કલ્યાણકારી વિકાસ માટે વૈજ્ઞાનિક અભિગમ આપણે ક્યારે અપનાવીશું?

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

6 September 2025 Vipool Kalyani
← સો વરસના ઉંબર મહિને રા.સ્વ.સંઘ ક્યાં, કેટલે 
મેરા રંગ દે બસંતી ચોલા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved