
રાજ ગોસ્વામી
તાજેતરમાં દિલ્હીવાસીઓને ઇટાલીના મહાન ચિત્રકાર લિયોનાર્ડો દા વિન્સીની સર્જનાત્મક દુનિયાનો પહેલીવાર ‘પ્રત્યક્ષ’ પરિચય થયો. ધ લેજેન્ડ ઈમર્સિવ સિનેમા અને ડી.એલ.એફ. મોલ્સના સહકારમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સહારે ફર્શથી શરૂ કરીને છત સુધી વિન્સીની કળાની દુનિયાને જીવંત કરવામાં આવી હતી. લોકો ચાર હજાર ચોરસ ફૂટના એક ડોમમાં હરતાં-ફરતાં 500 વર્ષ પહેલાં થઇ ગયેલા આ કમાલના કલાકારના દિમાગમાં ઝાંખી શક્યા હતા.
દુનિયામાં બે શખ્સિયતોનાં મગજ વૈજ્ઞાનિક અભ્યાસનો વિષય રહ્યાં છે; એક આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને બીજા લિયોનાર્ડો દા વિન્સી. આઇન્સ્ટાઇનનું નામ આપણે ત્યાં સ્કૂલ સમયથી જ પરિચિત છે, પણ વિન્સી કલાકારોના વર્ગ સુધી સીમિત રહ્યો છે.
ઇટાલીના આ મહાન કલાકાર લિયોનાર્ડો દા વિન્સીને દુનિયા તેના મોનાલિસાના ચિત્ર માટે ઓળખે છે. નવી પેઢીના લોકો તેને થોડાં વર્ષો પહેલાં આવેલી ટોમ હેન્ક્સની ફિલ્મ ‘ધ વિન્સી કોડ’થી પણ જાણે છે. ચિત્રકળામાં ઊંડો રસ ધરાવતા લોકો વિન્સીની પ્રતિભા માટે અન્ય કેટલાંક ચિત્રોની પણ ગવાહી પૂરે છે, જેમ કે – ધ એનન્સિયેશન, ધ બાપ્ટિઝમ ઓફ ક્રાઇસ્ટ, મેડોના ઓફ ધ કાર્નેશન અને ધ એડોરેશન ઓફ ધ મેગી.
ટૂંકમાં, વિન્સીની જગવિખ્યાતી એક પેઈન્ટર તરીકેની છે, પરંતુ આ તેનો સીમિત પરિચય છે. વિન્સી એક ચિત્રકાર ઉપરાંત મૂર્તિકાર, વાસ્તુશિલ્પી, સંગીતજ્ઞ, કુશળ યાંત્રિક, એન્જીનિયર અને વૈજ્ઞાનિક પણ હતો. તેણે ઘણી શોધખોળોનું પ્રારંભિક દિશાસૂચન કર્યું હતું.
જેમ કે તેણે માનવ શરીરની રચના, ઉડતા મશીન, સશસ્ત્ર વાહનો, સૌર ઊર્જાનો ઉપયોગ અંગે ચિત્રો મારફતે વિચારો કર્યા હતા. કાતરની શોધ પણ તેમણે કરી હતી તેવું કહેવાય છે. વિન્સી પહેલો માણસ હતો જેણે આકાશનો રંગ ભૂરો કેમ છે તેની શોધ કરી હતી. તેનું કારણ સૂરજમાંથી આવતી રોશનીનું હવાના કારણે ફેલાઈ જવાનું હતું અને બીજા રંગોની સરખામણીમાં ભૂરો રંગ વધુ ફેલાય છે.
વિન્સી એક જ સમયે એક હાથથી લખતો હતો અને બીજા હાથથી ચિત્રો દોરી શકતો હતો. તે બહુ આસાનીથી ઊલટા ક્રમમાં શબ્દો લખતો હતો. સૌથી પહેલાં તેણે જ પેરાશૂટ, હેલિકોપ્ટર અને એરોપ્લેનના સ્કેચ બનાવ્યા હતા. તેણે ઝુલતા પૂલ અને પેડલ વાળી બોટની પણ કલ્પના કરી હતી.
લિયોનાર્ડોએ હોસ્પિટલોમાં જઈને મૃતદેહોનો અભ્યાસ કર્યો અને તેના પરથી 240 રેખાચિત્રો બનાવ્યાં હતાં. માનવ શરીરની આંતરિક રચનાનાં આ ચિત્રો અને 13,000 શબ્દોનો દસ્તાવેજ શરીર વિજ્ઞાનની પ્રગતિમાં પાયાનો પથ્થર સમાન છે.
વિન્સી સ્કૂલ પણ ગયો નહોતો. તેમ છતાં પ્રકૃતિદત્ત અસાધારણ પ્રતિભાના જોરે તેણે સ્થાપત્ય, જીવવિજ્ઞાન અને શરીર રચના વિજ્ઞાનનું ઘણું જ્ઞાન મેળવ્યું હતું. વિન્સીનો જન્મ 15 એપ્રિલ, 1452ના રોજ ઈટાલીના ફ્લોરેન્સ પ્રાંતના વિન્સી ગામમાં થયો હતો. તે અવૈદ્ય સંતાન હતો. દેખાવે ખૂબસુરત અને સ્ફૂર્તિવાન વિન્સીમાં સ્વભાવની મોહકતા, વ્યવહારકુશળતા અને બૌદ્ધિક નિપુણતા હતી.
કળા, વિજ્ઞાન, માનવતા અને ટેકનોલોજી જેવી વિભિન્ન વિદ્યાઓનો સંગમ એક વ્યક્તિમાં કેવી રીતે થયો તે કુતૂહલનો વિષય છે. એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સે એકવાર કહ્યું હતું કે, “વિન્સી કળા અને એન્જીનીયરિંગ બંનેમાં સૌન્દર્ય જોઈ શકતા હતા અને બંને વચ્ચે જોડાણ કરવાની તેમની ક્ષમતા તેમને જીનિયસ બનાવે છે.”
જોબ્સ, આઇન્સ્ટાઇન અને ઈલોન મસ્ક જેવા લોકોનાં બેસ્ટસેલર જીવનચરિત્રો લખનારા અમેરિકન લેખક વોલ્ટર આઈઝેક્સને વિન્સીનું પણ એક સુંદર ચરિત્ર્ય લખ્યું છે. તેમાં તેઓ લખે છે;
“લિયોનાર્ડો પાસે નહીં બરાબર શિક્ષણ હતું. તેને ન તો લેટિન વાંચતાં આવડતું હતું કે ન તો ગુણાકાર-ભાગાકાર આવડતા હતા. પણ તેનામાં એવી પ્રતિભા હતી જેમાંથી આપણને કશુંક શીખી શકીએ. તેનામાં જિજ્ઞાસા અને તીવ્ર નિરીક્ષણ વૃત્તિની કળા હતી. તેની કલ્પનાશક્તિ એટલી જબરદસ્ત હતી કે તે આપણને તરંગી લાગે. પણ એ જ એક એવી વસ્તુ હતી જે આપણે આપણા બાળકોમાં જોવા ઇચ્છતા હોઈએ છીએ.”
અમેરિકામાં લિયોનાર્ડો શ્લાઇન નામના એક સર્જન થઇ ગયા. તે 2009માં અવસાન પામ્યા. વ્યવસાયે તે ડોક્ટર હતા પરંતુ તેમને મેડિકલ સિવાયનું લખવા-વાંચવામાંનો બહુ શોખ હતો. તેમણે અમુક જે નોંધપાત્ર પુસ્તકો લખ્યાં હતાં, તેમાં એક પુસ્તક વિન્સી પર હતું. નામ હતું – લિયોનાર્ડો’ઝ બ્રેઈન: અન્ડરસ્ટેન્ડિંગ દા વિન્સી’ઝ ક્રીએટિવ બ્રેઈન. નામ પરથી જ સ્પષ્ટ છે તેમ શ્લાઇનને વિન્સીના અસાધારણ રીતે સર્જનાત્મક દિમાગનો અભ્યાસ કરવામાં રસ હતો.
શ્લાઇને તેમને ચોથા સ્ટેજનું બ્રેઈન કેન્સર હતું ત્યારે આ પુસ્તક લખ્યું હતું અને તે તેમના અવસાન પછી તેમના પરિવારજનોએ પ્રગટ કર્યું હતું. શ્લાઇને આ પુસ્તકને ‘મરણોત્તર બ્રેઈન સ્કેન’ ગણાવ્યું હતું.
તેમાં તેમણે કહ્યું હતું કે વિન્સી બાકી તમામ માણસોથી શારીરિક રીતે ભિન્ન હતા. આપણે જાણીએ છીએ તેમ આપણામાં બે મગજ હોય છે; જમણું અને ડાબું. દરેક વ્યક્તિમાં બેમાંથી કોઈ એક મગજ વધુ સક્રિય અથવા હાવી હોય છે. વિન્સી એક માત્ર એવો માણસ હતો જેનામાં બંને મગજ વચ્ચે સટીક સંતુલન હતું. તે તેમની ખોપડીની રચનાની એક પ્રકારની ખામી હતી.
વિન્સી પરંપરાગત વિચારો અને સર્જનશીલતાની દુનિયામાં મિસફિટ હતો. તે બીજા કરતાં જુદી રીતે વિચારતો હતો. જુદી રીતે મહેસૂસ કરતો હતો. જુદી રીતે વર્તન કરતો હતો. તે જુદી રીતે કપડાં પહેરતો હતો અને બોલતો હતો. લોકો તેની સામે અસ્વસ્થતા અનુભવતા. શ્લાઇન લખે છે;
“વિન્સીનું ડાબું અને જમણું મગજ અસાધારણ રીતે એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલાં હતાં. બંને મગજને જોડતું ‘કોર્પસ કલોસમ’ (તંત્રિકા પીંડ) બંને મગજ સાથે સતત સંવાદ કરતું હતું. દરેક મગજને બરાબર ખબર હતી કે બીજું મગજ શું કરી રહ્યું છે. તેના કારણે વિન્સીને અભૂતપૂર્વ અને અનિયંત્રિત રીતે નિરીક્ષણ કરવાની, સમજવાની અને સર્જન કરવાની સ્વતંત્રતા મળી હતી.”
21મી સદીના વિજ્ઞાન સામે હજુ પણ એક મોટું રહસ્ય યથવત છે અને તે છે માનવીય દિમાગ. વિજ્ઞાને મગજની શારીરિક રચના વિશે ઘણું જ્ઞાન હાંસલ કર્યું છે, પરંતુ તેમાં ચેતના (કોન્સિયસનેસ) અને સ્મૃતિ (મેમેરી) કેવી રીતે કામ કરે છે હજુ પણ એટલી સ્પષ્ટતા નથી.
વૈજ્ઞાનિકોને એ પણ ખબર છે કે ડાબું મગજ અને જમણું મગજ કેવી રીતે કામ કરે છે પરંતુ વિન્સી જેવા લોકો તે જ્ઞાન સામે પણ પડકાર ફેંકતા હોય છે. તેના મગજ તેને ઉંધેથી લખવાની અનન્ય ક્ષમતા આપી હતી. અર્થાત તમારે વિન્સીનાં લખાણને ઉકેલવા માટે અરીસાની જરૂર પડે. આવી અજીબ ક્ષમતાના કારણે જ વિન્સી જેવું વિચારી શકતો હતો અને કલ્પના કરી શકતો હતો તે ઇતિહાસમાં અનન્ય હતું.
લિયોનાર્ડો દા વિન્સીની વિરાસત માનવ મગજની અસીમ ક્ષમતા, સર્જનશીલતા અને જિજ્ઞાસાની સ્થાયી શક્તિના પ્રમાણ તરીકે ઇતિહાસમાં કાયમ છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 10 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર