Opinion Magazine
Number of visits: 9448805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લાંચને ન આવે આંચ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 June 2025

રવીન્દ્ર પારેખ

આ દેશમાં અનેક કામો વિકાસના થયા છે ને વિશ્વમાં તે ચોથી ઈકોનોમી તરીકે પંકાઈ રહ્યો હોય તો તેની પણ ના નથી. ભલે 81.5 કરોડ લોકોને મફત અનાજ અપાઈ રહ્યું હોય ને છતાં, દેશમાં અત્યંત ગરીબોની ટકાવારી ઘટી હોય, તો તેનોય વાંધો નથી. દુશ્મન દેશને થોડી મિનિટોમાં જ આ દેશનાં સૈન્યે ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય તો તે પણ કબૂલ, પણ દેશ ધાર્મિક, સામાજિક અંધશ્રદ્ધાનો વધુ ને વધુ શિકાર થઈ રહ્યો છે તે અંગે વિચારવાનું રહે જ છે. લગ્ન અને લગ્નેતર સંબંધોને કારણે આત્મહત્યા ને હત્યાનું પ્રમાણ જે રીતે વકરતું આવે છે, તે સામાજિક સ્વાસ્થ્ય અંગે ચિંતા ઉપજાવનારું છે. આખો દેશ પરસ્પર હિંસક આક્રમણની છૂપી તૈયારીમાં લાગ્યો હોય એવું પણ લાગે છે. એ ઓછું હોય તેમ દેશમાં, રાજ્યમાં અનેક સ્તરે ચાલતો ભ્રષ્ટાચાર નફફટાઈ અને નિર્લજ્જતાને આંટી જાય એવો છે.

24 ઓકટોબર, 2024ને રોજ વેરાવળ-પાટણની સંયુક્ત મ્યુનિસિપાલિટીના પૂર્વ પ્રમુખે, વર્તમાન ચીફ ઓફિસરને લખેલ પત્રમાં થોડી આવી લાઈનો લખેલી, ‘… સાથે સાથે જે ગત વર્ષે 1 કરોડના કામો મંજૂર થયેલ હતા તેમ 4 કરોડ 25 લાખના કરી નાખવામાં આવેલ હતા. જેમાં કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવેલ હતી નહીં. આ 4 કરોડ 25 લાખના કામો માં જે જે રસ્તા રીપેર કરવામાં આવ્યા હતા તે રસ્તા પણ હાલ તૂટી ગયા છે જે ખૂબ ગંભીર બાબત કહેવાય જે રસ્તાના ગત વર્ષે કામો કરવામાં આવ્યાં હતા તે કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે. ગત વર્ષે થયેલ રસ્તાના કામો તપાસી તે કોન્ટ્રાકટર પાસે તાત્કાલિક તે રસ્તા રીપેર કરાવવામાં આવે અને તે કોન્ટ્રાકટર ને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેની માંગણી મૂકી રહ્યો છું.’

પત્રની લખાવટમાં ન પડીએ કે તે લખવાનાં કારણોમાં ન પડીએ તો પણ, વેરાવળ-પાટણ ઉપરાંત રાજ્યમાં અને દેશમાં રસ્તાઓ તૂટવાના ને બંધાઈ રહેલા પુલો તૂટવાના અનેક કિસ્સાઓ મીડિયામાં આવી ચૂક્યા છે ને તે આખરી નથી. બહુ દૂર ન જવું હોય તો બે’ક વર્ષ પર મોરબીનો ખુલ્લો મુકાયેલ પુલ જળાશાયી થયો તે ઘટનાને પણ ભ્રષ્ટાચાર સંદર્ભે યાદ કરી શકાય અને પૂર્ણ વિરામ તો ત્યાં પણ આવતું નથી. ક્યાંક ને ક્યાંક એ ઘટમાળ ન જ ચાલતી હોય એમ માનવાને કોઈ કારણ નથી.

CJI ભલે કહે કે ન્યાયપાલિકા ન્યાયિક આતંકવાદથી બચે, પણ ન્યાયતંત્ર સામે પણ ઘણા સવાલો છે તે ભૂલવા જેવુ નથી. એ ખરું કે ન્યાયિક સક્રિયતા અનિવાર્ય છે, પણ તે એ હદે ન વધવી જોઈએ કે ન્યાયિક આતંકવાદનું રૂપ લઈ લે. એ સાચું છે, પણ ન્યાયતંત્ર સામે આંગળી ચીંધાય એવું પણ થયું જ છે. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વર્માના લુટિયન્સ દિલ્હી સ્થિત ઘરમાં 14 માર્ચની રાત્રે આગ લાગી ને તેમના સ્ટોર રૂમમાંથી 500-500ની નોટોનાં સળગતાં બંડલો મળી આવ્યાં. તેમની સામે તત્કાલીન CJIએ તપાસ સમિતિ મૂકી. સમિતિને જસ્ટિસ વર્મા સામેના આક્ષેપો સાચા લાગ્યા ને તેમને દોષી ઠેરવવામાં આવ્યા. તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું જેનો તેમણે ઇનકાર કર્યો ને હવે તેમને મહાભિયોગથી દૂર કરવા સુધી વાત આવી છે. એ પણ છે કે મહાભિયોગના નિર્ણય સુધી આવ્યા પછી પણ નથી તો જસ્ટિસ વર્માએ ફોડ પાડ્યો કે નથી તો તપાસ સમિતિએ ખુલાસો કર્યો કે કરોડોનાં બંડલો સ્ટોરરૂમ સુધી પહોંચ્યા કઈ રીતે? જસ્ટિસ વર્મા તો કહે છે કે એ બંડલો તેમને ફસાવવા કોઈકે મૂક્યા છે. જો એવું હોય તો તપાસ સમિતિએ એ વાત ધ્યાને લીધી હતી કે કેમ? લાગે છે તો એવું કે સમિતિએ એ માની લીધું છે કે એ બંડલો જસ્ટિસ વર્માના જ હતા. એમ ન હોય તો સમિતિ પાસે જસ્ટિસ વર્માને દોષી ઠેરવવાનું કારણ જ કયું છે? એનું પણ આશ્ચર્ય જ છે કે પોતે મહાભિયોગ સુધી પહોંચવા તૈયાર છે, પણ એ બંડલો અંગે જસ્ટિસ વર્મા મગનું નામ મરી પાડવા તૈયાર નથી. એ પણ છે કે જો બંડલો જસ્ટિસ વર્માનાં જ હોય તો તે તેમની પાસે ભ્રષ્ટાચાર વગર આવ્યાં હોવાનું મુશ્કેલ છે.

લાગે છે તો એવું કે ભ્રષ્ટાચાર ને લાંચ રૂશ્વત કેટલાક સરકારી અધિકારીઓનાં લોહીમાં ઊતરી ગયાં છે. રાજસ્થાનનાં ઝુનઝુનુનો 11 જૂન, 2025નો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક દોડતા સરકારી અધિકારી નરેન્દ્ર સિંહની પાછળ ACBનો અધિકારી પડ્યો છે ને સરકારી અધિકારીને ઝડપી લે છે. તે એટલે ઝડપે છે કે નરેન્દ્ર સિંહ 30,000ની લાંચ લેતા પકડાયો, તો ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. ACB અધિકારી પાછળ પડ્યો છે, એવું લાગતાં સરકારી અધિકારીએ હાથમાં પકડેલું લાંચનું બંડલ ખાલી પ્લોટમાં ફેંકી દીધું. જો કે, ACB અધિકારીએ તેને પકડી પાડ્યો હતો ને આ આખી ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ચૂકી હતી.

સરકારી ઓફિસોમાં લાંચ એ જાણે ફેશન બની ગઈ છે. ઓડિસા વિજિલન્સ ડિરેક્ટોરેટે કાલાહાંડી જિલ્લામાં તૈનાત 2021 બેચના એક આઇ.એ.એસ. અધિકારી ધીમન ચકમાને 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડ્યો છે. ધીમન ચકમા ધરમગઢના નાયબ કલેકટર તરીકે કાર્યરત છે. ચકમાએ એક વેપારી પાસેથી 20 લાખની લાંચ માંગી હતી. તેનો 10 લાખનો પહેલો હપ્તો તો ચૂકવાઈ ગયો હતો. બીજા હપ્તા માટે ધમકી અપાઈ હતી કે તે નહીં ચૂકવાય તો કાર્યવાહી થશે. આથી ત્રાસીને ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી. ચકમાના ઘરે 8 જૂનને રવિવારે સઘન તપાસ કરતાં બીજી 47 લાખ જેટલી રોકડ મળી આવી હતી.

આ એક જ દાખલો છે. એવું નથી. ગયા એપ્રિલમાં અમદાવાદના આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને, એન્ટિ કરપ્શન બ્યૂરો(ACB)એ છટકું ગોઠવીને 15 લાખની લાંચ લેતા પકડી પાડ્યા હતા. વિગતો એવી છે કે ફરિયાદીની ફેવરમાં કામ કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસેથી 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. માર્ચ, 2025માં સુરતમાં રાજ્ય વેરા વિભાગમાં નીલેશ પટેલ નામના એક અધિકારી, એક વેપારીને મળવા પાત્ર રિફંડની રકમની કાર્યવાહી કરવાના બદલામાં, 15,000ની લાંચ લેતાં ACBએ પકડ્યા હતા.

આવા એકલદોકલ કિસ્સાઓ પૂરતી આ વાત નથી. ACBના 9 એકમનાં 76 સફળ ટ્રેપને લીધે છેલ્લા 4 મહિનામાં 109 સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ તો ગુજરાતનો જ ચાર મહિનાનો હિસાબ છે. સૌથી વધુ અધિકારીઓ, કર્મીઓ ગાંધીનગર અને અમદાવાદથી ઝડપાયા છે. આ ઉપરાંત નેતાઓ, મંત્રીઓનો ભ્રષ્ટાચાર છૂપો હોય છે, તે એકાએક ધ્યાને આવતો નથી. ગમે ત્યારે પગાર, ભથ્થાં વધારીને મબલખ આવક મેળવતા સાંસદો, મંત્રીઓ ડાબે હાથે પણ ઘણું ગજવે ઘાલતાં હોય છે. એવું નથી કે બધાં જ લાંચિયાંને ભ્રષ્ટાચારી છે. કોઈ કોઈ આ બધાંથી બચીને પણ ચાલે છે, પણ ઘણા વિકાસ પછી પણ આ દેશમાં લાંચરૂશ્વત, ભ્રષ્ટાચારે માઝા મૂકી છે એ હકીકત છે.

અહીં જે ઉદાહરણો લીધાં છે, એમાં જસ્ટિસથી લઈને નાના મોટા સરકારી અધિકારીઓ છે. તેમને સારાં એવાં પગાર-ભથ્થાં મળે છે, જેનો આંકડો લાખોમાં પડે છે. એમને મહિનાનો જેટલો પગાર મળે છે, એટલો તો ઘણાનો વાર્ષિક પગાર પણ નહીં હોય ! કોઈ ગરીબ માણસ પેટ પૂરવા થોડું ઘણું ખોટું કરે ને તે છીંડે ચડે તો સહેલાઈથી ચોર પુરવાર થઈ શકે છે, પણ લાખોમાં આળોટતા આ સરકારી માણસો લાંચ લેવામાં કે ભ્રષ્ટાચાર કરવામાં પૂરા નિર્લજ્જ ને નિષ્ઠુર થઈ શકે છે. એમનાં બેશરમ મોઢાં લાખોનો કોળિયો કરી જાય છે ને ઓડકાર પણ નથી ખાતા. એને લીધે જે કામ થાય છે તેમાં જરા જેટલો પણ ભલીવાર હોતો નથી. તેમને પકડીને જેર કરનાર તંત્રોને સલામ કરવાની રહે. એનો આનદ છે કે ACB તેનું કાર્ય વફાદારીથી કરે છે, પણ કેટલા ય કિસ્સા એવા પણ હશે જે તેમની નજરે ન ચડાય તેની કાળજી રાખતા હશે ને એ સંખ્યા પણ નાનીસૂની નહીં જ હોય. ખરું તો એ છે કે સારો પગાર મેળવનાર અધિકારીઓ પોતે જ સમજીને લાંચ લેવાથી કે ભ્રષ્ટાચાર કરવાથી દૂર રહે, પણ તેવું થતું નથી ને એટલે જ તો ACBએ ફરજ બજાવવી પડે છે.

સાંભળ્યું તો એવું પણ છે કે ACB કે CBI પણ દૂધે ધોયેલ નથી, છતાં આટલા કેસ કરે છે ને લાંચ રૂશ્વત રોકવાની કોશિશ કરે છે તેની અવગણના થઈ શકે નહીં. એટલું સ્પષ્ટ છે કે આપણે તો આશ્વાસનોથી જ રાજી રહેવાનું છે. આવનારો સમય આશ્વસ્ત પણ ન થવા દે એમ બને –

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 જૂન 2025

Loading

16 June 2025 Vipool Kalyani
← અલવિદા સફારી …
યાદ એક સ્પર્શની →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved