Opinion Magazine
Number of visits: 9449348
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|16 January 2016

 લા.ઠા. : રમ્યઘોષાથી આંતરઘોષા

એમની કોલમકારી અને ગદ્યલેખન આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું

કવિ લાભશંકર ઠાકર ગયા ત્યારે ચાળીસીએ ઊભેલી એક મિત્રે કરેલું એનું પહેલું સ્મરણ પોતે ચોથા ધોરણમાં હશે ત્યારે એમનો જે પાઠ ભણવામાં આવેલો એનું-‘ચોંટડૂક…’નું કર્યું હતું. એનું બાલપાત્ર કેવું તો સત્યવક્તા છે અને એને મળેલી રકમ કૂવો ગળાવવામાં વાપરે છે, અને આ વારતામાં વળી પરીની પણ હાજરી અને કામગીરી છે એ એણે હોંશે હોંશે સંભાર્યું હતું. દેખીતી રીતે જ ‘રે મઠ’ના વારાથી લાભશંકરની જે ઓળખ બની હશે એના કરતાં આ એક જુદી છાપ છે.

શું એમાં ‘કૉન્ટ્રાડિક્શન’ છે? આ લખું છું ત્યારે લાઠાને જાણે બોલતા સાંભળું છું કે ‘યસ, લાઠા કૉન્ટ્રેડિક્ટ્સ હિમસેલ્ફ!’ મનમરજીના માલિક – એક વાર એમને મેં કવિ મનસ્વી પાટડીવાળા તરીકે ઓળખાવ્યા હતા – લાઠા આજે રણજિતરામ ચંદ્રક નકારે પણ ખરા અને આવતી કાલે સ્વીકારે પણ ખરા. પણ ‘કુમાર’માં ઘડાઈ બચુભાઈ રાવતને ‘રે મઠ’ મિજાજમાં ફાંસીએ ચડાવી શકાતા લાભશંકરને તમે બચુભાઈના અમૃતમિલાપનું આયોજન કરતા પણ જુઓ તો એમ માનવાનું મન થાય કે એમના પ્રયોગો જ્યારે વ્યુત્ક્રાંન્તિના લાગ્યા ત્યારે પણ, ભલે વાયા વ્યુત્ક્રાન્તિએ ઉત્ક્રાન્તિ ભણીના હશે, અને ઉપશમે કરીને સમુત્ક્રાન્તિના.

લાભશંકર નામનું આ જે એક ઉખાણું તે સિત્તેર આસપાસનાં એક સનન્નારીના આ દિવસોના સહજ ‘સુમિરન’ની સહાયથી છોડાવવાની કોશિશ કરવા જેવી છે: ‘આકંઠ સાબરમતી’ની એક બેઠકમાં લાભુભાઈએ પોતાના એક અંગત વલણની વાત કરી હતી. એમણે કહ્યું કે એવું માનનારા ય લોકો છે કે કોઈ પણ ભિખારીને ભિક્ષા આપવી જોઈએ નહીં, કેમ કે કોઈની ય ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન ન અપાય. પણ હું મારી પાસે ભીખ માગનારા એકેએક ભિક્ષુકને કંઈને કંઈ આપું છું. કેમ કે મારો તર્ક એવો છે કે જે માણસને ભીખ માગવી પડે એની લાચારી હશે? લાચાર ન હોય એ તો ભીખ જ ન માગે ને ભીખ માગનારની લાચારીને તમે વધુ ઘેરી ને દુ:ખદ જ બનાવો છો જ્યારે તમે એને ભિક્ષામાં કંઈ આપતા નથી. હું કોઈ જ અભાવગ્રસ્ત લાચારીની દુ:ખદ લાગણીને ઊંડી કરવા નથી માગતો ને એટલે કે પ્રત્યેક ભિક્ષુકને યત્કિંચિત દાન કરું જ છું.

વાર્તાકાર સુવર્ણાનું આ લાભ-સુમિરન ઉતારું છું ત્યારે લાભશંકરની કોલમકારીની દૃષ્ટિએ સ્મૃિતમાં અવગાહન કરવાનું મન થઈ આવે છે. હરિશ્ચંદ્ર ભટ્ટનો કાવ્યસંગ્રહ ઉમાશંકરે સંપાદિત કરી રસિકજનસુલભ કર્યો ત્યારે કાકાસાહેબે થોડું જીવન અને સમાજચિંતન કરવાની તક ઝડપી હતી. એનો ઉલ્લેખ કરીને કાકાસાહેબે એ મતલબની ટિપ્પણી કરી હતી કે આવું સાંભળવાનું બને ત્યારે ત્યારે મનમાં ગ્લાનિ થાય છે. આપણા સમાજના એક પ્રતિનિધિ તરીકે હું પોતે જ બેદરકારીના પ્રતિનિધિ તરીકે ગુનાગાર હોઉં એવું દુ:ખ થાય છે. દુનિયાભરના શાસ્ત્રોએ કહ્યું છે કે આત્મહત્યા એ મહાપાપ છે. જો એ વાત સાચી હોય તો એ પાપ આત્મહત્યા કરનારને ચોંટે છે એના કરતાં સમાજને વધારે ચોંટવું જોઈએ, કેમ કે એવી આત્મહત્યા માટે ઘણી વાર સમાજરચના અને સમાજનું માનસ જ જવાબદાર હોય છે.

હરિશ્ચંદ્ર ભટ્ટ કૃત ‘સ્વપ્નપ્રયાણ’ વિશે લખતાં લાભશંકરે કાકાસાહેબની આ ટિપ્પણી એમની કોલમમાં સંમતિપૂર્વક ઉતારી હતી. એમના ભિક્ષુકચિંતન અને આ ટિપ્પણી બંનેને સાથે મૂકીને જોઈએ તો એમાંથી અનુકંપા, સહાનુકંપા, સમસંવેદનથી સિક્ત સમાજચિંતન અથવા સામાજિક નિસબતનો એક રણકો નિ:શંક ઊઠવા કરે છે. લાભશંકરની શ્રદ્ધાંજલિસભામાં ચંદ્રકાન્ત ટોપીવાળાએ પ્રમુખપદેથી એમની કાવ્યયાત્રાને ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી આરંભી કવિના ખુદના શબ્દોમાં ‘આંતરઘોષા’માં વિરમતી (કે વિલસતી) કહી હતી. રમ્યઘોષાથી આંતરઘોષા લગીની આ યાત્રા ચોક્કસ જ કોઈ સુરંગ કે બોગદામાંથી – શું કહીશું એને, ‘પર્ગેટોરિયો’માંથી – પસાર થઈ હોવી જોઈએ. ન કવિ, ન વિવેચક એવા મને આવું વિધાન કરવાનું સાહસ (અને કંઈક સમજ) એમની લાંબી કોલમકારી થકી મળે છે એ માટે તરત જ કહી દેવું જોઈએ.

નમૂના દાખલ, રમ્યઘોષાથી આંતરઘોષાના વચગાળાની પ્રક્રિયાની ખોજસમજના હું ‘પ્રવાહણ’ દીર્ઘકાવ્યનું સ્મરણ કરવા ચહું. અહીં હું એ આખું નહીં ટાંકતા માત્ર સાર રૂપે કહું કે આ કાવ્યમાં મળોત્સર્ગની લગભગ જુગુપ્સા જગવતી ક્રિયાની જોડાજોડ (‘જક્સ્ટાપોઝ’ કરવાની રીતે) કાવ્યોત્સર્ગ કહેતાં સર્જનની ચિત્રણા થયેલી છે. કવિ પાછા આવું બધું કહેતે કહેતે ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ!’ એવું પણ કહે. (ટાગોર હૉલમાં એમણે કરેલું પઠન આ ક્ષણે સાંભળું છું.) ગમે તમે પણ આ ‘લેટ મી સ્ટૉપ ફૉર અ મિનિટ! સાથે મને થતો ઝબકારો એમની ‘એક મિનિટ’ અને ‘ક્ષણ-તત્ક્ષણ’ એ જનસત્તા દિવસોની કોલમકારીનો છે.

‘પ્રવાહણ’ અને આ કોલમલેખન, એક જ દસકામાં લગભગ લગોલગ ચાલેલાં આવેલાં છે. જે બધા ઉત્સર્ગો, તે કોઈ નિ:સારવાદી બંસીબોલ નથી પણ એમાં રચના પડકારનો કશોક અજંપો, કશીક ખોજ, કશોક દિશાબોધ પણ પડેલા છે, કેમ કે કાવ્ય રચનાનો ધક્કો આખરે તો અનુભૂતિની એ તીવ્રતામાંથી આવેલો છે કે ‘વનમાં/મનમાં/તનમાં/ધનમાં/સળગતા/રાજમાં/વૈદેહી/મારી કાવ્યચેચન વલવલે’ આ વલવલાટને જેમ કલા અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને સાહિત્ય વિશે તેમ રાજ્ય, ધર્મ અને શિક્ષણ વગેરે વિશે વ્યક્ત થવાની સગવડ કોલમલેખન થકી સુલભ ગદ્યકારીએ આપેલી છે.

સહેજ ખસીને કહું કે હમણાં રૂસી લેખિકા સ્વેતલાનાને નોબેલ પારિતોષિક અપાયું તે વાર્તા-કવિતા નહીં પણ ગદ્યલેખનનું છે. પ્રજાને રાજ્યાદિ થકી જે વેઠવાવારો આવ્યો એના, પ્રત્યક્ષ અભ્યાસનિષ્ઠ સુદીર્ઘ રિપોર્તાજ તે સ્વેતલાનાનો વિશેષ રહ્યો છે. લાભશંકર કવિ મોટા, ઉમાશંકર-સુંદરમ, રાજેન્દ્ર-નિરંજન એમ લાભશંકર-સિતાંશુ કવિયુગ્મ એક પ્રતિમાન ખરું, પણ એમની કોલમકારી અને ગદ્યલેખન (અને કે પેલું પદ્યલેખન ઝમતે ઝમતે) આપણા સમય સાથે કામ પાડવામાં સંવેદનસંબલ બની શકે એ બરનું.

નાટ્યકાર હેરોલ્ડ પિન્ટરને 2005નું નોબેલ મળ્યું ત્યારે એમને અંગેની અધિકૃત અભિવાદન નોંધમાં એમને જેમ ‘પોલિટિકલ પ્લેરાઇટ’ તેમ ‘પબ્લિક ન્યુસન્સ’ કહેવાયા હતા. પિન્ટર એક નમૂનેદાર ‘ન્યૂસન્સ’ એ વાસ્તે હતા કે કલાવિધાનમાં શું વાસ્તવિક છે અને શું અવાસ્તવિક છે એ બે વચ્ચે કે સત્ય અને અસત્ય વચ્ચે પણ ચોખ્ખા ભેદ ન હોય તો પણ નાગરિક તરીકે મારે પૂછવું જોઈએ કે સાચું શું છે, ખોટું શું છે. લાભશંકરની કોલમકારીમાં સ્વેતલાના તરેહનો વ્યાપ અને સઘન કામગીરી ન હોય પણ એમાં સમાજનિસબતના સ્ફુિલંગો તમને સતત મળશે. રમ્યઘોષાથી આંતરઘોષાના પુણ્યોદકમાં આ તો લગરીક ડૂબકી …

e.mail : prakash.nirikshak@gmail.com

સૌજન્ય : ‘સ્મરણાંજલિ’, “દિવ્ય ભાસ્કર”, 16 જાન્યુઆરી 2016

Loading

16 January 2016 admin
← ફૂલોની ડાળ
વિભાજિત ભારત: વૉર ઇન પ્રોગ્રેસ નહીં, વર્ક ઇન પ્રોગ્રેસ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved