Opinion Magazine
Number of visits: 9449018
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કેટલું બધું બને છે ને કેટલાં બધાં ‘બનાવે’ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|6 June 2025

રવીન્દ્ર પારેખ

કાલે પર્યાવરણ દિવસ ગયો. ઠેર ઠેર બધું લીલું લીલું થઈ ગયું. આમ તો પીળાં પડી જાય, પણ કાલે તો કાગળો ય લીલાં થઈ ઊઠ્યાં. રાતોરાત બધે કૂંપળો ફૂટી, છોડ રોપાયાં ને બધે ‘છોડ છોડ’ થઈ રહ્યું. રાતોરાત ઝાડ ઊગ્યાં હોય ને જંગલો કપાયાં હોય તો ય નવાઈ નહીં ! એક બાજુ પર્યાવરણની ચિંતા થાય છે, તો ચીન જેવાને જગતનું પર્યાવરણ બગાડવામાં રસ છે. કોરોના તેનું પાપ છે ને તેને લીધે આખી દુનિયાએ વેઠવાનું આવ્યું છે ને હજી વેઠે છે. તાજેતરમાં જ તેણે અમેરિકી ખેતીને બગાડવાનું કાવતરું કર્યું છે. એક ચીની યુગલે અમેરિકી ખેતીને નુકસાન પહોંચાડવા રોગાણુઓ ઘૂસાડ્યા છે. આવો પાશવી આનંદ લૂંટવાનું તો ચીનને જ પરવડે.

પર્યાવરણ સંદર્ભે પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ઘટાડવો તેની માળા રોજ ફરતી રહે છે, પણ સુરતની જ વાત કરીએ તો 8 વર્ષમાં તેણે 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક રિસાઈકલ કરી ઉપયોગમાં લીધું. એ ઉપરાંત 8 વર્ષમાં 225 મેટ્રિક ટન પ્લાસ્ટિકમાંથી સુરતમાં 38 કિલોમીટરના રસ્તા બન્યા. એનો આનંદ થાય કે લાખો ટન પ્લાસ્ટિક રિસાઈકલ થયું, પણ એ વિચાર પણ આવે જ કે સુરતમાં જ 8 વર્ષમાં 6 લાખ મેટ્રિક ટન પ્લાસ્ટિક ભેગું તો થયું જ ! સુરત સંદર્ભે એ પણ નોંધવું જોઈએ કે તેણે જ એક લાખ મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન ઘટાડ્યું ય છે.

એ પણ છે કે ભારત ખેતીપ્રધાન દેશ હોવાની સાથે જ ઉજવણાં પ્રધાન દેશ પણ છે. કાલે લીલું લીલું થયું તો અગાઉ સિંદૂર સિંદૂર પણ થયું ને હજી એ સક્રિય છે. આખો દેશ જાણે સૌભાગ્યવંતો-સિંદૂરિયો થઈ ઊઠયો છે. કોઈકે તો ‘ઓપરેશન સિંદૂર’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરીને ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે. કૈં બન્યું નથી કે ‘બનાવવાનું’ શરૂ થઈ જાય છે.

દિવસો ઉજવવાનું શરૂ થયું છે ત્યારથી દુનિયા તેની જાહેરાત અને ઉજવણીમાં ધંધે લાગી ગઈ છે. પર્યાવરણ દિવસ આવે છે ને જગત શુદ્ધિકરણમાં લાગી પડે છે. રોઝ ડે આવે છે કે બધું ગુલાબી ગુલાબી થઈ ઊઠે છે. વેલેન્ટાઇન ડે આવે છે કે કાર્ડ અને ગિફ્ટ સાથે ‘જોડકાં’ રસ્તે આવી જાય છે. ઘણી વાર તો એમ લાગે છે કે વિશ્વમાં આ દિવસો ઉજવવા સિવાય જાણે કોઈ કામ જ બચ્યું નથી. એટલું સારું છે કે ‘પર્યાવરણ દિન’ની તાજગી એક દિવસ પૂરતી જ રહે છે, જેવો બીજો ‘ડે’ આવે છે કે પર્યાવરણ, પાનખર જેવું ઉદાસ થઈ જાય છે. રોઝ ડે પતે કે બધી પાંખડીઓ સુકાઈને હવામાં ઊડવા લાગે છે.

4 જૂને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) IPLની ટ્રોફી જીત્યું તેની ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણી હતી. બધા ક્રિકેટર્સ ને ક્રિકેટપ્રેમીઓ ભેગા થયા, પણ 35-40 હજારની કેપેસિટીવાળા સ્ટેડિયમમાં ને સ્ટેડિયમની બહાર ત્રણ લાખ લોકો જમા થઈ ગયા. દેખીતું છે કે આવામાં અવ્યવસ્થા અને અરાજકતા જ વધે. વધી. પ્રશાસન પણ કેટલુંક કાબૂ કરે? નાસભાગ થઈ. લોકો કચડાયાં ને પરિણામે 11 લોકોનાં મોત થયાં ને 33 લોકો ઘવાયાં. આવું થાય ત્યારે શાસકો આર્થિક સહાયનો ટુકડો ફેંકે, વિપક્ષો શાસકોને માથે ઠીકરાં ફોડે, મંત્રીઓનાં રાજીનામાં મંગાય ને એમ ઉઠમણાં દિન પૂરો થાય. રાજીનામાં માંગવાની પણ ફેશન છે ને શાસકો ‘ફેશન ડે’ ઉજવતા નથી, એટલે માંગવાથી કોઈ રાજીનામું આપતું નથી. એ તો રાજીનામાં દિન ઉજવવાનું શરૂ થાય તો વાત જુદી છે …

મેળાવડા, મંદિરો, સભાઓ વગેરેમાં ભીડ કરવાની ભારતને નવાઈ નથી. બરાબર એક મહિના પહેલાં ગોવાના શિરગાઉંમાં શ્રી લૈરાઈ મંદિરમાં થયેલી ભાગદોડમાં 6 લોકો મૃત્યુ પામેલા ને 100 લોકો ઘવાયેલા. 15 ફેબ્રુઆરી, 2025ને રોજ નવી દિલ્હી સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 18 લોકો મૃત્યુ પામેલા. 29 જાન્યુઆરી, 2025 ને રોજ મહાકુંભના સંગમ વિસ્તારમાં ભાગદોડ થયેલી અને તેમાં 30 લોકો મૃત્યુ પામેલા. 8 જાન્યુઆરી તિરૂમલા હિલ્સના મંદિરમાં ટિકિટોની ધમાચકડીમાં 6 ભક્તો મૃત્યુ પામેલા. આવી તો ઘણી દુર્ઘટનાઓ ભીડને લીધે બને છે ને ઘણાં એમાં મરે છે, તો ઘણાં ઘવાય છે, પણ તેનો કાયમી ઉકેલ કોઈને જડતો નથી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિઝાસ્ટર રોકવા પણ હોવી ઘટે, પણ મોટે ભાગે તે દુર્ઘટના પછી કેટલી નિષ્ફળ રહી એ જાણવા જ હોય છે. પ્રશાસન પણ આર્થિક સહાય આપી છૂટે છે કે કોઈ સમિતિ રચી કાઢે છે કે તપાસ ગોઠવાય છે ને રાબેતા મુજબ જવાબદાર ભાગ્યે જ હાથ લાગે છે.

જો કે, બધું બધે ઉજવાય જ છે, એવું નથી. ‘વોર ડે’ કેલેન્ડરમાં નથી, તો ય યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-ગાઝા, પાકિસ્તાન-બલૂચિસ્તાન, ભારત-પાકિસ્તાન વચ્ચેની લોહિયાળ અથડામણોનો છેડો આવતો નથી. યુદ્ધ કદી સુખદ હોતું નથી. એનાથી હારે ને જીતે તે બંનેને વેઠવાનું આવે છે. જેમનો કોઈ વાંક નથી એવાં નિર્દોષ નાગરિકો ને બાળકોનાં યુદ્ધમાં મોત થાય છે, છતાં યુદ્ધો અટકતાં નથી. આખું વિશ્વ અણુશસ્ત્રોના ઓછાયામાં જીવે છે ને વાતો નિર્ભયતાની ને સ્વતંત્રતાની થાય છે. આ પણ એક પ્રકારની બનાવટ જ છે ને!

એ જગ જાહેર છે કે પાકિસ્તાન આતંકીઓને પોષે છે ને તેની જાણમાં જ આતંકી પ્રવૃત્તિઓને અંજામ અપાય છે. તેનો મોટો પુરાવો તો એ કે નેતાઓનું સગું ગુજરી ગયું હોય તેમ તે સૌ આંતકીઓની અંતિમ વિધિમાં હાજર રહે છે. ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનની ચામડી ઊતરડી નાખી ને થોડા જ કલાકોમાં તેણે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો. ભારતે તે સ્વીકાર્યો, તો હજી પણ તેની ટંગડી તો ઊંચી જ છે. યુદ્ધવિરામની વહેતી ગંગામાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ હાથ ધોઈને પુણ્ય કમાવાનો પ્રયત્ન કર્યો છે ને કાજી કો સારે ગાંવ કી ફિકર-ની જેમ ટેરિફના ભાવતાલ દ્વારા દુનિયામાં તેમની દખલ ચાલુ જ છે. ટ્રમ્પે આતંકવાદથી બચાવવા 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકયો છે, તો સાત દેશો પર આંશિક પ્રતિબંધ લાદવાનું પણ કહ્યું છે. ગમ્મત એ છે કે આતંકવાદના જન્મદાતા પાકિસ્તાન પર આવો કોઈ પ્રતિબંધ નથી, એ પરથી પણ ભારતે સમજવાનું રહે કે ટ્રમ્પની નીતિ કેવળ તકસાધુની છે.

જો કે, પાકિસ્તાન જાત બતાવવાનું છોડતું નથી. તે જન્મ્યું ત્યારથી ઉધારની અક્કલ પર જ ચાલ્યું છે. ભારતે પાકિસ્તાનને દુનિયામાં ઉઘાડું પાડવા બહુપક્ષીય સાત પ્રતિનિધિ મંડળો જુદા જુદા દેશોમાં મોકલ્યા, તો પાકિસ્તાને પણ બે ટીમ વિદેશમાં મોકલી છે, જે યુ.એસ. અને યુ.કે.ની મુલાકાત લેશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે સિંધુ જળસંધિ અંતર્ગત પાકિસ્તાનને પાણી આપવાનું બંધ કર્યું છે ને આતંકી પ્રવૃત્તિઓ બંધ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેવાનો છે. પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓ પર રોક લગાવી શકે એમ નથી ને પાણી વગર પણ ઝાઝું ખેંચી શકે એમ નથી, એ સ્થિતિમાં તે ભારત પર એમ કહીને દબાણ ઊભું કરે છે કે ચીન જો બ્રહ્મપુત્રાનું પાણી રોકે તો શી હાલત થાય? ગમ્મત તો એ છે કે ચીને આપવાની ધમકી, પાકિસ્તાન, ભારતને આપે છે. એ ખરું કે એવી કોઈ ધમકી ચીને આપી નથી. ધારો કે એવું થાય તો પણ, ભારતને કોઈ વાંધો આવે એમ નથી. સાચું તો એ છે કે પાકિસ્તાન પાસે ભારત અંગેની ભૌગોલિક જાણકારી જ ઓછી છે. બ્રહ્મપુત્રા સંદર્ભે આસામના મુખ્ય મંત્રી હિમંતા બિશ્વાએ કહ્યું છે કે બ્રહ્મપુત્રા એવી નદી છે, જેનું પાણી ઉપરથી નિયંત્રિત કરવાનું મુશ્કેલ છે. વળી બ્રહ્મપુત્રાનો પ્રવાહ વરસાદને કારણે ભારતમાં વધુ વેગવાન બને છે. એ પણ ચીને જોવાનું છે કે તેણે શું કરવું, તેની દલાલી પાકિસ્તાન કરે ને ભારત પર પાણી છોડવા પર દબાણ લાવે એ આખી વાત જ વાહિયાત છે.

જોયુંને ! કેટલું બધું બને છે ને કેટલાં બધાં ‘બનાવવા’ મથે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જૂન 2025

Loading

6 June 2025 Vipool Kalyani
← ૧૮૬૨ના લંડનમાં ઘેર ઘેર ગેસના દીવા 
ગાંધીશતાબ્દી કેવી રીતે ઊજવીશું? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved