Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘સચ વિલ બી માય ફ્રી નેશન’… જલિયાંવાલા હત્યાકાંડની ભીતરમાં 

Opinion - Opinion|5 May 2025

ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ–સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી. આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ–ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને સરકારી સેન્સરશીપ છતાં હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો … 

સ્વાતંત્ર્યસેનાની, કવિ, લેખક અને ઇતિહાસકાર હઝારાસિંહે રોલેટ એક્ટના વિરોધમાં મહાત્મા ગાંધી અને બી.જી. હૉર્નીમનનું સાથે હોવું બહુ સમજપૂર્વક આલેખ્યું છે, ‘ગાંધી માટે સવાલ એ હતો કે શહેર અહિંસાને સમજશે કે નહીં અને હૉર્નીમન માટે સવાલ એ હતો કે સત્યાગ્રહ બ્રિટિશ શાસન પર દબાણ લાવી શકશે કે નહીં. 6 એપ્રિલની સત્યાગ્રહ-સભાની 24 કલાકની હડતાલની ઘોષણા ઘણી રીતે આ બંનેની વચ્ચે ક્યાંક હતી.’

બી.જી. હૉર્નીમન

આ સભા પછી બરાબર એક અઠવાડિયા બાદ 13 એપ્રિલે અમૃતસરમાં જલિયાંવાલા બાગ હત્યાકાંડ થયો. બ્રિટિશ-ભારતીય પત્રકાર અને ‘ધ બૉમ્બે ક્રોનિકલ’ના તંત્રી બી.જી. હૉર્નીમને લખ્યું, ‘આવા રાક્ષસી કૃત્યથી ઇંગ્લેન્ડની સંસ્કારી પ્રજાને ઊંડો ખેદ થયો છે.’ સરકારે સેન્સરશીપ મૂકી હતી છતાં તેમણે હત્યાકાંડ વિરુદ્ધ લેખો લખ્યા, સાક્ષીઓની મુલાકાતો છાપી અને તસવીરો સાથે વિગતો બ્રિટનમાં પણ પહોંચાડી ને લખ્યું કે ‘ડાયરના આ કૃત્યને લીધે લોકોની બ્રિટિશ શાસન પરની શ્રદ્ધા બહુ ખરાબ રીતે ડગી ગઈ છે.’ ત્યાંના ‘ડેઇલી હેરાલ્ડ’માં આ બધું છપાયું. અન્ય અખબારોએ પણ વખોડી કાઢતી નોંધ લીધી. આમ બી.જી. હૉર્નીમને જલિયાંવાલા હત્યાકાંડ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ઊહાપોહ જગાડ્યો હતો. આપણને ખબર છે કે મુંબઈના પ્રખ્યાત હૉર્નીમન સર્કલનું નામ આ બહાદુર, ન્યાયપ્રેમી, એન્ટિ-બ્રિટિશ અંગ્રેજના નામ પરથી છે? 

2019માં જલિયાંવાલા હત્યાકાંડને સો વર્ષ પૂરાં થયાં. ઇતિહાસકારો કહે છે કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ એ ભારતમાં અંગ્રેજી શાસનના અંતની શરૂઆત હતી. 1914માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે બ્રિટન તરફથી લડવા માટે ભારતના સાડાબાર લાખ સૈનિકો મોકલાયા હતા., જેમાંના 60,000થી વધારેએ પ્રાણ ગુમાવ્યા. અંગ્રેજ સૈન્ય યુદ્ધ લડતું હતું અને તેને માટે અનાજ, નાણાં અને હથિયારોનો જંગી જથ્થો ભારતથી મોકલાતો હતો. ભારતને આશા હતી કે આ મદદની કદર થશે, પણ યુદ્ધ પૂરું થયા બાદ અંગ્રેજોએ સ્વાતંત્ર્યની માગણી કરતા નેતાઓને કેદ કર્યા. ઉપરથી રોલેટ જેવો અન્યાયી કાયદો ઠોકી બેસાડ્યો. એપ્રિલની શરૂઆતમાં પંજાબમાં આનો વિરોધ થયો ત્યારે પંજાબના ગવર્નર ઑડવાયરે જનરલ રેજિનોલ્ડ ડાયરને તે શમાવવાની કામગીરી સોંપી. અમુક ઇતિહાસકારો માને છે કે જલિયાંવાલા બાગમાં શું કરવાનું છે તે પહેલેથી નક્કી હતું. 

જનરલ ડાયર અમૃતસર આવ્યા પછી તરત પોલીસ પ્રતિબંધ છતાં જલિયાંવાલા બાગમાં એક સભા ભરાઈ હતી. દસેક હજાર માણસો ભેગા થયા હતા. બધા નિ:શસ્ત્ર હતા અને એમાં આસપાસનાં ગામોમાંથી વૈશાખી ઊજવવા આવેલા ખેડૂતો પણ સામેલ હતા. જલિયાંવાલા બાગ વિશાળ ખુલ્લી જગ્યા છે. તેની ત્રણ બાજુ ઊંચી દીવાલ છે. બહાર નીકળવાનો માર્ગ સાંકડો છે. આ સાંકડા માર્ગ પર જનરલ ડાયરે પોતાના હથિયારબંધ સિપાઈઓને ગોઠવ્યા અને કશી ચેતવણી આપ્યા વિના ગોળીબાર કરવાનો હુકમ આપ્યો. રાઈફલના 1,650 રાઉન્ડ છૂટ્યા, લાશોના ઢગલા થયા, કેટલા ય માણસો નાસભાગમાં કચડાઈ મર્યા. ગોળીથી વીંધાયેલી દીવાલો પર મોડી રાત સુધી ઘાયલોના ચિત્કાર પડઘાતા રહ્યા. 

દસ જ મિનિટમાં પતી ગયેલા આ કાંડના પડછાયા ખૂબ લાંબા હતા. બીજા દિવસે જનરલ ડાયરે ખુલ્લી ધમકી આપી, ‘હું સૈનિક છું. ચોખ્ખા શબ્દોમાં વાત કરું છું. તમારે લડવું હોય તો સરકાર તૈયાર છે, પણ જો શાંતિ જોઈતી હોય તો મારા હુકમો માનવા પડશે.’ આટલું જ નહીં, પોતાના કૃત્યને ‘જરૂરી’ અને વ્યાપક અસર પાડનારું ગણાવી જનરલે કહ્યું કે ‘વધારે ગોળીઓ હોત તો મેં ગોળીબાર ચાલુ રખાવ્યા હોત.’ પંજાબના ગવર્નરે હત્યાકાંડને ટેકો આપતાં માર્શલ લૉ જાહેર કર્યો. દિવસો સુધી ઘરની બહાર નીકળે તેને 200 વાર સુધી પેટે ઘસડાઈને ચાલવાની શિક્ષા થતી. ડૉક્ટરો કે દૂધ-શાક જેવી જરૂરી ચીજવસ્તુઓ વેચનાર પણ તેમાંથી બાકાત ન હતા. ઔપચારિક રીતે 400 મૃત્યુ અને 1,200 ઘાયલની જાહેરાત થઈ, પણ સાચો આંકડો ઘણો મોટો હતો.

વાઈસરૉય ચેમ્સફર્ડે હત્યાકાંડની ટીકા કરી. સ્ટેટ સેક્રેટરી મોન્ટેગ્યુએ બનાવની તપાસ માટે સ્કૉટિશ જજ લોર્ડ હન્ટરના નેતૃત્વમાં હન્ટર કમિશન બેસાડ્યું. ડાયરને નિવૃત્ત કરી યુરોપ મોકલી દેવાયા. રુડયાર્ડ કિપલિંગે ડાયરને યુરોપનું કલંક કહ્યા તો ચર્ચિલે ડાયરને ભારતના રક્ષક કહ્યા અને તેમણે માટે 26,000 પાઉન્ડનું વિશેષ ભથ્થું એકઠું કરાવ્યું જેની ભારત અને યુરોપમાં ઘણી ટીકા થઈ. ટાગોર અને દેશબંધુએ આ ઘટનાને ‘ભીષણ કૃત્ય’ તરીકે વર્ણવી. ગાંધીજીએ કહ્યું, ‘આ થોડાં શરીરો પરનો નહીં, દેશના આત્મા પરનો હુમલો છે.’

ઑડવાયર અને ડાયરનો કાળ બ્રિટિશ ગેરવહીવટનો કાળ મનાય છે. ભારતની ધૈર્યવાન જનતા અનેક સમસ્યાઓ વચ્ચે પણ બ્રિટિશ શાસનના ન્યાય પર વિશ્વાસ રાખતી હતી. જલિયાંવાલા હત્યાકાંડથી આ વિશ્વાસ તૂટ્યો. લોકોનું લોહી ઊકળી ઊઠ્યું. રાષ્ટ્રપ્રેમ પ્રજ્વલિત થયો. ઠેર ઠેર હડતાળો પડી. વિદ્રોહી ક્રાંતિકારીઓની સક્રિયતા વધી ગઈ. પછીના વર્ષે મહાત્મા ગાંધીએ પહેલો રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહ શરૂ કર્યો. એ જ વર્ષે ઝીણાએ નાગપુર કાઁગ્રેસ છોડી. ભાગલાનું બી વવાયું.

1920 પછી બ્રિટિશ શાસનના પાયા ડગમગવા લાગ્યા. હિન્દુ-મુસ્લિમ હુલ્લડ અને સ્વતંત્રતાની સતત માગણીએ સરકારના નાકે દમ લાવી દીધો. સરકારે નાના નાના બંધારણીય સુધારા આપી આપીને બધું ઠંડું પાડવાનો પ્રયત્ન કર્યો, પણ આ સુધારા એટલા ઓછા, એટલા અપૂરતા હતાં કે કાઁગ્રેસ કે મુસ્લિમ લીગને તેનાથી સંતોષ થયો નહીં ને કોમી હિંસા પણ અટકી નહીં. બીજા વિશ્વયુદ્ધ પછી સદીઓથી શાસન કરતાં અંગ્રેજોએ વિદાય લીધી. ભારતે આંતરવિગ્રહ, સામૂહિક હિજરત અને ભાગલા સાથેનું લોહિયાળ સ્વાતંત્ર્ય મેળવ્યું. 

ડાયરને પોતે જે કર્યું તેનો અફસોસ તો ન હતો, પણ તેની ગંભીરતા પણ કદાચ છેક સુધી સમજાઈ ન હતી. 1921ની 21 મી ફેબ્રુઆરીએ ‘ગ્લોબ’માં પ્રગટ થયેલા એક લેખમાં એમણે લખ્યું હતું, ‘ભારતીયોમાં સ્વતંત્રતાને સમજવાની કે ફ્રી પ્રેસ અને ફ્રી સ્પીચનો અધિકાર વાપરવાની બુદ્ધિ નથી. ભારતને એક કડક સરમુખત્યારની જરૂર છે. ગાંધી અંગ્રેજ સરકારનો વિરોધ કરે છે, પણ તેનામાં સક્ષમ સરકાર ઊભી કરવાની તાકાત નથી. બ્રિટિશ શાસન ચાલુ રહે તેમાં જ ભારતનું ભલું છે.’ 

1927માં ડાયરનું મૃત્યુ થયું. શીખ ક્રાંતિકારી સરદાર ઉધમસિંહે ઓડવાયરની હત્યા કરી અને પોતે ફાંસીએ ચડી ગયો. ગાંધીજીએ એ કૃત્યને અવિચારી કહ્યું, પણ ઉધમસિંહની શહાદતથી ભારતમાં નવી ઊર્જા આવી. 

બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર જલિયાંવાલા હત્યાકાંડને બ્રિટિશ શાસનનું કાળું પ્રકરણ કહે છે. 1997માં રાણી એલિઝાબેથ અમૃતસર આવ્યાં ત્યારે તેમણે કહ્યું કે ‘જલિયાંવાલા બાગમાં જે થયું તે નહોતું થવું જોઈતું, પણ ઇતિહાસને ફરી લખી શકાતો નથી.’ એમના પતિ પ્રિન્સ ફિલિપે આખા બનાવને ‘અતિશયોક્તિભર્યો’ કહી વિવાદો નોતરી લીધા હતા. થોડાં વર્ષ પહેલા ભારતની મુલાકાતે આવેલા તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરુને કે જલિયાંવાલા બાગ શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે 1919નો હત્યાકાંડ શરમજનક અને રાક્ષસી કૃત્ય હતું. 

કવિ અંશુલ ગુપ્તા લખે છે, ‘તમારી ગોળીએ મારા બાળકનો પ્રાણ લીધો. તમારી તરસ સંતોષાઈ ન હોય તો મારો જીવ પણ લો. ગમે તેટલું લોહી વહાવશો, મારી માભોમને સ્વતંત્ર થતાં નહીં રોકી શકો. મારો દેશ આઝાદ થશે, માનવતાનું સંતાન બનશે. નહીં ગોળી હોય, નહીં બૉમ્બ. સૌ સરખા હશે, બધે શાંતિ હશે – ધેટ ઈઝ અવર ડેસ્ટિનેશન, સચ વિલ બી માય ફ્રી નેશન …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઍપ્રિલ  2025

Loading

5 May 2025 Vipool Kalyani
← જાતિ આધારિત જનગણનાના લાભ છે, તો ગેરલાભ વધારે છે … 
બાપુ અને બડેદાદા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved