Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોળીનો  રંગ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|14 March 2025

આજે હોળી છે; સૌ કોઈને કોઈ રંગ લઈને એક બીજા સાથે હોળી રમવા થનગની રહ્યા છે; પણ એક વાતનો સૌને રંજ છે કે છેલ્લાં પંદર વર્ષથી અમૂખલભાઈ અને મીનાબહેનનું ઘર હોળીનાં બે દિવસ બંધ હોય છે, એમ આજે પણ ઘર અંદરથી બંધ છે. દર વર્ષની જેમ આ હોળીમાં પણ અમૂલખભાઈ અને મીનાબહેને બે દિવસ ઘરમાં પુરાઈને પોતાની જાતને કેદ કરી દીધી છે; નથી હોળી રમવા આવતાં કે નથી કોઈ સાથે વાત કરતાં. સોસાયટીવાળા અમૂલખભાઈ અને મીનાબહેનનાં ગૃહકેદનું કારણ જાણે છે, એટલે તેમને કોઈ દુઃખ કે અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે છે. તેમ જ તેમના ઘર પાસે પણ કોઈ હોળી રમીને ધમાલ કરતાં નથી.

અમૂલખભાઈ અને મીનાબહેને સોસાયટીમાં આજથી બાવીસ વર્ષ પહેલાં મકાન ખરીદ્યું હતું. મળતાવડા સ્વભાવ અને મદદ કરવાની ટેવથી સોસાયટીમાં બધાંની સાથે હળીમળી ગયાં હતાં. વળી બંને હોળી રમવાનાં અને લોકોને હોળી રમાડવાનાં ભારે શોખીન હતા. હોળીનાં દિવસે તો તેનું ઘર સપ્તરંગોથી ભરાઈ જતું આખી સોસાયટીનો ભોજન સમારંભ પણ તેને ત્યાં જ હોય. પંદર વર્ષ પહેલાં આવો જ હોળીનો તહેવાર હતો; બધા હોળી રમવામાં મશગૂલ હતા ને કોઈક વાહન અમૂલખભાઈનાં પાંચ વર્ષના નીરવને ઠોકર મારી જતું રહ્યું; માથામાં અને શરીર પર ઠેકઠેકાણે ખૂબ જ ઈજાઓ થઇ હતી. તરત જ હોસ્પિટલ લઈ ગયા પણ વિધિનો ક્રૂર પંજો ફરી વળ્યો; નીરવને ન બચાવી શકાયો. ત્યારથી અમૂલખભાઈ અને મીનાબહેન હોળીનાં બે દિવસ પોતાની જાતને ઘરમાં કેદ કરી દેતાં હતાં. લોકોથી, સમાજથી અલિપ્ત થઇ પોતાના દુઃખને બંને સહન કરી લેતાં હતાં.

સોસાયટીમાં એક યુવાન ચાર મહિનાથી રહેવા આવ્યો હતો. નામ પણ નીરવ હતું. તેણે જોયું કે અમૂલખકાકા અને કાકી ક્યાં ય બહુ ભળતાં નથી, કામથી કામ રાખે છે. નીરવને અમૂલખકાકામાં રસ પડ્યો; તેણે માહિતી મેળવી અને સમજી ગયો કે કાકા તેના મૃતપુત્ર નીરવનાં શોકમાંથી હજી બહાર આવ્યા નથી, બાકી માહિતી મળી એ પ્રમાણે માણસ ઉમદા છે.

નીરવે વિચાર્યું હું અનાથ છું અને અનાથાશ્રમમાં મોટો થયો છું. મારી ઉપર ક્યાં માબાપની છત્રછાયા છે. નીરવે મનમાં એક સંકલ્પ કર્યો કે આ હોળીમાં અમૂલખકાકા અને કાકીનું પુત્રવિયોગનું દુઃખ દૂર કરવા પ્રયત્ન કરીશ. નીરવના મનમાં પ્રશ્ન ઊભો થયો કે મારા નિર્ણયથી કાકાકાકીના મનને ઠેશ તો નહીં પહોચે ને? વળી, મનમાં પ્રશ્ન થયો પ્રયત્ન કરવામાં શું વાંધો છે ? હું કાકાકાકીનું મન ન દુભાય તેનું પૂરતું ધ્યાન રાખીશ. કાકાકાકી મારી વાત પર ધ્યાન આપે, તેવી વંદન કરીને વિનંતી કરીશ. મને ઈશ્વરે જ આ તક આપી છે. મારે ખરા મનથી પ્રયત્ન કરવો જોઈએ. અંતે નીરવે પોતાનો નિર્ણય અમલમાં મુકવાનું નક્કી કરી અમૂલખભાઈ ઘરે ગયો.

“કાકા, બારણું ખોલો.”

“કોણ છે?”

“હું, નીરવ.”

અમૂલખભાઈએ મીનાબહેન સામે જોયું. બંને નીરવ નામ સાંભળી ચમકી ગયા. આ પહેલાં આવો અનુભવ ક્યારે ય થયો નહોતો. અમે નામ તો બરોબર સાંભળ્યું છેને; નીરવ, નીરવ અહીંયા ક્યાંથી હોય? નીરવને તો મૃત્યુ પામ્યા પંદર વર્ષ થઈ ગયાં.અમને નીરવના નામનો ભાસ થયો છે. અમૂલખભાઈએ બારણું ન ખોલ્યું.

ફરીથી બારણું ખખડ્યું, “કાકા, હું નીરવ છું અને તમારી સોસાયટીમાં રહું છું.”

“અમે આ હોળીના બે દિવસ બહાર નથી નીકળતાં; તારે અમારું શું કામ છે? કોઈ કામ હોય તો બે દિવસ પછી આવજે.” 

“કાકા, બારણું ખોલો તો ખરા; હું તમને કોઈ તકલીફ કે મુશ્કેલી ઊભી નહીં કરું; ફક્ત પાંચ મિનિટ માટે તમારું બારણું ખોલો, મારે તમારાં દર્શન કરવાં છે.”

અમૂલખભાઈએ ભારે હૃદયે બારણું ખોલ્યું. નિરવ હાથમાં લાલરંગ લઈને ઊભો હતો. અમૂલખભાઈના ચહેરા ઉપર ગુસ્સો આવી ગયો. બારણું બંધ કરવા હાથ લંબાવ્યો.

“કાકા, મારી એક વાત સાંભળો; પછી તમે યોગ્ય લાગે તો મને ધક્કો મારી બારણું બંધ કરી દેજો. હું ચાલ્યો જઈશ.”

“કાકા, હું અનાથ છું. અનાથાશ્રમમાં મોટો થયો છું. મારાં માતાપિતા કોણ છે, એ મને ખબર નથી. અનાથાલયે મને ઉછેરી ભણાવી-ગણાવી મોટો કર્યો છે. મને સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ છે; પગાર પણ સારો છે. હું અનાથાશ્રમનું ઋણ ભૂલ્યો નથી. શહેરમાં જોબ મળવાથી ચાર મહિના પહેલાં આ સોસાયટીમાં રહેવા આવ્યો છું. મેં તમારી વિશે વાત જાણી. મારા મનમાં વિચાર આવ્યો કે અમૂલખકાકાને તેના દીકરા નીરવનાં મૃત્યુનું દુઃખ છે; મારે માતાપિતાની છત્ર છાયા નથી. હું અમૂલખકાકાના નીરવને પાછો તો ન લાવી શકું પણ નીરવ બની માતાપિતાની છત્રછાયા તો મેળવી શકું. આ વિનંતી લઈ તમારી પાસે આવ્યો છું. આ બાબતે તમને જે યોગ્ય લાગે તે કહો. હું આજ પછી તમારી પાસે વિનંતી લઈને ક્યારે ય નહીં આવું.” નીરવની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

નીરવે કહ્યું, “કાકા મારા હાથમાં લાલ રંગ છે. લાલરંગ ગુસ્સાનું પ્રતીક છે સાથે સાથે પ્રેમ અને શુભદાનું પણ પ્રતીક છે. મેં મારી વાત આપણે જણાવી દીધી. હું નિર્ણય આપની ઉપર છોડું છું.તમારો જે કંઈ નિર્ણય હશે, એ મને માન્ય છે.”

અમૂલખભાઈ અને મીનાબહેનની આંખો ચોધાર આસુથી વહી રહી હતી. નીરવના હાથના ખોબામાં રહેલા લાલરંગમાં આસું ભળી રહ્યાં હતાં. અમૂલખભાઈએ પોતાનાં આસું અને લાલરંગ મેળવી જમણા હાથના અંગૂઠાથી નીરવના કપાળમાં તિલક કર્યું. મીનાબહેને પણ તિલક કરી દુઃખણાં લીધાં. નીરવે બંનેનાં ગાલ પર હળવેથી આંગળાંથી લાલરંગ લગાડી પગે લાગી કહ્યું, “આજથી હું આપ બંનેને મારા માતાપિતાનું સ્થાન આપું છું. સદા ય તમારી સાથે રહીશ, એવું વચન આપું છું.”

સોસાયટીનાં બધાં લોકો અમૂખલભાઈને ઘરે એકઠા થઈ ગયાં હતાં. બનતા બનાવનાં સાક્ષી બનીને ઊભા હતાં. બધાંની આંખમાંથી ખુશીનાં આસુંઓ વહી રહ્યાં હતાં.

અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવ બહાર આવ્યાં. બધાં એ ત્રણેયને હર્ષનાદ અને તાળીઓથી વધાવી લીધાં.

અમૂલખભાઈએ કહ્યું, “આજે મને મારો નીરવ પાછો મળી ગયો છે. આજે પહેલાંની જેવી જ હોળીનું આયોજન કરો. વિવિધ રંગોને ગુલાલ ઉડાડો. રંગની છોળોથી સોસાયટીને રંગી નાખો. ભોજન સમારંભનું આયોજન પણ અહીં જ કરો. પહેલાં જેવો જ ઉત્સવ મનાવો. આજે અમે બહુ જ ખુશ છીએ. તમને બધાંને અમારી ખુશીમાં ભાગીદાર થવાનું આમંત્રણ આપું છું.”

આખી સોસાયટી હિલોળે ચડી ગઈ. અમૂલખભાઈ, મીનાબહેન અને નીરવની ખુશીમાં સામેલ થઈ સપ્ત રંગે રંગાઈ ગઈ.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

14 March 2025 Vipool Kalyani
← સ્વયં આપણી ખોજ દર્શાવતા ફિલ્મ દિગ્દર્શક : શ્યામ બેનેગલ
અકાદમી અને પરિષદ સાહિત્યિક સંસ્થાઓ હોય તો તે એકબીજાથી વિમુખ ન હોવી જોઈએ … →

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved