Opinion Magazine
Number of visits: 9448927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીની અસલિયત

ચંદુ મહેરિયા|Opinion - Opinion|27 November 2024

ચંદુ મહેરિયા

જુલાઈ, ૨૦૨૨માં આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડીને વાય.એસ.આર. કાઁગ્રેસ(યુવજન શ્રમિક રાયથ કાઁગ્રેસ)ના આજીવન પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા હતા. આ બાબત લોકશાહીને હાનિકારક છે એમ કહીને ઈલેકશન કમિશને નારાજગી વ્યક્ત કરી હતી. અગાઉ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને માયાવતીની બહુજન સમાજ પાર્ટીને પણ ચૂંટણી પંચે પક્ષના સંગઠનની વરસોથી કોઈ ચૂંટણીઓ ના યોજવા બદલ ટપારી હતી.

રાજ્યોના મુખ્ય મંત્રીઓની પસંદગી ચૂંટાયેલા ધારાસભ્યોના મતદાનથી કરવાને બદલે પક્ષનું મોવડી મંડળ (ખરેખર તો વડા પ્રધાન કે સર્વોચ્ચ નેતા) કરે તે આંતરિક લોકશાહીના અભાવનું અને લોકતંત્ર વિરોધી પગલું છે. તાજેતરમાં જમ્મુ કશ્મીર વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થતાં હતાં અને તેમાં નેશનલ કોન્ફરન્સને બહુમતી મળવાની શક્યતા જોતાં જ ફારુક અબ્દુલ્લાએ ઓમર અબ્દુલા મુખ્ય મંત્રી બનશે તેમ જાહેર કરી દીધું હતું. હિમાચલ પ્રદેશમાં કાઁગ્રેસના સુખ્ખુની સી.એમ. તરીકે પસંદગી પ્રિયંકા ગાંધીની હોવાનું કહેવાય છે. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મુખ્ય મંત્રી તરીકે નવા જ નેતાઓની પસંદગી વડા પ્રધાન અને ગૃહપ્રધાને કરી હોવાનું સ્પષ્ટ છે.

દેશના બે મોટા રાજકીય પક્ષો ભા.જ.પ. અને કાઁગ્રેસ મુખ્ય મંત્રીની પસંદગી આંતરિક લોકતંત્રથી થયાનો દેખાડો જરૂર કરે છે. કેન્દ્રિય નિરીક્ષકો રાજ્યમાં જાય છે, ચૂંટાયેલા ધારાસભ્યોનો અભિપ્રાય જાણે છે પરંતુ ધારાસભ્યોની બેઠકમાં પક્ષના હાઈ કમાન્ડને નેતા નક્કી કરવા સત્તા આપતો એક લીટીનો ઠરાવ કરવામાં આવે છે. તેથી લોકશાહીના નામે થતી રમત જણાઈ આવે છે. પ્રાદેશિક પક્ષોમાં તો નામની ય આંતરિક લોકશાહી જોવા મળતી નથી અને રાષ્ટ્રીય પક્ષો લોકતંત્રના નામે દેખાડો કરે છે. ભારતના ડાબેરી પક્ષોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ રાજકીય પક્ષમાં આંતરિક લોકતંત્ર જોવા મળે છે.

રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહીનો મતલબ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી, પક્ષમાં અને સરકારમાં નેતૃત્વની પસંદગી, સરકાર અને સંગઠન સંબંધી નિર્ણય કરવાની પ્રક્રિયા, નીતિ નિર્માણ અને પક્ષના નેતૃત્વનું સભ્યો પ્રત્યેનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરવામાં પક્ષના તમામ કે પ્રતિનિધિરૂપ સભ્યોની સક્રિય સામેલગીરી હોવી તે છે. પરંતુ આ પ્રકારનું કોઈ આંતરિક લોકતંત્ર ભારતના રાજકીય પક્ષોમાં જોવા મળતું નથી. વળી આવું લોકતંત્ર ન હોય તો કોઈ પગલાં લઈ શકાતાં નથી. કેમ કે તે માટેની કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી.

ભારતનું ચૂંટણી પંચ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેને માન્યતા આપે છે. રાજકીય પક્ષો ઈલેકશન કમિશન સમક્ષ રજિસ્ટ્રેશન માટે અરજી કરે ત્યારે તેમાં જણાવવું પડે છે કે પક્ષ દર પાંચ વરસે તેના હોદ્દેદારોની સ્વતંત્ર, પારદર્શી અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવશે. પક્ષના એક તૃતીયાંશથી વધુ હોદ્દા પર વગર ચૂંટણીએ વરણી કરાશે નહીં. પરંતુ હકીકતમાં આ બાંહેધરીનો ભાગ્યે જ અમલ થાય છે. પંચ રાજકીય પક્ષોને દર પાંચ વરસે સંગઠનની ચૂંટણી કરાવવા અને નેતૃત્વ પરિવર્તન કરવા યાદ કરાવતું રહે છે. પરંતુ પંચની આ વિનંતી પક્ષોને કાનૂની રીતે બાધ્યકારી નથી હોતી અને નૈતિકતા અને રાજકીય પક્ષોને તો કોઈ સંબંધ હોતો નથી. એટલે અમલના નામે મીંડુ છે.

વિશ્વના કેટલાક લોકશાહી દેશોના રાજકીય પક્ષોમાં પ્રવર્તતી આંતરિક લોકશાહીની સ્થિતિ જાણવા જેવી છે. યુનાઈટેડ કિંગ્ડમ(યુ.કે.)માં રાજકીય પક્ષોના સભ્યોની ભાગીદારી પક્ષના તમામ સ્તરે હોય છે. યુ.કેની રૂઢિવાદી પાર્ટી(કન્જર્વેટિવ પાર્ટી)એ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે પ્રાથમિક ચૂંટણી શરૂ કરી છે. તે પ્રમાણે ઉમેદવારોની સૂચિ અંતિમ નિર્ણય માટે સ્થાનિક એકમોને મોકલવામાં આવે છે. અમેરિકામાં રાજકીય પ્રતિનિધિત્વના બધા જ સ્તરે ઉમેદવારોને હરીફાઈની તક મળે છે. જર્મનીના બંધારણમાં જ રાજકીય પક્ષોના કામકાજને નિયંત્રિત કરવાની જોગવાઈ છે. તેને અનુસરીને કાયદો પણ છે.

કહેવાય છે કે લોકતંત્ર ભારતની સંસ્કૃતિ છે. ભારતીયોના સંસ્કારોમાં લોકશાહી અંતર્નિર્હિત છે. લોકશાહી તો ભારતનો વારસો છે. જો તેને સત્ય ઠેરવવું હોય તો દેશના સમગ્ર લોકતાંત્રિક તાણાવાણા માટે પોલિટિકલ પાર્ટીઓમાં આંતરિક લોકતંત્ર હોવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોકતાંત્રિક સંસ્કૃતિના પોષણ અને લોકતાંત્રિક મૂલ્યોના જતન માટે પાર્ટીઓની ભીતર લોકશાહી આવશ્યક જ નહીં અનિર્વાય છે.

ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી આંતરિક લોકશાહીથી પારદર્શી પ્રક્રિયા દ્વારા કરવાના અભાવે અસંતોષ વધે છે અને પક્ષપલટા થાય છે. નેતૃત્વ પ્રત્યેની વફાદારી અને જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગીનો માપદંડ રાજકીય પક્ષોમાં નવા નેતૃત્વને ઉભરવા દેતું નથી. વળી પક્ષને બદલે નેતા પ્રત્યેની વફાદારીથી પણ પક્ષ નબળો પડે છે. પૂર્વે સંસ્થા કાઁગ્રેસ કે નજીકના ભૂતકાળમાં તૃણમૂલ કાઁગ્રેસ, એન.સી.પી. અને વાય.એસ.આર. કાઁગ્રેસની રચના પાર્ટીની ભીતર સંવાદના અભાવે અને નેતાઓની મહત્ત્વાકાંક્ષાઓને કારણે જ સર્જાઈ હતી. ભીતરી લોકતંત્રના અભાવે જ પક્ષોમાં જૂથવાદ વકરે છે. આજીવન અધ્યક્ષ કે આજીવન અધ્યક્ષના જેવું વરસોથી પક્ષનું નેતૃત્વ કોઈ એક જ વ્યક્તિના હાથમાં હોય તે વાસ્તવિકતા રાજકીય પક્ષોની અંદર નેતૃત્વમાં પરિવર્તન અને નિષ્પક્ષ પ્રતિનિધિત્વના બુનિયાદી ખ્યાલનો છેદ ઉડાડે છે.

કાઁગ્રેસે આંતરિક લોકતંત્રના પ્રદર્શન માટે પક્ષ પ્રમુખની ચૂંટણી કરી હતી. અને મલ્લિકાર્જુન ખડગે સામે શશિ થરૂરે ઉમેદવારી કરી હતી. પરંતુ પાર્ટીના અન્ય હોદ્દેદારોની ચૂંટણી થઈ હતી ખરી ? પાર્ટીઓ ઉપપ્રમુખ, મહામંત્રી અને ખજાનચીના પદો તો કેટલાક લોકો માટે કાયમ અનામત રાખે છે. વ્યક્તિગત નેતાના કરિશ્મા પરથી તેની નેતૃત્વ માટે પસંદગી લોકતંત્ર માટે ઘાતક પણ બની શકે છે.

ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે મુખ્ય મંત્રી પદેથી વિજય રૂપાણીને જ નહીં સમગ્ર પ્રધાન મંડળને રૂખસદ આપી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભૂપેન્દ્ર પટેલને સી.એમ. પદે નિયુક્ત કર્યા હતા. શું આ નિર્ણય પક્ષના ધારાસભ્યોનો હતો કે પક્ષના શીર્ષ નેતૃત્વનો? આંતરિક લોકશાહીના અભાવે આવા મોટા નિર્ણયો ધારાસભ્યોની નારાજગી વહોરીને લેવામાં આવે છે. દિલ્હી નિમ્યા દંડનાયકોની પરંપરા હજુ ય યથાવત છે અને તેને પડકાર અપવાદરૂપ બીના છે.

૧૯૭૩માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પછી વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સી.એમ. તરીકે પસંદ કાંતિલાલ ઘીયા હતા. પરંતુ ઇન્દિરાઈના દિલ્હી નિમ્યા દંડનાયકને ચીમનભાઈ પટેલે પડકારતા પક્ષને ધારાસભ્યોના ગુપ્ત મતદાનથી પસંદગી કરવાની ફરજ પડી હતી. તેમાં ઇન્દિરાજીના ઉમેદવારને હરાવી ચીમનભાઈ પટેલ મુખ્ય મંત્રી તરીકે પસંદ થયા હતા. પરંતુ આ પ્રકારના અપવાદો કેટલા ?

ઈલેકશન કમિશનને જો રાજકીય પક્ષોના રજિસ્ટ્રેશન અને માન્યતાની સત્તા હોય તો આંતરિક લોકશાહીના મુદ્દે તેને માન્યતા રદ્દ કરવાની સત્તા મળવી જોઈએ. આ માટે કાયદામાં સુધારો કે નવો કાયદો ઘડાવો જોઈએ. રાજકીય પક્ષો આ પ્રકારના કાયદા કે ચૂંટણી સુધારા માટે સ્વાભાવિક રીતે જ રાજી નથી. એટલે ભારતના મતદારોએ જ રાજકીય પક્ષોમાં રહેલા આંતરિક લોકતંત્રના આધારે રાજકીય પક્ષની સત્તા માટે પસંદગી કરવી જોઈએ. લોકોનું દબાણ કદાચ રાજકીય પક્ષોને આ દિશામાં વિચારવા મજબૂર કરશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

27 November 2024 Vipool Kalyani
← આંબેડકર : સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી નકામી
કારગિલ →

Search by

Opinion

  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved