Opinion Magazine
Number of visits: 9448949
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય હવાઇ ઉદ્યોગનું પરિવર્તનશીલ આકાશઃ મર્જર, પડકારો અને સરકારી નીતિઓ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 November 2024

2025 સુધીમાં ભારત ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું સૌથી મોટું ત્રીજું એવિએશન માર્કેટ બની શકે છે પણ એ ત્યારે જ શક્ય છે કે સરકારી નીતિઓ અને ખાનગી એરલાઇન્સ વ્યૂહાત્મક નિર્ણયો લઇ તેના અમલીકરણ માટે સાથે મળીને કામ કરે

ચિરંતના ભટ્ટ

‘એર ઇન્ડિયા’ અને ‘વિસ્તારા’નું મર્જર થયાને અઠવાડિયું થયું છે. તાતા સન્સે એર ઇન્ડિયા કેરિયરને ખરીદ્યાના ત્રણ વર્ષ જાન્યુઆરીમાં થશે અને તેની પહેલાં જ વિસ્તરણ યોજના રૂપે એર ઇન્ડિયા અને વિસ્તારા એક થયા. વિસ્તારાની સર્વિસ હંમેશાં વખણાઇ, પણ નવ વર્ષ ચાલ્યાં પછી, પ્રિમિયમ ઇકોનોમી ક્લાસ ટ્રાવેલનો અનુભવ ભારતીય ફ્લાયર્સ લાવનાર એક માત્ર એરલાઇન હોવા છતાં પણ બિઝનેસ મોડલમાં ફેરફાર કર્યા વિના ટકી જવું વિસ્તારા માટે અઘરું થઇ પડ્યું. નવ વર્ષમાં વિસ્તારાની ઑપરેશનલ રેવન્યુ કૉસ્ટ 69 કરોડથી 15,191 કરોડ થઇ. ફ્લાઇટ સર્વિસ વધારી પણ ખોટ ભરપાઇ કરવું મુશ્કેલ જ હતું. નવ વર્ષના ગાળામાં વિસ્તારાના પ્રમોટર્સ તાતા સન્સ અને સિંગાપોર એરલાઇન્સે 10,020 કરોડનો ટેકો આપ્યો પણ સ્ટેક હોલ્ડર્સ માટે સારો અનુભવ સાબિત થયેલી વિસ્તારા શૅર હોલ્ડર્સ માટે નફાકારક ન રહી. એક ફૂલ કોસ્ટ કેરિયર તરીકેની સ્વતંત્ર ઓળખ જતી કર્યા પછી એર ઇન્ડિયા સાથે ભળી જઇને વિસ્તારાના શ્રેષ્ઠ અનુભવ એર ઇન્ડિયાના ગ્રાહકોને મળશે તેમ તો કહેવાઇ રહ્યું છે. જો કે સોશ્યલ મીડિયા પર એર ઇન્ડિયાની મોડી પડતી ફ્લાઇટ્સના દેકારાની વચ્ચે ખરેખર શું થશે એ તો વખત આવ્યે જ ખબર પડશે.

આમ જોવા જઇએ તો આ તાતાની જ બે એરલાઇન્સનું મર્જર છે જે તાતા ગ્રૂપના દેશી અને વિદેશી બન્ને ઉડ્ડયન માર્કેટને અને એર ઇન્ડિયાની બ્રાન્ડને મજબૂત કરવા માટે જરૂરી હતું. અત્યારે એર ઇન્ડિયા હવાઇ ક્ષેત્રે એક માત્ર ફુલ સર્વિસ એરલાઇન છે. ભારતના હવાઇ ક્ષેત્રે ઘણી એરલાઇન્સના ટેક ઑફ જોયા પણ પછી એરપોર્ટ હેંગરમાં કાયમ માટે પાર્ક થઇને અંતે બંધ થઇ જતી એરલાઇન્સ પણ જોઇ. કિંગ ફિશર, એર ડેક્કન, એર સહારા, જેટ એરવેઝ – આમાંથી જેટ એરવેઝ તો એક સમયે ભારતની સૌથી મોટી પ્રાઇવેટ એરલાઇન હતી – આ તમામ પ્રિમિયમ એવિએશન સેક્ટરે વેઠેલી મુશ્કેલીના દૃષ્ટાંત છે. તાતા ગ્રૂપે 2021માં સરકાર પાસેથી ખોટમાં ચાલનારી એર ઇન્ડિયા એરલાઇન્સને હસ્તગત કરી. વળી તાતા જૂથ માટે આ એક ઇમોશનલ નિર્ણય પણ હતો કારણ કે ભારતમાં હવાઇ ક્ષેત્રે પહેલી ઉડાન –  ભલેને એર મેલ સર્વિસ તરીકે હતી – પણ તાતા એરલાઇન્સ તરીકે 1932માં એર ઇન્ડિયાએ જ ઉડાન ભરી હતી.  એર ઇન્ડિયાનું રાષ્ટ્રિયકરણ 1953માં થયું અને તે ભારતનું ફ્લેગશીપ કરિયર બની રહી. ઇન્ડિયન એરલાઇન્સ સાથેના નિષ્ફળ મર્જર, ખોટનાં વર્ષો પછી સરકારે ફરી એર ઇન્ડિયાના ખાનગીકરણનો નિર્ણય લીધો ત્યારે એર લાઇન તાતા ગ્રુપ પાસે પાછી ફરી.

શરૂઆતથી આજ સુધી ભારતમાં ઉડ્ડયન ક્ષેત્રે સરકારી નીતિઓ, ગ્રાહકોની માંગ અને કોર્પોરેટાઇઝેશનની અસર રહી છે. સરકારી નિયંત્રણ અને ખાનગી કેરિયર્સના દિવસોમાં ઉડ્ડયન ક્ષેત્રમાં થયેલી ચડતી-પડતી ઉદારીકરણથી એકીકરણના યુગમાં ઘણા બદલાવ થયા છે. ભારતીય એર સ્પેસમાં જે પણ એરલાઇન્સ હતી, ખાસ કરીને ખાનગી એરલાઇન્સ તેમને માથે ઑપરેશનલ કૉસ્ટનો સૌથી વધુ બોજો રહ્યો જેને પગલે દેવું મોટું થતું ગયું અને આર્થિક અસ્થિરતાએ ભલભલી એરલાઇન્સને ક્રેશ લેન્ડિંગ કરવા મજબૂર કરી. જો કે અત્યારની વાત કરીએ તો ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડોમેસ્ટિક માર્કેટ છે. મધ્યમ વર્ગની ખર્ચો કરવાની ક્ષમતા વધી છે અને માટે જ ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને ગો-એર જેવા લો કોસ્ટ કેરિયર્સનું પ્રભુત્વ છે. લો કોસ્ટ કેરિયર્સ એ ફુલ સર્વિસ એરલાઇન્સનો ઓછી કિંમતનો વિકલ્પ છે.  ફુલ સર્વિસ એરલાઇનમાં એર ઇન્ડિયા અને વિસ્તારા બે જ વિકલ્પો હતા જે હવે એક થઇ ગયા છે.

આપણા ઉડ્ડયન ક્ષેત્રના પડકારો સમજવા અનિવાર્ય છે. માર્કેટનો 85 ટકા હિસ્સો લો-કોસ્ટ એરલાઇન્સ પાસે છે અને તેઓ જે રીતે ભારતીય ગ્રાહકોને પકડી રાખે છે તેમાં ફુલ સર્વિસ એરલાઇન્સ માટે ટકવું અઘરું થઇ પડે છે.

સરકારની પહેલી UDAN – Ude Desh Ka Aam Naagrik – યોજના 2017માં લૉન્ચ થઇ. આ યોજના હેઠળ જ્યાં હવાઇ સેવાઓ નથી ત્યાં તે ખડી કરી, લોકલ કનેક્ટિવિટી વધારવાનો હતો. જો કે અમલીકરણના પડકારોને કારણે ‘ઉડાન’નો પ્રભાવ નહીં જેવો રહ્યો. બીજી તરફ ઇંધણની વધતી કિંમતો, એરપોર્ટ ફીઝ અને ટેક્સિઝની પણ એરલાઇન્સ પર ઘેરી અસર પડી જેને કારણે આર્થિક સ્થિરતા જાળવવી ઉડ્ડયન ઉદ્યોગ માટે અઘરું થઇ પડ્યું.

એવિએશન ઇન્ડસ્ટ્રી સામેના પડકાર

એવિએશન ટ્રિબ્યુનલ ફ્યુઅલ પર અત્યારે હાઇ ટેક્સ છે જેનો લગભગ 30-40 ટકા બોજો એરલાઇન્સને વેઠવો પડતો હોવાથી તેઓ ધાર્યો નફો નથી મેળવી શકતા તથા આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવામાં ભારતીય એરલાઇન્સ કાચી પડે છે.  સિવિલ એવિએશનમાં લાઇસન્સ, રુટ એપ્રુવલ્સ, કિંમતોની મર્યાદાઓ કાં તો બદલાતી રહે છે અથવા તો તેને લગતા નિર્ણયો બહુ જ મોડા લેવાય છે. વાંરવાર બદલાતી નીતિઓ અને અચોકસાઇને કારણે એરલાઇન્સનો વિકાસ રૂંધાય છે. મુંબઈ અને દિલ્હી જેવા એરપોર્ટ્સ પોતાની ક્ષમતા કરતાં વધુ કામ કરતાં હોવાથી ત્યાં વિલંબની અને યોગ્ય સેવાઓ ન હોવાની બૂમ પડતી રહે છે. એરપોર્ટની માળખાંકીય સેવાઓ અપૂરતી હોવાથી સ્થાનિક એવિએશન યોજનાઓ ટેક ઑફ વિનાની – માત્ર કાગળ પર રહી જાય છે. સરકારના નિયમોને આધિન રહેવામાં એરલાઇન્સની ઑપરેશનલ કોસ્ટ વધી જાય છે. સર્વિસને લગતી વાટાઘાટો ધીમી હોવાથી ભારતીય એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય રૂટ્સ સરળતાથી નથી મળતા અને તેઓ કમાવાની તકો ખોઇ બેસે છે. એરપોર્ટ ફીઝને કારણે મોંઘી પડતી ટિકિટ્સ ગ્રાહકોની સંખ્યા પર અસર કરે છે. દેશની મેઇન્ટેનન્સ સર્વિસ પર તગડા જી.એસ.ટી.ને કારણે એરલાઇન્સને વિદેશી સેવાઓનો લેવી પડે છે જે પણ તેમના ગજવાં પર ભારે પડે છે. એરપોર્ટ પ્રાઇવેટાઇઝેશનની મોટી મોટી વાતો, અનેક નવા એરપોર્ટ શરૂ કરવાના દાવા પછી માળખાંકીય સુવિધાઓ ઝડપથી નથી ખડી થતી જેને કારણે એવિએશન ક્ષેત્રે ધાર્યો વિકાસ નથી થઇ શકતો.

2025 સુધીમાં ભારત ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વનું સૌથી મોટું ત્રીજું એવિએશન માર્કેટ બની શકે છે પણ એ ત્યારે જ શક્ય છે કે સરકારી નીતિઓ અને ખાનગી એરલાઇન્સ વ્યૂહાત્મક નિર્ણયો લઇ તેના અમલીકરણ માટે સાથે મળીને કામ કરે. UDAN યોજના હમણાં તો બહુ ઊડી નથી રહી પણ નાના શહેરોમાં એરપોર્ટ્સની યોગ્ય જાળવણી, કનેક્ટિવિટીનો વિસ્તાર કરાય તો એરલાઇન્સ માટે પણ આવકના નવા સ્રોત ખડા થાય. વળી બદલાતા સમયને ધ્યાનમાં રાખી ભારતીય કેરિયર્સે સસ્ટેનેબલ ઇંધણ, હાઇબ્રિડ એરક્રાફ્ટ અને કાર્બન ઑફસેટ પ્રોગ્રામ્સની દિશામાં જોવું જોઇએ. એવિએશન ઇન્ડસ્ટ્રીને પર્યાવર્ણ લક્ષી બનાવવાની દિશામાં નીતિઓ ઘડાય તે પણ જરૂરી છે. ઉડ્ડયન ઉદ્યોગને બહેતર બનાવવા માટે એકીકરણ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એર ઇન્ડિયા અને વિસ્તારા જેવા વ્યૂહાત્મક મર્જર્સના રન-વે પર દોડવું પડશે. સરકાર અને ઉદ્યોગ ક્ષેત્રના ભાગીદારીઓ એક થઇને ઉડ્ડયન ઉદ્યોગના પડકારોને ઉકેલવા કામ કરવું રહ્યું નહીંતર વૈશ્વિક સ્તરે ત્રીજા નંબરે સૌથી મોટા એવિએશન માર્કેટની ઓળખ બનાવવાની ફ્લાઇટ આપણે ચૂકી જઇએ એમ બને. આપણે વૈશ્વિક સ્તરે આર્થિક રીતે સક્ષમ દેશની ઓળખ ઘડવા માટે એક પ્રેક્ટિકલ અને વ્યવસાયી અભિગમથી નિર્ણયો લેવાય તે જરૂરી છે. વ્હાલાં દવલાં કરવાથી આપણા હવાઇ ઉદ્યોગનો વિકાસ અટકશે, રાષ્ટ્ર વિકસે તે માટે કોઇ એક જૂથના હાથમાં ધૂરા આપી દેવાની ભૂલ સરકારે ન કરવી જોઇએ અને બજારમાં મોકળાશ હશે, બીજા ભાગીદાર હશે તો સ્પર્ધાને સારી રહેશે અને ફાયદો ટેક્સ ભરનારા અને પૈસા ખર્ચનારા ગ્રાહકોને મળશે.

બાય ધી વેઃ 

ભારતમાં ઉડ્ડયન ઉદ્યોગનો ઇતિહાસ પણ તાતા જૂથે શરૂ કર્યો અને ભવિષ્યનું સુકાન પણ તેમના જ હાથમાં છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાજેતરમાં થયેલું મર્જર ગ્રાહકો માટે ફાયદાકારક સાબિત થશે તેમ એક્સપર્ટ્સનું માનવું છે અને તાતા જૂથ પણ આ મર્જરથી 2027 સુધીમાં 1,800 કરોડની બચત કરી શકશે તેવો અંદાજ છે. ભારતમાં અત્યારે 486 એરપોર્ટ, એર સ્ટ્રીપ અને એરોડ્રમ્સ છે, તેમાંથી અંદાજે 145 એરપોર્ટ્સ પૂરી રીતે ચાલુ છે. બાકીના નોન-ઑપરેશનલ એરપોર્ટ્સ ડિફેન્સ કે તાલીમના હેતુથી વપરાય છે. અદાણી જૂથ પાસે છ મોટા એરપોર્ટ છે, જેને કારણે ઇજારાશાહીના જોખમ સામે અંગૂલીનિર્દેશ થયો છે. વળી બિડિંગ પ્રોસેસમાં પારદર્શિતા ન હોવી, એરપોર્ટની બિડ્ઝ જીતનાર અદાણી જૂથ બિનઅનુભવી છે તો કઇ રીતે છ મોટા એરપોર્ટને ચલાવવામાં ગુણવત્તા જાળવશે તેવા પ્રશ્નો પણ કરાયા છે. સરકારે એક આખા ઔદ્યોગિક વિકાસના ક્ષેત્રને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાની દિશામાં ટેક ઑફ કરવું જરૂરી છે, ખાનગીકરણનો વાંધો નથી તેનો લાભ મેળવનારા સિમિત ન હોવા જોઇએ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 નવેમ્બર 2024

Loading

17 November 2024 Vipool Kalyani
← વિશ્વપ્રજા ઊંધી દિશામાં કેમ જઈ રહી છે ?
શીલા : અધઃપતન અને પુનરુત્થાનની ગાથા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved