Opinion Magazine
Number of visits: 9484369
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં રમાય છે ઓળખ અથડામણોનું રાજકારણ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 September 2015

નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં સંકુલ, સંમિશ્ર સમગ્રતા સાથે કામ પાડવું પડે

ટપાલ ખાતાની રસમી થપ્પા અગર સિક્કાનું તો જાણે કે સમજ્યા મારા ભૈ, પણ નાનામોટા રાજકીય ને બીજા ફિરકાઓ પોતપોતાનાં ખાસંખાસ નામો ટપાલ ટિકિટે લહેરાય ને એમ પોતાનો સિક્કો પડે તે સારુ ખાસા લાલાયિત હોય છે, નહીં? એની પૂંઠે જો ઓળખ કહેતાં ‘આઇડેન્ટિટી’નું રાજકારણ હશે તો સાથે પોતીકી તરેહનો ઇતિહાસબોધ સ્થાપિત કરવાનીયે ગણતરી હશે. વસ્તુત: વિશેષ ટપાલ ટિકિટની પરંપરા કોઈ એક કૌટુંબિક ઈજારો ન હોય એવી લાગણી, અતિરેકની પ્રણાલિ જોતાં, વાજબી પણ છે. પરંતુ, આ મુદ્દે ભાજપ પ્રતિષ્ઠાનની ભૂમિકા પ્રીછ્યા પછી પણ એ એક વાનું તો જોવુંસમજવુંતપાસવું રહે જ છે કે કવચિત હકાર, કવચિત નકાર એવો તમારો જે હુંકાર પ્રગટ થવા કરે છે તેમાંથી કેવોક ઇતિહાસબોધ ફોરે છે અગર ઢેકો કાઢે છે.

દક્ષિણ ભારતના સુપરસ્ટાર કહેવાતા રજનીકાન્તે ટીપુ સુલતાન પરની ફિલ્મમાં ટીપુનો અભિનય કરવાની ઓફર ન સ્વીકારવી જોઈએ એવો ગોકીરો ભાજપ અને હિંદુ મનાની સહિતની સંઘ પરિવારની કે એની નજીકની સંસ્થાઓએ મચાવ્યો છે. તેમાંથી ઇતિહાસબોધ બાબતે જે વરવી એકાક્ષી તાસીર પ્રગટ થાય છે તે આ સંદર્ભે નોંધવા જેવી છે. ભાજપના એક રાષ્ટ્રીય મંત્રી એચ. રાજાએ કહ્યું છે કે રજનીકાન્ત કે જે કોઈ પણ અભિનેતા સૂચિત ફિલ્મ સાથે જોડાશે તે ‘ભારતવિરોધી’ લેખાશે. નાનીમોટી, ખરીખોટી કોઈપણ બાબતને પરબારી દેશભક્તિની કસોટી બનાવી મેલવી એ અભિગમની પોતાની મર્યાદા વિશે શું કહેવું.

ટીપુ સુલતાન સામસામાં અર્થઘટનોનો વિષય રહ્યો છે તે જાણીતું છે. એને હસ્તક હિંદુઓની હત્યા થવાની વાત છે, તો એણે જજિયાવેરો નહીં નાખ્યાની પણ વાત છે. રાજની કારવાઈ આડે આવેલા મુસ્લિમોને એણે નહીં બક્ષ્યાનું તેમ જ મરાઠા આક્રમણ સામે શંકરાચાર્યે ટીપુની સહાય મળવાનુંયે એટલું જ જાણીતું છે. જો આ બધું સાથે મૂકીને જોઈએ તો જે સમયમાં હિંસા મારફતે કામ લેવું જાયજ અને સહજ મનાતું તે સમયમાં ટીપુની ચાલનાઓ સ્થાપિત ધર્મસંપ્રદાયની નહીં એટલી રાજકીય ગણતરીસરની હતી તે હકીકત તરત સામે આવે છે. બલકે, જે સમય ભારતમાં બહુધા હિંદુ વિ. મુસ્લિમ અગર હિંદુ વિ. હિંદુ, મુસ્લિમ વિ. મુસ્લિમ એવી રજવાડી અથડામણો અને ખટપટોનો હતો તે સમયે અંગ્રેજો સામે લડવાની ટીપુની અગ્રતા એક નવું જ મૂલ્યાંકન માગે છે. અને આ રીતે જોઈએ તો અતિશયોક્તિનું આળ વહોરીને ય એને 1857ના ઉઠાવની પુરોગામી ઘટનાનું માન આપવાનો કેસ ન જ બને તેમ નથી. મુદ્દે, ઇતિહાસમાં ખાસું સંમિશ્ર અને સંકુલ ઘણુંબધું પડેલું હોય છે. એને સમગ્રતામાં નહીં જોતાં પોતાને અનુકૂળ પસંદગીચોસલામાં જોવું આપણને સૌને ફાવતું આવતું હોય છે. પસંદગીનાં ધોરણો જેમ વસ્તુગત તેમ વ્યક્તિગત પણ હોઈ શકે છે. પરંતુ, એથી સામી વ્યક્તિ – જેમ કે, કદાચ ટીપુની ભૂમિકા કરતો રજનીકાન્ત – જો આપણે મન પરબારો દેશદ્રોહી ઠરાવાનો હોય તો આપણી સમજ તળેઉપર તપાસ માગે છે એટલું ચોક્કસ.

દેશ કહો, રાષ્ટ્ર કહો, સમાજ કહો, આ બધાંની વ્યાખ્યામાં જે તે સમયની સ્થાપિત માન્યતાઓ અને પ્રભુતાસમ્પન્ન વર્ગો ખાસાં સમીકૃત થઈ જતાં હોય છે. ફરી રજનીકાન્ત-ટીપુ પ્રકરણનું દૃષ્ટાંત લઉં તો ટીપુ સુલતાન તમિલવિરોધી હતો, એટલે તેની ભૂમિકા ભજવતા રજનીકાન્તને પણ તમિલદ્રોહી શા માટે ન કહેવા એવોયે એક સવાલ દક્ષિણદેશમાં આ દિવસોમાં ઉછળાઈ રહ્યો છે.

અથવા પાટીદાર અનામતનો સવાલ લો. આવતે અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાયાત્રા વખતે યુનાઇટેડ નેશન્સના વડામથકથી ન્યૂયોર્ક ખાતેની ઇન્ડિયન કોન્સ્યુલેટ લગીના 3.5 કિલોમીટરની પાટીદાર રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમેરિકા સ્થિત વિહિંપ અને ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપીએ આવી ‘દ્રોહી’ રેલી સામે વિરોધનો સૂર ઉચ્ચાર્યો છે. અલબત્ત, રેલીકારોને સરદારના પ્રપૌત્રનું સમર્થન છે, કેમ કે ‘સરદારે પાટીદારોને 1947માં અનામત લેવાનું કહ્યું હતું.’ ભાગ્યે જ ગ્રાહ્ય રહી શકે એવું આ વિધાન છે. પણ સરદારને જો ‘ગુજરાતને અન્યાય’ની કાગારોળમાં કેવળ ગુજરાતના નેતા બનાવી દઈ શકાતા હોય તો એમાંથી નકરા ‘પાટીદાર નેતા’ બનાવવાનું કેટલું સહેલું છે તે પાટીદાર રેલી રૂપે અમેરિકાની ધરતી પર થઈ રહેલી સમુત્ક્રાન્તિ પછી સમજાઈ રહેવું જોઈએ.

એક રીતે જોતાં, સંઘના કેન્દ્રીય અગ્રણી મનમોહન વૈદ્યની ભલે મોડી મોડી પણ એ ટિપ્પણી છે તો સાચી જ કે હાર્દિક પટેલનાં ઉચ્ચારણો સમાજમાં ભાગલા પડાવનારા અને સામાજિક તાણાવાણા ખેરવિખેર કરનારા છે. એમણે એમ પણ ઉમેર્યું છે કે ઓબીસી-એસસી-એસટી સહિતના સમાજને અપાઈ રહેલી અનામત સામાજિક-સમાનતાની દિશામાં યોગ્ય છે. 

ગાંધીનેહરુપટેલની સ્વરાજત્રિપુટીમાંથી એકલા સરદારને (અને તે પણ ગાંધીજી કરતા ‘મોટા’ સરદારને) લઈને સંઘ પરિવારે કરેલી રાજનીતિ, હિંદુ ઓળખનું રાજકારણ કેટલી ઝડપથી પાટીદાર હુંકારનું રાજકારણ બની શકે છે તે જોયા પછી, કાશ, કશુંકે આત્મનિરીક્ષણ પ્રેરી શકે! જો કે, અત્યારે તો કેટલાંક ભાજપ વર્તુળો એ વાતે રાજી હશે કે સંઘમાં એક અધિકૃત પદેથી હાર્દિક પટેલની ટીકા થઈ છે તેનો અર્થ એ થયો કે હાલની રાજ્ય સરકાર સલામત છે. આવી છાપ, માનો કે, આ ક્ષણનું સત્ય હોય તો પણ કદીક હિંદુ, કદીક પટેલ, કદીક ગુજરાતી એવી ઓળખ અથડામણો તો ત્યાં સુધી એક સ્થાયી સત્ય જેવી રહેવાની જ્યાં સુધી તમે સમગ્ર વિમર્શને નાગરિકતાની નરવીનક્કુર ભોંયમાં ન રોપો. ક્યારે ય વ્યાપક રાષ્ટ્રીય ધરાના પ્લેટફોર્મરૂપે ઉભરેલી કોંગ્રેસે – પહેલી કેબિનેટમાં મુખર્જી અને આંબેડકરને સમાવી શકતી કોંગ્રેસે – આ રાષ્ટ્રીય કે નાગરિક વિમર્શ છાંડીને કુનબાપરસ્તીમાં નિજનું મોચન લહ્યું એટલે આગળ ચાલતાં જેમ ગુજરાત અને સરદાર તેમ બંગાળ અને સુભાષ એવું એક રાજકીય ઓળખ-સમીકરણ ઊભું થઈ રહ્યું છે. અધૂરામાં પૂરું નેતાજી વિષયક ફાઇલો વિવર્ગીકૃત (ડિક્લાસિફાય) કરવા બાબતે યુપીએ જેવી જ આડોડાઈ એનડીએએ પ્રગટ કર્યા પછી, પોતાની પાસેની ફાઇલો જાહેર કરવા સાથે પશ્ચિમ બંગાળ સરકાર અને મમતા બેનરજી સુભાષ ને બંગાળના સમીકરણ પર મહોર મારશે. બને કે તે સાથે મમતા બંગાળ પૂરતાં ડાબેરીઓ, કોંગ્રેસ, ભાજપ સૌ પર પોતાની મહારત સ્થાપવામાં અને સુભાષના રાજકીય ઉત્તરાધિકારી તરીકેનો દાવો આગળ કરવામાં કામયાબ પણ રહે.

ધારો કે સુભાષ વિષયક ફાઇલો સબબ યુપીએના અભિગમનું કોઈક તથ્ય (પોતે કરેલ સળંગ વિરોધ છતાં) વસ્યું હોય તો ભાજપે તે માટે સૌને વિશ્વાસમાં લેવાની રીતે મત કેળવવાનું સાહસ દાખવવું જોઈએ. નાગરિક વિમર્શનો અર્થ બધા નેતાનું બધ્ધેબધ્ધું જેમનું તેમ સ્વીકારવું એવો નથી થતો. નીરક્ષીરવિવેકને અવકાશ હતો, છે અને રહેશે. પણ આ વિવેક એક એવો ઇતિહાસબોધ માગે છે જે આવતીકાલને તાકતો અને તાગતો હોય. દેખીતી રીતે જ, પોતપોતાને છેડેથી નકરી શ્વેત કે નકરી શ્યામ એવી ખાનાપૂરણીમાં નહીં પુરાતાં એણે સંમિશ્ર અને સંકુલ એવી સમગ્રતા સાથે કામ પાડવું રહે છે.

સૌજન્ય : ‘ઇતિહાસબોધ’ નામક લેખ, “દિવ્ય ભાસ્કર”, 19 સપ્ટેમ્બર 2015

Loading

20 September 2015 admin
← ઘડિયાળના કૂવામાં
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોષણ અને રક્ષણની કુનેહ હાંસલ કરી લીધી છે →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved