Opinion Magazine
Number of visits: 9448068
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શા માટે રાહુલ ગાંધી આર.એસ.એસ. ઉપર સીધો પ્રહાર કરે છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|3 October 2024

ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે

રમેશ ઓઝા

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીનાં પ્રચારમાં અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીનાં પ્રચારમાં એક ફરક છે. એ ફરક રાહુલ ગાંધીના પક્ષે છે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની, ભા.જ.પ.ની અને સરકારની ટીકા કરતા. હાથમાં બંધારણની નકલ બતાવીને કહેતા કે નરેન્દ્ર મોદીની સરકારને આ બંધારણ સ્વીકાર્ય નથી, તેઓ તેને બદલવા માગે છે અને અનામતની જોગવાઈને ખતમ કરવા માગે છે. બીજી બાજુ ભારતનું બંધારણ સશક્તો સામે અશક્તોને રક્ષણ આપે છે. તેઓ નરેન્દ્ર મોદીની સરકાર કઈ રીતે શ્રીમંત તરફી છે અને ખાસ કરીને બે ઉદ્યોગગૃહોને મદદ કરે છે એમ પણ કહેતા.

આ વખતે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની ટીકા ઓછી કરે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વધુ કરે છે. નિશાના પર સીધો સંઘ છે. તેઓ કહે છે કે લડાઈ વિચારોની છે અને એટલે ખરી લડાઈ સંઘ અને કાઁગ્રેસ વચ્ચે છે. કાઁગ્રેસની કલ્પનાનું ભારત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સ્વીકાર્ય નથી અને સંઘની કલ્પનાનું ભારત કાઁગ્રેસને સ્વીકાર્ય નથી. ભા.જ.પ. તો સંઘનું એક પ્યાદું છે. તેઓ કહે છે કે સંઘર્ષ સત્તા માટેનો નથી, પણ ભારત વિષેની કલ્પના માટેનો છે. એ પછી તેઓ કહે છે કે સહિયારા લોકતાંત્રિક ભારતમાં સ્ત્રીઓનું, દલિતોનું, આદિવાસીઓનું અને દરેક વર્ગના વંચિતોનું અથવા ગરીબોનું કલ્યાણ છે. સંઘની કલ્પનાના ભારતમાં સવર્ણ હિંદુઓની સરસાઈ હશે. તે રાજ કરશે. રાહુલ ગાંધી વિનાયક દામોદર સાવરકરનું પણ નામ લે છે.

રાહુલ ગાંધીએ પહેલી વખત શબ્દો ચોર્યા વિના કહ્યું છે કે કાઁગ્રેસની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારો અને માનસિકતા ધરાવનારા લોકો છે. તેમનો ઈશારો હિમાચલ પ્રદેશના કેબીનેટ પ્રધાન વિક્રમાદિત્ય સિંહ તરફ હતો. તેમણે યોગી આદિત્યનાથને અનુસરીને

રાહુલ ગાંધી

અને તેમનો હવાલો આપીને કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં પણ હોટલ પર હોટલના માલિકનું નામ હોવું જોઈએ. રાહુલ ગાંધીએ તેમને દિલ્હી બોલાવીને ઠપકો આપ્યો હતો. આવું જ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વાનું. તેઓ યોગી આદિત્યનાથ કરતાં પણ વધારે આકરા હિન્દુત્વવાદી વિચારો ધરાવે છે. હેમંત બિસ્વા પહેલાં કાઁગ્રેસમાં હતા. મુખ્ય પ્રધાન બનવા મળ્યું નહીં એટલે તેઓ બી.જે.પી.માં ગયા હતા. હિંદુ માનસિકતા ધરાવતા લોકો કાઁગ્રેસમાં હોય એ કોઈ નવી વાત નથી. ગાંધીજીના જમાનાથી આવું જોવા મળી રહ્યું છે. તેઓ કાઁગ્રેસમાં રહીને સંઘ માટે સહાનુભૂતિ ધરાવતા હતા.

બીજી બાજુ નરેન્દ્ર મોદી એ જ વાત કરે છે જે લોકસભાની ચૂંટણીમાં કરતા હતા. રાહુલ ગાંધી અને કાઁગ્રેસ પર આક્ષેપો કરીને સીધા પ્રહારો કરે છે. ભ્રષ્ટાચાર, વંશવાદ વગેરે. હિંદુઓને ડરાવે છે. તેઓ નથી વિકાસની વાત કરતા કે નથી તેમની કે હરિયાણાની સરકારની સિદ્ધિઓની વાત કરતા. ભવિષ્ય વિષે સપનાં બતાવવાનું તો તેમણે બંધ જ કરી દીધું છે. રહી વાત રાહુલ ગાંધી દ્વારા ઉપસ્થિત કરાતી ભારત વિશેની કલ્પનાની તો તેનો તો તેઓ કોઈ ઉલ્લેખ જ નથી કરતા. નથી સંઘની કલ્પનાના ભારતનો બચાવ કરતા, કે નથી કાઁગ્રેસની કલ્પનાના ભારતનો સ્વીકાર કે અસ્વીકાર કરતા.

શા માટે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને લગભગ બાજુએ રાખીને સીધો સંઘ ઉપર પ્રહાર કરે છે? અને બીજો સવાલ એ કે આમ કરવું કાઁગ્રેસ માટે હિતકારી છે? કે પછી નુકસાન થઈ શકે? ઇન્દિરા ગાંધી પછી પહેલી વાર એવું જોવા મળી રહ્યું છે કે કાઁગ્રેસનો કોઈ નેતા આર.એસ.એસ.નો ખુલ્લીને વિરોધ કરતો હોય કે નિંદા કરતો હોય.

મને એમ લાગે છે કે રાહુલ ગાંધીની રણનીતિ યોગ્ય દિશાની છે. હિન્દુત્વના જે સમર્થકો છે એ પહેલાં પણ જન સંઘ/બી.જે.પી.ની સાથે હતા અને ભવિષ્યમાં પણ બી.જે.પી.ની સાથે રહેવાના છે. જે લોકો એમ માનતા હતા કે ભારત હિંદુઓની બહુમતી ધરાવનારો દેશ છે એટલે હિંદુઓનું થોડુંક સાંસ્કૃતિક વર્ચસ હોવું જોઈએ, પણ એ સાથે કોઈ કોમ સાથે ભેદભાવ ન કરવો જોઈએ, કોઈને હેરાન ન કરવા જોઈએ અને દેશનો વિકાસ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ એ લોકો હવે દૂર જઈ રહ્યા છે. આ સિવાય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભા.જ.પ.ના નેતાઓ હિંદુ રાષ્ટ્રની કોઈ કલ્પના રાખી શકતા નથી અથવા રાખતા નથી એટલે વિચારનારા હિંદુઓને સમજાવા લાગ્યું છે કે સંઘની કલ્પનાનું હિંદુરાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. મુસલમાનોને હેરાન કરવાનું, ધોલધપાટ કરવાનું સુખ મેળવો અને ભા.જ.પ.ને મત આપતા રહો. જેમને આવું માથાભારે હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી એ લોકો હિંદુવાદી હોવા છતાં કે હિંદુ હોવા માટે ગર્વ લેતા હોવા છતાં સંઘને સમર્થન કરતા નથી.

તેઓ સમર્થન કરતા બંધ થઈ ગયા છે કે થઈ રહ્યા છે એનું બીજું પણ એક કારણ છે. દસ વરસમાં તેમને સમજાવા લાગ્યું છે કે આ દેશમાં એટલી બધી વિવિધતા છે કે તેનાથી બચી શકાય એમ નથી. સાથે રહેવું એ નિયતિ છે. મુસલમાનો દેશનું કશું બગાડી શકે એમ નથી, તેમની એટલી શક્તિ જ નથી. જે કહેવામાં આવે છે એ પ્રચાર છે. ઊલટું લડાઈ હિંદુઓ વચ્ચે ચાલી રહી છે અને એક હિંદુ બીજા હિંદુ સાથે લડે છે. પરિવારોમાં ઝઘડો પ્રવેશ્યો છે. ટૂંકમાં દેશમાં પાકું ધ્રુવીકરણ થઈ ગયું છે એટલે હવે હિંદુઓની નારાજગીની ચિંતા કરવાની જરૂર નથી. જે ત્યાં છે એ પાછા આવવાના નથી, પછી ભલે દેશનું ગમે તે થાય. બીજી બાજુ જેણે હિન્દુત્વનો સ્વાદ ચાખી લીધો છે એ લોકો હવે પુનર્વિચાર કરતા થયા છે.

આ સ્થિતિમાં કાઁગ્રેસની કલ્પનાનું ભારત એ હિંદુઓને તો સ્વીકાર્ય છે જ જે ઉદારમતવાદી છે. એ હિંદુઓને પણ અનુભવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જે હાંસિયામાં છે. જેમ કે દલિતો આદિવાસીઓ વગેરે. એ હિંદુઓને પણ હવે સ્વીકાર્ય બનવા લાગ્યું છે જેમણે હિંદુઓના રાજનો સ્વાદ ચાખી લીધો છે. આ સિવાય લઘુમતી કોમને કાઁગ્રેસની કલ્પનાનું ભારત સ્વીકાર્ય હોય એ તો સ્વાભાવિક છે. જો મોટી સંખ્યામાં હિંદુઓ પાછા ફરતા હોય તો તેમની સમક્ષ વિકાસલક્ષી સ્વસ્થ અને સહિયારા ભારતની કલ્પના શા માટે ન રાખવી! આમાં રતીભાર પણ નુકસાન નથી. બીજા શબ્દોમાં કહીએ તો ૧૯૮૭માં શરૂ થયેલો હિંદુ બેકલેશનો યુગ સાડા ત્રણ દાયકા પછી પૂરો થઈ રહ્યો છે. રાહુલ ગાંધી આ જાણે છે અને સમજી વિચારીને નરેન્દ્ર મોદીની જગ્યાએ સંઘ પર હુમલા કરે છે.

રાહુલ ગાંધી આર.એસ.એસ.ને પણ ભીત સરસો ધકેલે છે. જે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે એ તો માથાભારે હિંદુ રાષ્ટ્રનો થઈ રહ્યો છે. આનાથી જુદા રાષ્ટ્રની જો કોઈ કલ્પના તમારા મનમાં હોય તો કહી બતાવો, એમાં શું હશે અને શું નહીં હોય? તેમણે કહેવું પડશે કે તેઓ કેવા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરે છે? સંઘ હિંદુઓનું પ્રતિનિધિત્વ નથી કરતો, ખાસ પ્રકારના હિંદુઓનું કરે છે એમ રાહુલ ગાંધીએ લોકસભામાં પણ કહ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પહેલીવાર વિચારધારાને લઈને ભીંસ અનુભવી રહ્યો છે. જ્યારે હિંદુતવવાદી શાસકોનું શાસન નજર સામે હોય ત્યાં બોલવું શું?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 ઑક્ટોબર 2024

Loading

3 October 2024 Vipool Kalyani
← ગુજરાતના જ્ઞાતિ સમાજોનો સમાજસુધારાનો સાદ
સત્યની શોધ અને સત્યનું સમર્થન એ જ સાચો ધર્મ … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved