Opinion Magazine
Number of visits: 9504254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી બાળકો શીખશે ‘અ’ અહિંસાનો ‘અ’

ગૌરાંગ જાની|Gandhiana|18 July 2024

પુસ્તક :  ‘અ’ અહિંસાનો ‘અ’—જીવનશિક્ષણની આનંદપોથી

પ્રકાશક : સાબરમતી ગાંધી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટ (SAPMT) તથા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર (CEE) • પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદન : કેતન રૂપેરા • પ્રકલ્પ-નિયામક અને પરામર્શન : અતુલ પંડ્યા • સંવર્ધિત દ્વિતીય આવૃત્તિ (સચિત્ર) : 2024, સાઇઝ : 6.7” x 9.4” • ISBN : 978-93-84233-93-8 •  પૃષ્ઠ 72 • ₹ 250

-.-.-.-

અખબારનાં પાનાં ખોલો કે ટી.વી.ના ફટાફટ સમાચાર જુઓ, હિંસાના અનેક બનાવો આપણી નજર પાસેથી પસાર થઈ જાય છે. ઉત્તરોતર એમાં વધારો થતો જ રહે છે. વળી, છેલ્લાં કેટલાંક વર્ષોથી વિશ્વ યુદ્ધોથી ઘેરાયેલું છે. તેમાં હજારો બાળકોએ જીવ ગુમાવ્યાં છે. હિંસા આપણને જાણે કોઠે પડી ગઈ છે. ધર્મો વચ્ચેનું વૈમનસ્ય પણ એક હિંસા છે. આપણા પરિવારો તેમાંથી મુક્ત નથી. ભારતમાં ઘરેલુ હિંસાને નિયંત્રિત કરવા પણ કાનૂન બનાવવો પડ્યો. નૅશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પ્રતિવર્ષ આંકડા જોઈ જુઓ તો સમજાશે કે શું આપણે એ જ દેશમાં રહીએ છીએ જ્યાંથી વિશ્વને ‘વસુધૈવ કુટુંબકમ્‌’નું સૂત્ર મળ્યું! હિંસાથી ઘેરાયેલો સમાજ તેનાં બાળકોનું બાળપણ છીનવી લે છે. બાળકો પણ આ બધું જુએ છે, અનુભવે છે.

આવતીકાલના નાગરિકોનો ઉછેર જો હિંસાની વચ્ચે થાય તો ભવિષ્ય કેવું હશે?! આ સમસ્યા અને પીડાનો ઉત્તર વિશ્વના તમામ ધર્મોએ આપ્યો છે. ‘અહિંસા પરમો ધર્મ’નું સદીઓ પુરાણું વૈશ્વિક મૂલ્ય વીસમી સદીમાં મહાત્મા ગાંધીએ તેમના વિચાર અને આચાર દ્વારા સાર્થક કરવાનો પ્રયત્ન કર્યો અને વિશ્વએ તેને અપનાવ્યો પણ ખરો.

ગાંધીજી ‘કેળવણી’નો એક અર્થ ‘ખીલવણી’ પણ કરતા. હિંસા અને યુદ્ધગ્રસ્ત કુટુંબથી લઈને સમાજના ધૂંધળા દેખાતા ભવિષ્યના આ સંજોગોમાં હિંસામુક્ત સમાજની રચના અર્થે બાળકોની ખીલવણીના ગાળામાં જ કક્કાવારીનો પ્રથમ અક્ષર ‘અ’ અહિંસાનો હોય તો? આ વિચારનું બીજ ગાંધી આશ્રમ-અમદાવાદમાં રોપાયું અને પછી તેમાંથી સર્જાઈ‌ ‘અ અહિંસાનો અ— જીવન શિક્ષણની આનંદપોથી’. ધોરણ ૬થી ૮માં ભણતાં બાળકોમાં રમતાં રમતાં અહિંસાનાં ગુણો કેળવાય એ માટેની પ્રવૃત્તિ પુસ્તિકા. રમતના આનંદ સાથે અહિંસાની તાલીમ આપતી ૭૨ પૃષ્ઠની આ આનંદપોથી તૈયાર કરી છે ગુજરાતની બે અગ્રગણ્ય સંસ્થાઓએ—સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ (SAPMT) અને સેન્ટર ફોર ઍન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE).

બાળકોને  જીવનશિક્ષણ આપતી પોથી કેવી રીતે તૈયાર થઈ તેની પૃષ્ઠભૂમિ સમજીએ. ‘બા-બાપુ ૧૫૦’નાં વર્ષ, ૨૦૧૯માં સાબરમતી આશ્રમ અને સી.ઈ.ઈ. દ્વારા અહિંસાની કેળવણી /Learning Non- Violence કાર્યક્રમ શરૂ થયો. તેનું વિચારબીજ રોપ્યું હતું ગુજરાતના ત્રણ અગ્રણીઓ પીયૂષ દેસાઈ, કાર્તિકેય સારાભાઈ અને ત્રિદીપ સુહૃદે. પુસ્તિકા-નિર્માણ અને કાર્યક્રમ-અમલીકરણમાં ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાતની અનેક સંસ્થાઓનો સહયોગ મળતો રહ્યો. ગુજરાતની વિવિધ 16 શૈક્ષણિક સંસ્થાઓ અને એના થકી કુલ 300 શાળાના વિદ્યાર્થીઓમાં આ કાર્યક્રમ અમલી રહ્યો. કાર્યક્રમ સંસ્થાઓ અને તેનાં શિક્ષકો તરફથી એટલો આવકાર ને પ્રશંસા પામ્યો કે પ્રવૃત્તિ-પુસ્તિકાની બીજી આવૃત્તિ પણ તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થઈ. પહેલી આવૃત્તિ(2021)માં પ્રવૃત્તિ-નિર્માણ અને સંપાદનની જવાબદારી સંભાળનાર ગાંધીવિચાર-આચારના અભ્યાસી કેતન રૂપેરાનો બીજી આવૃત્તિ(2024)ની સજાવટમાં પણ કસબ રહ્યો છે. સમગ્ર પ્રકલ્પના નિયામક અને પરામર્શક અતુલ પંડ્યા પ્રસ્તાવનામાં જણાવે છે, “પરિવર્તનની પહેલ પોતાના થકી કરવાની શ્રદ્ધા સાથે આ પુસ્તિકાનું નિર્માણ કરવાનો પ્રયત્ન કર્યો છે હિંસા – અહિંસાના પ્રત્યક્ષ – પરોક્ષ પ્રકારની સમજણ સાથે રમતાં રમતાં જ બાળકોમાં અહિંસાનું આચરણ દૃઢ થાય એ આનંદપોથીનો ઉદ્દેશ છે.”

પુસ્તિકામાં કુલ 24 પ્રવૃત્તિઓ છે. દરેક પ્રવૃતિના આરંભે તેનો ઉદ્દેશ, પ્રવૃત્તિ ક્યાં કરવી એ સ્થળ, પ્રવૃત્તિમાં જોડી શકાય એટલા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે જૂથનું કદ, પ્રવૃત્તિનો સમયગાળો, જરૂરી સામગ્રી અને આ પ્રવૃત્તિ દ્વારા કયું કૌશલ્ય કેળવાય છે, તે વિશે શરૂઆતમાં સમજ આપવામાં આવી છે. ઉદાહરણ રૂપે જોઈએ તો ‘હિંસાને ઓળખીએ’ પ્રવૃત્તિ શા માટે કરાવવામાં આવી છે તેની સમજ, હિંસાના સ્વરૂપ અને પ્રકારો, પ્રવૃત્તિ અને અંતે ચર્ચા એમ તબક્કાવાર રજૂઆત કરવામાં આવી છે.

હિંસા અનેક રીતે અને અનેક પ્રકારે બાળકો સામે આવે છે. પોતાના ધર્મ કે જ્ઞાતિ કે પ્રદેશ ને કેન્દ્રમાં રાખી મોટેરાઓ માન્યતાઓ અને જડ વલણ ધરાવે અને તેમાંથી શાબ્દિક હિંસાથી શરૂ કરી હુલ્લડો સુધી હિંસા ફેલાય છે. આ વાતાવરણમાં બાળકોને સમજ આપવા ‘તમે પણ સાચા હોઇ શકો’ એવી પ્રવૃત્તિમાં હાથી અને અંધ વ્યક્તિઓનું જાણીતું ઉદાહરણ બાળકો સમક્ષ રજૂ કરી સદ્દભાવના વિકસાવવાનો હેતુ આ પુસ્તિકામાં છે. પૂર્વગ્રહ પણ હિંસા તરફ લઈ જાય છે. આ સ્થિતિમાં પૂર્વગ્રહો કેવી રીતે જન્મે અને તેના શા પરિણામ આવે તેની સમજણ કેળવવા બાળકોને જ પ્રશ્નો પૂછવામાં આવે છે. વર્ગખંડ અને તેની બહાર પણ વિવિધ પ્રવૃતિઓ થઈ શકે અને તે માટે પેન્સિલ, કાગળ, છાપાં, કાતર જેવી શાળામાં હાથવગી વસ્તુઓ જ જરૂરી છે તે તમામ પ્રવૃત્તિમાં દર્શાવાયું છે.

આ પુસ્તકની બે મહત્ત્વની વિશેષતા છે: પ્રથમ છે તમામ પ્રવૃત્તિઓ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને એમનામાં અહિંસાના ગુણો કેળવવાના છે એવી કોઈ જ આગોતરી વાતો કર્યા વગર કરવાની છે.  બીજી વિશેષતા એ છે કે તેમાં બાળકો સાથે જ પ્રશ્નો અને વાર્તાલાપ કરીને એમની પાસેથી જ તેના ઉત્તર મેળવવામાં આવ્યા છે, આમ સમસ્યાના ઉકેલ માટે સામૂહિક ડહાપણ તેનું માધ્યમ બને, સમૂહભાવના આપ મેળે કેળવાય એવી રીત અપનાવવામાં આવી છે.

સમજણની રીતે આ 24 પ્રવૃત્તિઓને આઠ આઠના ત્રણ વિભાગ—જાત વિશે, સમાજ અને પર્યાવરણ વિશે તથા જાતને યોગ્ય દિશામાં દોરી જવા વિશે—માં વહેંચવામાં આવી છે. પ્રવૃતિઓમાંની કેટલીક આ પ્રમાણે છે.

·       મારી કલ્પનાનું વિશ્વ

·       માન્યતા કે મૂલ્ય?

·       હકીકત કે મંતવ્ય?

·       પૂર્વગ્રહ 

·       હિંસા શું છે 

·       વિવિધતામાં એકતા 

·       તમે પણ સાચા હોઈ શકો

·       ટાઇમ પ્લીઝ 

·       ઝઘડાનો ઉકેલ

·       મારી કલ્પનાનું વિશ્વ – મારી જવાબદારી, મારી પહેલ

સી.ઈ.ઈ.ના કાર્યકરો દ્વારા જમીની સ્તરે અમલી આ કાર્યક્રમના પ્રારંભે એફ.ડી. હાઇસ્કૂલ-અમદાવાદ, કુમકુમ વિદ્યાલય-અમદાવાદ, સી એન વિદ્યાલય-અમદાવાદ, સંત કબીર સ્કૂલ-અમદાવાદ, અરવિંદ ફાઉન્ડેશન-અમદાવાદ, ગ્રામશિલ્પી (શંખેશ્વર અને જંબુસર), દીનબંધુ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, પેઢામલી (વિજાપુર), નિયો રાજકોટ ફાઉન્ડેશન-રાજકોટ, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ટ્રસ્ટ-સણોસરા, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ-ખોબા (ધરમપુર), શારદા ટ્રસ્ટ-અમદાવાદ, શૈશવ-ભાવનગર, શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ-સાયલા, શ્રી વિવેકાનંદ રિસર્ચ અને તાલીમ ઇન્સ્ટિટ્યૂટ-માંડવી (કચ્છ), સર્વાંગી વિકાસ ટ્રસ્ટ-કરૂઠા અને સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ, અમદાવાદ વગરે 16 સંસ્થાઓ જોડાઈ હતી, એ પણ આવા નવીન પ્રયોગમાં આ સંસ્થાઓનો વિશ્વાસ સૂચવે છે.

ભારતની નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં “સારા વ્યક્તિત્વને વિકસાવવાનો છે કે જેઓ તર્કસંગત વિચાર અને કાર્ય કરવામાં સક્ષમ હોય, તેમનામાં કરુણા અને સહાનૂભુતિ હોય, સાહસિક અને અડગ હોય, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક કલ્પનાશક્તિ હોય, નૈતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠા હોય અને આ સર્વે મૂલ્યો તેમના વ્યક્તિત્વના પાયામાં હોય. આનો ઉદ્દેશ્ય એવા કર્મઠ લોકોને તૈયાર કરવાનો છે કે જેઓ આપણા બંધારણ દ્વારા સૂચિત સમાવેશી અને વૈવિધ્યસભર સમાજના નિર્માણમાં પોતાનું સર્વોત્તમ યોગદાન આપી શકે.” આ બાબતનો પણ પ્રકાશકીયમાં નિર્દેશ છે. ગાંધીમાર્ગના જીવનશિક્ષણની આ આનંદપોથી તે ઉદ્દેશ પરિપૂર્ણ કરશે એવું તત્ત્વ એમાં અનુભવાઈ રહ્યું છે.

Email : gaurang_jani@hotmail.com

-.-.-.-

(સાભાર સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જુલાઈ 2024)

Loading

18 July 2024 Vipool Kalyani
← એક દુજે કે લિયે : કેવી રીતે સુપરફ્લોપમાંથી બચીને સુપરહિટ થઇ ગઈ
પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved