Opinion Magazine
Number of visits: 9507891
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણના અનૈતિક વેપારનો ગ્રાહક છે ‘મધ્યમવર્ગ’

રમેશ ઓઝા|Opinion - Opinion|30 June 2024

રમેશ ઓઝા

પોતાને વિશ્વગુરુ તરીકે ઓળખાવતો દેશ પેપર ફૂટ્યા વિના એક પરીક્ષા લઈ શકતો નથી. લગભગ દરેક પરીક્ષાના પેપર ફૂટી જાય છે. આને કારણે તો હવે સાધનસંપન્ન પરિવારોનાં બાળકો ભણવા માટે વિદેશ જવા લાગ્યા છે. બ્યુરો ઓફ ઈમિગ્રેશનના અહેવાલ મુજબ ૨૦૨૧ની સાલમાં ચાર લાખ ૪૪ હજાર ભારતીય વિદ્યાર્થીઓ ભણવા માટે વિદેશ ગયા હતા અને ૨૦૨૨માં સાત લાખ ૫૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા. એક વરસમાં લગભગ ૯૦ ટકાનો વધારો. આની સામે વિશ્વગુરુ પાસે દીક્ષિત થવા કેટલા વિદેશી વિદ્યાર્થીઓ આવે છે? ૨૦૨૧ની સાલમાં ૨૨,૧૪૯ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવ્યા હતા અને ૨૦૨૨ની સાલમાં ૩૧,૯૧૦ વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા માટે આવ્યા હતા. આ વિદેશી વિદ્યાર્થીઓ એવા દેશોના છે જે શૈક્ષણિક સુવિધામાં ભારત કરતાં પણ પાછળ છે. સુદાન, અફઘાનિસ્તાન વગેરે. મુખ્યત્વે આફ્રિકન દેશોના વિદ્યાર્થીઓ. જ્યારે આઈ.આઈ.ટી., આઈ.આઈ.એમ., એમ્સ અને જે.એન.યુ. જેવી વિશ્વપ્રસિદ્ધ શિક્ષણસંસ્થાઓનું ભગવાકરણ થઈ ગયું હોય અને તેમાં પ્રાચીન યુગમાં ભારતમાં પ્લાસ્ટિક સર્જરી થતી હતી (ગણપતિ તેનું ઉદાહરણ છે) એવું ખાસ દિવ્ય શિક્ષણ આપવામાં આવતું હોય ત્યાં સગવડ ધરાવતો વિદ્યાર્થી શા માટે ભણે!

શા માટે પેપર ફૂટે છે? શા માટે શૈક્ષણિક માફિયાગીરી પર આધારિત ‘કોટા ફેક્ટરી’ જેવી વેબ સિરીઝ બને છે? શા માટે ભારતભરમાં કોચિંગ કલાસીસનો રાફડો ફાટ્યો છે? શા માટે મોંઘીદાટ ખાનગી યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે? એ પછી પણ શા માટે વિદ્યાર્થીઓ ભારત છોડીને વિદેશ ભણવા જઈ રહ્યા છે અને તેની સંખ્યા વરસે વરસે બમણી થઈ રહી છે? અને શા માટે ગરીબ દેશોને છોડીને કોઈ ભારતમાં ભણવા આવતું નથી? અને હજુ મહત્ત્વનો પ્રશ્ન: આમાં ભારતનાં લગભગ ૭૦ ટકા ગરીબ લોકોનાં બાળકો ક્યાં છે? તેમની પાસે વિદેશ જવાનો વિકલ્પ નથી, ખાનગી યુનિવર્સિટીઓમાં દાખલ થવાનો વિકલ્પ નથી, કોટા શહેરના કે બીજા કોઈ પણ કોચિંગ કલાસીસમાં દાખલ થઈને સજ્જ થવાનો વિકલ્પ નથી, પેપર ખરીદવાનો વિકલ્પ નથી, ગ્રેસ માર્ક્સ ખરીદવાનો વિકલ્પ નથી અને એ પછી પણ પાસ થાય અને સરકારી અનુદાન લેતી કોલેજમાં પ્રવેશ ન મળે તો વિના અનુદાનવાળી ખાનગી કોલેજમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ નથી, કારણ કે ફી પરવડે એમ નથી. ગરીબોનાં ૯૦ ટકા બાળકો તો દસમાં કે બારમાં ધોરણ પછી ભણતરની રેસમાંથી બહાર નીકળી જાય છે.

તો પછી આ તમાશો કોના માટે થઈ રહ્યો છે? ૭૦ ટકા પરિવારોના વિદ્યાર્થીઓ તો બહાર છે. શ્રીમંતોનાં સંતાનો ખાનગી યુનિવર્સિટીઓમાં દાખલ થઈને કે વિદેશ જઈને પોતાનો રસ્તો કાઢી લે છે. આ જે શિક્ષણનો અનૈતિક વેપાર ચાલી રહ્યો છે એનો ગ્રાહક મધ્યમવર્ગ છે. અને હું ખાતરીપૂર્વક કહું છું કે તેમાંના ૮૦ લકા લોકો દેશભક્ત છે. રાષ્ટ્રવાદી છે. ધાર્મિક છે. તેઓ દેશભક્ત એટલા માટે છે કે તેઓ અનૈતિકતાની બજારના ગ્રાહકો છે અને તેને તે છૂપાવવા માગે છે. “કરવું પડે શું થાય! ફલાણા (બ્રાહ્મણ હોય તો બી.સી. કે પછાત, ઉત્તર ભારતીય હોય તો લૂંગી વગેરે) સીટ મારી જાય છે.” દરેક પાસે અનૈતિક વેપારમાં ગ્રાહક બનવા માટેનાં કારણો છે અને તેને છૂપાવવા તેઓ દેશભક્તિનો અને ધાર્મિકતાનો અંચળો ઓઢે છે. માત્ર કલ્પના કરી જુઓ કે ૭૦ ટકા ભારતીયોનાં સંતાનો હજુ તો બહાર છે અને શિક્ષણની બજારમાં આવ્યા નથી, પણ એ જો બજારમાં હોત તો શું થાત! હરીફ તેજસ્વી વિદ્યાર્થીઓને રસ્તા પરથી દૂર કરવા માટે ખૂન થાત. કોચિંગ ક્લાસના માલિકોનાં અને શિક્ષકોનાં તો અત્યારે ખૂન થવા લાગ્યાં છે અને આવતીકાલે તેજસ્વી વિદ્યાર્થીઓનાં ખૂન થવા લાગે તો નવાઈ નહીં પામતા.

પણ લાખ રૂપિયાનો સવાલ હવે આવે છે. શા માટે ભારતનો મધ્યમવર્ગ ડિગ્રી પાછળ ગાંડો થયો છે? શા માટે એમાં તેને પોતાનાં સંતાનનું કલ્યાણ દેખાય છે? કેટલાંક વરસ પહેલાં વડા પ્રધાને કોઈ ટી.વી. ચેનલને યોગ્ય જ કહ્યું હતું કે કોઈ યુવાન ભજિયાં વેચીને ગુજરાન ચલાવતો હોય તો એ રોજગાર કહેવાય કે નહીં? એ કથન માટે ખોટી રીતે વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં આવે છે. એ રોજગાર કહેવાય જ, પણ સમસ્યા એ છે કે એવા રોજગારની પ્રતિષ્ઠા નથી. જે કામની પ્રતિષ્ઠા ન હોય એ કોઈ કરવા માગતું નથી અને એમાં મધ્યમવર્ગે તો પોતાને કહેવાતી સંસ્કારીતાના પ્રસાધનો દ્વારા એવો શણગાર્યો છે કે તે આવાં કામની કલ્પના પણ ન કરી શકે. માટે તેને એમ લાગે છે કે કોઈ સારી ડિગ્રી મળી જાય તો દીકરાનો બેડો પાર થઈ જાય. માટે તે અનૈતિકતાની બજારમાં ગ્રાહક તરીકે ઊભો છે અને શિક્ષણના વેપારને હજુ વધુ અભડાવે છે. નીચે લઈ જાય છે. બજાર મોટું છે અને વેપાર જબરો છે એટલે નેતા, બાબુ, માસ્તરો અને માફિયાઓની સાંઠગાંઠ વિકસી છે. કૌભાંડો તો થવાનાં જ!

અહી પેલો ડોસો આવી પહોંચવાનો. એ માણસ મર્યા પછી પણ પીંડ છોડતો નથી. તેમણે લગભગ સો વરસ પહેલાં કહ્યું હતું કે ડિગ્રી નહીં, શ્રમની પ્રતિષ્ઠા વધારો. કોઈ શ્રમિકને એમ ન લાગવું જોઈએ કે તે ઓછું મહત્ત્વનું કે નાનું કામ કરી રહ્યો છે. મારી દીકરી પોટરીવર્ક કરતી હોય તો આર્ટીસ્ટ તરીકે ઓળખાય, પણ એ જ કામ કરનારો કુંભાર વસવાયો (કાઠિયાવાડમાં વહવાયો જે વ્યવસાયનું અપભ્રંશ છે) કહેવાય. હાથથી બનાવેલ શ્રમજન્ય ઉત્પાદનમાં કુનેહ (એટલે કે આર્ટ, સાયન્સ, ટેકનોલોજી અને એન્જિનિયરીંગ) નથી? બધું જ છે. સોંદર્ય એટલે કે એસ્થેટિક પણ છે, પણ આપણે ત્યાં શ્રમની પ્રતિષ્ઠા નથી. કૌશલ્યવાન અભણ કે અલ્પશિક્ષિત તરીકે ઓળખાય છે. બધાને ડિગ્રી જોઈએ છે અને નોકરી કરીને સલામત જિંદગી જીવવી છે. એમાં જો સરકારી નોકરી મળે તો ગંગા નાહ્યા. ડિગ્રી પાછળ દોટ મૂકતી શિક્ષણ વ્યવસ્થાએ સાચી કેળવણી નહીં, યેનકેન પ્રકારે માર્ક્સ અંકે કરનારી અને સલામત જિંદગી જીવનારી નિર્વીર્ય પ્રજા પેદા કરી છે જે અનીતિના વેપારમાં ગ્રાહક બનીને ન આવે તો બીજું શું કરે! ગ્રાહક પિતા પોતે જ તેની આવી એક પેદાશ છે. કદાચ ત્રીજી પેઢી છે.

ગાંધીજીએ બીજી વાત એ કહી હતી કે શારીરિક શ્રમનું ન હોવું કે નહીંવત્ હોવું એ વિકાસ નથી. કોઈ કામ કુશળતાપૂર્વક અને આનંદપૂર્વક થાય એ માટે તેને જેટલું સહેલું બનાવી શકાતું હોય એટલું ચોક્કસ કરવું જોઈએ, પણ સાવ શ્રમ જ ન કરવો પડે એ વિકાસ નથી. નવરો માણસ શેતાની પ્રવૃત્તિ કરે છે. ટેકનોલોજીએ કામ છીનવી લીધું છે એટલે નવરો યુવક વોટ્સેપ યુનિવર્સિટીમાં શિક્ષિત દીક્ષિત થાય છે. કોઈકના ઘરમાં ડોકિયાં કરે છે. જાણે કે અજાણે જૂઠાણાં ફેલાવે છે. વર્તમાનથી ભાગવા કોઈકે કલ્પેલા ભવ્ય ઇતિહાસની સોડમાં લપાઈ જાય છે. આજે મધ્યમવર્ગના લગભગ દરેક ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે. તેઓ માત્ર અનૈતિક શૈક્ષણિક વ્યાપારના ગ્રાહક નથી, ઝેરી રાજકારણના પણ ગ્રાહક છે.

છેલ્લે ફરી એકવાર યાદ અપાવી દઉં. હજુ ૭૦ ટકા ગરીબ લોકોનાં સંતાનો તો ડિગ્રી અને નોકરીની બજારમાં આવ્યા જ નથી. એ જો માર્કેટમાં હોત તો શું થાત!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2024

Loading

30 June 2024 Vipool Kalyani
← મેળવીએ
કેન્દ્રીય સ્તરે લેવાતી પરીક્ષાઓ નૈતિકતાની એરણ પર નાપાસ થાય ત્યારે … →

Search by

Opinion

  • આપણા શ્રેષ્ઠ યોદ્ધાઓના નાયક
  • પીયૂષ પાંડેનું સૌથી મોટું યોગદાન હતું ‘મિલે સૂર મેરા તુમ્હારા’
  • પીયૂષ પાંડેઃ જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
  • આ તાકાત ચીને રાતોરાત નથી મેળવી
  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved