આપણને (હિંદુઓને) એ વાતની જાણ છે કે આપણે વિશ્વગુરુ છીએ, જ્ઞાનની ગંગોત્રી ભારત છે, પ્રાચીન યુગમાં ભારતમાં વિમાનો (પુષ્પક) ઊડતાં હતાં, ભારતમાં પ્લાસ્ટિક સર્જરી (ગણપતિ) થતી હતી, વગેરે વગેરે. વિશ્વ ભારતનું ઋણી છે. વિશ્વમાં જે કાંઈ જ્ઞાન છે એ કાં તો ભારતે વિશ્વને આપ્યું છે અથવા ભારત પાસેથી ચોરેલું છે. હિંદુ, હિંદુ સભ્યતા અને હિંદુ સંસ્કૃતિ વિના વિશ્વ અધૂરું છે. હિંદુ રાજાઓ વિષે બારોટોએ લખેલાં શૌર્યગીતોથી ભારતનું મધ્યકાલીન સાહિત્ય ઉભરાય છે. હિંદુઓની શૌર્યગાથા જગતભરમાં ગવાતી હતી એમ આપણે કહીએ છીએ. જો વિશ્વમાં કોઈ શૂરવીર પ્રજા હોય તો એ હિંદુ છે, હિંદુ છે અને હિંદુ છે.
આપણને (હિંદુઓને) એ વાતની પણ જાણ છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં મુસલમાનોએ હિંદુઓને બહુ સતાવ્યા હતા. મુસ્લિમ શાસકોએ હિંદુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે ભેદભાવ કર્યા હતા, જીજિયા વેરો વસૂલ કરવામાં આવતો હતો, તેમણે હિંદુઓનાં મંદિરો તોડ્યાં હતાં, હિંદુઓની બહેન દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવતો હતો અને અનેક હિંદુઓનું તલવારના જોરે બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું, વગેરે વગેરે. જેમ હિંદુઓ વિશેનાં શૌર્યગીતો ઉપલબ્ધ છે એમ મુસ્લિમોએ કરેલા અત્યાચારો અંગેનું હિંદુઓને ચોધાર આંસુએ રડાવતું માતમ સાહિત્ય પણ ઉપલબ્ધ છે.
પણ આપણને એ વાતની જાણ નથી કે ઈ.સ. ૭૧૨(પ્લીઝ નોટ ઈ. સ. ૭૧૨)માં મહમ્મદ બિન કાસીમે સિંધ પર હુમલો કર્યો અને હિંદુ રાજા પાસેથી સિંધ જીતી લીધું ત્યારથી લઈને ૧૯૪૭માં ભારતે લડીને (પ્લીઝ નોટ લડીને) અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી ત્યાં સુધી એટલે કે લગભગ ૧,૨૦૦ વરસમાં હિંદુ રાજાએ એક પણ વખત વિજય મેળવ્યો નથી. જો પહેલા યુદ્ધમાં વિજય મેળવ્યો છે તો બીજા યુદ્ધમાં પરાજય થયો છે. આપણને એ વાતની પણ જાણ નથી કે પરાજીત થયેલો મુસ્લિમ આક્રમક કે અંગ્રેજોની ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યાં સુધી ભારતીય હિંદુ કે મુસ્લિમ શાસકને પરાજીત ન કરે ત્યાં સુધી સગડ મૂકતા નહોતા. દાખલા તરીકે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ સામે ત્રણ વખત લડાઈ લડી હતી અને છેલ્લી લડાઈમાં વિજય મેળવ્યો હતો. આવી જ રીતે કંપનીએ હૈદર અને ટીપુ સામે પણ વારંવાર ચડાઈ કરી હતી અને અંતે વિજય મેળવ્યો હતો. આપણને એ વાતની પણ જાણ નથી કે મરાઠાઓએ અડધું હિન્દુસ્તાન જીત્યું હતું, પણ તેનાં પરનો કબજો જાળવી નહોતા શક્યા. આવી તો બીજી અઢળક વાતો છે જે આપણે જાણતા નથી.
હવે સવાલ એ છે કે પહેલી વાતની જાણ છે તો એ કોના થકી છે, બીજી વાતની જાણ છે તો એ કોના થકી છે અને ત્રીજી વાતની જાણ કેમ ખાસ નથી? કોણ ઘાટા પાડીને કે પછી કાનમાં ચોક્કસ વાત કહે છે અને કોણ ચોક્કસ વાત કહેવાનું (અને સાંભળવાનું પણ) ટાળે છે? ક્યારે ય વિચાર કર્યો છે?
પહેલી વાત હિંદુ રાષ્ટ્રવાદીઓ કહે છે અને એ પણ કોઈ પણ પ્રકારનાં પ્રમાણ આપ્યાં વિના અને જો પ્રમાણ હોય તો એમાં બાદરાયણ સબંધ જોવા મળશે. અને વળી પોરસાવું કોને ન ગમે! કહેનારાઓને ખબર છે કે પ્રજામાં એવો એક ભાગેડુ વર્ગ હોય છે જે પોતાની મહાનતા સાંભળવા માગે છે અને કાયરતા છૂપાવવા માગે છે.
બીજી વાત અંગ્રેજો કહી ગયા છે અને એ પણ ઇતિહાસ લખીને અને શાળા કોલેજોમાં ઇતિહાસ ભણાવીને. જેમ વિશ્વમાં આપણે શ્રેષ્ઠ અને મહાન હોવાની મુગ્ધતા માનવીને ગમે છે એમ બીજાએ આપેલા દુઃખના શિકાર (વિકટીમ) હોવાની પીડા પણ માનવીને ગમે છે. નજર કરો, લોકો પીડાને પણ મમળાવતા હોય છે અને એમાં તેને એક પ્રકારનાં આનંદનો અનુભવ થાય છે. અને આ એવા લોકોને વધારે ગમે જે વાસ્તવિકતાથી મોઢું ફેરવી લેનારા ભાગેડુ હોય. અંગ્રેજો આ જાણતા હતા, એટલે તેમણે એવી રીતે ઇતિહાસ લખ્યો કે હિંદુ અને મુસલમાન બન્નેને પીડાનો અનુભવ થાય અને એકબીજાને પીડા આપનાર અત્યાચારી સમજે. એટલે તો હિંદુ અને મુસલમાન બન્ને ગાંધીજીના આગમન પહેલાં એક અવાજે એકબીજાના અત્યાચારોથી મુક્ત કરાવવા માટે અંગ્રેજોનો પાડ માનતા હતા. (જોઈ જાવ સર સૈયદ મહમ્મદ ખાન અને બંકિમચંદ્ર ચેટરજી.)
પણ ત્રીજી વાત કોઈએ કહી નથી એવું તો નથી, પણ આપણને એ સાંભળવી ગમતી નથી એટલે આપણા ચિત્તમાં એ કડવું પણ ટકોરાબંધ સત્ય જગ્યા પામતું નથી. આપણે તેને જગ્યા આપતા નથી. જે લોકો આવું કડવું સત્ય કહે છે તેને દેશદ્રોહી, હિંદુવિરોધી, સેક્યુલરિસ્ટ, સામ્યવાદી, ડાબેરી (આજકાલ અર્બન નક્સલ), પાશ્ચાત્યવાદી વગેરે વગેરે તરીકે ઓળખાવીને મોઢું ફેરવી લે છે. જેમ અંગ્રેજોએ હિંદુ અને મુસલમાનોને એકબીજાના અત્યાચારી તરીકે સિફતપૂર્વક ઓળખાવ્યા હતા તેમ હિન્દુત્વવાદીઓ કે હિંદુ રાષ્ટ્રવાદીઓ સત્યથી મોઢું ફેરવીને પોઢી જવા માગતી પ્રજાના આંખમાં તેલ આંજનારા સત્યના પ્રહરીઓને ઉપર કહ્યું એ રીતે ઓળખાવે છે. એક વાર કડવું પણ નકરું સત્ય બોલનારાઓને દેશના કે હિંદુઓના દુશ્મન તરીકે સ્થાપો એ પછી લોકો તેમની વાત સાંભળશે નહીં.
લાખ રૂપિયાનો સવાલ એ છે કે મોઢું ફેરવી લેવાથી સત્ય બદલાઈ જવાનું છે? સત્યનો લોપ થવાનો છે? શા માટે બારસો વરસમાં એક પણ યુદ્ધ હિંદુ રાજવીઓ જીતી શક્યા નહીં? શા માટે એક પણ યુદ્ધ મુસ્લિમ શાસકો અંગ્રેજો સામે જીતી શક્યા નહીં? શા માટે આક્રમણકર્તાની શસ્ત્રસામગ્રી જોઇને એક પણ હિંદુ રાજવીને પ્રશ્ન ન થયો કે આ શસ્ત્રો ક્યાં બને છે, કેવી રીતે બને છે અને આપણે પણ તે વસાવવાં જોઈએ? શા માટે વારંવારના પરાજયો પછી એક પણ રાજવીને એ વાત ન સૂઝી કે આપણે આપણા લશ્કરમાં દલિતો અને બીજી છેવાડાની પ્રજાને ઉમેરીને લશ્કર વિશાળ બનાવવું જોઈએ? શા માટે મરાઠાઓને અને પેશ્વાઓને રાજ કરતા આવડ્યું નહીં અને જીતેલું ભારત ગુમાવી દીધું? કેવી રીતે મુઠ્ઠીભર અંગ્રેજો આટલે દૂર બેસીને ભારત પર રાજ કરે છે? કઈ આવડત છે તેમનામાં અને આપણે એ કઈ રીતે મેળવવી જોઈએ? શું અંગ્રેજોએ લખેલો ભારતનો ઇતિહાસ સાચો છે કે પછી તેમને માફક આવે એવો છે? શૌર્ય ગાયો છોડાવવામાં છે કે આપણી ભૂમિ છોડાવવામાં? શું કહે છે હિંદુ રાજવીઓનાં પ્રશસ્તિગાનો? ગાંધીજીએ ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજાને લડવા માટે રસ્તા પર ઊતારી તો એ કઈ રીતે ઊતારી અને એ પછી પણ તેમને સમગ્ર પ્રજાનો ટેકો કેમ સાંપડ્યો નહીં? શા માટે બહુમતી હિંદુઓએ હિંદુરાષ્ટ્રનો માર્ગ નહીં અપનાવ્યો અને સેક્યુલર ભારતની સ્થાપના કરી?
બહુ અકળાવનારા સવાલો છે, નહીં? પણ આ લખનાર જેવાઓ તમને મનભાવન કલ્પનાના કૂબામાં પોઢી જવા નહીં દે. હકીકતોથી મોઢું ફેરવી લેનારી અને પલાયનવૃત્તિ ધરાવનારી પ્રજા ક્યારે ય જગતમાં પોતાનું સ્થાન બનાવી ન શકે. ડરનારી, રડનારી અને કલ્પનાના વિશ્વમાં રાચીને પોરસાનારી પ્રજા ક્યારે ય બેપાંદડે ન થઈ શકે.
જરા વિચારો કે તમે શું કરી રહ્યા છો?
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 11 ફેબ્રુઆરી 2024