Opinion Magazine
Number of visits: 9449200
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

૧૯મી સદીમાં લખાયેલું હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન  

દીપક મહેતા|Opinion - Opinion|30 November 2023

જૂની મૂડી : ૨  

ખાસ નોંધ :- 

૧. જહાંગીરજીનો ફોટો આ પુસ્તકમાં નથી. બીજેથી મેળવીને અહીં મૂક્યો છે. બાકીનાં ચિત્રો લેખકે પોતે દોરેલાં છે અને આ પુસ્તકમાંથી જ લીધેલાં છે.

૨. ‘બુદ્ધિપ્રકાશ’માં લેખ સાથે આ ચિત્રો છપાયાં નથી. અહીં લેખ મૂકતી વખતે ઉમેર્યાં છે.

પારસી ગુજરાતી સાહિત્યના માર્ક ટ્વેન તરીકે ઓળખાતા જહાંગીર બેહરામજી મર્ઝબાન (૧૮૪૮-૧૯૨૮)ની કલમે લખાયેલા પ્રવાસ વર્ણનના પુસ્તક ‘મુંબઈથી કાશ્મીર’ને એક હાસ્યપ્રધાન પ્રવાસ વર્ણન તરીકે ઓળખાવી શકાય. આ હાસ્યપ્રધાનતાને કારણે આ પુસ્તક ૧૯મી સદીનાં જ નહિ, આજ સુધીનાં બધાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકોમાં અલાયદી ભાત પાડે છે.

ઓગણીસમી સદીમાં મુંબઈ ઇલાકામાં અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ શરૂ થયું. તેને પરિણામે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા. તેમાંના કેટલાકે અંગ્રેજી સાહિત્યની કૃતિઓને મોડેલ તરીકે નજર સામે રાખીને ગુજરાતીમાં લખવાનું શરૂ કર્યું. ગદ્યમાં આવી પહેલ કરનાર મોટે ભાગે પારસીઓ હતા. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘણાખરા ગદ્ય પ્રકારો અંગ્રેજી સાહિત્યમાંથી પ્રેરણા લઈને ૧૯મી સદીમાં લખાતા થયા. આવો એક પ્રકાર તે પ્રવાસ વર્ણન. આજે જે પ્રવાસમૂલક પુસ્તકો લખાય છે તેના કરતાં ૧૯મી સદીનાં પુસ્તકો થોડાં જૂદાં પડે છે. વીસમી સદીમાં પ્રવાસકથા અને પ્રવાસ નિબંધના પ્રકાર લલિત સાહિત્યના એક પ્રકાર તરીકે વિકસ્યા. પ્રવાસ વર્ણનના જહાજનો આ રીતે મોરો ફેરવવાનું કામ કર્યું કાકાસાહેબ કાલેલકરે.

ઓગણીસમી સદીનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો વાંચતી વખતે આપણે કેટલીક વાત યાદ રાખવી જોઈએ. ઉજળિયાત હિંદુઓમાં સાગર-ઉલ્લંઘનનો જેવો નિષેધ હતો તેવો પારસીઓમાં નહોતો. એટલે પરદેશની મુસાફરી કરવામાં તેમણે પહેલ કરી, અને તે અંગે લખવામાં પણ તેઓ પહેલા હતા. બીજું, એ વખતે આપણા દેશમાંથી ઘણા ઓછાને પરદેશ જવાની તક મળતી. એટલે ૧૯મી સદીના ઘણાખરા લેખકોનો હેતુ પોતે વિદેશમાં જે જોયું, જાણ્યું, તે અહીંના લોકોને જણાવવાનો હતો. એટલે ઘણી વાર તેઓ અંગ્રેજી પુસ્તકોનો માહિતી માટે આધાર લેતા કે સીધે સીધા તેમાંથી ઉતારા પણ આપતા. લલિત ગદ્યનું લેખન એ તેમનો ઉદ્દેશ જ નહોતો. એટલે આજના ધોરણે તેમનાં પુસ્તકોને મૂલવવાં યોગ્ય ન ગણાય.

કાવસજી સોરાબજી પટેલનું ‘ચીનનો અહેવાલ’ એ આપણી ભાષાનું પ્રવાસ વર્ણનનું પહેલું પુસ્તક. લગભગ ૯૦૦ પાનાંનું આ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયેલું. પહેલો ભાગ ૧૮૪૪માં અને બીજો ભાગ ૧૮૪૮માં. ધ્યાનપાત્ર વાત એ કે નર્મદ અને દલપતરામનાં ગદ્યનાં પુસ્તકો પ્રગટ થયાં તે પહેલાં આ પુસ્તક પ્રગટ થયેલું. આ ઉપરાંત ૧૯મી સદીમાં પ્રગટ થયેલાં પુસ્તકોમાંનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો : ગરેટ બરીટન ખાતેની મુસાફરી, ડોસાભાઈ ફરામજી કરાકા (૧૮૬૧), અમેરિકાની મુસાફરી, એક પારસી ઘરહસ્થ (૧૮૬૨), ઈંગ્લાન્ડની મુસાફરીનું વર્ણન, મહીપતરામ રૂપરામ નીલકંઠ (૧૮૬૪), ઇન્ગ્લન્ડમાં પ્રવાસ, કરસનદાસ મુલજી (૧૮૬૬), દક્ષિણ હિન્દુસ્તાનમાં મુસાફરી, દીનશાહ અરદેશર તાલેયારખાં (૧૮૭૦), ઈરાનમાં મુસાફરી, ફરામજી દીનશાજી પીટીટ (૧૮૮૨), કાશ્મીરનો પ્રવાસ અને સંવાદો, સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ (૧૮૯૨), પૃથ્વીની પ્રદક્ષિણા ભાગ ૧, હાજી સુલેમાન શાહમહમ્મદ (૧૮૯૫) અને ભરતખંડનો પ્રવાસ, શેઠ શમ્ભુપ્રસાદ બેચરદાસ લશ્કરીની નોંધ પરથી રચનાર કવિ ગિરધરલાલ હરકિસનદાસ (૧૮૯૭).

જહાંગીર બહેરામજી મર્ઝબાન

આ પુસ્તકના લેખક જહાંગીરજી એટલે ગુજરાતી પત્રકારત્વનો પાયો નાખનાર ફરદુનજી બહેરામજી મર્ઝબાનના બેટાના બેટા. વ્યવસાયે પત્રકાર. વધુ જાણીતા હાસ્ય લેખક તરીકે. ૧૮૬૯માં મેટ્રિક થયા પછી થોડો વખત મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણ્યા. ૨૫ વરસની ઉંમરે ‘રાસ્તગોફતાર’ અઠવાડિકના સબએડિટર. ત્યાર બાદ આઠ વરસ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના મદદનીશ મેનેજર. ૧૮૮૭થી ‘જામે જમશેદ’ અખબારના માલિક અને તંત્રી. તેમણે આ અખબાર ખરીદ્યું ત્યારે તેનો ફેલાવો ૨૦૦ નકલનો હતો. પોતાના અનુભવ અને કુશળતાથી થોડા જ વખતમાં તેમણે એ આંકડો ૧,૫૦૦ નકલ સુધી પહોંચાડ્યો. તેમનાં ૩૦ જેટલાં પ્રગટ થયેલાં પુસ્તકોમાં મુખ્યત્વે હાસ્ય-રમૂજનાં પુસ્તકોનો અને પારસી કુટુંબજીવનને લગતી હાસ્યપ્રધાન નવલકથાઓનો સમાવેશ થાય છે. 

આ પુસ્તકમાં પણ તેમનો ઈરાદો પ્રવાસ વર્ણનને બને તેટલી હળવી શૈલીમાં રજૂ કરવાનો છે. પ્રસ્તાવનામાં તેઓ લખે છે : (ભાષા-જોડણી મૂળ પ્રમાણે) “મારી મકસદ આ કીતાબ કાઈ મુસાફરીના અહેવાલ દાખલ લખવાની નથી. કેમ જે એવા અહેવાલના પુસ્તકો તો ઘણા મળે છે. પણ અડધું ખારું, અડધું મીઠું, અડધું ખાટું વગેરે પચરંગ મેળવણી કરી મારા મિત્ર વાચનારને હસાવતાં રમાડતાં કાશ્મીર લઈ જવાની મારી ઇચ્છા છે.” આ પુસ્તક આજે પણ હસતાં-રમતાં વાંચી શકાય એવું છે.

e.mail : deepakbmehta@gmail.com
પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”; નવેમ્બર 2023 

Loading

30 November 2023 Vipool Kalyani
← ઇઝરાયલ-પેલેસ્ટાઇન સમસ્યાનું સ્થાયી સમાધાન કિયે રસ્તે
ઘરઘાટી, ગૃહયોગી, હાઉસ હેલ્પર : ન ઉજળું નામ, વધુ કામ, કમ દામ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved