Opinion Magazine
Number of visits: 9449190
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૨) : ભરત મુનિ

Opinion - Opinion|17 November 2023

સુમન શાહ

મેં કહ્યું કે ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા છે, એમાં ઉમેરું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમગ્રમાં એ છે.

જેમ જીવવિજ્ઞાનમાં કે વિજ્ઞાન માત્રમાં પરિભાષા હોય એમ કોઈપણ શાસ્ત્રમાં પણ હોય, તેમ કાવ્યશાસ્ત્રમાં પણ હોય જ ! ઇતિ અલમ્. આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઘૂંટીએ તો પુનરાવર્તન દોષ થાય.

ભરત મુનિએ આપેલું રસસૂત્ર : વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: – વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

આમાં, ‘વિભાવાદિ’ પારિભાષિક સંજ્ઞાઓ છે. એને આત્મસા્ત કરવી એ પાયાની જરૂરિયાત છે. હું એટલે સુધી કહીશ કે એ પરિભાષાની ઉપેક્ષા કરનારને કશું હાથ આવશે નહીં, એ માત્ર ફાંફાં મારી શકશે.

હવે, કાવ્યના પ્રાગટ્યમાં જવાબદાર ૮ સ્થાયી ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, બધું મળીને ૪૯ ભાવોના સંયોગથી જ રસની નિષ્પત્તિ થાય છે; તો એ ભાવોને જાણવા જ જોઈએ. એથી કંટાળીને વિદ્યાર્થી ભાગી જાય તે સ્વાભાવિક છે, પણ, ‘આની કંઈ જરૂર નથી, વધારે પડતું છે’, એમ બકવાસ કરીને અધ્યાપક ચાતરી કે કાતરી જાય એ મૂષકવૃત્તિ છે, એ પ્રજ્ઞાપરાધ પણ છે.

રસસૂત્રમાં વધારે નૉંધપાત્ર શબ્દ બે છે, ’ભાવ’ અને ‘રસનિષ્પત્તિ’. પ્રત્યેક મનુષ્ય ભાવ કે ભાવોનો સમૂહ ધરાવે છે. પણ યાદ રહે કે રસ કે રસસમૂહ તો કાવ્ય કહેતાં, સાહિત્યમાં અને કલાઓમાં જ સંભવે છે.

ભરત સરસ કહે છે : જે અર્થ હૃદયસંવાદી હોય, હૃદયને સ્પર્શે, એનો ભાવ સૂકા લાકડામાં જેમ અગ્નિ વ્યાપી વળે છે, એમ શરીરમાં વ્યાપી વળે છે, એ ભાવ રસનો ઉદ્ગમ છે. શ્લોક છે : 

યોડર્થો હૃદયસંવાદી તસ્ય ભાવો રસોદ્ભવ: I

શરીરમ્ વ્યાપ્યતે તેન શુષ્કમ્ કાષ્ઠમિવાગ્નિનામ્ II

રસસૂત્રનો સાર એ છે કે વિભાવાદિ ભાવોનો સંયોગ થવાથી રસ નિષ્પન્ન થતો હોય છે. પણ અહીં અનેક પ્રશ્નો છે, અથવા અધ્યેતાને થવા જોઈએ : 

ભાવ એટલે શું? વિભાવ અનુભાવ કે વ્યભિચારી ભાવ એટલે શું? સંયોગાત્ એટલે શું? રસનિષ્પત્તિ એટલે શું? અથવા એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધી સંજ્ઞાઓને શાસ્ત્રકારે કેવાક સંકેતાર્થો માટે પ્રયોજી છે. પ્રશ્ન થાય તો ઉત્તરની અપેક્ષા જાગે.

A colorful person with a creative mind, exploding inner world, emotions, imagination and creative concept.

AI generated By Blackdorian

ભરતે પ્રત્યેક સંજ્ઞાની વિશદ વ્યાખ્યા કરી છે :

ભાવ : 

એ સ્મરણમાં રાખવું જરૂરી છે કે “નાટ્યશાસ્ત્ર” મુખ્યત્વે નાટ્યકલાનું શાસ્ત્ર છે તેથી ભરત લગભગ બધી ચર્ચા અભિનય વગેરે નાટક સાથે જોડાયેલી બાબતોના સંદર્ભે કરતા હોય છે.

ભાવ વિશે પહેલાં તો એમણે પોતે જ પ્રશ્નો મૂક્યા – ભાવા ઇતિ કસ્માત્? – ભાવ શાથી કહેવાય છે? કિમ્ ભાવયન્તીતિ ભાવા:? ભાવ કોને ભાવિત કરે છે? ઉત્તરમાં કહ્યું કે વાણી, અંગ અને સત્ત્વને ભાવિત કરે છે, તેથી એ ભાવ છે. અહીં, અભિનયના પ્રકાર, વાચિક આંગિક અને સાત્ત્વિકનો નિર્દેશ છે. પણ કાવ્ય અથવા સાહિત્યકૃતિમાં પણ વાણી વગેરેનો વિનિયોગ તો હોય જ છે, અને તે પણ ભાવિત તો થાય જ છે.  

વિભાવ :

વિભાવ એટલે કોઈ કાર્યનું કારણ, હેતુ, કે નિમિત્ત. વાણી, અંગ અને સત્ત્વનો આશ્રય કરનારા અનેક અર્થો વિશેષત: ભાવિત થાય છે, વિભાવિત થાય છે, તેથી એ વિભાવ કહેવાય છે.

અનુભાવ :

વાણી, અંગ તથા સત્ત્વથી અનેક પ્રકારના અર્થસંકેતો ઊભા થતા હોય છે. એનો અભિનેતાએ કરેલો અભિનય અનુભાવિત થાય છે, તેથી એ અનુભાવ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, અનુભાવ એટલે અભિનય.

વ્યભિચારી ભાવ :

ગત્યર્થવાચક ‘ચર્’ ધાતુ, ‘વિ’ અને ‘અભિ’ ઉપસર્ગ – એને કારણે ‘વ્યભિચારી’. આ એવા ભાવ છે જે આવે ખરા પણ ટકે નહીં, ચાલ્યા જાય; એટલે, એને ‘સંચારી ભાવ’ પણ કહે છે.

‘ચરન્તી’-નો એક અર્થ છે, લઈ આવવું. વ્યભિચારી ભાવો સંભાવ્ય રસને અભિમુખ થઈને વાણી, અંગ તથા સત્ત્વના મેળને તે રસ પ્રતિ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? કહ્યું કે, નક્ષત્રને કે દિવસને સૂર્ય બાહુ પકડીને કે ખભે બેસાડીને નહીં પણ સહજપણે લાવે છે, વ્યભિચારી ભાવોનું સંચરણ પણ એવું સહજ હોય છે.

મારું નમ્ર મન્તવ્ય છે કે આપણા સાહિત્યવિચારમાં વ્યભિચારી ભાવની વિશિષ્ટ પર્યેષણા નથી થઈ.

ગ્રન્થમાં, એ ૩૩ વ્યભિચારી ભાવોનો નામો સહિતનો ઉલ્લેખ છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિન્તા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ, વિ તર્ક.

દરેક ભાવ માટેનો અંગ્રેજી શબ્દ જાણવાથી એનો અર્થ વધારે સ્પષ્ટ થશે, અને દરેક ભાવની સૂક્ષ્મતાનો પણ પરિચય થશે. જોઈ શકાશે કે એ સૂક્ષ્મતા ખાતર અંગ્રેજીના અર્થચ્છાયાસૂચક બે બે શબ્દ પ્રયોજવા પડ્યા છે :

નિર્વેદ – indifference, apathy. ગ્લાનિ – fatigue, exhaustion. શંકા – doubt, suspicion. અસૂયા – jealousy, envy. મદ – pride, arrogance. શ્રમ – toil, labor.  આલસ્ય – laziness, sloth. દૈન્ય – humility, meekness. ચિન્તા – worry, anxiety. મોહ – attachment, infatuation. સ્મૃતિ – memory, recollection. ધૃતિ – courage, perseverance. વ્રીડા – anger, wrath. ચપલતા – fickleness, inconstancy. હર્ષ – joy, delight. આવેગ – excitement, agitation. જડતા – inertia, sluggishness. ગર્વ – pride, arrogance. વિષાદ – sorrow, sadness. ઔત્સુક્ય – eagerness, enthusiasm. નિદ્રા – sleep. અપસ્માર – fainting, swoon. સુપ્ત – asleep. પ્રબોધ – awakening, waking up. અમર્ષ – resentment, ill will. અવહિત્થ – distraction, agitation. ઉગ્રતા – intensity, severity. મતિ – intelligence, intellect. વ્યાધિ – illness, disease. ઉન્માદ – madness, insanity. મરણ – death. ત્રાસ – distress, anguish. વિ તર્ક – argument, debate.

મનુષ્યમાત્રને આ ૩૩ વ્યભિચારી ભાવોનો અવારનવાર અનુભવ થતો હોય છે. દિવસ દરમ્યાન એમાંનો કયો ભાવ ક્યારે પ્રગટ્યો અને ક્યારે ચાલી ગયો, એની ખબર નથી પડતી. પણ આ દરેક ભાવ વિશે ધીરજથી વિચારતાં સમજાશે કે એમાં કેટલી તો સચ્ચાઇ છે.

મનોવિજ્ઞાન અનેક મનોભાવોનો નિર્દેશ જરૂર કરે છે, પણ એમાં આટલી સૂક્ષ્મતા નથી.

વિશ્વના અપ્રતિમ અભિનેતાઓના અભિનયમાં વ્યભિચારી ભાવોની અવરજવર હમેશાં જોવા મળે છે. સામાન્યો તો સાદાંસીધાં લટકાંમટકાં કરતા હોય છે.

એક સર્જક તરીકે મારે મન આ વ્યભિચારી ભાવોનું ખૂબ મહત્ત્વ છે. સર્જકે પોતાના સર્જનમાં કરેલા સૂક્ષ્મ કામનો એથી પરચો મળે છે. સિદ્ધ-પ્રસિદ્ધ સાહિત્યકારોની સૃષ્ટિમાં એનાં નિરૂપણો અવશ્ય જોવા મળે છે. સુજ્ઞ કથાસ્વામીઓનાં પાત્રો પણ એ સૂક્ષ્મતા દાખવતાં હોય છે પણ સામાન્ય લેખકોનાં પાત્રો એટલું બધું ઝીણું નથી જીવતાં હોતાં, કેમ કે એ લેખકોએ એમને એવું જી-વ-ન નથી બક્ષ્યું હોતું; એવા લેખકોનું બધું ‘જાડું’ માત્રલેખન જ હોય છે.

એ પણ નૉંધો કે વિભાવ અને અનુભાવની તુલનામાં વ્યભિચારી ભાવો જીવનની વધારે નજીક છે. વિભાવ અનુભાવ પરત્વે કલાપરક આયોજનો કરી શકાય છે, પણ વ્યભિચારી ભાવોનાં નિરૂપણો માટે આયોજકો પાસે જીવનનું ગભીર અને ગમ્ભીર અનુભવજ્ઞાન હોવું અનિવાર્ય છે.  

(ક્રમશ:)
(11/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

17 November 2023 Vipool Kalyani
← ‘બહાદુરી અને કાયરતા બન્ને ચેપી છે !’
नीतीश कुमार का अपराध : नीतीश कुमार की माफी  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved