Opinion Magazine
Number of visits: 9449268
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘બહાદુરી અને કાયરતા બન્ને ચેપી છે !’

રમેશ સવાણી|Opinion - Opinion|17 November 2023

[ભાગ-5]

રમેશ સવાણી

ગરાસદારી પ્રથા નાબૂદ કરવાનું કામ અતિ મુશ્કેલ હતું. 15 ફેબ્રુઆરી 1948ના રોજ જામનગર ખાતે સરદાર પટેલે જંગીસભા વચ્ચે સૌરાષ્ટ્ર સરકારનું ઉદ્ઘાટન કર્યું. કાઠિયાવાડને નવું નામ મળ્યું – સૌરાષ્ટ્ર. જામ સાહેબ પ્રથમ રાજપ્રમુખ નિમાયા. તેમના નિમંત્રણથી ઉછરંગરાય ઢેબરે નવું મંત્રીમંડળ રચ્યું. તેમાં બળવંતરાય મહેતા / નાનાભાઈ ભટ્ટ / રસિકલાલ પરીખ / મનુભાઈ શાહ / જગુભાઈ પરીખ મંત્રીઓ નિમાયા. નવા રાજ્યના અનેક પ્રશ્નો હતા. જેમના રાજ્ય ગયા એવા નાના-મોટા ઠાકોરો, દરબારો, ભાયાતો અને તેમના અસંતુષ્ટ અનુયાયીઓએ નવી સરકારને રંજાડવાનું ષડયંત્ર રચ્યું. કાઁગ્રેસના કાર્યકરો / આગેવાનોની હત્યા કરવા વાઘણિયા દરબારના ડ્રાઈવર ભૂપતસિંહને છૂટ્યો દોર આપ્યો, તેણે હત્યાઓની પરંપરા રચી. વિધિની વક્રતા જૂઓ, ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજીએ, સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલ અને બળવંતરાય મહેતાની હાજરીમાં ગાંધીજીના ચરણોમાં ધરી દીધું હતું, તેમના જ નાના ભાઈ નિર્મળસિંહ, ભૂપત બહારવટિયાના સાથીદાર હતા ! જો કે ભૂપત બહારવટિયો પણ ન હતો કે રોબિનહૂડ પણ ન હતો, તેણે નિર્દોષ લોકોના નાક કાપ્યા હતા. તે સ્થાપિત હિતોનો અત્યાચારી / જુલ્મી / ક્રૂર એજન્ટ હતો. દેશમાં 565 રજવાડાઓના સીમાડા ભૂંસાયા હતા પરંતુ સૌરાષ્ટ્ર જેવી હત્યાઓ / લૂંટફાટ બીજે કોઈ જગ્યાએ થઈ ન હતી. ભૂપતને 303 રાયફલ /કાર્ટિઝ અને બીજી મદદ રજવાડાઓ તરફથી છૂપી રીતે મળતી હતી.

ભૂપતના મુખ્ય નિશાનમાં છગનભાઈ પટેલ પણ હતા. ચોગઠમાં ધાડ-લૂંટ કરીને છગનભાઈનું મનોબળ તોડવું, શક્ય બને તો ખુદ છગનભાઈને ખતમ કરવા એવી મેલીમુરાદ પાર પાડવા ભૂપતે આયોજન કરેલ. છગનભાઈને માહિતી પણ મળી હતી. નબળા તત્ત્વોના સામના માટે છગનભાઈએ યુવાનોને તૈયાર કર્યા હતા. એક દિવસ છગનભાઈએ, રાતના નવ વાગ્યે ચોગઠ ગામના દરબારી ઉતારે ગ્રામપંચાયતની સભા બોલાવી હતી. ચર્ચા વિચારણા થતી હતી ત્યાં ખબર મળ્યા કે ઉગમણે પાદર શામજીભાઈ કોશિયાને ત્યાં ધાડ પડી છે, બંદૂકોની ગોળીઓની ધાણી ફૂટે છે ! સૌ હેબતાઈ ગયા. છગનભાઈ સ્વસ્થ થયા. કોઈ પણ જાતના ગભરાટ કે થડકાટ સિવાય નિર્ણય લીધો કે કોઈએ ઘરમાં છુપાઈ રહેવાનું નથી. જેની પાસે જે હથિયાર હોય તે લઈને હાજર થઈ જવાનું છે. હું સૌની આગળ છું. અને તેમના એક બોલ ઉપર કોદાળી, ધારિયા, લાકડી, ખરપિયો લઈને સૌ હાજર થયા. ફક્ત બે જ બંદૂક અને થોડી ગોળીઓ હતી. આટલાથી ભૂપતનો સામનો કરવાનું નક્કી થયું.

સૌ પ્રથમ ભૂપત અને તેની ટોળીએ ડેલો ખોલવવા માટે વાડામાં સૂતેલા મેઘજીદાદાને સાથે લીધા અને તેમને ડેલો ખોલાવવા કહ્યું. મેઘજીદાદાએ વિચાર્યું કે હું ખડ્યું પાન છું. 80 વર્ષની ઉંમર થઈ છે. મારે જીવતા રહેવા માટે કુટુંબને શા સારું ભૂખ ભેગું કરવું? જે થવું હશે તે થશે. ટોળીની હાજરીમાં મેઘજીદાદાએ ડેલે હાથ દઈને કીધું કે ‘તમારા બાપ બહારવટિયા આવ્યા છે. ડેલું ઉઘાડશો નહીં !’ તે જ વખતે ટોળીએ મેઘજીદાદાને બંદૂક ફટકારી બેહોશ બનાવી દીધા. જમાનાના ખાધેલા મેઘજીદાદા તરત જ જમીન ઉપર પડી ગયા. શ્વાસોચ્છવાસ બંધ કર્યા. બહારવટિયાને લાગ્યું કે દાદો મરી ગયો છે. બહારવટિયા પાછલી બારીએથી ઘરમાં ઉતર્યા. લૂંટની તૈયારી કરી ત્યાં ઘર સામેના ખોરડા ઉપરથી ગામલોકોએ નળિયાનો વરસાદ શરૂ કર્યો. આજુબાજુમાંથી પણ દેકારો બોલાવ્યો. આખું ગામ ઉમટ્યું. કોઈને બહારવટિયાની બીક ન લાગી. તે જ વખતે છગનભાઈએ, દિયાળભાઈ ગોપાણી અને માવજીભાઈ પગીને ઉમરાળા પોલીસ થાણે ખબર દેવા ઘોડા ઉપર રવાના કર્યા. બહારવટિયા લૂંટનો માલ ગોતવા પેટી પટારા ફેંદતા હતા પણ કંઈ હાથ લાગતું ન હતું. શામજીભાઈ કોશિયાને પડખામાં ગોળી વાગી. બીજા માણસોએ ફરતું ફાળિયું વીંટી દીધું. સામનો શરૂ રાખ્યો. છેવટે કંઈ પણ લીધા વિના ભૂપત બહારવટિયાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. પછી મેઘજીદાદાને બેઠા કર્યા. ચોમાસું હતું. રસ્તો કાદવ-કીચડ વાળો હતો. ચાર બળદ જોડીને ધોળાથી ટ્રેન મારફતે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસને ગામમાંથી 80 કારતૂસોના ખોખાં હાથ લાગ્યા હતા. આગેવાન નિર્ભય હોય તો ગામ આખું લડવા નીકળી પડે. ગૃહમંત્રી રસિકલાલ પરીખ, નાયબ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા, રતુભાઈ અદાણી, જાદવજીભાઈ મોદી, અકબર અલી જસદણવાળા ચોગઠ આવી છગનભાઈ તથા ગામલોકોની પીઠ થાબડી. ઈનામ આપ્યા. જરૂર હોય તેમને બંદૂકના પરવાના આપ્યા !

ધારાસભ્ય છગનભાઈ પટેલને અભિનંદન આપતા ગુજરાતના પ્રથમ ગવર્નર મહેંદીનવાઝ જંગ

એક વખત, મુખ્ય મંત્રી ઢેબરભાઈના ચૂંટણી પ્રચાર માટે છગનભાઈ ગોંડલ તાલુકાના એક ગામમાં ગયા. 21 જાન્યુઆરી 1952ની રોજ, ભૂપતે ખારચિયા ગામમાં ઢેબરભાઈની ચૂંટણીસભામાં ગોળીબાર કરી એક સાથે 11 લોકોની હત્યા કરી હતી. દેશભરમાં હાહાકાર મચી ગયો. ભૂપતે સરકારનું નાક કાપ્યું હતું. તેથી સાવચેતી માટે અડધો કલાક અગાઉ ખબર આપીને ચૂંટણી સભા ભરવામાં આવતી. છગનભાઈએ સભામાં કહ્યું : “નમાલા માણસ જ બીકણ હોય. માણસે મર્દ બનીને જીવવું જોઈએ. તમે હરણ જેવા છો તેમ ખબર પડે તો તમને કોઈ ઊભું જ ન રહેવા દે. સિંહની જેમ ત્રાડ નાખો તો બધા જ છેટે રહેશે. બહાદુરી અને કાયરતા બંને ચેપી છે. એક જણ મર્દ બનીને અડગ ઊભો રહેશે તો તરત જ તેની પાસે બીજો ઊભો જ રહેશે, પણ 51માંથી એક ભાગ્યો તો પાછળ રહેલા 50માં એક પણ ઊભો ન રહે. માટે નમાલા અને બીકણ બનીને જીવવાનું છોડી દેજો !” આમ જુસ્સાપૂર્વકનું પ્રવચન ચાલતું હતું એવામાં બે જીપ ભરીને ખાખી કપડાવાળા માણસો આવ્યા. લાઈટ બંધ કરી. ‘ભૂપત આવ્યો, ભૂપત આવ્યો. ભાગો ભાગો !’ એવી હવા ઊભી થઈ. કેટલાંક ભાગ્યા. છગનભાઈએ એક પળમાં નિર્ણય કર્યો કે અહીંથી એક ડગલું પણ હટવું નહીં. છગનભાઈએ પ્રવચન ચાલુ રાખ્યું : “ભૂપત આવ્યો હશે તો તે મારા માથા માટે આવ્યો હશે, તમારે બિલકુલ ગભરાઈને ભાગવાનું નથી. ભૂપતની ગોળી મારા લોહીની તરસી હોય તો ભલે ચલાવે. આઝાદી માટે નવ લોહિયાના બલિદાન દેવાયા છે. મારી પણ ભલે પ્રાણની આહુતિ અપાય.” પરંતુ ત્યાં જ ભાંડો ફૂટ્યો. આવનાર ટોળી ભૂપતની નહીં પણ બીજા પક્ષના ખાટસવાદિયા માણસોએ રચેલી ટોળી હતી ! છગનભાઈને ડરાવવા માટેનું કારસ્તાન હતું. પછી તો તેમને પકડી, બંને જીપને રાજકોટ લઈ જઈ પોલીસને સોંપી દીધાં. ભૂપત બહારવટિયો અને તેમના આશ્રયદાતા રાજાઓ અને ગરાસદારોનું એક માત્ર લક્ષ્ય ખેડૂત આગેવાનોને વીણી વીણીને હત્યા કરવાનું રહ્યું. કંઈકના માથાં કપાયાં, કંઈકને જમવામાં ઝેર પીરસાયાં, કંઈકના નાક કપાયા, આવા કપરા સમયે છગનભાઈ અને તેમના સાથીઓ અણનમ રહ્યા. ગરાસદાર સામે મળે, તેમના બાળકો સામે મળે, રસ્તામાં પણ ચંપલ કાઢીને પાઘડી ઊતારી માથું નમાવવું પડતું. પણ છગનભાઈ અને તેમના સાથીઓની માથાં પરની પાઘડીઓ અને તેમના માથા અણનમ રહ્યાં.

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

17 November 2023 Vipool Kalyani
← દેશની પ્રથમ ઘટના : લોકશાહી જીવનમાં પ્રાણ પૂર્યા !
ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૨) : ભરત મુનિ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved