Opinion Magazine
Number of visits: 9446892
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખનાર : અવંતિકાબાઈ ગોખલે

ટીના દોશી|Gandhiana, Opinion - Opinion|21 October 2023

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પ્રથમ ક્રમાંકે જેની ગણના થાય છે, એવા ચંપારણ સત્યાગ્રહમાં એ સહભાગી થયેલાં, મહાત્મા ગાંધીજીનાં પ્રથમ ભારતીય પટ્ટશિષ્યા બનેલાં અને ગાંધીજીનું પહેલું ચરિત્ર પણ એમણે જ લખેલું …. ઓળખ્યાં એમને?

અવન્તિકાબાઈ ગોખલે

એમનું નામ અવંતિકાબાઈ ગોખલે. મરાઠીભાષી સ્વતંત્રતા સેનાની. નિઃસ્પૃહી, સ્પષ્ટવકતા અને અનુશાસનપ્રિય સેનાની તરીકે આઝાદી આંદોલનમાં જાણીતાં થયાં. એમનાં પ્રયત્નોને પરિણામે મુંબઈમાં સેંકડો સ્ત્રીઓ મીઠાના સત્યાગ્રહમાં સામેલ થયેલી. સ્ત્રીઓના વ્યક્તિત્વ વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ‘હિંદ મહિલા સમાજ’ની સ્થાપના એમણે કરેલી. મિલમાં કામ કરતી મજૂર સ્ત્રીઓનાં બાળકો માટે એમણે દેશમાં પ્રથમ ઘોડિયાઘર શરૂ કરેલું.

અવંતિકાબાઈ ગોખલેનો જન્મ ૧૮૮૨માં ઈન્દોરમાં થયો. પિતા વિષ્ણુપંત જોશી ઈન્દોરમાં રેલવેના પ્રામાણિક કર્મચારી હતા. એ સમયમાં કન્યાશિક્ષણનું પ્રચલન ન હોવાને કારણે પિતાએ અવંતિકાને ભણાવ્યાં નહોતાં. વળી પુરાણી પરંપરાઓને વળગી રહીને એમણે અવંતિકાને નવ વર્ષની વયે બબનરાવ ગોખલે સાથે પરણાવી દીધાં. બબનરાવના ઘરમાં સુધારક વિચારોનું ચલણ હતું. એથી નિરક્ષર અવંતિકાને એમનાં સાસુએ કામચલાઉ મરાઠી ભણાવી દીધી. પરંતુ કેટલાંક વર્ષો બાદ બબનરાવ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા વિલાયત ગયા, ત્યારે તેમણે ચીમકી આપી કે, મારા વિદેશ પ્રવાસ દરમિયાન અવંતિકા અંગ્રેજી નહીં શીખી લે તો હું કોઈ પરદેશી મેમ સાથે વિવાહ કરીને એને ઘેર લઈ આવીશ. … અવંતિકા ગભરાઈ ગયાં. ડરના માર્યા એકાદબે વર્ષમાં જ અંગ્રેજી ભાષા શીખી ગયાં.

દરમિયાન બબનરાવ વિલાયતમાં સાત વર્ષ રહીને, ભણીને અને કામનો અનુભવ મેળવીને ભારત પાછા ફર્યા. એક યાંત્રિક દુર્ઘટનામાં આંગળીઓ સહિત હાથનાં પંજા કપાઈ ગયા. ભવિષ્યનો વિચાર કરીને બબનરાવે અવંતિકાને નર્સિંગનું શિક્ષણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપી. એક વર્ષ સુધી તાલીમ લીધા બાદ અવંતિકાબાઈએ પરીક્ષા આપી. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયાં. ઘરની આર્થિક સ્થિતિ સમૃદ્ધ હોવાથી પરિચારિકા તરીકે નોકરી એમણે ન કરી, પરંતુ રોગીઓની સુશ્રુષા કરવામાં પાછું વળીને ન જોયું. આ અરસામાં બબનરાવે દીવાસળીનું કારખાનું નાખ્યું. ભારતમાં હજુ સ્વદેશી આંદોલન શરૂ થયું નહોતું. નાનીમોટી સાધનસામગ્રી વિદેશથી તૈયાર થઈને આવતી. બબનરાવ દેશમાં જ ઉત્પાદન કરીને સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના પક્ષે હતા. એક વાર ડાયનામાઈટનો વિસ્ફોટ કરીને પ્રયોગ કરી રહ્યા હતા, ત્યારે એમનો હાથ બૂરી રીતે ઘવાયો. અવંતિકાબાઈએ તરત જ પોતાની સાડી ચીરીને પતિના જખમ પર પાટો વીંટી દીધો. લોહી નીકળવાનું બંધ થયું. પછી ડૉક્ટર પાસે લઈ ગઈ. પતિની શસ્ત્રક્રિયામાં ડૉક્ટરની મદદ કરી. બબનરાવના પંજા તો કપાયેલા હતા જ, જમણો હાથ પણ કલાઈથી છૂટો થઈ ગયેલો. બબનરાવને ઓશિયાળા હોવાનું અનુભવાયું. અવંતિકાબાઈએ સ્નેહ નીતરતા સાદે કહ્યુંઃ “તમારી આંગળીઓ કપાઈ ગઈ છે તો શું થયું? મારી તો દસેય આંગળીઓ સલામત છે. હું છું ત્યાં સુધી તમારા સુધી કોઈ તકલીફ પહોંચી નહીં શકે.”

અવંતિકાબાઈએ બબનરાવને કોઈ મુશ્કેલી ન પડે તેની ખાસ ચીવટ રાખી. દરમિયાન ૧૯૧૩માં ઈચલકરંજીનાં રાણી સાથે ઇંગ્લેન્ડ જવાનો અવસર મળ્યો. ત્યાં પ્રતિષ્ઠિત ઘરની મહિલાઓને સામાજિક કાર્યો કરતી જોઈને અવંતિકાબાઈને પ્રેરણા મળી. ભારત પાછા ફરીને એ સમાજસેવામાં પરોવાયાં. ભારત સેવક સમિતિના કાર્યકર્તા દેવધરના માર્ગદર્શનમાં મુંબઈની પ્રખ્યાત સંસ્થા સેવાસદનમાં કાર્યરત થયાં.

આ ગાળામાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફર્યા. એ હજુ મહાત્મા તો નહોતા બન્યા, પણ એમનાં કાર્યોને પગલે ગાંધીના નામનો ડંકો વાગેલો. અવંતિકાબાઈએ ગાંધીજીનું નામ સાંભળેલું. પણ સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન શ્રીનિવાસ શાસ્ત્રીએ ગાંધીજીનો પરિચય ગોખલે દંપતી સાથે કરાવ્યો. ગાંધીજી હીરાની પરખ કરી જાણનારા કુશળ ઝવેરી હતા. અવંતિકાબાઈની શક્તિ પિછાણી. અવંતિકા પણ પહેલી નજરે જ ગાંધીજીથી પ્રભાવિત થયાં.

માળામાં એક પછી એક મણકા પરોવતા જાય એમ પ્રસંગોના અંકોડા સાંકળ બનીને ગોઠવાતા ગયા. પરિણામે ગાંધીજીના નેતૃત્વમાં બિહારમાં આઝાદી આંદોલનનો સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ થયો. અવંતિકાબાઈ સત્યાગ્રહી બન્યાં. ગાંધીજીના શબ્દોમાં કહીએ તો, ચંપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં. પોતાની જ જમીનના ત્રણ વિશાંશ ભાગમાં ચંપારણના ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકોને સારુ કરવા કાયદેથી બંધાયેલા હતા. આનું નામ તીનકઠિયા કહેવાતું હતું. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ. ગળીની ખેતીને કારણે જમીન ખરાબ થતી. ખેડૂતોની દુર્દશા થતી.

ચંપારણના એક ખેડૂત રાજકુમાર શુક્લના પ્રેમભર્યા આગ્રહથી ગાંધીજી ત્યાંના ખેડૂતોની દયનીય પરિસ્થિતિની જાતતપાસ માટે ગયેલા. એમને લાગ્યું કે ચંપારણમાં બરોબર કામ કરવું હોય તો ગામડાંમાં કેળવણીનો પ્રવેશ થવો જોઈએ. લોકોનું અજ્ઞાન દયાજનક હતું. ગામડાંનાં છોકરાં રખડતાં હતાં. અથવા માબાપો તેમને દિવસના બે કે ત્રણ પૈસા મળે તેટલા સારુ આખો દહાડો ગળીનાં ખેતરોમાં મજૂરી કરાવતાં. આ સમયે પુરુષોની મજૂરી દસ પૈસા કરતાં વધારે નહોતી. સ્ત્રીઓની છ પૈસા અને બાળકોની ત્રણ, ચાર આનાની મજૂરી મળે તે ખેડૂત ભાગ્યશાળી ગણાય.

ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યનાં પ્રયોગો’માં ચંપારણ સત્યાગ્રહની ભૂમિકા બાંધતાં નોંધ્યું છે કે, “સાથીઓ સાથે ઠરાવ કરી છ ગામડાંમાં પ્રથમ તો બાળકોને સારુ નિશાળ ખોલવાનો ઠરાવ થયો. શરત એવી હતી કે, તે તે ગામડાંનાં આગેવાનોએ મકાન અને શિક્ષકનું ખાવાનું આપવું, તેનું બીજું ખર્ચ અમારે પૂરું પાડવું. અહીંનાં ગામડામાં પૈસાની છોળ નહોતી, પણ અનાજ વગેરે પૂરું પાડવાની લોકોની શક્તિ હતી, એટલે લોકો કાચું અનાજ આપવા તૈયાર થઈ ગયા હતા. શિક્ષકો ક્યાંથી લાવવા એ મહાપ્રશ્ન હતો. મારી કલ્પના એ હતી કે, સામાન્ય શિક્ષકના હાથમાં બાળકો ન જ મુકાય; શિક્ષકને અક્ષરજ્ઞાન ભલે ઓછું હોય, પણ તેનામાં ચારિત્રબળ જોઈએ.’’

આ કામને સારુ ગાંધીજીએ સ્વયંસેવકોની જાહેર માગણી કરી. અવંતિકાબાઈ ગોખલેને તેડું મોકલ્યું. મુંબઈનાં સુશિક્ષિત, સભ્ય સમાજનાં હતાં. આલીશાન ઘરમાં રહેતાં. વીજળી અને ગેસની સુવિધા એમને ઉપલબ્ધ હતી. પરંતુ બિહારમાં જે ગામમાં રહેવાનું હતું ત્યાં ફાનસની સગવડ મેળવવી પણ અઘરું હતું. છતાં ગાંધીજીનો આદેશ થતાં જ બબનરાવ અને અવંતિકાબાઈ મુંબઈથી ચંપારણ જવા નીકળી પડ્યા. પતિપત્ની હંમેશાં રેલમાં બીજા વર્ગમાં પ્રવાસ કરતાં, પણ ગાંધીજીના આદેશથી બિહાર જઈ રહ્યાં હોવાથી ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને ચંપારણ પહોંચ્યાં. ગાંધીજીએ પુત્ર દેવદાસને ગોખલે બેલડીને સ્ટેશને તેડવા માટે મોકલ્યો ત્યારે કહ્યું : “અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે તો જ એમને અહીં રાખીશ, નહીંતર મુંબઈ ભેગાં કરી દઈશ.” પણ દેવદાસ રેલવેના બીજા વર્ગમાં તપાસ કરીને ખાલી હાથે પાછો આવ્યો. ગાંધીજીને કહ્યું, “અવંતિકાબાઈ તો આ ગાડીમાં આવ્યાં નથી.” ત્યાં સુધીમાં અવંતિકાબાઈ તો ગાંધીજી પાસે પહોંચી ગયેલાં. ગાંધીજી કહે, “મેં તો પહેલાં જ કહેલું કે અવંતિકાબાઈ ત્રીજા વર્ગમાં આવશે.”

અવંતિકાબાઈ ઉપરાંત દક્ષિણથી આનંદીબાઈ આવ્યાં. મહાદેવ દેસાઈનાં પત્ની દુર્ગાબહેન તથા નરહરિ પરીખનાં પત્ની મણિબહેન પણ આવ્યાં. કસ્તૂરબાઈ આવી ગયાં. આટલો શિક્ષકો અને શિક્ષિકાઓનો સંઘ પૂરતો હતો. ગાંધીજીએ નોંધ્યું છે કે, ‘બહેનોને સમજાવી કે તેમણે છોકરાંને વ્યાકરણ નહીં પણ રીતભાત શીખવવાની છે, વાંચતાંલખતાં કરતાં તેમને સ્વચ્છતાના નિયમો શીખવવાના છે. હિંદી, ગુજરાતી, મરાઠી વચ્ચે મોટો ભેદ નથી એ પણ તેમને બતાવ્યું, ને પહેલાં વર્ગમાં તો માંડ આંકડાઓ માંડતાં શીખવવાનું હોય એટલે મુશ્કેલી ન જ આવે. પરિણામ એ આવ્યું કે, બહેનોના વર્ગ બહુ સરસ રીતે ચાલ્યા. બહેનોને આત્મવિશ્વાસ આવ્યો ને તેમને પોતાના કામમાં રસ પણ આવ્યો. અવંતિકાબાઈની શાળા આદર્શશાળા બની. તેમણે પોતાની શાળામાં પ્રાણ રેડ્યો. તેમની આવડત પણ પુષ્કળ હતી.

સ્વયં ગાંધીજીએ અવંતિકાબાઈની પ્રશંસા કરવી પડે એવું અદ્દભુત કામ એમણે કરી બતાડેલું. પણ એનાથીયે મોટું કામ એમણે એ કર્યું કે ગાંધીજીનું પ્રથમ ચરિત્ર લખ્યું. ચંપારણમાં મહાત્મા ગાંધીના માર્ગદર્શનમાં સ્વયંસેવિકાઓને કામ કરતી જોઈને અવંતિકાબાઈને ગાંધીજીનું ચરિત્ર લખવાનો વિચાર આવ્યો. મનમાં થયું કે આટલા મહાન મહાત્માના ચરિત્રને અક્ષરદેહે કંડારવાનું કામ મારા જેવી અલ્પમતિ સ્ત્રી કરે એ તો નાના મોંએ મોટી વાત કરવા જેવું થાય. પણ પછી વિચાર્યું કે જે રીતે પ્રભુનાં ગુણગાન કરવાનો અધિકાર સહુને છે, એ રીતે મહાત્માના ગુણોની ભક્તિ કરવાનો અધિકાર સૌને એક સમાન છે. આ ભાવનાથી પ્રેરાઈને અવંતિકાબાઈએ ભગીરથ કામ હાથ ધર્યું. ૧૯૧૮માં અવંતિકાબાઈ ગોખલે લિખિત ‘મહાત્મા ગાંધી યાંચે ચરિત્ર-વિશેષ પરિચય, લેખ વ વ્યાખ્યાન’ શીર્ષક સાથે ગાંધીજીનું સર્વપ્રથમ ચરિત્ર મરાઠી ભાષામાં પ્રકાશિત થયું. પ્રસ્તાવનામાં લોકમાન્ય ટિળકે સાચું જ કહ્યું છે કે, ભવિષ્યના ચરિત્રલેખકો માટે આ પુસ્તક દિશાદર્શકનું કામ કરશે!

મહાત્મા ગાંધીજીના મૃત્યુ પછી બે જ મહિનામાં ૨૫ માર્ચ ૧૯૪૮ના ગાંધીજીનાં પટ્ટશિષ્યા એવાં અવંતિકાબાઈનું નિધન થયું. પરંતુ આજે પણ ગાંધીજી વિશેનું એમનું પુસ્તક જીવનચરિત્રના લેખકો માટે સાચા અર્થમાં દિશાદર્શક બની રહ્યું છે!

સૌજન્ય : “કોડિયું”; ઑક્ટોબર 2023; પૃ. 99-101
મુદ્રાંકન સૌજન્ય : વલ્લભભાઈ નાંઢા તેમ જ કેતનભાઈ રુપેરા

Loading

21 October 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—219
સ્પેશ્યલ મેરેજ એક્ટ મુજબના અધિકાર સર્વોચ્ચ અદાલતે સમલિંગીઓને આપવા જોઈતા હતા →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved