મેં પાંચ સ્વપ્ન જોયાં છે. પહેલું સ્વપ્ન છે ક્રાંતિ દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. બીજું સ્વપ્ન છે કે એશિયાની પ્રજાઓ જાગે, સ્વતંત્ર થાય અને માનવ સંસ્કૃતિના વિકાસમાં મહાન યોગદાન આપતી થાય. ત્રીજું સ્વપ્ન છે એક રાષ્ટ્રસંઘ, જેના દ્વારા માનવજાતિને વધુ સુંદર, વધું ઉજ્જ્વળ અને વધુ ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન છે ભારત જગતને આધ્યાત્મિક ભેટ આપવા માટે સક્ષમ બને અને છેલ્લું સ્વપ્ન એ છે કે માનવ એક નવી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરે, એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામે.
— મહર્ષિ અરવિંદ
‘મારા જીવન વિશે કોઈ લખી શકે એમ નથી, કારણ કે તે માણસો જોઈ શકે એવું સપાટી પરનું નથી.’ આ શબ્દો છે મહર્ષિ અરવિંદના. એમની હયાતીમાં એમનું જીવનચરિત્ર લખવાના પ્રયત્ન શરૂ થયાનું જાણમાં આવતાં તેમણે આ શબ્દો કહ્યા હતા. એમણે એમ પણ કહ્યું કે ‘માણસના આધ્યાત્મિક જીવનમાં એણે બાહ્ય શું કામ કર્યું એ અગત્યનું નથી. યોગીનું આંતરજીવન ઘણું વિશાળ અને અનેકદેશીય હોય છે, અને એમાં અર્થસભર વસ્તુઓનો સંભાર એટલો વિપુલ હોય છે કે કોઈ ચરિત્રલેખક એને વિશે લખવાની આશા રાખી શકે નહીં.’
વાત સાચી છે. મહર્ષિ અરવિંદ વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની પરંપરામાં બેસતી વિભૂતિ છે. તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક હતા, ક્રાંતિકારી રાજનેતા હતા, સાહિત્યમર્મજ્ઞ, સર્જક, મીમાંસક, ફિલસૂફ, ભાષ્યકાર અને અનુવાદક પણ હતા. પણ આ સૌ ઉપરાંત તેઓ મહાન યોગી અને દૃષ્ટા હતા. તેમનું સાહિત્ય પણ એ ઊર્ધ્વ ચેતનામાંથી સર્જાયું છે.
મહર્ષિ અરવિંદનો જન્મદિન 15 ઑગસ્ટે આવે છે, આપણો સ્વાતંત્ર્યદિન પણ એ જ દિવસે છે. શ્રીમાતાજીએ કહ્યું છે, ‘૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિવસે મહર્ષિ અરવિંદે આપેલો સંદેશ ફરી ફરીને વંચાતો રહે અને તેનું રહસ્ય તેમના કરોડો દેશબાંધવોને સમજાવાતું રહે એ ખૂબ જરૂરનું છે. ભારતને એમની દૃઢ પ્રતીતિની અને શ્રદ્ધાની ઘણી જ જરૂર છે.’
આ સંદેશનો સાર કંઈક આવો છે :
‘ઑગસ્ટ ૧૫, ૧૯૪૭ એ સ્વતંત્ર ભારતનો જન્મદિવસ છે. ૧૫ ઑગસ્ટ એ મારો પોતાનો જન્મદિવસ છે. એ દિવસ આવું મહાન ગૌરવ ધારણ કરે એ પણ મારા માટે સ્વાભાવિક રીતે ઘણી આનંદમય ઘટના છે. આ સુયોગને હું કેવળ એક અકસ્માત તરીકે જ નથી જોતો. હું જોઉં છું કે મારા જીવનના આરંભકાળથી મેં જે કાર્ય હાથ ધર્યું છે, તેના પર દિવ્ય શક્તિએ આ સુયોગ દ્વારા પોતાની મહોર મારી આપી છે.
‘મેં પાંચ સ્વપ્ન જોયાં છે. પહેલું સ્વપ્ન છે ક્રાંતિકારી આંદોલન દ્વારા સ્વતંત્ર અને સંગઠિત ભારતનું સર્જન કરવું. બીજું સ્વપ્ન છે એશિયાની પ્રજાઓની જાગૃતિનું – તેમની સ્વતંત્રતાનું, માનવ સંસ્કૃતિના વિકાસમાં એશિયાએ જે મહાન ભાગ ભજવવાનો છે તે એ ભજવતું થાય તેનું. ત્રીજું સ્વપ્ન છે એક રાષ્ટ્રસંઘ, જેના દ્વારા માનજાતિને વધુ સુંદર, વધું ઉજ્જ્વળ અને વધુ ઉત્તમ જીવન જીવવા માટે એક બાહ્ય ભૂમિકા પ્રાપ્ત થાય. ચોથું સ્વપ્ન છે ભારત જગતને આધ્યાત્મિક ભેટ અપવા માટે સક્ષમ બને અને છેલ્લું સ્વપ્ન એ છે કે માનવ એક નવી ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરે, એક વધુ ઉચ્ચ અને વિશાળ ચેતનાની અંદર આરોહણ પામે.
‘ભારતની સ્વતંત્રતાના આજના દિવસનું રહસ્ય હું આ રીતે જોઉં છું. આ આશા સફળ થશે કે નહીં અથવા કેટલી સફળ થશે એનો આધાર હવેના સ્વતંત્ર અને નૂતન ભારત પર રહે છે.’
એમના પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા. પિતા સિવિલ સર્જન હતા. 1879માં પિતા ત્રણે પુત્રોને ઈંગ્લૅન્ડ લઈ ગયા, ડ્ર્યુએટ કુટુંબમાં મૂક્યા અને સ્પષ્ટ સૂચના આપી કે તેમનો ઉછેર અંગ્રેજી ઢબે થવો જોઈએ અને તેમના પર કોઈ ધાર્મિક સંસ્કાર પડવા ન જોઈએ. મૅટ્રિક્યુલેશન પછી કેમ્બ્રિજમાં હતા ત્યારે ‘ઇન્ડિયન મજલિસ’ નામના વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતને સ્વતંત્ર કરવાની જોરદાર હિમાયત કરતાં ભાષણો કર્યાં. ઇન્ડિયન સિવિલ સર્વિસની છેલ્લી પરીક્ષા પસાર કરી, પણ આઈ.સી.એસ.ની ડિગ્રી લીધી નહીં. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્યાં આવેલા. તેમણે ત્યાં જ એમને વડોદરા રાજ્યમાં ગોઠવી દીધા. 1893માં 13 વર્ષના ઇંગ્લેન્ડવાસ પછી ભારતીય ભૂમિ ઉપર પગ મૂક્યો તેવી જ એક વિશાળ શાંતિ તેમના પર ઊતરી આવી. આ આધ્યાત્મિક શાંતિ મહિનાઓ સુધી રહી.
વડોદરા રાજ્યમાં શ્રીઅરવિંદે મહેસૂલ ખાતામાં, મહારાજાના રહસ્યમંત્રી તરીકે, અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક તરીકે એમ વિવિધ કામગીરીઓ સંભાળી. 1901માં મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા. અંગ્રેજીમાં લખેલા કાવ્યોનો એક સંગ્રહ આ ગાળામાં પ્રગટ થયેલો. વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી યોગ શીખ્યા. બંગભંગની લડત વખતે બંગાળના ક્રાન્તિકારીઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા. ‘યુગાન્તર’ અને ‘વન્દે માતરમ્’ના ક્રાન્તિકારી લખાણો પછી સરકારે એમની ધરપકડ કરી. જામીન પર છૂટ્યા પછી બંગાળની નૅશનલ પાર્ટીના નેતા તરીકે મુંબઈ, નાશિક, નાગપુર વગેરે સ્થળોએ જાહેર ભાષણો આપ્યાં. 1908માં તેમના પર અલીપુર બૉમ્બ કેસ થયો અને 1909માં તેમને અલીપુરની જેલમાં મોકલાયા.
આ જેલવાસ ખૂબ મહત્ત્વનો નીવડ્યો. અહીં તેમને પ્રભુએ તેમને પોતાના સાધન તરીકે પસંદ કર્યા છે હવે તેમણે એનું કામ કરવાનું છે એવો આધ્યાત્મિક અનુભવ થયો. તેમણે જેલમાં જ ગીતાનું મનન કર્યું અને ગીતા પર નિબંધો લખ્યાં. રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાની જાહેરાત કરી. 1914માં ‘આર્ય’ શરૂ કર્યું. તેમનાં ‘ધ લાઇફ ડિવાઇન’, ‘ધ સિન્થેસિસ ઑફ યોગ’, ધ આઇડિયલ ઑફ હ્યૂમન યુનિટી’, ‘ધ હ્યૂમન સાઇકલ’, ‘ધ ફ્યૂચર પોએટ્રી’ વગેરે પુસ્તકોનાં લખાણો સૌ પ્રથમ ‘આર્ય’માં હપ્તાવાર છપાયાં હતાં.
આ જ વર્ષે શ્રીમાતાજી શ્રીઅરવિંદને પ્રથમ વાર પોંડીચેરીમાં મળ્યાં. 1920 પછી શ્રીમાતાજી પોણ્ડિચેરી જ રહ્યાં. 1926માં શ્રીઅરવિંદમાં અધિમનસનું અવતરણ થયું. હવે તેઓ સાધના માટે સંપૂર્ણપણે નિવૃત્ત થયા. વરસમાં ચાર દિવસ જ દર્શન આપતા. આશ્રમનો હવાલો શ્રીમાતાજી સંભાળતાં. 1950ના ડિસેમ્બરની 5મીએ શ્રીઅરવિંદે સમાધિ લીધી.
શ્રીઅરવિંદનું જીવનદર્શન તેમની વિચારણામાં, તેમના યોગમાં અને તેમની કવિતામાં પ્રગટ થયું છે. ‘ધ લાઇફ ડિવાઇન’માં તેઓ કહે છે : ‘અતિમાનવતા એટલે સામાન્ય માનવતાની રેખાને વટાવી ચેતનાનું નવું પ્રસ્થાન સાધવું એમ નહીં, પરંતુ માનવચેતના કાયમ રાખીને એમાં શક્તિની માત્રાનો પ્રચુર વધારો કરવો એ છે.’ શ્રીઅરવિંદનો અતિમાનવ એ સાત્ત્વિક તેજથી ભર્યો ભર્યો લોકહિતકારી અતિમાનવ છે. શ્રીઅરવિંદનો પૂર્ણયોગ એ પ્રકૃતિ સમેત સમગ્ર માનવચેતનાને દિવ્યતામાં પહોંચાડનારી પ્રક્રિયા છે.
તેમના મનસ (માઈન્ડ), અધિમનસ (ઓવરમાઈન્ડ) અને અતિમનસ(સુપરમાઈન્ડ)નાં સોપાનો સમજવા જેવાં છે. તેમનાં આ વચનો યાદ રાખવા જેવાં છે, ‘ભૂતકાળમાં જ્યારે જ્યારે આધ્યાત્મિકતાની કોઈ મોટી ભરતી ચડી આવેલી છે ત્યારે ત્યારે તેના પરિણામ રૂપે સામાન્ય રીતે કોઈ એક ખાસ પ્રકારનો નવો ધર્મ ઉદય પામેલો છે. આવો નવો ધર્મ પછી આખી માનવજાતિ ઉપર પોતાને સ્થાપિત કરવાનો પ્રયત્ન આદરે છે; પરંતુ આધ્યાત્મિક ભરતીઓનું આવું પરિણામ અકાળે આવેલું તેમ જ ખોટું હોય છે અને એવા પરિણામે કોઈ ગહન અને ગંભીર વસ્તુને સિદ્ધ કરવાને બદલે ઊલટી એની સિદ્ધિને અટકાવેલી હોય છે … આત્માનો સ્વભાવ તો એક વિશાળ આંતરમુક્તિનો અને વિશાળ એકતાનો બનેલો છે.’
ગદ્યમાં ‘લાઇફ ડિવાઇન’ અને પદ્યમાં ‘સાવિત્રી’ અરવિંદદર્શનના સર્વોત્તમ આવિષ્કાર ગણાય છે. ‘સાવિત્રી’નો મુખ્ય વિષય છે મૃત્યુ ઉપરનો વિજય – ‘માણસ મૃત્યુંજયી ત્યારે બને જ્યારે તે બધી જ સીમિત માન્યતાઓ-પરંપરાઓ, ક્ષુદ્રતાઓ, કુસંસ્કારોનો ત્યાગ કરી પોતાને શુદ્ધ, પવિત્ર અને દિવ્ય બનાવે. એમ થશે ત્યારે જ તે પોતાની પ્રાપ્તિ અને અભિવ્યક્તિના શિખરે પહોંચશે.’
તેમનો શિક્ષણવિચાર બાળક-કેન્દ્રી છે. વિષયશિક્ષણ જેટલું જ મહત્ત્વ એમણે કલાઓ અને કૌશલ્યોને આપ્યું છે. કહે છે, ‘વ્યક્તિનો સૃષ્ટિ સાથે નાતો બંધાવો જોઈએ. શિક્ષણ અનુભવ દ્વારા અપાતું અને સ્વતંત્ર વાતાવરણ દ્વારા સ્વપ્રયત્ને શીખવા દેતું હોવું જોઈએ, માતૃભાષામાં જ હોવું જોઈએ અને તેનો ઉદ્દેશ વ્યક્તિ પોતાના આંતરબાહ્યને પ્રકાશિત કરે એ જ હોવો જોઈએ. શિક્ષકની ભૂમિકા સહાયક, માર્ગદર્શક અને મિત્રની છે.’
ગુરુદેવ ટાગોરે શ્રીઅરવિંદને મળ્યા પછી લખ્યું, ‘પાછો વળ્યો ત્યારે અહંકાર રડી પડ્યો, પણ અંતરમાં બેઠેલો કવિ શાંત સ્મિતમાં સમાધિસ્થ હતો.’
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 ઑગસ્ટ 2023