Opinion Magazine
Number of visits: 9448907
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—214

દીપક મહેતા|Opinion - Opinion|16 September 2023

ચાલીસ વરસ ચીનમાં રહેનાર રતનજી વાછાએ લખ્યો મુંબઈ વિષે ૮00 પાનાંનો ગ્રંથ   

બનાજી લીમજી અગિયારી : મુંબઈની જૂનામાં જૂની અગિયારી

સ્થળ : કોટ વિસ્તારમાં બનાજી સ્ટ્રીટ પર આવેલી બનાજી લીમજી અગિયારી.

પાત્રો : રતનજી ફરામજી વાછા (૭૮ વરસની ઉંમરે બેહસ્તનશીન થયા, ૨૨ ઓગસ્ટ ૧૮૯૩) અને આપનો નાચીઝ દી.મ. 

બનાજી લીમજી અગિયારી

દી.મ. : પધારો વાછાશેઠ. બનાજી લીમજી અગિયારીના ઓટલે આપને આવકારું છું. પણ મને એક સવાલ થાય છે, મળવા માટે આપે આ જગ્યા કેમ પસંદ કરી?

વાછા શેઠ : કારણ એ કે આય બનાજી લીમજી અગિયારી તે મુંબઈ શહેરની જૂનામાં જૂની અગિયારી છે. છેક ઈ.સ. ૧૭૦૯ના ડિસેમ્બરની ૧૫મી તારીખે બનાજી શેઠે પોતે બંધાવેલી આ અગિયારી પોતે જ પરઠાવી હતી. તેની બાજુમાં ૮૪ ઝાડવાળી એક વાડી હુતી. તેની માલેકી કેપ્ટન જોન ટેલરની હુતી. પણ ૧૭૧૦ના ઓક્ટોબરની ૨૪મી તારીખે સરકારે એ જાગો લીલામમાં વેચવા કાઢી હુતી. પોતાના ભાઈ નવરોજજીના નામ પર બનાજીશેઠે ૩૨૮ રૂપિયા, આઠ આના અને આઠ પૈની ગંજાવર રકમ આપી તે ખરીદી લીધી હુતી. પછી તો ધીમે ધીમે એ વાડીની જગોએ પારસીઓનાં મકાન બંધાયાં. રસ્તો બનિયો. આજે બી એ રસ્તો બનાજી સ્ટ્રીટ તરીકે ઓળખાય છે.

દી.મ. : એટલે આપણે જેની બહાર બેઠા છીએ તે ઈમારત ૩૦૦ વરસ કરતાં વધુ જૂની છે?

વાછ શેઠ : હા જી, ૩૧૪ વરસ જૂની. આજે મુંબઈમાં આટલી જૂની ઇમારત બીજી કોઈ ભાગ્યે જ હશે.

દી. મ. : પણ એક વાત નથી સમજાતી. આ અગિયારી બહારથી જોતાં તેની બાંધણી કિલ્લા જેવી કેમ લાગે છે?

વાછા શેઠ : અંગ્રેજોની પહેલાં અહીં કોનું રાજ હુતું? પોર્તુગીઝોનું. અને એ લોક બીજા ધરમનાં થાનકો તોડવા માટે નામીચા હુતા. એટલે કદાચ આવી બાંધણી કરી હોસે.

દી.મ. : વાછા શેઠ! હવે થોડી વાત તમારે વિષે કરીએ. ગુજરાતથી આવીને જે પારસી ખાનદાનો મુંબઈમાં વસ્યાં તેમાંનાં જૂનામાં જૂનાં ખાનદાનોમાંનું એક તે આપનું વાછા ખાનદાન.

વાછા શેઠ : તમારી વાત સાચી છે મહેતા. અમે મૂળે નવસારીના. અમારા વડવાઓના વંશમાં ત્રીજા તે વાછા શેઠ. એવનના નામ પરથી જ અમારું ખાનદાન પછીથી ઓળખાયું. અમારો બાપીકો ધંધો થેપાડું વણવાનો.

દી.મ. : થેપાડું એટલે?

વાછા શેઠ : એટલે જાડું કાપડ. મરદો અને ઓરતો, બંને એ કમરની નીચે પહેરે. એટલે કે ધંધે અમે મૂળ વણકર. વાછા શેઠના બેટા મેહેરજીનો જનમ ઈ.સ. ૧૬૫૧માં, બેહસ્તનશીન થયા ૧૭૧૦માં. તેમનો બી ધંધો તો વણકરનો અને રહેણાક નવસારી, પણ વણેલું કાપડ લઈને એવન એ વેચવા ઈ.સ. ૧૬૭૬માં પહેલી વાર મુંબઈ આવિયા, અને તે પછી બી નવસારીથી મુંબઈના આંટાફેરા કરતા. એટલે કે ૧૬૭૬થી અમારું ખાનદાન આય શહેર સાથે જોડાયું. મેહેરજી શેઠના બેટા માણેકજી, તેમના બેટા જમશેદજી, અને તેમના બેટા જીજીભાઈએ પણ આય રીતે મુંબઈના આંટાફેરા કરવાનું ચાલુ રાખ્યું હુતું. પણ જીજીભાઈના બેટા એદલજી શેઠ જરા જૂદી માટીના નીકળ્યા. ના એવનને ખાનદાની વણકરનો ધંધો કબૂલ હુતો, ના નવસારીમાં રહેવાનું પસંદ હુતું. એટલે જીજીભાઈ અને એદલજી વચ્ચે મોટો ટંટો થિયો. જીજીભાઈએ ઘર છોડ્યું, નવસારી છોડ્યું, અને આવી વસ્યા મુંબઈ. એ વરસ હુતું ઈ.સ. ૧૭૬૩નું. ત્યારથી અમારું ખાનદાન મુંબઈનું બનિયું.

દી.મ. : પણ આપ તો ઘણાં બધાં વરસ મુંબઈથી જ નહિ, હિન્દુસ્તાનથી પણ દૂર રહ્યા.

વાછા શેઠ : હા જી. વેપાર માટે મેં પૂરાં ચાલીસ વરસ ચીનમાં ગુજાર્યાં.

દી.મ. : શાનો વેપાર?

વાછા શેઠ : જુઓ મહેતા! ૧૯મી સદીમાં ચીન સાથેના પારસીઓના વેપારની વાત આવે એટલે સમજવાનું કે અફીણનો વેપાર. ચીન મોકલવા માટે પૂર્વ હિન્દુસ્તાનમાં ખાસ અફીણ ઉગાડવા માટે એ વખતની અંગ્રેજ સરકાર મદદ કરતી. અહીંથી અફીણ ચીન જાય અને ત્યાંથી રેશમી કાપડ, ચા, તેજાના વગેરે હિન્દુસ્તાન આવે. કારણ ચીનના બાદશાહે એવો હુકુમ કરેલો કે જેટલું અફીણ ચીનમાં આવે એટલી રકમનો ચીની માલસામાન ચીનથી પરદેશ જવો જોઈએ. જો કે એમાં બી વેપારીઓ ઘણી વાર દોંગાઈ કરતા. અફીણ ચીન જાય ખરેખર, પણ ચીની માલસામાન આવે ફક્ત કાગળ પર.

દી.મ. : અને સાંભળ્યું છે કે ચીન અને બ્રિટન વચ્ચે ‘ઓપિયમ વોર’ પણ થયેલી.

વાછા શેઠ : સાવ સાચું. અને એ ઓપિયમ વોર મેં નજરોનજર જોયેલી.

દી.મ. : એટલે એ વખતે આપ ચીનમાં હતા?

વાછા શેઠ : હા, બાવા!  અને એક નહિ, બે ઓપિયમ વોર થયેલી.

દી.મ. : પણ કારણ? 

બે અફીણી ચીનાઓ 

ચીનના બાદશાહને અંગ્રેજનો હુકમ: તમારે અફીણ ખરીદવું જ પડશે

વાછા શેઠ : કારણ ચીની બાદશાના ધ્યાનમાં એ વાત વસી ગઈ કે પરદેશથી આવેલું આ ઓપિયમ દેશના લોકોની પાયમાલી કરે છે. એટલે ગોદામો પર છાપા મારી જેટલું અફીણ જ્યાંથી બી મલિયું તે જપ્ત કરી તેનો જાહેરમાં નાશ કીધો. પછી જાહેરાત કીધી કે હવે પછી કોઈની બી પાસેથી અફીણ મલી આવસે તો તેને સજા એ મૌત ફરમાવવામાં આવસે. આથી બ્રિટિશ સરકાર ચોંકી ઊઠી અને કહ્યું કે બ્રિટન અને ચીન વચ્ચે ‘મુક્ત વેપાર’ અંગેનો કરાર છે તેનો ભંગ થાય છે. પણ ચીની બાદશાહ માનિયા નહિ, એટલે પહેલી ઓપિયમ વોર ૧૮૩૯માં શુરુ થઈ અને ૧૮૪૨ સુધી ચાલી. ગ્રેટ બ્રિટને ૧૯ હજાર સૈનિકોની ફોજ ચીન સામે ઉતારી. એમાં પાંચ હજાર સૈનિકો હિન્દુસ્તાની લશ્કરના બી હુતા અને સિલોનના બે હજાર સૈનિક હુતા. ૩૭ વહાણોમાં આ બધો કાફલો પહોંચ્યો ચીન. બ્રિટનની આ જંગી સેના સામે ચીન ટકી શકે એમ હુતું જ નહિ. હાર્યું. બ્રિટિશ સરકારે હારેલા ચીન સાથે ‘ટ્રીટી ઓફ નાનકિંગ’ કરી. તેની જોગવાઈ પ્રમાણે ચીન-બ્રિટન વચ્ચેના ‘મુક્ત વેપાર’ને ચીને બહાલી આપી. જેમના ગોદામોમાંથી અફીણ જપ્ત કરેલું તેમને મોં-બદલો આપવાનું કબૂલ્યું, અને આ બધું ઓછું હોય તેમ હોંગકોંગનો ટાપુ અંગ્રેજોને સુપુર્દ કીધો. 

દી.મ. : ઓહોહો! એટલે કે હોંગકોંગ બ્રિટિશરોના હાથમાં આવ્યું તે આ ઓપિયમ વોરને કારણે!

એચ.એમ.એસ. કોર્નવોલિસ

વાછા શેઠ : હા. અને બીજી એક વાત કેહું. પહેલી ઓપિયમ વોર પછી ચીનના બાદશાહ અને બ્રિટિશ સરકાર વચ્ચેના કરાર પર જે સહી-સિક્કા થિયા તે ૧૮૪૨ના ઓગસ્ટની ૨૯મી તારીખે એચ.એમ.એસ. કોર્નવોલિસ નામના જહાજ પર. અને આ જહાજ બંધાયું હુતું આપણી આ મુંબઈમાં! સુરતથી આવીને મુંબઈમાં વહાણ બાંધકામનો પાયો નાખનાર લવજીભાઈ વાડિયાની કંપનીએ આ જહાજ મુંબઈમાં બાંધ્યું હુંતું અને ૧૮૧૩ના મે મહિનાની ૧૨મી તારીખે તેને તરતું મેલ્યું હુતું. સાગના લાકડાના બનેલા આ જહાજ પર ૭૪ તોપ ગોઠવેલી હુતી. વખત જતાં આ જહાજને લડાઈમાંથી બાકાત કરવામાં આવેલું. પણ બીજી જુદી જુદી રીતે તેનો ઉપયોગ થતો હુતો. છેક ૧૯૫૭માં તેને ભંગાર વાડે મોકલવામાં આવ્યું. 

દી.મ. : ચાલીસ વરસ ચીનમાં રહ્યા પછી આપ માદરે વતન પાછા આવ્યા? કારણ?

વાછા શેઠ : ચીન જવાનું કારણ વેપાર, અને પાછા આવવાનું કારણ બી વેપાર. બલકે વેપારમાં ગયેલી ખોટ. 

દી.મ. : વાછા શેઠ! આપ પોતે તો આ વાત નહિ કહો, પણ સાંભળ્યું છે કે ચીન હતા ત્યારે એક નેક અને પાક ઇન્સાન તરીકે આપની ઘણી આબરૂ હતી. હિસાબ-કિતાબમાં અને વેપારી આંટીઘૂંટીમાં પણ આપ માહેર હતા અને એટલે ઘણી વાર દેશી અને ચીની વેપારીઓ વચ્ચે ઝગડો થાય ત્યારે તેમાં લવાદ તરીકે કામ કરતા. આથી ચીની વેપારીઓ આપને મેન્ડેરિન, એટલે કે ન્યાયાધીશ તરીકે ઓળખતા.

વાછા શેઠ : જુઓ મહેતા. પેલા નરસી મહેતાએ ગાયું છે ને કે : 

હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે. 

ખોદાયજીએ જે વખતે જે કામ કરાવિયું તે વખતે તે કામ કીધું. 

દી.મ. : પણ મુંબઈ આવ્યા પછી પણ આપે એક મોટું કામ કર્યું.

વાછા શેઠ : હું ભલે લાંબો વખટ ચીન રહ્યો, પણ મારી આ મુંબઈને હું ચાહતો હુતો. કેટકેટલાં ખાનદાનના કેટલા બધા નબીરાઓએ પસીનો પાડીને આય મુંબઈ શહેરનું ઘડતર કરેલું છે. એવા કેટલાક ખાનદાનોની વાતો, જેટલી મળી, જ્યાંથી બી મળી, તે બધી ભેગી કરીને મેં બનાવી ‘મુંબઈનો બહાર’ નામની ચોપડી. નાનાભાઈ રૂસ્તમજી રાણીનાના યુનિયન પ્રેસમાં છપાઈને એ ૧૮૭૪માં બહાર પડી.

દી.મ. : વાછા શેઠ! નમનતાઈને સબબ તમે તેને ચોપડી કહો છો, પણ હકીકતમાં તો એ છે મોટા કદનાં ૮૦૦ જેટલાં પાનાંનો મોટો ગ્રંથ. અને એ પાછો પહેલો ભાગ. પણ મેં જેમને બી પૂછ્યું કે આ ગ્રંથનો બીજો ભાગ ક્યાં? તો કહે છે કે એ છપાયો જ નહોતો! એમ કેમ? 

વાછા શેઠ : એક ભાગ લખાયો અને છપાયો તે ખોદાયજીની મરજીથી. અને બીજો ભાગ લખાયો અને છપાયો નહિ એ બી ખોદાયજીની મરજીથી. તમે પેલો દુહો તો સમજ્યો હોસે :

સાઇઆ સે સબ કુછ હોત હૈ, બંદે સે કછુ નાહી.

રાઈ કો પરબત કરે, પરબત બાગે જ માહી.

દી.મ. : હા જી, સાંભળ્યો છે. અને આ દુહાને આધારે તો રમણભાઈ નીલકંઠે ‘રાઈનો પર્વત’ નામનું નાટક છેક ૧૯૧૩માં લખેલું. પણ આપે પંચાંગ પોથી નામનું એક પુસ્તક ૧૮૭૪માં છપાવેલું તે શું હતું?

વાછા શેઠ : એમાં ૧૨૫ વરસનું પંચાંગ કહેતાં કેલેન્ડર હુતું. સંવત ૧૮૦૧થી સંવત ૧૯૨૭ સુધીના વરસની હિંદુ, ઈસાઈ, પારસી, ઇસ્લામી, તથા ચિનાઈ તારીખો અને મહિનાઓના જુદા જુદા કોઠા એક બીજાને મુકાબલે મેળવીને મૂક્યા હતા. તથા આ બધી કાળગણનાની કેટલીક ખાસ બાબતો બી જણાવી હુતી. આય પુસ્તક છપાયું તે આગમ આપણા બીજા કોઈ પંચાંગમાં ચિનાઈ તારીખો આપેલ હુતી નૈ. 

દી.મ. : તમે તો નહિ બોલો પણ સાંભળ્યું છે કે આ પંચાંગ પોથીનાં હાથે લખેલાં લગભગ એક હજાર પાનાં તમે જાત્તે, પંડે, પોતે લખ્યાં હતાં. અને કહે છ કે આ આખી હસ્તપ્રતમાં ક્યાં ય એક પણ સુધારો કરેલો નહોતો. કે ક્યાં ય નહોતો એક પણ ડાઘ. આ હસ્તપ્રત ૧૯૩૨માં બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈ)ને આપના વારસોએ ભેટ આપી હતી. 

વાછા શેઠ : ફરી મારે તો એ જ કહેવાનું : ખોદાયજીની મહેરબાની.

દી.મ. : વાછા શેઠ. આપના ‘મુંબઈનો બહાર’ ગ્રંથ વિષે ઘણી વાતો કરવાની બાકી રહી ગઈ છે. પણ તે હવે આવતા શનિવારે. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

(પ્રગટ : “ગુજરાતી મિડ–ડે”; 16 સપ્ટેમ્બર 2023)

Loading

16 September 2023 Vipool Kalyani
← તોડબાજ પત્રકારો / એજેન્ડાધારી પત્રકારોને ‘પત્રકાર’ કહી શકાય?
જે દેખાય છે એ સત્ય નથી હોતું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved