Opinion Magazine
Number of visits: 9476861
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.

સંજય શ્રીપાદ ભાવે|Profile|11 March 2015

સ્ત્રીશિક્ષણનો અને તેમાં ય દલિત કન્યાઓના શિક્ષણનો પાયો નાખનાર સાવિત્રીબાઈ જોતીરાવ ફુલે(1831-1897)ની ગઈ કાલે  મૃત્યુિતથિ હતી. મહારાષ્ટ્રની પ્રતિષ્ઠિત પુણે યુનિવર્સિટીનું નામ ઑગસ્ટ મહિનાથી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી કરવામાં આવ્યું છે. ભારતના ઉચ્ચ શિક્ષણના ઇતિહાસમાં આ બહુ મહત્ત્વની પ્રેરક ઘટના છે. દલિત કે બિનદલિત, હિન્દુત્વવાદી કે સેક્યુલર, ડાબેરી કે જમણેરી એવા મતભેદ તેમ જ પક્ષીય રાજકારણથી ઊપર ઊઠીને સર્વાનુમતે લેવાયેલો આ નિર્ણય જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈના જીવનકાર્યને સમાજે આપેલી માનવંદના છે. 

ઓગણીસમી સદીના ભારતમાં જુદા જુદા રાજ્યોમાં જે સંઘર્ષશીલ સમાજસુધારક સ્ત્રી-પુરુષો હતાં તેમાં સાવિત્રીબાઈ જોતીરાવ ફુલેનું પ્રદાન અમૂલ્ય છે. તેમના પતિ અને દલિત ચળવળના અગ્રદૂત જોતીરાવ ફુલે(1827-1890)ના તે સાચા અર્થમાં કાર્યસંગિની હતાં. નાની ઉમરમાં થયેલા લગ્ન બાદ તેમણે પહેલાં પતિ પાસે અને પછી મિશનરી શાળામાંથી શિક્ષણ મેળવ્યું. બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ જોતીરાવે પછાત ગણાતા વર્ગોની છોકરીઓ માટેની દેશની પહેલી શાળા પુનામાં પહેલી જાન્યુઆરી 1848થી શરૂ કરી. એમાં સાવિત્રીબાઈ શિક્ષિકા બન્યાં. શરૂઆતના દિવસોમાં એ ઘરેથી શાળાએ જાય એ વખતે રસ્તામાં રૂઢિચુસ્ત  બ્રાહ્મણો તેમની પર છાણ અને કીચડ ફેંકતા. પણ સાવિત્રીબાઈ અને જોતીરાવ અડગ રહ્યાં.

ફુલે દંપતીએ પુણેમાં 1863માં બાળહત્યા પ્રતિબંધકગૃહની સ્થાપના કરી. આ વિરલ કામ સમજવા જેવું છે. ફુલેના જમાનામાં ભારતમાં વિધવાઓની સ્થિતિ બહુ ખરાબ હતી. લગભગ બધાં બાળલગ્નો અને ઘણા જરઠવિવાહ થતાં. આયુષ્યમર્યાદા ઓછી હતી, મૃત્યુદર ઊંચો હતો. પરિણામે બાળ કે યુવા વિધવાઓની સંખ્યા પણ વધુ હતી. આ વિધવાઓની જિંદગી દોજખ હતી. તેમાંથી કેટલીક, પરિવારના કે બહારના વાસનાભૂખ્યા પુરુષોના અત્યાચારનો ભોગ બનીને ગર્ભ ધારણ કરતી. પછી પેટની અંદરના જીવની સાથે પોતાની જિંદગી ટૂંકાવતી.

સમાજની અમાનુષતાનો ભોગ બનેલી આવી સ્ત્રીઓને બચાવી લેવા માટે ફુલે દંપતીએ બાળહત્યા પ્રતિબંધક ગૃહ નામના આશ્રયસ્થાનની શરૂઆત કરી. જેમાં મહિલાઓને આધાર આપવામાં આવતો, એટલું જ નહીં પણ સવિત્રીબાઈની દેખરેખ હેઠળ નિષ્ણાત સુયાણી પાસે સુવાવડ પણ કરાવવામાં આવતી. ત્યાર બાદ  બાળકની સાથે ગૃહમાં રહેવાની કે તેને સાથે લઈને કે લીધા વગર ગૃહમાંથી તેને જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ રહેતી. આ ગૃહનું કામ સાવિત્રીબાઈએ બહુ સંઘર્ષની વચ્ચે પણ સંવેદનશીલતાથી સંભાળ્યું. એટલું જ નહીં પણ આપઘાત કરવા નીકળેલી એક સગર્ભા વિધવાને બચાવીને તેના દીકરાને દત્તક લઈને યશવંત નામે ઊછેરીને ડૉકટર બનાવ્યો. ફુલે દંપતિએ પુણેમાં શ્રમજીવીઓ માટે રાત્રિશાળા ચલાવી (1855), પાણી માટેનો પોતાના ઘરનો હોજ દલિતો માટે ખુલ્લો મૂક્યો (1868), દલિતોની દુર્દશા માટે કારણ બનેલા બ્રાહ્મણવાદના નાશ માટે દલિત વર્ગોની જાગૃતિ અને ચળવળના હેતુથી સત્યશોધક સમાજની સ્થાપના કરી (1873), દુષ્કાળ રાહત કામગીરી (1875-77) પાર પાડી.

‘વિદ્યા વિના મતિ ગઈ’ એવું ફુલેએ લખ્યું છે. સાવિત્રીબાઈએ લખ્યું – ‘વિદ્યા સર્વશ્રેષ્ઠ ધન છે, એનાથી ગુલામી દૂર થાય છે અને માણસપણું મળે છે, અને પશુત્વ હારે છે.’ તેમના મરાઠી શબ્દો છે ‘विद्या हे धन आहे रे। श्रेष्ठ साऱ्या धनाहून।‘ અથવા ‘शिक्षणाने मनुष्यत्व लाभतं आणि पशुत्व हरतं.’ સાવિત્રીબાઈએ કેટલીક મૌલિક પદ્યરચનાઓ પણ કરી છે. મહિલાઓની જિંદગીને સારી બનાવવાના વિચારને આચારમાં મૂકવાનું મુશ્કેલ હતું. પતિનું મોત થાય એટલે પત્નીનું મુંડન કરાવવાની બદી હતી. એ અટકાવવા માટે વિચક્ષણ ફુલે દંપતીએ પોતાની વાત વાળંદોને ગળે ઊતારી. ‘વિધવાઓનું મુંડન અમે નહીં કરીએ’ એવું પુનાના નાપિકોએ પોતાની આવકનો વિચાર બાજુ પર મૂકીને નક્કી કર્યું. એક સામાજિક સુધારા માટે પુનાના નાપિકોએ પાડેલી હડતાળ દુનિયાની એવા પ્રકારની સંભવત: પહેલી હડતાળ હતી. જોતીરાવના અવસાન પછી સાવિત્રીબાઈએ સત્યશોધક સમાજની ચળવળ ઊપાડી લીધી. વિધવાઓના પુનર્વિવાહ, બાળલગ્ન પ્રતિબંધ, સ્ત્રીકેળવણી, કુંવારી માતાઓની અને તરછોડાયેલી સ્ત્રીઓની દુર્દશા જેવી અનેક સમસ્યાઓનો તે ઉકેલ લાવવા માગતાં હતાં. એના માટે મહિલા સંગઠનની જરૂર હતી. એ દિશામાં તેમણે કરેલું કામ બહુ મહત્ત્વનું છે. સાવિત્રીબાઈ સ્ત્રીમુક્તિના જ્યોતિર્ધર બન્યાં. તેમનું અને દીકરા યશવંતનું અવસાન પ્લેગના રોગીઓની સારવાર દરમિયાન થયું.

ભાવનગરનાં દક્ષાબહેન દામોદરાએ લખેલી  ‘સાવિત્રી’ નામની જીવનચરિત્રાત્મક નવલકથા ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરી છે. મહારાષ્ટ્રના પ્રતિબદ્ધ રંગકર્મી સુષમા દેશપાંડેએ સાવિત્રીબાઈ પર સર્જેલા નાટ્યપ્રયોગની ગુજરાતીમાં ભજવણીઓ અદિતી દેસાઈ, રક્ષા નાયક અને ઇન્દુ રોહિતે કરી હતી.

જાણીતા મરાઠી પત્રકાર-લેખક ઉત્તમ કાંબળેએ એક કિસ્સો નોંધ્યો છે. ગામડાની એક કન્યાશાળાના સમારંભ બાદ તેમની પાસે સહી અને સંદેશ લેવા આવેલી એક વિદ્યાર્થિનીને તેમણે પૂછ્યું : ‘તું નિશાળમાં ભણતી થઈ ત્યારે તને શાળાએ બેસાડવા કોણ આવ્યું હતું ?’ એક છોકરીએ જવાબ આપ્યો : ‘મને નિશાળે બેસાડવા સાવિત્રીબાઈ આવ્યાં હતાં.’

9 માર્ચ 2015

+++++

સૌજન્ય : ‘કદર અને કિતાબ’ નામે લેખકની કટાર, “નવગુજરાત સમય”, 11 માર્ચ 2015

e.mail : sanjaysbhave@yahoo.com

Loading

11 March 2015 admin
← કાળા પણ કામણગારા – અમેરિકન
If it’s March, it must be salt … →

Search by

Opinion

  • મોદીજીની જાદુઈ કળા !
  • પ્રતિસાદ આપવાનો ધર્મ કોનો ?
  • બાળકો માટે લોકશાહી વિશેનો પાઠ
  • ચલ મન મુંબઈ નગરી—310 
  • ગૂજરાત વિદ્યાપીઠ સંઘી છે, ગાંધીની નહીં*

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved