Opinion Magazine
Number of visits: 9449927
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીનો જીવન સંદેશ ફરી કાંસ્ય પ્રતિમામાં પુરાશે ?

આશા બૂચ|Opinion - Opinion|25 February 2015

જગતમાં ત્રણ પ્રકારના લોકો થઈ ગયા. પ્રકાર એક : બોલે એક, કરે બીજું. પ્રકાર બે : માત્ર બોલે, કરે કંઈ નહીં. પ્રકાર ત્રણ : જે બોલે તે કરી બતાવે. ગાંધી આમાંથી ત્રીજી કોટિમાં મૂકી શકાય તેવી વ્યક્તિ. તેમની આ શક્તિને કારણે જ તો તેઓ ‘મોહન’માંથી ‘મહાત્મા’ના પદ પર પહોંચ્યા.

આજે (24 ફેબ્રુઆરી 2015) જ સમાચાર વાંચ્યા કે ગાંધીજીની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ તારીખ 14મી માર્ચના થશે. આ પ્રતિમા લંડનના અતિ પ્રખ્યાત એવા પાર્લામેન્ટ સ્કવેરમાં ગૌરવભર્યું સ્થાન મેળવશે. વળી ગાંધીજીને જ્યારે પણ એકલવાયું લાગશે ત્યારે તેમની જોડે ગોષ્ઠી કરવા સ્વ. વિન્સ્ટન ચર્ચિલ અને નેલ્સન માંડેલા હાજર જ હશે. ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટના સ્થાપક લોર્ડ મેઘનાદ દેસાઈની સાથે ભારત સરકારના નાણા મંત્રી અરુણ જેટલી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે.

માનનીય વડાપ્રધાન ડેવિડ કેમરાને ગાંધીજીની કાંસ્ય પ્રતિમાને પાર્લામેન્ટ સ્કવેરમાં મુકવાના સરાહનીય નિર્ણય વિષે બોલતાં જણાવેલું, ‘ગાંધીજીની પ્રતિમા લંડનના મુખ્ય પ્રવાસી સ્થળે મુકવાનો નિર્ણય ભારત અને બ્રિટન બંને દેશોના ઇતિહાસ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે, એટલું જ નહીં પણ આપણા બે દેશો વચ્ચેની મૈત્રી વધુ દ્રઢ બનાવશે. તેમના જીવન કાર્યથી પ્રસ્થાપિત થતો સત્ય અને અહિંસાનો સંદેશ યુગો સુધી માત્ર આ બે દેશોમાં જ નહીં, પણ સમગ્ર વિશ્વમાં ગુંજતો રહેશે. તેમનો ‘Be the change that you wish to see in the world.’ એ આદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.’

આ વર્ષ ગાંધીજી સાઉથ આફ્રિકાથી સ્વદેશ પરત થયા તેને સો વર્ષ થયાં તેની સ્મૃિતમાં અનેકાનેક કાર્યક્રમોથી ઉજવાઈ રહ્યું છે અને આ પ્રતિમા મુકવાની ચેષ્ટા તેમાંનો જ એક ભાગ હોઈ શકે. ખરેખર તો 1915ની 9મી જાન્યુઆરીએ ગાંધીજીએ ભારતની ભૂમિ પર પગ માંડ્યો ત્યારથી બ્રિટીશ સલ્તનતને વિદાય કરવાનાં પડઘમ વાગવાં શરૂ થયાં. જો તેઓ ભારત પાછા ન ફર્યા હોત તો કદાચ ભારતને જુદી રીતે અને જુદા સમયે સ્વતંત્રતા મળી હોત. શક્ય છે કે સ્વતંત્રતા મેળવવા અન્ય માર્ગ અપનાવાયો હોત અને તો આજે ભૂતપૂર્વ શાસક-શાસિત દેશો વચ્ચે સુમેળ ભર્યો સંબંધ છે તે રહ્યો ન પણ હોત. જેમના નેતૃત્વ નીચે ચાલેલી ચળવળથી સામ્રાજ્યનો અંત આવ્યો, એ વ્યક્તિની જ પ્રતિમા બ્રિટનના પાટનગરમાં મુકાય તે કંઈ ઓછી નોંધનીય ઘટના નથી. જે સરકારને ‘હિન્દ છોડો’નું એલાન કરવા બદલ જેલ ભોગવવી પડેલી એ જ દેશની સરકાર છ દાયકા પછી વિશ્વના મોટા ભાગના દેશો પરના પોતાના આધિપત્યને ભોંય ભેગો કરવા માટે જવાબદાર એવી વ્યક્તિને સન્માનપૂર્વક જાહેરમાં સ્થાન આપે, તે એક અનોખી ગાથા બની રહેશે તેમાં શંકા નથી.

ગાંધીજી હંમેશ કહેતા, ‘ખોટા કામને નકારો, એ કરનારને નહીં. ‘તેમણે બ્રિટીશ રાજ્યના અધિકારીઓને કહેલું, ‘અમે ઇચ્છીએ છીએ કે તમે આ દેશમાં ખુશીથી અમારી સાથે રહો. અમારામાંના એક બનીને, અમારા પર રાજ્ય કરવા માટે નહીં. અમે તમારી પાસેથી ઘણું શીખી શકીશું, પણ તે એકમેકને સમાન ગણીને પરસ્પરને મદદ કરવા માટે હશે નહીં કે રાજા અને ગુલામ હોવાને નાતે. હું તો કહું છું કે અંગ્રેજો ભલે રહે, તેમનું રાજ્ય જાય.’ એ મહામના માનવની આવી નિર્વૈરની ભાવનાને કારણે જ બ્રિટીશ હકૂમત ખતમ થઈ પણ બ્રિટીશ પ્રજા પ્રત્યે અણગમો, નફરત કે તિરસ્કાર પેદા નથી થયો. સત્ય અને અહિંસાની કેવડી મોટી તાકાત છે એ સાબિત થઈ ગયું. એક બીજી પણ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જેમણે કોઈ રાજકીય, ધાર્મિક કે વેપારી ક્ષેત્રમાં ઉચ્ચ પદ નથી શોભાવ્યું, જેની પાસે અંગત કહેવાય એવી કોઈ મિલકત કે જાગીર નહોતી – અરે, એમને નામે રહેવાને કોઈ ઘર જ નહોતું – એવા અકિંચનને આટલું બહુમાન મળે એ અદ્દભુત બીના ગણી શકાય. ગાંધીજીના અવસાન સમયે યુનાઇટેડ નેશન્સ.નો ધ્વજ અર્ધી કાઠી પર ઉતારવામાં આવ્યો ત્યારે ઘણાને આશ્ચર્ય થયેલું કે એ કોઈ દેશનો રાજા નથી, વડાપ્રધાન નથી કે નથી કોઈ ધર્મનો સર્વોચ્ચ વડો, તો એ આખર છે કોણ? આનાથી સાબિત થાય છે કે દુનિયા આખીના લોકોનું દિલ જીતવા રાજ્ય સત્તા કે ધાર્મિક સંગઠનના પીઠબળની જરૂર નથી હોતી, જોઈએ છે માત્ર માનવ માત્ર સાથે અનુસંધાન કરીને તેમના જેવા બની તેમનાં દુ:ખ દૂર કરવાની અદમ્ય તાકાત.

કહે છે કે આ પ્રતિમા પાછળ લાખો પાઉન્ડનો ખર્ચ થયો છે. લોકોએ એક પાઉન્ડથી માંડીને હજારો – લાખો પાઉન્ડ દાનમાં આપ્યા છે. જેને માટે લોર્ડ મેઘનાદ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો. સારું કહેવાય. તેમાંના એક દાનવીર લક્ષ્મી મિત્તલ છે જેમણે £100,000 અને બીજા દાનવીર કે.વી. કામથ કે જેમણે £2,50,000 દાનમાં આપ્યા ત્યારે આ સ્ત્યુત્ય કાર્ય પાર પાડી શકાશે. ગાંધીજી હયાત હોત તો ઝોળી ફેલાવીને કહેત, ‘હું લંડનના ઇસ્ટ એન્ડમાં રહેતા લોકોના આવાસ, રોજગાર, સ્વાસ્થ્ય અને શિક્ષણના સુધારા માટે ફાળો એકઠો કરું છું તેમાં યથાશક્તિ ફાળો આપો.’ આવડી મોટી રકમ તેમને મળી હોત તો તેઓ જરૂર બ્રિટનના બેનીફીટ પર નભતાં સ્ત્રી-પુરુષ-બાળકો માટે કાયમી ધોરણે તેમની હાલત સુધારવા માટે એક સંગઠન ઊભું કરી શક્યા હોત. અલગ અલગ સંસ્થાઓ અને રાજકીય જૂથના હોદ્દેદારો માને છે કે ગાંધીજીનો સંદેશ અને તેમના કાર્યની સ્મૃિતને આ રીતે કાયમ કરી શકાશે અને એમની મહાનતાના દ્યોતક સમાન આ બાવલાથી અસંખ્ય લોકોને લાંબા સમય સુધી પ્રેરણા મળતી રહેશે.

જ્યારે આપણે કોઈની જાહેરમાં ખડી કરેલી પ્રતિમા જોઈએ છીએ ત્યારે મોટે ભાગે તો એ કોણ છે એ જોવાની પણ તમા કર્યા વગર દૂરથી પસાર થઈ જઈને તેની નોંધ પણ નથી લેતાં હોતાં. અને જો ભૂલેચૂકે એ પ્રતિમા નીચેની તકતી પર તેમનું નામ, જન્મ-મરણ તારીખ અને હોદ્દો દર્શાવતું લખાણ વાંચીએ તો પણ છેવટ તો ખભ્ભો ઉલાળીને ‘હશે કોઈ, આપણને શું?’ એમ જ વિચારીને ચાલતી પકડીએ છીએ અથવા બહુ બહુ તો આછી પાતળી ઓળખાણ કે સંદર્ભ હોય તો વળી મનમાં ને મનમાં ગૌરવ અનુભવી લઈએ અથવા તો પોતાના સંતાનને ‘જો આ આપણા. …… કેવડા મહાન હતા કે તેની પ્રતિમા મુકાઈ?’ એટલું કહીને સંતોષ લઈએ. ખરું પૂછો તો નેલ્સન માંડેલા કે માર્ટીન લ્યુથર કિંગને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મળી કે ખુદ ગાંધીજીને જોહ્ન રસ્કિન કે ટોલ્સ્ટોય પાસેથી પ્રેરણા મળી તે શું એમનાં બાવલાં જોઈને મળેલી કે તેમનાં લખાણો વાંચીને, તેમના વિચારો અને કાર્યો વિષે સાંભળીને અથવા એમની જોડે કામ કરી ચુકેલા તેમના સાથીદારોના અનુભવો સાંભળીને તેમને અનુસરેલા ? કહે છે કે હવે લગભગ દુનિયાના તમામ દેશોના મુખ્ય શહેરોમાં ગાંધીજીની પ્રતિમા જોવા મળે છે. ખુશ થવા જેવું છે ખરું. પણ તો પછી તે પ્રતિમા પાસેથી પ્રેરણા લઈને જે તે દેશોમાં એમના આદેશોનું પાલન કરતા લોકો કેમ જોવા નથી મળતા? માત્ર મૂર્તિઓ જ માણસને ઉત્તમ માનવ અને સમાજને આદર્શ સમાજ બનાવતો હોત તો રામ અમે કૃષ્ણની મૂર્તિઓ તો શેરીએ શેરીએ સ્થાપન કરેલી છે તો એની લોક જીવન પર અસર કેમ જોવા નથી મળતી?

ગાંધીજી સાધન શુદ્ધિના સખત આગ્રહી હતા. તેથી જ તો તેમણે કહેલું કે ‘હિંસા આચારવાથી જ સ્વરાજ્ય મળતું હોય તો મારે સ્વરાજ્ય નથી જોઈતું.’ તો એવા મહા પુરુષના નામે જો ફાળો એકઠો કરતા હોઈએ તો એ નાણાંની ગંગોત્રી ક્યાં છે એ તપાસવું રહ્યું. ગાંધીજીના લંડન ખાતેની પ્રતિમા માટેના મુખ્ય દાનેશ્વરીઓમાંના એક છે કે.વી. કામથ કે જે ભારતની વિશ્વ વિખ્યાત IT કંપની ઈન્ફોસીસના ચેરમેન છે. તેઓ આપબળે ઊંચા આવ્યા છે. બીજા આઠેક એવોર્ડ્સ ઉપરાંત તેમને ભારતનો પદ્મભૂષણનો ઈલ્કાબ પણ મળ્યો છે. તેમના વિષે ઉજળી બાબતો જ જાણવામાં આવી છે જે માટે હરખ થાય. પણ જે મહાનુભાવ આટલી મોટી માતબર રકમ દાનમાં આપી શકે એની પાસે પોતાની માલિકીની કેટલી મિલકત હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે. કામથના ધન ભંડાર અને એ કંપનીના કામદારોની આવકની સરખામણી કરીએ તો કદાચ આ પ્રતિમા માટે એમની પાસેથી દાન લેવાનું ઉચિત ન ગણાય. બીજા દાનેશ્વરી છે લક્ષ્મી મિત્તલ કે જેમને ‘steel magnate’ અને ‘steel mogul’ જેવા નામથી ઓળખવામાં આવે છે. તેમને મળેલ ડઝનેક એવોર્ડ્સમાં ભારતનો પદ્મવિભૂષણનો ઈલ્કાબ પણ સામેલ છે. મિત્તલજી 13.5 બીલિયન ડોલરના ધણી છે એટલે લંડનના અતિ ધનાઢ્ય પરા કેન્સીન્ગટનમાં £67 મીલિયન પાઉન્ડની કિંમતનું આલીશાન મેન્શન ખરીદ્યું છે. એમના જમા પાસામાં તેમણે રમત-ગમત, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે આપેલ દાન અને ઊભી કરેલ સંસ્થાઓ બોલે છે, તો વળી ઉધાર પાસું પણ ખમતીધર છે. ભૂતકાળમાં મિત્તલજીના સ્ટીલના ધંધામાં ગેરરીતિઓ કરનારને નોકરીએ રાખ્યાના, સ્ટીલના ઉદ્યોગમાં મજૂરોની ગુલામ જેવી સ્થિતિ હોવાના, મજૂરોની સલામતીનો ખ્યાલ નજર અંદાજ થતો હોવાના, cash for influence કૌભાંડમાં સંડોવાયેલા છતાં બ્રિટનની લેબર પાર્ટીને £1,25,000 દાનમાં આપેલા તેથી બદનામીથી બચી જવા પામેલા અને આયર્લેન્ડના બંધ પડેલ સ્ટીલ પ્લાન્ટના પર્યાવરણના જોખમ વિષેના વિવાદમાંથી સરકારનો નુકસાનીનો દાવો નકારી છૂટી ગયાના અહેવાલો સાક્ષી પૂરે છે. આથી મિત્તલજીની કમાણીથી ગાંધીજીની સ્મૃિત કાયમ કરવાનું તો સ્વપ્ને પણ ન સ્વીકારી શકાય.

મોહનદાસ કરમચંદ ગાંધી જીવનની એક એવી ઊંચાઈ સુધી પહોંચ્યા કે તેમને ‘મહાત્મા’નું બિરુદ મળ્યું. એનું એક કારણ એ છે કે તેઓ જે માનતા તે કરી બતાવતા. પ્રસ્તુત કાંસ્ય પ્રતિમા માટે નાનાં મોટાં દાન આપનારમાંથી કે મુલાકાતીઓમાંથી જો કોઈ પણ તેમના એક પણ આદર્શનું ઓછે વધતે અંશે પાલન કરવા અસમર્થ હોય તો એ પ્રતિમા સહુને પ્રેરણાદાયક બનશે એમ શી રીતે કહી શકાય? બ્રિટન અને ભારત એકબીજા સાથે ‘મૈત્રીપૂર્ણ સંબંધો અને વ્યાપારી કરારો’ હોવાનું ગૌરવ લે છે. જે વ્યક્તિની પ્રતિમા ઊભી કરવા જાઓ છો તેની હાજરીમાં શસ્ત્રોની લે-વેચ કરી શકો? નીતિમત્તાને કોરાણે મુકીને થતા ઉદ્યોગ-વ્યાપારને માન્યતા આપી શકો? જેના પ્રબોધેલ આદર્શોનું પાલન કરવાની દાનત ન હોય તેની પાસેથી પ્રેરણા મળે તે માટે તેની મૂર્તિ ઘડવાથી શો લાભ? અને તે પણ આટલાં બધાં નાણાં? NHS દ્વારા કઈ કઈ સારવાર લોકોને આપી શકાય તે માટે નૈતિક મુદ્દાઓ પર ચર્ચા થાય છે તો આવાં સ્મારકો પાછળ અઢળક સંપત્તિ ખર્ચાય અને જેણે દરિદ્રમાં જ નારાયણ જોયા તેવી વિભૂતિને યાદ રાખવા ધાતુની પ્રતિમા બનાવતાં નૈતિક સવાલ કેમ ઊભો નથી થતો?

એક ફાયદો જરૂર થશે કે આ દેશના નાગરિકો જ્યારે પણ લંડન જશે અને ગાંધીજીની પ્રતિમા જોશે ત્યારે ‘Who was he? What did he do?’ એમ પૂછશે એટલે જે રીતે બ્રિટનનો કોલોનિયલ ઇતિહાસ કાળજીપૂર્વક શાળાઓમાં નથી ભણાવવામાં આવ્યો તેનાં દ્વાર ખુલી જશે અને કદાચ હવેની પેઢી જિજ્ઞાસાવશ હકીકત જાણી શકશે.

જો ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને ગાંધીજીની સ્મૃિત કાયમ જાળવી રાખવાની અને આવનારી પેઢીઓને સત્ય-અહિંસાના માર્ગે દોરવાની નેમ હોય, તો સામાન્ય પ્રજાએ આપેલ નાણાંમાંથી દિલ્હીના બિરલા ભવનમાં ઊભું કર્યું છે તેવું એક અભ્યાસ કેન્દ્ર ઊભું કરી શકાય. કોઈ પ્રતિમા નીચે ઊભા રહેવાથી એ વ્યક્તિનાં જીવન કે કાર્ય વિષે માહિતી ન મળે. એ અભ્યાસ કેન્દ્રમાં ગાંધીજી અને તેમના જેવા અનેક અનુકરણીય નેતાઓનાં કાર્ય વિષે પુસ્તકો, વીડિયો, ઇન્ટરએક્ટીવ પ્રસાર માધ્યમો વગેરેની સુવિધા પૂરી પાડી હોય તો જ એ નિર્જીવ મૂર્તિ કંઈ સંદેશ આપી શકે. વળી એક ઓરડો અલાયદો રાખીએ જેમાં આ બધી માહિતી જોયા-સાંભળ્યા બાદ મુલાકાતીઓ આંતર પરીક્ષણ કરી શકે અને એ કેન્દ્ર છોડતાં પહેલાં ગાંધીજીએ ચીંધેલા અગિયાર વ્રતોમાંથી એકાદ વ્રત લેવું હોય તો તેના પ્રતિજ્ઞા પત્ર પર સહી કરીને મૂકી શકે એવી વ્યવસ્થા વધુ પ્રસંશનીય થશે. Martin Luther King Jr.ની સ્મૃિત કાયમ જાળવવા મોન્ટગોમરીમાં સિવિલ રાઈટ્સ મ્યુિઝયમ છે જ્યાં માત્ર MLKની પાષણ પ્રતિમાને બદલે તેમનાં વ્યાખ્યાનો, ચળવળો, લડાઈઓ અને સફળતા-નિષ્ફળતાઓની તવારીખ નોંધાયેલી જોવા મળે છે. એ બને ખરું પ્રેરણા સ્થાન.

લંડનના પાર્લામેન્ટ સ્કવેરમાં વિન્સ્ટન ચર્ચિલ, નેલ્સન મંડેલા અને મહત્મા ગાંધીનાં જીવન-કાર્ય વિષે આવું અભ્યાસ કેન્દ્ર શરૂ કરવાની અરજ ગાંધી સ્ટેચ્યુ મેમોરિયલ ટ્રસ્ટને કરીએ, જેમની આગેવાની હેઠળ એક અર્થપૂર્ણ સ્મારક આવનારી અસંખ્ય પેઢીઓ માટે મૂકી જવાનું શક્ય બને અને એ જ ગાંધીજીનું સાચું તર્પણ હશે.

e.mail : 71abuch@gmail.com

Loading

25 February 2015 admin
← ઇરાવતીબાઈ : એક દીપમાળા
વૉટ્સ-અપની ચરી … →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved