Opinion Magazine
Number of visits: 9446395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

2024ના યુદ્ધમાં NDAના 38 સામે INDIAના સ્પેશ્યલ 26

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 July 2023

રાજ ગોસ્વામી

ભારતીય જનતા પાર્ટીના આસામના મુખ્ય મંત્રી હેમંત વિશ્વ શર્મા ટ્વીટર પર ઘણા સક્રિય છે. તેઓ સતત રાષ્ટ્રીય મુદ્દાઓ પર તેમના વિચારો પ્રગટ કરતા રહે છે. 18મી તારીખે, સાંજે 7 વાગે તેમણે તેમના હેન્ડલ પરથી એક ટ્વીટ કરી હતી;

“આપણી સભ્યતાનો સંઘર્ષ ઇન્ડિયા અને ભારતની આસપાસ કેન્દ્રિત છે. અંગ્રેજોએ આપણા દેશનું નામ ઇન્ડિયા રાખ્યું હતું. આપણે ખુદને આ ઉપનિવેશક વિરાસતથી આઝાદ કરવા માટે પ્રયાસ કરવો જોઈએ. આપણા પૂર્વજોએ ભારત માટે લડાઈ લડી હતી, અને અમે ભારત માટે પરિશ્રમ કરતા રહીશું … બી.જે.પી. ફોર ભારત.”

એ દિવસે, બેંગલુરુમાં દેશભરના 26 વિરોધ પક્ષોના 50થી વધુ નેતાઓ ભેગા થયા હતા. આ તેમની બીજી બેઠક હતી. એક મહિના પહેલાં પટણામાં તેમની બેઠક થઇ હતી. 2024ની લોકસભાની ચૂંટણીમાં, ભા.જ.પ.ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એન.ડી.એ.) સામે કેવી રીતે સામૂહિક લડત આપવી તેના માટે આ નેતાઓ છેલ્લા ઘણા સમયથી પરસ્પર છેડા જોડી રહ્યા હતા. સાંજે બેઠક પૂરી થઇ, ત્યારે અન્ય બાબતો ઉપરાંત, નેતાઓ તેમના મોરચાના નામ સાથે સંમત થયા; INDIA (Indian National Developmental Inclusive Alliance).

સોશિયલ મીડિયા પર વિપક્ષી મોરચાનું નામ જેવું ટ્રેન્ડ થવા લાગ્યું તે સાથે જ, ભા.જ.પ.ના અન્ય નેતાઓ, કાર્યકરો અને ગોદી મીડિયાની સાથે, આસામના મુખ્ય મંત્રીએ ‘ઇન્ડિયા અને ભારત’ને જોડીને તેમની પહેલી પ્રતિક્રિયા આપી.

મજાની વાત એ થઇ કે વિરોધ પક્ષોના ‘ઇન્ડિયા’ સામે શર્માએ ભા.જ.પ.ના ‘ભારત’ને તેમના ટ્વીટર હેન્ડલ પર ઊભું તો કરી દીધું, પરંતુ તેમના ટ્વીટર બાયોડેટામાં, 2021માં તેઓ મુખ્ય મંત્રી બન્યા ત્યારથી, અંગ્રેજીમાં ‘ચીફ મિનિસ્ટર ઓફ આસામ, ઇન્ડિયા’ લખેલું હતું. તેમણે વિપક્ષોના ઇન્ડિયાની ટીકા કરવા માટે ભારતનાં વખાણ કરી દીધાં પછી ખ્યાલ આવ્યો કે તેઓ જેને અંગ્રેજોની વિરાસત ગણીને વિપક્ષોની ટીકા કરે છે, પણ ખુદ પોતે ઇન્ડિયા શબ્દ વાપરે છે. એટલે તેમણે તાબડતોબ ટ્વીટર બાયોમાંથી ઇન્ડિયા હટાવીને ભારત મૂકી દીધું.

વિરોધ પક્ષોએ જે હેતુથી તેમના મોરચાનું નામ ‘ઇન્ડિયા’ રાખ્યું હતું, તે કેટલું ધાર્યું તીર છે તેનો આ પહેલો પુરાવો હતો. ચૂંટણીમાં આ મોરચો શું ઉકાળશે અને નરેદ્ર મોદીના નેતૃત્વમાં ભા.જ.પ. પણ કેવાં તીર છોડશે એ તો સમય આવે ખબર પડશે, પરંતુ નામકરણ કરીને મોરચાએ જે પહેલું બ્યુગલ ફૂંક્યું છે, તે રસ પડે તેવું તો છે.

ગોદી મીડિયાએ થોડા જ કલાકોમાં ‘ઇન્ડિયા’ નામ માટે થઈને ભ્રામક સમાચારો આપવાનું શરૂ કરી દીધું હતું, પરંતુ સવારનાં મુખ્ય ધારાનાં અખબારોની વાત માનીએ તો, ‘ઇન્ડિયા’ નામનું સૌથી પહેલું સૂચન કાઁગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું, પરંતુ તેમણે કાઁગ્રેસના સંગઠન સચિવ કે.સી. વેણુગોપાલને કહ્યું હતું કે પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને વિશ્વાસમાં લઇ લો. મમતાએ નામ માટે તરત હા પાડી હતી. જો કે તેમણે ‘એન’ માટે ‘નેશનલ’ને બદલે ‘ન્યૂ’ શબ્દ સૂચવ્યો હતો. એ પછી બેઠકમાં ‘ડી’ શબ્દ ‘ડેવલપમેન્ટ’ માટે રાખવો કે ‘ડેમોક્રસી’ માટે તેની ચર્ચા થઇ હતી.

કોઈને જો નામની ભાંજગડ ફાલતુ લાગતી હોય (જેમ કે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને લાગી હતી. તેમનો આગ્રહ હતો કે નામમાં પડવાને બદલે બેઠકોની વહેંચણી કેવી રીતે થશે તેની ચર્ચા કરવી જોઈએ), તો મમતા બેનરજી અને રાહુલ ગાંધીના બયાન પર ધ્યાન આપવા જેવું છે.

બેઠક પછી પત્રકારો સાથે વાત કરતાં મમતાએ એક અણિયાળો સવાલ પૂછ્યો હતો, “એન.ડી.એ. અને ભા.જ.પ. … તમે ઇન્ડિયા સામે વાંધો ઉઠાવી શકશો? અમે અમારી માતૃભૂમિને પ્રેમ કરીએ છીએ. અમે આ દેશના રાષ્ટ્રપ્રેમી લોકો છીએ. અમે દેશ માટે, દુનિયા માટે, ખેડૂતો માટે, સર્વે માટે કામ કરીએ છીએ. આજે મણિપુર અને બંગાળમાં હિંદુઓ, દલિતો, લઘુમતીઓ, ખેડૂતો ભા.જ.પ.ના કારણે ખતરામાં છે. તેમનું એકમાત્ર કામ સરકારો ખરીદવા-વેચવાનું છે.”

બેઠક પૂરી થઇ ત્યારે છેલ્લું વક્તવ્ય રાહુલનું હતું. તેમાં તેમણે મોરચાનું નામ ‘ઇન્ડિયા’ કેમ હોવું જોઈએ  તેના પર ઘણું જોર આપ્યું હતું. તેમનો તર્ક છે કે ઇન્ડિયા નામથી વિરોધ પક્ષો બહુ સરળ રીતે એન.ડી.એ. વિરુદ્ધ ઇન્ડિયાનું નેરેટિવ ઊભું કરી શકશે. સ્વાભાવિક રીતે જ, ભા.જ.પ. તેમનો વિરોધ કરશે, જેથી લોકોમાં એવો સંદેશો જશે કે ભા.જ.પ. ઇન્ડિયા વિરોધી છે અને જે લોકો ભા.જ.પ. વિરોધી છે તે સૌ ‘ઇન્ડિયાવાળા’ છે. તેમણે કહ્યું હતું કે 2024ની લડાઈ વિપક્ષો અને કેન્દ્ર સરકાર વચ્ચે નથી, પરંતુ ઇન્ડિયા વિરુદ્ધ ભા.જ.પ. વચ્ચે છે.

આ તર્કની ઝાંખી પણ એ જ રાતે જોવા મળી. પ્રાઈમ ટાઈમ પર એક ન્યૂઝ ચેનલ પર ભા.જ.પ.ના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી સાથે ચર્ચા કરતાં, કાઁગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે કહ્યું કે, “જેને ઇન્ડિયાથી પરેશાની હોય તે પાકિસ્તાન જતા રહે. સ્ટાર્ટ અપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયાના નારા કેમ આપ્યા હતા … શું તમે ભારતની વાત નથી કરતા? તમે જ્યારે બઢેગા ઇન્ડિયાની વાત કરો છો ત્યારે કોની વાત કરો છો? તમને સમસ્યા કઈ વાતથી છે? ઇન્ડિયાથી?”

ભારતમાં ચૂંટણી પ્રચાર દિમાગનો ખેલ છે. ભારતીય જનતા પાર્ટીની અપ્રતિમ સફળતા તેની ગવાહ છે. ભા.જ.પ.નું ચૂંટણી અને ચૂંટણી પ્રચારનું તંત્ર ઘણું દક્ષ છે. વિરોધ પક્ષોને, ખાસ કરીને કાઁગ્રેસને, તેનો સૌથી વધુ (કડવો) અનુભવ છે. એ અનુભવમાંથી જ કાઁગ્રેસ ભા.જ.પ.નું ‘દિમાગ’ કેવી રીતે કામ કરે છે તેનો અંદાજ લગાવાનું શીખી છે.

છેલ્લા 9 વર્ષથી, ભા.જ.પ.ની એક કામિયાબ વ્યૂહરચના રહી છે; કાઁગ્રેસને દેશ વિરોધી અને ભા.જ.પ.ને રાષ્ટ્રવાદી ચિતરો અને નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ ઊભી કરો. કાઁગ્રેસના શાસનની અનેક કમજોરીઓ રહી છે અને રાહુલ ગાંધીની ‘પપ્પુ ઈમેજ’ મોદી માટે એકદમ અનુકૂળ છે. દેશમાં અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઇ છે, તેમાં ભા.જ.પે. હંમેશાં કાઁગ્રેસ અને રાહુલ પર નિશાન રાખ્યું છે. કેમ? કાઁગ્રેસ તો બહુમતી રાજ્યોમાં સરકારમાં પણ નથી. જનતા તો છોડો, ખુદ રાહુલ ગાંધી પોતાને ભાવી પ્રધાન મંત્રી તરીકે જોતા નથી. છતાં, ભા.જ.પ. કેમ વારંવાર તેમનું નામ લીધા કરે છે?

ભા.જ.પ. માટે દરેક ચૂંટણી એક યુદ્ધ સમાન હોય છે. તેમાં દુ:શ્મન હોવો અનિવાર્ય છે. કાઁગ્રેસ ભલે સત્તામાં ન હોય, રાહુલ સાથે સરખામણી ભલે અસામાન હોય, પરંતુ ભા.જ.પ.ને પોતાની રાષ્ટ્રવાદી છબીનું મતદારોના મનમાં ઘર કરવા માટે જરૂરી છે કે તે સામે એવો કોઈ દુ:શ્મન ઊભો કરે, જેની સાથે મતદારો સરખામણી કરી શકે.

કાઁગ્રેસ કંઈ પણ કરે, રાહુલ કંઈ પણ બોલે, ભા.જ.પ. તરત જ તેને તેના પ્રચારતંત્ર મારફતે પોતાના ફાયદામાં વણી લે છે. એટલા માટે કાઁગ્રેસ જ્યારે પણ મૂલ્યો, સિદ્ધાંતો, લોકતાંત્રિક વ્યવસ્થાઓ, પ્રજાલક્ષી પ્રશ્નોની વાત કરે છે, ભા.જ.પ. તરત તેને દેશ વિરોધી અથવા મોદી વિરોધી પ્રચારમાં ખપાવી દે છે. ભા.જ.પ.ની આ વ્યૂહરચના સફળ રહી છે અને એમાં કોઈ શંકા નથી કે 2024ની ચૂંટણીમાં ભા.જ.પ. તરફથી પ્રચારનું મુખ્ય ફોકસ, મોદી સરકારની સફળતાઓ કે દેશનો વિકાસ પર નથી રહેવાનું, પણ કાઁગ્રેસ કેમ દેશ વિરોધી છે તેના પર રહેવાનું છે.

રાહુલ ગાંધીને બરાબર ખબર છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભા.જ.પ. તેમને મોદી સાથે ભીડવવાની કોશિશ કરશે. મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તે નિમિતે, મહારાષ્ટ્રના નાંદેડમાં જૂન મહિનામાં એક રેલીને સંબોધતાં ગૃહ મંત્રી અમિત શાહે શ્રોતાને લલકાર્યા હતા કે 2024માં દેશની જનતાએ નવા પ્રધાન મંત્રી તરીકે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેથી પસંદગી કરવાની છે. ભા.જ.પ. ઈચ્છે છે કે ચૂંટણીમાં ટક્કર મોદી અને રાહુલ વચ્ચે રહે. ભા.જ.પ. ઈચ્છે છે કે તેનો મુકાબલો ‘રાષ્ટ્ર વિરોધી’ કાઁગ્રેસ સાથે જ રહે.

બેંગલુરુમાં વિપક્ષોની બેઠકમાં આ બંને શસ્ત્રો બુઠ્ઠા કરવાનો પ્રયાસ થયો છે. એક તો તેમણે મોરચાનું નામ ઇન્ડિયા રાખ્યું છે. એટલે પ્રચારમાં જનતાના કાને ‘ઇન્ડિયા સામે એન.ડી.એ.’ના નારા ગુંજશે. બીજું, ભા.જ.પ. સામે ખાલી કાઁગ્રેસ એકલી નથી, પણ સમગ્ર વિરોધ પક્ષ છે. એટલે તેણે ‘ઇન્ડિયા’ને નિશાન બનાવવું પડશે. ભારતની બહુમતી જનતા એ વખતે ઇન્ડિયા શબ્દનું ફૂલ ફોર્મ શોધવા નથી જવાની. તેના માટે ઇન્ડિયા એટલે ભારત. ભા.જ.પ. કઈ રીતે ઇન્ડિયાનો વિરોધ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

બીજું, રાહુલ ગાંધીએ વિરોધ પક્ષોની એકતા માટે એ બેઠકમાં પ્રસ્તાવ મુક્યો હતો કે કાઁગ્રેસ પાર્ટી પ્રધાન મંત્રી પદ માટે ઉત્સુક નથી. વિરોધ પક્ષોમાં એકતાને લઈને એ પણ અવરોધ હતો કે ભા.જ.પ. કાઁગ્રેસ અને રાહુલને તેની મુખ્ય હરીફ તરીકે આગળ કરીને સરસાઈ લઇ જાય છે. ભા.જ.પ.ના આ શસ્ત્રને બુઠ્ઠું કરવા માટે જરૂરી છે કે કાઁગ્રસ અને રાહુલ બે ડગલાં પાછળ રહે. કદાચ રાહુલને પણ વાત સમજાઈ છે. એટલા માટે તેમણે વિપક્ષોની એકતાના વ્યાપક હિતમાં પોતાના કે કાઁગ્રેસના હિતોને જતાં કરવાનું નક્કી કર્યું છે. એ સંદર્ભમાં એ પણ નોંધવા જેવું છે કે સોનિયા ગાંધી પણ એ બેઠકમાં હાજર હતાં, પરંતુ એક શ્રોતા તરીકે. તેમણે એક પણ શબ્દ ઉચાર્યો નહોતો.

કદાચ એ ‘ઇન્ડિયા’ની જ અસર હતી કે બીજા દિવસે, નવી દિલ્હીમાં ભા.જ.પે. એન.ડી.એ.ના 38 ઘટક દળોની બેઠક બોલાવી હતી. મોદીએ તેમાં પ્રવચન કરતાં એન.ડી.એ.ને એક એવું “સુંદર મેઘધનુષ” ગણાવ્યું હતું, જેમાં “કોઈ પાર્ટી નાની કે મોટી નથી.” બેઠકનો ઘોષિત ઉદેશ્ય તો મોદી સરકારનાં નવ વર્ષ પૂરાં થયાં તેની ઉજવણીનો હતો, પણ સંદેશ સાફ હતો; ભા.જ.પ. તેના જૂનાં મિત્રોને સાથે રાખવા માંગે છે અને નવા બનાવવા પણ માંગે છે.

આ તો હજુ શરૂઆત છે. 

લાસ્ટ લાઈન:

“રાજકારણીઓ અને ડાઈપરને વારંવાર બદલતા રહેવું જોઈએ.”

— માર્ક ટ્વેઇન, ઇંગ્લિશ લેખક

પ્રગટ : ‘ક્રોસ લાઈન’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”; 23 જુલાઈ 2023
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 July 2023 Vipool Kalyani
← ગરીબો પાસે પેટ છે, પણ પોકેટ નથી
ઊંચી મેડી મારા સંતની →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved