Opinion Magazine
Number of visits: 9446979
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઢાંકપિછોડા અને જૂઠાણા વડે રચાતી પરિભાષાઓ … 

સોનલ પરીખ|Opinion - Opinion|16 May 2023

સાડાત્રણ સદી પહેલા, 1986ની 26મી એપ્રિલે તત્કાલીન સોવિયેત રશિયાના ચેર્નોબિલમાં અણુઇતિહાસની સૌથી મોટી દુર્ઘટના બની. શક્તિશાળી વિસ્ફોટ, માઈલો સુધી ફેલાયેલું રેડિયેશન, લાખો લોકોનું વિસ્થાપન, હજારો મૃત્યુ, જંગલોનું બળી જવું અને આ બધું છાવરવાનું રાજકીય દબાણ. તેની તપાસ માટે નીમાયેલા કમિશનના ચીફે દુર્ઘટનાનાં બે વર્ષ બાદ 51 વર્ષની ઉંમરે આત્મહત્યા કરી ને મરતા પહેલા લોકો સામે સત્ય મૂક્યું …

અમેરિકાના પ્રમુખ જ્યોર્જ બુશ અને સોવિયેત રશિયાના વડા ગોર્બાચેવે માલ્ટા સમિટમાં શીત યુદ્ધનો અંત વિધિવત જાહેર કર્યો અને અણુશસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવાનું નક્કી કર્યું એ 1989નો ડિસેમ્બર મહિનો હતો. આ પહેલાં લગભગ સાડાત્રણ વર્ષે તત્કાલીન સોવિયેત રશિયાના ચેર્નોબિલમાં દુનિયાની સૌથી ભયાનક અણુદુર્ઘટના બની હતી. સાલ હતી 1986 અને તારીખ 26મી એપ્રિલ.

એ દિવસે વહેલી સવારે વેસિલી ઈગ્નોટેંકો અને એની સગર્ભા પત્ની ચેર્નોબિલથી બેલારુસ જવાનાં હતા. રાતે દોઢ વાગ્યે પાવર પ્લાન્ટની વિરાટ ચીમનીમાંથી આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા. વેસિલીને આગ બુઝાવવા ભાગવું પડ્યું. આગ સામાન્ય નહોતી, ચેર્નોબિલના એટમિક રિએક્ટરમાં થયેલા અકસ્માતનું પરિણામ હતી. વેસિલી અને તેના જેવા 32 યુવાનો એટમિક રેડિયેશનનો પહેલો અને તાત્કાલિક ભોગ બન્યા. એમને સીધા જ હૉસ્પિટલે લઈ જવાયા.

લ્યુડમિલા હૉસ્પિટલમાં દોડી. પ્રશ્નોત્તરી અને વિધિઓમાંથી માંડ પસાર થઈ, ‘એને અડવાનું નથી’ એવી ચીમકી સાથે વેસિલીના રૂમમાં જવા દેવાઈ. પારદર્શક પ્લાસ્ટિકની જાડી શિટને પેલે પાર વેસિલીનું રેડિયેશને ક્ષતવિક્ષત કરી નાખેલું, ઓળખાય પણ નહીં એવું અર્ધબેહોશ શરીર પડ્યું હતું. એટલું સૂજી ગયેલું કે લ્યુડમિલા એને માટે લાવેલી તે કપડાં અને શૂઝ એને પહેરાવી શકાય એમ નહોતાં.

14 દિવસ પછી વેસિલી મૃત્યુ પામ્યો. એના સાથીઓ પણ ન બચ્યા. એક મોટા ખાડામાં એમના કૉફિનો મૂકી માટીને બદલે ડામર-સિમેન્ટના રગડાથી ખાડો બુરી દેવાયો. થોડા મહિનાઓ પછી લ્યુડમિલાએ દીકરીને જન્મ આપ્યો. છોકરી માંડ ચાર કલાક જીવી શકી. આ હતો ચેર્નોબિલ દુર્ઘટનાનો એક જ કેસ. ક્યાં આવેલું છે આ ચેર્નોબિલ? શું બન્યું હતું ત્યાં?

યુક્રેનની રાજધાની કીવથી 130 કિલોમીટર ઉત્તરે અને બેલારુસથી 20 કિલોમીટર દક્ષિણમાં પ્રિપયેટ નામનું ગામ છે. ત્યાં ચેર્નોબિલ પાવર સ્ટેશન બન્યું હતું. એ વખતે યુક્રેન સોવિયેત રશિયાનો ભાગ હતું. આ પાવર સ્ટેશનમાં ચાર ન્યૂક્લિયર રિએક્ટર હતાં. રિએક્ટરોમાં થતી પ્રક્રિયા ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે. ઠંડા પાણીનો પુરવઠો સતત મળ્યા કરે તે માટે પ્રિપયેટ નદી પર એક કૃત્રિમ તળાવ બનાવ્યું હતું. યુક્રેનના આ વિસ્તારમાં વસતી અત્યંત પાંખી હતી. પાવરપ્લાન્ટના 30 કિલોમીટર ઘેરાવામાં લગભગ દોઢ લાખ લોકો રહેતા હતા.

અકસ્માત સમયે બે રિએક્ટર ચાલુ હતાં. એક પરીક્ષણ દરમિયાન ભૂલ થવાથી એક રિએક્ટરમાં અનિયંત્રિત અણુવિભાજનપ્રક્રિયા શરૂ થઈ ને જોતજોતામાં કાબૂ બહાર ચાલી ગઈ. પુષ્કળ પ્રમાણમાં વરાળ ઉત્પન્ન થવાથી દબાણ અતિશય વધી ગયું. બે શક્તિશાળી વિસ્ફૉટ અને રિએક્ટરની હજારો ટન વજનની છત ઊડી ગઈ. રેડિયેશન ઝડપથી ફેલાવા લાગ્યું. ત્યાં કામ કરી રહેલા, આગ બુઝાવવા આવેલા અને દૂર પુલ પરથી આગ જોઈ રહેલા લોકોમાંનું કોઈ ન બચ્યું.

સવારે માઈલો સુધી આકાશ ધૂંધળું હતું. દૂર દૂર સુધી કિરણોત્સર્ગી વરસાદ થયો. બે દિવસ પછી, 50 મિનિટની નૉટિસ આપી પ્રિપયેટ શહેર ખાલી કરાયું. લોકોને લેવા બસો આવી હતી. પાળેલાં પ્રાણીઓને લઈ જવાની મનાઈ હતી. લોકોને એમ કે બેત્રણ દિવસમાં પાછા આવીશું, તેઓ કદી પાછા ફરી શક્યા નહીં. ખાલી શહેરમાં ફરતાં પ્રાણીઓને મારી નાખવા એક ટીમ આવી. બીજી ટીમે મોટા ખાડામાં મરેલાં પ્રાણીઓ નાખી ઉપર ડામર-સિમેન્ટનો રગડો રેડી દીધો. થોડાં પ્રાણીઓ બચી ગયાં હતાં, એ બહુ ઓછું જીવ્યાં.

રિએક્ટર ફાટ્યું ત્યાં સેંકડો ટન રેડિયોએક્ટિવ કાદવ થયો હતો. તેને ખસેડવા યંત્રો મુકાયાં પણ ભયાનક ગરમી અને રેડિએશનથી યંત્રો બગડવા માંડ્યાં, એટલે કોલસાની ખાણોમાં કામ કરતાં 400 જેટલાં મજૂરોને એ માટે બોલાવ્યા. આમાંના મોટા ભાગના 40 વર્ષના પણ ન થયા. બીજા સેંકડો કામદારોને ફરજિયાત સેવા’ માટે રોકી લીધા હતા. 2,000 ચોરસ માઈલ સુધી રેડિયેશનની અસર થઈ, આ વિસ્તારને એક્સ્ક્લુઝન ઝોન કહે છે. ઊભાં ઝાડ બળી જવાથી જંગલનો રંગ બદલાઈ ગયો છે, તેને રેડ ફોરેસ્ટ કહે છે.

દુર્ઘટનાની તપાસ માટે એક કમિશન રચાયું જેનો ચીફ હતો પરમાણુ વિજ્ઞાની વેલેરી લેગાસોવ. આવીને તરત તેણે લખ્યું, ‘પરિસ્થિતિ આપણે ધારીએ છીએ તેના કરતાં અનેકગણી ગંભીર છે.’ તપાસમાં ભયાનક હકીકતો ખૂલતી આવી. બેદરકારી, અહમ, ડિઝાઈનમાં મોટી ખામી – રશિયાએ પહેલા તો ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી. વિજ્ઞાનીઓની ટીમને ચૂપ કરી દીધી. આ બધું છુપાવવા માટે લેગાસોવ પણ પુષ્કળ રાજકીય દબાણ આવ્યું. દુર્ઘટનાનાં બરાબર બે વર્ષ બાદ લેગોસોવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. મરતાં પહેલાં તેણે અનેક ટેપો રેકૉર્ડ કરીને મૂકી હતી.

બધું બહાર આવતાં સોવિયેત ન્યૂક્લિયર ઈન્ડસ્ટ્રી ચમકી પડી. ડિઝાઈનમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા, થોડા વખતમાં ત્રણ રિએક્ટરો કામ કરતાં થયાં. પણ જે બન્યું તે કદી ભુલાય એવું ન હતું. તે વખતે રશિયાના પ્રમુખ ગોર્બાચોવ હતા. 2006માં એમણે લખ્યું છે, ‘ચેર્નોબિલ પરહેપ્સ ધ ટ્રુ કૉઝ ઑફ ધ કૉલેપ્સ ઑફ ધ સોવિયેટ યુનિયન.’ 1996માં ત્યારના પ્રમુખ બોરિસ યેલ્તસીને લેગોસોવને રશિયાનો ‘કરેજ એંડ હીરોઈઝમ’ માટે અપાતો સર્વોચ્ચ ખિતાબ એનાયત કર્યો. 

અમેરિકાએ ચેર્નોબિલ ઘટનાને ‘માનવઇતિહાસની સૌથી મોટી પર્યાવરણીય દુર્ઘટના’ કહી છે. આ ઘટના પછી યુક્રેન-બેલારુસમાં કેન્સરનું પ્રમાણ ખૂબ વધી ગયું. અસરગ્રસ્ત વિસ્તારમાંથી કુલ ત્રણ લાખ માણસો વિસ્થાપિત થયા, જે પાછા ફરી શક્યા નહીં. ત્યાંના હવાપાણીમાં હજી અણુપ્રદૂષણ છે. જંગલ હજી લાલ છે. છૂટાછવાયા માણસો તો પણ ત્યાં વસે છે. મોટો વિસ્તાર પ્રતિબંધિત છે. ચેર્નોબિલ દુર્ઘટનાએ હિરોશીમા-નાગાસાકી બોમ્બવિસ્ફોટ કરતાં અનેક્ગણું રેડિયેશન ફેલાવ્યું હતું એમ એક સ્રોત કહે છે. ઉત્તર અને પૂર્વ યુરોપ સુધી એની અસર ફેલાઈ હોવાના અહેવાલ મળ્યા છે.

2000માં ચેર્નોબિલ પાવર સ્ટેશન બંધ થયું. 2017માં બે રિએક્ટરો પર અબજોના ખર્ચે સિમેન્ટ ગુંબજ બંધાયા છે. તેમાં ટનબંધ કિરણોત્સર્ગી કચરો આજે પણ છે. પ્રિપયેટ શહેર હજી ખાલી છે. ત્યાં જંગલી ઘોડા, સૂવર વગેરે ફરે છે. હવે એ ટૂરિસ્ટ સાઈટ છે. ત્યાંની હૉસ્પિટલના બેઝમેન્ટમાં દર્દીઓનાં કપડાં છે, તેના પર હજી રેડિયેશનની અસર છે. ચેર્નોબિલ દુર્ઘટનામાં કેટલા લોકોના જીવ ગયા એ હજી અટકળનો વિષય છે. મૃત્યુઆંક 4,000થી 94,000 સુધીનો હોવાની સંભાવના છે, પણ ઔપચારિક આંકડો તો 1987માં જે હતો, હજી પણ એ જ છે – 31.

આ ભયાનક અનુભવમાંથી પસાર થવાની ઈચ્છા હોય તો એચ.બી.ઓ.એ. ‘ચેર્નોબિલ’ નામની સરસ સિરિઝ બનાવી છે તે જોઈ શકો. ‘વોઈસિસ ઑફ ચેર્નોબિલ’ જેવાં પુસ્તકો વાંચી શકો, ‘ચેર્નોબિલ ડાયરીઝ’ જેવી ફિલ્મો જોઈ શકો. આઘાત સાથે એ સત્યની ફરી વાર પ્રતીતિ થાય કે આપણે ઇતિહાસમાંથી કંઈ જ શીખતા નથી. 2011માં જાપાનમાં થયેલો ફુકુશિમા ન્યૂક્લિયર એક્સિડન્ટ આની સાબિતી છે. તેના કારણમાં કુદરતી આફત જેટલી જ જવાબદાર ખામીભરી સંરચના હતી.

આ પછી વિશ્વસ્તરે અણુખતરાઓ માટેની સતર્કતા વધી છે ખરી, પણ ડૉ. લેગાસોવ કહે છે તે યાદ રાખવા જેવું છે, ‘જે દેખાતું નથી તે, જે દેખાય છે તેના કરતાં ઘણું વધારે ભયાનક હોય છે. જોખમ એ નથી કે આપણે અસત્યને સત્ય માનવાની ભૂલ કરીએ છીએ. ખરું જોખમ એ છે કે આપણે એટલાં બધાં જૂઠાણાંથી ઘેરાયેલાં છીએ કે તેની વચ્ચેથી સત્યને ઓળખી શકતા નથી. છૂપું રાખવું, સત્ય છુપાવવું અને લોકો ભૂલી જાય ત્યાં સુધી અસત્ય ચલાવ્યે રાખવું એ આપણી પરિભાષા બની ગઈ છે.’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 23 ઍપ્રિલ 2023

Loading

16 May 2023 Vipool Kalyani
← ‘અનુવચન’: અભ્યાસ લેખોનું પુસ્તક
વચલી જ્ઞાતિઓનાં અનુલોમ-વિલોમની વાસ્તવિકતા →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved