Opinion Magazine
Number of visits: 9447102
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજકીય લાભ માટે પવાર કોઈ સાથે પણ વિશ્વાસઘાત કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 May 2023

રમેશ ઓઝા

શરદ પવાર ચતુર મહત્ત્વાકાંક્ષી નેતા છે. તેમણે તેમની ચતુરાઈ દ્વારા મહત્ત્વાકાંક્ષા પૂરી કરી છે અને બળબળતી મહત્ત્વાકાંક્ષાએ ચતુરાઈને ઝાંખી પાડી છે. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી વડા પ્રધાન બનવા પી.વી. નરસિંહ રાવ સામે તેમણે કરેલી ઉમેદવારી અને મે ૧૯૯૯માં  વિદેશી સોનિયા ગાંધીનાં નેતૃત્વનો અસ્વીકાર કરીને કરેલી બગાવત આનાં ઉદાહરણ છે. ૧૯૯૩માં મુંબઈમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તક ઝડપીને મહારાષ્ટ્રને સબળ શાસકની જરૂર છે એમ કહીને વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવે પવારને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવીને દિલ્હીથી મુંબઈ ધકેલી દીધા. ૧૯૯૯માં તેમને એમ લાગ્યું હતું કે દેશમાં પ્રવાહી રાજકીય સ્થિતિમાં સોનિયા ગાંધીનું વિદેશી હોવાપણું મોટો મુદ્દો બનશે અને તેઓ પક્ષમાં રાષ્ટ્રીય નેતૃત્વ ધારણ કરશે. તેમની એ ગણતરી ખોટી પડી. ઊલટું શરદ પવાર રાષ્ટ્રીય નેતાની જગ્યાએ માત્ર એક રાજ્યમાં રાજકીય હાજરી ધરાવનારા પક્ષના નેતા બની ગયા. મુલાયમ સિંહ યાદવ કે પ્રકાશસિંહ બાદલ જેવા પ્રાદેશિક નેતા નહીં, પણ માત્ર એક જ પ્રદેશમાં વગ ધરાવનારા રાષ્ટ્રીય નેતા. આ દૃષ્ટિએ શરદ પવારને એક અનોખા નેતા કહેવા જોઈએ.

શરદ પવાર

૨૪ વરસ પહેલાં તેમણે કાઁગ્રેસ છોડી હતી અને રાષ્ટ્રવાદી કાઁગ્રેસ પક્ષની સ્થાપના કરી હતી. હવે તેમણે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. પ્રસંગ તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિના વિમોચનનો હતો. સામે પક્ષના દિગ્ગજ નેતાઓ બેઠા હતા અને સોપો પડી ગયો. અશ્રુધારા વહેવા લાગી અને થોભો થોભો અને કોઈ રોકો રોકોના ઉદ્ગારો થવા માંડ્યા. છેવટે પવારે કહ્યું કે તેમને વિચારવા માટે ત્રણ દિવસ અને સંપૂર્ણ એકાંત આપવામાં આવે. કોઈ કાર્યકર્તા કે નેતા મળવા આવ્યો છે તો તેઓ પુનર્વિચાર નહીં કરે. ત્રણ દિવસ પછી પવાર શું નિર્ણય લે છે તેની યથા સમય જાણ થઈ જશે, પણ તેમણે આવો નિર્ણય લીધો શું કામ એ પ્રશ્ન તો રહે જ છે. પવાર કોઈ નિર્ણય વગર વિચાર્યે લેતા નથી. તેનાં દૂર દૂરનાં પરિણામ તેને ભળાય એટલા તેઓ વિચક્ષણ છે. ટાઈમિંગની બાબતમાં પણ તેઓ ભાગ્યે જ થાપ ખાય છે. શા માટે શરદ પવારે અત્યારે પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી હશે? બીજું તેમણે માત્ર પક્ષનું અધ્યક્ષપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે પોતે કહ્યું છે કે તેઓ સક્રિય રાજકારણમાંથી અને જાહેરજીવનમાંથી નિવૃત્ત થવાના નથી. આમ એન.સી.પી. અને પવાર વચ્ચેનો અવિભાજ્ય સંબંધ તેઓ હયાત છે ત્યાં સુધી અવિભાજ્ય જ રહેવાનો છે.

ભારતમાં પરિવાર સ્થાપિત રાજકીય પક્ષોમાં વારસાનો સંઘર્ષ હંમેશાં જોવા મળ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નજર કરો, દરેક પક્ષમાં સ્થાપક નેતાનાં મૃત્યુ પછી કલહ જોવા મળ્યો છે. એન.ટી. રામારાવ અને બાળ ઠાકરેનાં પરિવારમાં તો તેમની હયાતીમાં જ કલહ શરૂ થઈ ગયો હતો. શરદ પવારનાં પરિવારમાં પણ પુત્રી સુપ્રિયા સૂલે અને ભત્રીજા અજીત પવાર વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. અજીત પવારે તો ૨૦૧૯માં બી.જે.પી. સાથે હાથ મેળવ્યા પણ હતા. એમાં શરદ પવારની સંમતિ હતી કે નહીં એ આપણે નથી જાણતા. અત્યારે ફરી ચર્ચા ચાલી રહી છે કે અજીત પવાર કાકા સામે બળવો કરીને બી.જે.પી. સાથે હાથ મેળવવાના છે. અજીત પવારને એમ લાગે છે કે ભારતમાં પોતાનાં રક્તનાં અદકેરાપણાની મજબૂરી જોતાં વારસો સુપ્રિયાને જ મળવાનો હોય અને પોતાનાં નસીબમાં રાજ ઠાકરે બનવાનું લખાયું હોય તો એ નસીબ અત્યારે જ બદલી નાખવું જોઈએ.

ઘરમાં શું ચાલી રહ્યું છે એની જાણ પવારથી વધુ કોને હોય? એમ લાગે છે કે તેઓ ગૃહકલેશનો પોતાની પુત્રીના પક્ષમાં અંત લાવવા અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા છે. જે થવાનું હશે એ તેમની હયાતીમાં નજર સામે થશે અને તેઓ તેનો સામનો કરી લેશે. કાર્યકર્તા અને જિલ્લા સ્તરના નેતાઓ શરદ પવાર સાથે હોય એટલે પક્ષમાં વિભાજનનો સવાલ નથી અને જો થાય તો પણ તેને પહોંચી વળી શકાય. શિવસેનાનો દાખલો સામે છે. આખી શિવસેના તેના ડણાક દેતા વાઘ અને ચૂંટણીચિહ્ન સહિત છીનવી લીધી હોવા છતાં, છીનવી લેનારાઓ લોકોની વચ્ચે જતાં ડરે છે, કારણ કે કાર્યકર્તા અને નાના સ્થાનિક નેતાઓ ઉદ્ધવ ઠાકરેની સાથે છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી ડરના માર્યા યોજવામાં આવતી નથી. આમ પક્ષના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનું દેખીતું કારણ પોતાની હયાતીમાં અજીત પવારની સંભવિત ખટપટને નાથવાનું છે.

ભારતનાં રાજકારણમાં શરદ પવાર એક માત્ર એવા નેતા છે જેમના દરેક પક્ષમાં મિત્રો છે અને તેઓ મોટા ઉદ્યોગપતિઓના પણ મિત્ર છે. ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં જો નવાજૂની થાય અને પોતે પક્ષીય રાજકારણ અને તેની ગણતરીઓથી ઉપરવટ હોય તો કદાચ વડા પ્રધાન બનવાની તક મળે. શરદ પવાર ૧૯૮૦થી ભારતના વડા પ્રધાન બનવાના મનોરથ સેવે છે અને એ કોઈ છૂપી વાત નથી. ૧૯૯૬માં વી.પી. સિંહ વિરોધ પક્ષોમાં જે સ્થાન અને આદર ધરાવતા હતા એવું સ્થાન અને આદર મેળવી શકાય. વી.પી. સિંહ જનતા દળમાંથી નિવૃત્ત થઈ ગયા હતા અને માત્ર તેને કારણે વડા પ્રધાનપદ માટે લડતા ત્રીજા મોરચાના નેતાઓએ વી.પી. સિંહને વડા પ્રધાન બનવાની વિનંતી કરી હતી. શું ખબર પવારને એવો મોકો મળે પણ ખરો!

શરદ પવારની એક મર્યાદા છે વિશ્વાસર્હતાનો અભાવ. તેઓ અંગત સંબંધમાં અત્યંત ભરોસાપાત્ર માણસ છે, પણ રાજકીય લાભ માટે કોઈની પણ સાથે વિશ્વાસઘાત કરી શકે. માત્ર રાજકીય લાભ માટે, અંગત નુકસાન ન પહોંચાડે, બલકે અંગત નુકસાન ન થાય તેનું ધ્યાન રાખે.

શરદ પવાર સત્તામાં હોય કે ન હોય, પણ શરદ પવાર રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહેવાની આવડત ધરાવે છે. 

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 મે 2023

Loading

4 May 2023 Vipool Kalyani
← સરેરાશ ભારતીય એક સમયે અનેક ઓળખ સાથે જીવે છે
પ્રસન્ન ભારત : ભ્રમ અને વાસ્તવ વચ્ચે કેટલું અંતર ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved