Opinion Magazine
Number of visits: 9446991
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસાને ભૂલી જવાનો ? ભૂંસી નાખવાનો ? 

રમેશ ઓઝા|Opinion - Opinion|16 April 2023

રમેશ ઓઝા

પાકિસ્તાનની સ્થાપના થઇ એ પછી સવાલ પેદા થયો કે વિદ્યાર્થીઓને શું ભણાવવું અને શું ન ભણાવવું? આખરે ગર્વ સાથે મુસલમાનો માટે સ્થાપવામાં આવેલો ઇસ્લામિક દેશ છે, જેવો તેવો દેશ થોડો જ છે! જેમ કે ઇતિહાસ ભણાવવો હોય તો તેની શરૂઆત ક્યાંથી કરવી? પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી? વળી પાછો વિચાર કર્યો કે પાકિસ્તાન તો ઇસ્લામનું પરિણામ છે. જો ભારતમાં ઈસ્લામ ન આવ્યો હોત તો મુસલમાન ન હોત અને તેમને માટે પાકિસ્તાન બન્યું જ ન હોત માટે પાકિસ્તાનની ભૂમિમાં ઈસ્લામ આવ્યો ત્યારથી પાકિસ્તાનનો ઇતિહાસ લખવાનું અને ભણાવવાનું શરૂ કરવું જોઈએ.

જેમને દૂરનું વિચારતા આવડતું હતું એવા લોકોએ સવાલ ઉપસ્થિત કર્યો કે ઈસ્લામ નહોતો પણ આજે જ્યાં પાકિસ્તાન રચાયું છે એ ભૂમિ તો એ પહેલાંથી હતી. જગતની પ્રાચીન સભ્યતામાંની એક સિંધુ નદીના કાંઠે વિકસેલી સભ્યતા માટે પાકિસ્તાની નાગરિકે ગર્વ લેવો જોઈએ કે નહીં?  બૌદ્ધકાલીન વિશ્વપ્રસિદ્ધ તક્ષશીલા વિશ્વવિદ્યાલય અત્યારનાં પાકિસ્તાનમાં હતી તો એ માટે પાકિસ્તાનઓએ ગર્વ લેવો કે નહીં? આ વિરાસત અત્યારનાં પાકિસ્તાનમાં ઇસ્લામનું આગમન થયું એ પહેલાંની છે એટલે તેની ઉપેક્ષા કરવાની? એવી પણ દલીલ કરવામાં આવી કે ધર્મને ત્રાજવે વસુંધરાને તોળવાની ન હોય. ત્રાજવું નાનું પડશે અને ધર્મઘેલા લોકો રાષ્ટ્રભાવના શી કહેવાય એ સમજી નહીં શકે. ભૂમિને જો પ્રેમ કરવો હોય તો ભેદભાવ કર્યા વગર ભૂમિએ જે આપ્યું છે અને ભૂમિમાં જે બન્યું છે તેનો નિખાલસ સ્વીકાર કરવો જોઈએ. મુસલમાનોનું ઈસ્લામિક પાકિસ્તાન જો આ ભૂમિની પેદાશ છે તો સિંધુસભ્યતા અને બૌદ્ધસંસ્કૃતિ પણ  આ જ ભૂમિની પેદાશ છે. પાકિસ્તાની મુસલમાનોના પરદાદાઓ પણ આ જ ભૂમિની પેદાશ છે, જ્યારે તેઓ મુસ્લિમ નહોતા અને તેમણે આ જ ભૂમિ ઉપર ઇસ્લામ સ્વીકાર્યો હતો.

આ સમસ્યા માત્ર પાકીસ્તાનની જ છે એવું નથી, જગતના મોટાભાગના મુસ્લિમ દેશો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને બંગલાદેશ, ઈન્ડોનેશિયા, ઈજીપ્ત, ઈરાન, તુર્કીમાં આ સમસ્યા મોટી છે કારણ કે આ દેશોમાં ઈસ્લામ પૂર્વેની સભ્યતા સમૃદ્ધ હતી અને તેનો વારસો ત્યાંની પ્રજા ભોગવે છે. એ વારસાને ભૂલી જવાનો? ભૂંસી નાખવાનો? એ દેશોમાં કેટલાક લોકોને એમ લાગે છે કે એ સમૃદ્ધ વારસો પ્રાગ-ઇસ્લામિક છે એટલે તેને નકારી ન શકાય. એ આપણો છે, આપણાં વડીલોએ વિકસાવ્યો છે. એ ઈસ્લામ પૂર્વેનો છે કે પછી સહિયારો છે તેનાથી શું ફરક પડે છે? બીજી બાજુ એવા કેટલાક લોકો પણ છે જે એમ માને છે કે વિશ્વના એક માત્ર સાચા ધર્મના પ્રાદુર્ભાવ પછી જ સાચું જગત અસ્તિત્વમાં આવ્યું એટલે એ પહેલાંનાં કાચા-અધૂરા જગતને ભૂલી જવામાં કોઈ નુકસાન નથી. હકીકતમાં ભૂલી જ જવું જોઈએ અને ભૂંસી નાખવું જોઈએ. સાચા મુસલમાનની આ ફરજ છે.

અંતે પાકિસ્તાનમાં અને અન્યત્ર બીજા પ્રકારના લોકોનું પલડું ભારી નીવડ્યું અને પ્રાગ-ઇસ્લામિક વિરાસતને ભૂલવાનું અને ભૂંસવાનું શરૂ થયું. શિક્ષણસંસ્થાઓ કબજે કરવામાં આવી અને ત્યાં ધર્મઝનૂની અને અક્કલના ઓથમીરોને ગોઠવવામાં આવ્યા. ગેરઇસ્લામિક વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા અને એ વિરાસતને ભૂંસવાનું તાલેબાની આંદોલન શરૂ થયું. આપણો ધર્મ જગતનો શ્રેષ્ઠ ધર્મ છે અને આપણે જગતની શ્રેષ્ઠ પ્રજા છીએ. જગતે આપણી પાસેથી શીખવું જોઈએ અને જગત આપણું ઋણી છે અને રહેશે. તેઓ વિશ્વગુરુ એવો શબ્દપ્રયોગ કરતા નથી, પણ પોતાને એટલે કે ઇસ્લામને તેમ જ મુસલમાનોને અન્ય ધર્મીઓ માટે પથદર્શક કહે છે. નકારનારી વિચારધારાને પરિણામે શું થયું? સત્તાધીશો, ધર્મગુરુઓ, અખંડ વિરાસતને ખંડિત કરનારાઓ, શિક્ષણસંસ્થાઓ ઉપર કબજો કરનારાઓ, સહિયારી વિરાસતને ભુલાવનારા પાઠ્યપુસ્તકો લખી આપનારાઓ, અખંડ વિરાસતને ભૂંસવા માગનારા તાલેબાનો વગેરે એકબીજાને સહારે પેદા થયા અને તેમની વચ્ચે એક ધરી રચાઈ જેણે પાકિસ્તાનને બરબાદ કરી નાખ્યું.

હવે જ્યારે આવી પ્રવૃત્તિ ભારતમાં શરૂ થઈ છે ત્યારે બે સવાલ પૂછવા રહ્યા. ખાસ કરીને એ લોકોને જેઓ ધર્મઘેલા હિન્દુત્વવાદીઓ છે. પહેલો સવાલ એ કે જે માર્ગ તમે આજે અપનાવવા માગો છે એ માર્ગ પાકિસ્તાન સહિતના મુસ્લિમ દેશો દાયકાઓથી અપનાવતા આવ્યા છે. એ દેશો આ માર્ગ અપનાવીને આબાદ થયા કે બરબાદ થયા? એક દેશનું નામ આપો જે આ માર્ગ અપનાવીને આબાદ થયા હોય. બીજો પ્રશ્ન એ કે વિધર્મીઓના વાસ્તવ તેમ જ વારસાને ભૂલાવવા અને ભૂંસવાના સંગઠિત રીતે લાખ પ્રયત્નો કર્યા પછી પણ એ ભૂલાયા અને ભૂંસાયા છે? એક દાખલો આપો. આનું દેખીતું કારણ એ છે કે બેવકૂફોને ડરાવવા અને રડાવવા માટે એ જ સામાગ્રી કામમાં આવે છે જેને તેઓ ભૂલાવવા અને ભૂસવા માગે છે. અફઘાનિસ્તાનમાં બામિયાનમાં બુદ્ધની પ્રતિમાઓને તોડી નાખ્યા પછી પણ એ ખંડેર આજે પણ અફઘાનિસ્તાનમાં બૌદ્ધ વારસાની દાસ્તાન આપે છે. આવતીકાલે સમજો કોઈ હિંદુ તાલેબાન તાજમહેલને તોડી નાખે તો પણ એ મુઘલ સામ્રાજ્યનાં વૈભવની દાસ્તાન આપતો રહેશે. જેનું પોતાનું અસ્તિત્વ વિધર્મીઓના ખૌફ પર આધારિત હોય એ ક્યારે ય વિધર્મીઓને, તેમના અસ્તિત્વને અને તેમના વારસાને ભૂલી કે ભૂંસી ન શકે.

જે આ પ્રવૃત્તિ કરે છે તેમનો પોતાનો સત્તાકીય સ્વાર્થ હોય છે. પ્રજા ઉપર વર્ચસ બની રહેવું જોઈએ અને પ્રજા હાથમાંથી જવી ન જોઈએ. પણ જે લોકો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર ભરમાઈને ટેકો આપે છે તેમના હાથમાં શું આવે છે? બરબાદ પેઢીઓ. જો વિવેકનો સૂર્ય ઊગતા વાર લાગે તો એક બે નહીં અનેક પેઢીઓની બરબાદી. નુકસાન મુસલમાનોનું, મુઘલોનું, ગાંધીજીનું કે સેક્યુલર હિંદુઓનું નથી થવાનું તમારું પોતાનું થવાનું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઍપ્રિલ 2023

Loading

16 April 2023 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—192
રાષ્ટ્રોની ભૌગિલક પરિસ્થિતિ નક્કી કરશે 2023માં વૈશ્વિક અર્થતંત્રની દિશા અને દશા →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved