Opinion Magazine
Number of visits: 9446896
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશની બેન્કો આપઘાતને માર્ગે તો નથીને …?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 December 2022

1969માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું તે સાથે જ ગલીએ ગલીએ બેન્કો ફૂટી નીકળી. એ પછી છેલ્લાં થોડાં વર્ષોમાં બેંકોનાં મર્જરનો પવન ફૂંકાયો. મર્જરથી બેંકોનાં મજબૂતીકરણનો ખ્યાલ સરકાર રાખે છે ને રાષ્ટ્રીયકરણને વિકલ્પે ફરી એક વખત ઘણાં ક્ષેત્રોમાં ખાનગીકરણનો મહિમા વધ્યો છે. આ બધાંમાં ઠરેલપણું ઓછું અને તઘલખીપણું વધારે છે. છેલ્લે છેલ્લે 8 નવેમ્બર, 2016ની મધરાતે નોટબંધીનો અખતરો કાળું નાણું બહાર કઢાવવા થયો. એમાં કાળું નાણું તો બહુ હાથ ના લાગ્યું, પણ કાળું, ધોળું જરૂર થયું. હજાર, પાંચસોની નોટ એટલે બંધ કરી કે મોટી નોટોનો સંગ્રહ ઘટે, પણ ગમ્મત એ થઈ કે હજારની નોટને બદલે બે હજારની નોટ બહાર પડી, એમાં તો સંગ્રહખોરોને સગવડ થઈ ગઈ. હજારની નોટ જેટલી જગ્યા રોકે એનાં કરતાં બે હજારની અડધી રોકે એવું સામાન્ય બુદ્ધિવાળો પણ સમજી શકે, પણ આ બધા અસામાન્ય બુદ્ધિમત્તાના ખેલ હતા એટલે એમાં સામાન્ય માણસે તો ચાંચ મારવા જેવી જ નથી. એ પછી વધારે અક્કલ તો એમાં વપરાઇ કે ત્રણેક વર્ષથી બે હજારની નોટ છાપવાનું જ બંધ કરાયું. કેમ? તો કે 2016માં બે હજારી નોટ બહાર પડી એ સાથે જ નકલી નોટ પાકિસ્તાનથી પ્રગટ થઈ. પછી તો કાળું નાણું પકડવા જેટલા દરોડા પડ્યા, એમાં બે હજારની નોટોના ઢગલા જ સામે આવ્યા. બે હજારની નોટો ચલણમાં નથી દેખાતી એટલે લોકોમાં એવી દહેશત પણ છે કે બે હજારની નોટ બંધ થશે. એ થાય કે ન થાય તે સરકાર જાણે, પણ ચલણમાં મોટી નોટ અત્યારે તો 500ની જ દેખાય છે તે હકીકત છે. ખબર નહીં, હવે કયો તુક્કો અજમાવાય છે તે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં દેશની બેન્કોએ 10.09 લાખ કરોડની લોન માંડી વાળી છે એ તુક્કો નથી, હકીકત છે.

હા, નોન પરફોર્મિંગ એસેટ્સ (એન.પી.એ.) હેઠળ 10,09,511 કરોડની લોન માંડી વળાઈ છે. રિઝર્વ બેન્કના નિયમો અનુસાર નફામાંથી આટલી રકમ અલગ કાઢીને પડીકું વાળી દેવાયું છે. આની વધામણી ખાતાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે માંડવાળ કરવામાં આવેલ રકમ પરત મેળવવા બેન્કો કાર્યવાહી કરી રહી છે ને પાંચ વર્ષમાં 13 ટકાને હિસાબે 1,32,026 કરોડ પાછા આવ્યા પણ છે. નાણાં મંત્રીએ એ પણ ખુલાસો કર્યો છે કે લોન માંડી વળાય છે એનો અર્થ એવો નથી કે ધિરાણ મેળવનારની જવાબદારી પૂરી થઈ ગઈ છે. બેન્કો તો કાનૂની રાહે લોન મેળવવાના પ્રયત્નો ચાલુ રાખે જ છે. છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ 6,59,596 કરોડ પાછા મેળવ્યા છે, જેમાંના 1,32,026 કરોડ માંડવાળ લોન પેટે પરત મળ્યા છે. જો કે, બેન્કો તો લોન પરત નથી આવવાની એમ માનીને જ ચાલતી હોય છે.

લોન નબળી પડે એનો અર્થ એ કે વ્યાજ કે મુદ્દલની ચૂકવણી અટકી ગઈ છે. ચાર વર્ષમાં લોનની બાકી રકમ અને વ્યાજની રકમ બેન્ક, નફામાંથી અલગ કાઢે છે. એ પછી પણ લોન ને વ્યાજની રિકવરીના પ્રયત્નો ચાલુ રહે છે, જો કોઈ રકમ પરત આવે છે તો એ નફામાંથી અલગ કરાયેલી રકમમાં એડજસ્ટ કરાય છે. ક્યારેક બેન્કો સિક્યુરિટી તરીકે બેન્ક પાસે મુકાયેલ મિલકતની નીલામી કરીને પણ રકમ વસૂલતી હોય છે અને એ રીતે આવેલી રકમ પણ નફામાંથી અલગ કઢાયેલ રકમમાં એડજસ્ટ કરાય છે.

લોન માંડવાળ કરનાર ટોચની પાંચ બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયાના 2,04,486 કરોડ, પંજાબ નેશનલ બેન્કના 67,214 કરોડ, બેન્ક ઓફ બરોડાના 66,711 કરોડ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના 56,132 કરોડ અને આઇ.સી.આઇ.સી.આઇ.ના 50,514 કરોડ છે. આ રીતે અપાયેલી લોનમાં બેન્કોના અધિકારીઓ કે કર્મચારીઓએ નીતિ વિષયક નિર્ણયો લેવામાં ભૂલ કરી હોય કે લોન પાસ કરવામાં ગ્રાહકની તરફેણ કરી હોય તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે ને 3,312 જેટલા ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓ સામે છેલ્લાં પાંચ વર્ષમાં કાર્યવાહી કરવામાં આવી પણ છે. આમાં માત્ર અધિકારીઓ જ સંડોવાયા હોય એવું નથી. રાજકીય પક્ષો કે નેતાઓ કે ઉદ્યોગપતિઓ પણ બેન્કો પર જોખમ ઊભું કરવામાં પાછું વળીને જોતાં નથી. વારુ, અધિકારીઓ જવાબદાર હોય ને તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તો પણ, જે જંગી રકમ સંડોવાઈ હોય એ પરત આવવાના પ્રશ્નો તો રહે જ છે. એક તરફ અબજો અબજોની લોન લઈને ઉદ્યોગપતિઓ ભાગી જાય છે ને બીજી તરફ કોઈ યુવાનને આઠ દસ લાખની લોન મેળવવાનું મુશ્કેલ થઈ પડે છે. એક તરફ અબજો રૂપિયા ઉદ્યોગપતિઓ ડુબાડે છે ને સિક્યુરિટી તરીકે મુકાયેલ મિલકતોની નીલામી પછી પણ પૂરી લોન વસૂલ થઈ નથી શકતી, તો પ્રશ્ન થાય કે કોના જીવ પર અબજોની લોન આવી વ્યક્તિઓને ધીરવામાં આવી છે? બીજી તરફ આઠ દસ લાખની લોન મેળવવા ઇચ્છુક યુવાન પાસે ઉત્તમ પ્રકારની યોજના અને સ્કિલ હોય છે, પણ તેની પાસે સિક્યુરિટી તરીકે મૂકવા માટે કોઈ મિલકત કે ડોક્યુમેન્ટ્સ નથી હોતાં. એ લોન ડુબાડે એમ નથી, પણ તેને લોન મળતી નથી, તેને થોડો ટેકો મળે તો તે ઘણું કરી શકે એમ છે, પણ ડોક્યુમેન્ટ્સના અભાવમાં તે પાછો પડે છે ને પેલા ઉદ્યોગપતિઓ બધી જ ફોર્માલિટીઝ પૂરી કરે છે, છતાં તેની લોન બેડ લોનમાં ફેરવાઈને જ રહે છે, કારણ તેનો હેતુ જ લોન અને વ્યાજ ભરપાઈ કરવાનો નથી. તે ગરીબ નથી, પણ પૈસા પરત કરવાની તેની દાનત નથી. રિઝર્વ બેન્કના આંકડા જ કહે છે કે 2021-22માં આ રીતે 40 હજાર કરોડ રૂપિયા કૌભાંડીઓને સોંપવામાં આવ્યા હતા ને આ આંકડો 2020-21માં તો 81 હજાર કરોડનો હતો.

આટલી રકમ કયા આધારે ને કોના કહેવાથી કોને અપાય છે તે તો આપનાર ને લેનાર જ જાણે, પણ આ રીતે બેફામ લોન આપવાનું ઉત્તેજન સરકારે પણ આપ્યું છે તેની ના પાડી શકાશે નહીં. વધારે દૂર ન જતાં 23 મે, 2020 ને રોજ નાણાં મંત્રીએ બાપોકાર જાહેર કર્યું હતું કે સી.બી.આઇ., સી.વી.સી., કે સી.એ.જી.થી ડર્યા વગર જાહેર ક્ષેત્રોની બેન્કો લોન આપે. જાહેર ક્ષેત્રની બેન્કો અને નાણાંકીય સંસ્થાઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓની બેઠકમાં નાણાં મંત્રીએ છડેચોક કહ્યું હતું કે બેન્કોએ લોન આપતાં ડરવું નહીં. કારણ કે સરકાર તરફથી એ વાતની 100 ટકા ગેરંટી આપવામાં આવે છે કે લોન અંગેનો નિર્ણય લેવામાં કોઈ ભૂલ થાય છે કે કોઈ નુકસાન જાય છે, તો તે વ્યક્તિગત અધિકારી કે બેન્ક વિરુદ્ધ નહીં જાય. આટલી ખાતરી સરકાર જ આપતી હોય તો બેન્કો બેફામ લોન આપે અને રિકવરીની ચિંતા ન કરે તો તેનો શો વાંક કાઢવાનો? વચ્ચેના ગાળામાં રિઝર્વ બેન્કે પણ ધિરાણની નીતિઓમાં ભારે ઉદારતા દાખવીને લોન માટે લોકોને આકર્ષવાના ઘણાં પ્રયત્નો કર્યાં છે. આડેધડ ધિરાણને આમ ઉત્તેજન અપાતું હોય તો એન.પી.ઓ.નો આંક આઘાતજનક રીતે વધે એમાં નવાઈ નથી. ગ્રાહકોને ખાતરી હોય કે લોન માંડી વાળવામાં આવશે ને અધિકારીઓને પણ વિશ્વાસ હોય કે લોન આપવામાં થતી ભૂલ કે ગ્રાહકની થતી ફેવર જો માફ થવાની હોય તો તે જાણી જોઈને બેદરકારી દાખવે કે કમિશન ખાઈ ભ્રષ્ટાચાર કરે તો તેને રોકવાનું મુશ્કેલ છે. એક તરફ દેવા માફીની ને બીજી તરફ અધિકારીઓને ભૂલ બદલ માફી આપવાની વાત હોય તો 3,312 જેટલા અધિકારીઓને જવાબદાર ઠેરવવાનો કોઈ અર્થ ખરો? એક તરફ માફી અને બીજી તરફ સજા-ની બેવડી નીતિ સરકારની વિશ્વસનીયતાને જોખમમાં મૂકે છે. આ ઠીક નથી.

એક વાત સ્પષ્ટ છે કે કોઈ પણ લોન પરત આવે એ હેતુથી જ અપાતી હોય છે. એ લોન છે, દાન નથી. લોન વ્યાજ સાથે પરત આવે એ સિવાયની બધી જ વાતો નિરર્થક છે. લોનધારકને બેન્કો લોન આપીને તેના ધંધા ઉદ્યોગના વિકાસમાં મદદરૂપ થાય છે. હવે જો ધંધાનો વિકાસ થતો હોય તો લોનધારકની નૈતિક ફરજ છે તે લોન વ્યાજ સહિત પરત થાય એ જોવાની. બેન્કોની પણ એ જવાબદારી બને છે કે લોનની રકમ વ્યાજ સહિત લોનધારક ભરપાઈ કરે તે જુએ. મંદી કે અન્ય આફતોને કારણે લોનધારક લોન ભરપાઈ કરવામાં મોડો પડે તો તેની હપ્તાની મુદ્દત વધારી શકાય, પણ લોન પરત આવે તે તો બેન્કે જોવાનું રહે જ છે. લોનધારક મૃત્યુ પામે ને લોન પરત આવે એવી કોઈ શક્યતા જ ન હોય તે સંજોગોમાં લોન માંડવાળ કરવી પડે એ સમજી શકાય. લાખો કરોડની લોન માંડી વાળવામાં એવું કોઈ કારણ તો નથી દેખાતું. ટૂંકમાં,10.09 લાખ કરોડની લોનની રકમ વસૂલ ન કરવાની વૃત્તિ કે લોન ભરપાઈ ન કરવાની દાનત જરા પણ સહજ અને ક્ષમ્ય નથી. બેન્કો અને લોનધારકની પરસ્પર વફાદારીના અભાવમાં જ આ શક્ય છે. એવું નથી લાગતું કે અપ્રમાણિકતા અને અસત્ય જ હવે રાષ્ટ્રીય ચરિત્રની ઓળખ છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 ડિસેમ્બર 2022

Loading

16 December 2022 Vipool Kalyani
← આપણાં સામાયિકોનું ભવિષ્ય
પ્રા. રમેશ બી. શાહને અભિવંદન ! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved