Opinion Magazine
Number of visits: 9450084
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આધ્યાત્મિકતાની વાતો કરનારા ગુરુઓ યુવતીઓનું શોષણ કેમ કરે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|2 November 2022

[પાર્ટ-1]

આશારામ / ગુરમીત રામ રહીમ કે વિશ્વની સૌથી મોટી યોગ સંસ્થા ‘શિવાનંદ’ આશ્રમમાં એક સરખી જ મોડસ ઓપરેન્ડી જોવા મળે છે. કોઈ પણ આધ્યાત્મિક / ધાર્મિક ગુરુની યાત્રા આખરે યુવતીઓના શોષણ સુધી પહોંચે છે. ગુરુ યુવતીને કહે છે કે તારામાં પાર્વતી તત્ત્વ છે અને મારામાં શિવ તત્ત્વ હોય છે; બન્ને એક બને તો મોક્ષ પ્રાપ્તિ / સમાધિ થાય ! મોક્ષ / સમાધિ એક અંધશ્રદ્ધા છે; મોક્ષ જેવી કોઈ જગ્યા કે અવસ્થા નથી. રજનીશ – ઓશોએ પોતાના પુસ્તકનું નામ ‘સંભોગ સે સમાધિ’ રાખ્યું હતું ! સેક્સ દ્વારા મોક્ષ / સમાધિ મેળવવાની વાતો તરકટ છે; તેમાં મળતા પરમ આનંદને મોક્ષ /સમાધિનું નામ આપીને ગુરુઓ યુવતીઓનું શોષણ કરે છે ! 25 ઑક્ટોબર 2022ના રોજ BBC સંવાદદાતા Ishleen Kaur – ઇશલીન કૌરનો રીપોર્ટ ચોંકાવનારો છે. મૂળ ન્યૂઝીલૅન્ડમાં રહેતી Julie Salter – જૂલી સાલ્ટર નામની મહિલાએ પોતાની ફેસબૂક પોસ્ટમાં 10 ડિસેમ્બર 2019ના રોજ લખ્યું હતું કે “કેનેડામાં શિવાનંદ આશ્રમના મુખ્યાલયમાં ત્રણ વર્ષ સુધી તેમની સાથે વિષ્ણુ-દેવાનંદ સ્વામી દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હતી ! દાયકાઓ પછી હવે મારામાં હિંમત પ્રગટી અને મેં આ વાત શિવાનંદ વ્યવસ્થાપક બોર્ડ સમક્ષ મૂકી. બોર્ડ તરફથી પ્રતિક્રિયામાં મૌન અને મૌન કરી દેવા સુધીના પ્રયાસો જ જોવા મળ્યા !”

સ્વામી વિષ્ણુ-દેવાનંદ કોણ છે? 31 ડિસેમ્બર 1927માં કેરળમાં તેમનો જન્મ થયો હતો. 65 વરસની વયે ઉત્તરાખંડમાં 9 નવેમ્બર 1993ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ યોગ ગુરુ અને પીસ એક્ટિવિસ્ટ હતા ! 1959માં કૅનેડાના મૉન્ટ્રિયલમાં આશ્રમની સ્થાપના કરી હતી અને સંસ્થાનું નામ પોતાના ગુરુ શિવાનંદ સ્વામીના નામ પરથી રાખ્યું હતું. વિશ્વના 35 દેશોમાં લગભગ 60 શિવાનંદ આશ્રમ અને કેન્દ્રો આવેલાં છે, અહીં તાલીમ લેનારા શિવાનંદ યોગ શિક્ષકોની સંખ્યા લગભગ 50,000 છે. તેમણે 1960માં The Complete Illustrated Book of Yoga’ અને 1978માં ‘Meditation and Mantras’ નામનાં પુસ્તકો લખ્યાં. તેઓ હઠયોગ અને રાજયોગમાં ઓથોરિટી હતા. ‘શિવાનંદ યોગ’માં શારીરિક અને આધ્યાત્મિક બંને સ્વાસ્થ્ય પર ભાર મૂકવામાં આવે છે. વિષ્ણુદેવાનંદ સ્વામીની વાણી એટલી પ્રભાવશાળી હતી કે કેટલાં ય લોકોએ સંસારનો ત્યાગ કરીને પોતાનું જીવન શિવાનંદ આશ્રમ માટે સમર્પિત કરી દીધું હતું. વિષ્ણુદેવાનંદ સ્વામીએ 30 ઑગસ્ટ 1971ના રોજ, તેમના પીસ પ્લેનને બોસ્ટનથી ઉત્તર આયર્લેન્ડ સુધી પાયલોટ કર્યું હતું. તેમણે શાંતિ માટે પાકિસ્તાન અને બંગલાદેશમાં પુષ્પ અને શાંતિ પત્રિકાઓ ફેંકી હતી. 15 સપ્ટેમ્બર 1983ના રોજ, તેમણે બર્લિનની દિવાલ ઉપરથી પશ્ચિમથી પૂર્વ બર્લિન સુધી શાંતિને પ્રાત્સાહન આપવા ઉડાન ભરી હતી. 1984માં તેમણે યોગની જાગૃતિ માટે ડબલ-ડેકર બસમાં ભારતનો પ્રવાસ કર્યો હતો. ફેબ્રુઆરી 1984માં તેમણે સુવર્ણમંદિરમાં જરનૈલ સિંહ ભીંદરાનવાલે સાથે મુલાકાત કરી હતી. વિષ્ણુદેવાનંદના અવસાન બાદ, તેમની આબરું કાંકરા જેવી થઈ ગઈ ! જૂલી 1978માં આશ્રમમાં જોડાઈ હતી, ત્યારે તેની ઉંમર 20 વરસની હતી. વિષ્ણુ-દેવાનંદે જૂલીને અંગત સહાયિકા તરીકે સેવા આપવા કહ્યું ત્યારે  જૂલીને લાગ્યું કે તેને આ વિશેષાધિકાર અપાયો છે ! જૂલી 11 વરસ સુધી વિષ્ણુદેવાનંદની અંગત સહાયિકા રહી હતી. તે વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી જતી અને મધરાત સુધી કામ કરતી રહેતી. કોઈ વેતન નહીં અને અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કરતાં રહેવાનું. સ્વામી વિષ્ણુદેવાનંદનો સ્વભાવ વિચિત્ર થઈ ગયો હતો. તેઓ ઘણી વાર પોતાના પર બરાડા પાડતા હતા.

એક દિવસ જૂલી વિષ્ણુદેવાનંદના નિવાસસ્થાને કામ કરી રહી હતી ત્યારે જોયું તો વિષ્ણુદેવાનંદ સૂતા સૂતા ભક્તિ સંગીત સાંભળી રહ્યા હતા. વિષ્ણુદેવાનંદે જૂલીને કહ્યું કે ‘મારી બાજુમાં આવીને સૂઈ જા.’ જૂલીએ કહ્યું કે ‘આવું શા માટે કરવાનું છે?’ ત્યારે વિષ્ણુદેવાનંદે કહ્યું કે “આ એક ‘તંત્ર યોગ’ છે. આ યોગ આધ્યાત્મિક સેક્સ સાથે જોડાયેલો છે. ગાઢ આરામ સાથે આધ્યાત્મિક જ્ઞાન સુધી પહોંચવા માટે !” જૂલી લખે છે : “મારું શરીર અને મન માનતું નહોતું છતાં હું ત્યાં સૂઈ ગઈ. તે પછી યૌન સંબંધ સ્થાપિત થયો. તે પછી હું ફરી નીચે કામ કરવા જતી રહી. મને બહુ શરમ, સંકોચ, પીડા, આત્મગ્લાનિ અને અપરાધબોધનો અનુભવ થઈ રહ્યો હતો. ત્રણ વર્ષથી વધુ સુધી તેમની સાથે આ રીતે કેટલા ય પ્રકારે જાતીય સંસર્ગની વિધિઓ થતી રહી. તેમાં સેક્સનો પણ સમાવેશ થતો હતો. વિષ્ણુ-દેવાનંદ સ્વામી, જાહેરમાં બ્રહ્મચારી સાધુ તરીકે જાણીતા હતા. હું શરમ અને વેદનાની ઊંડી અને ઊંડી અવસ્થામાં ધકેલાઈ ગઈ હતી. હું સાવ એકલી હતી. મારા પરિવારથી દૂર દુનિયાના બીજા છેડે હતી. આર્થિક રીતે હું સંગઠન પર નિર્ભર હતી.” વિષ્ણુ-દેવાનંદ સ્વામીની સત્તા અને આભા સામે જૂલીની સહમતી કે અસહમતીનો કોઈ અર્થ જ નહોતો. વિષ્ણુદેવાનંદે પોતાની સાથે જે કર્યું તેને જૂલી હવે ‘બળાત્કાર’ માને છે ! યોગમાં ગુરુ-શિષ્ય પરંપરા એવી છે; જેમાં શિષ્યે ગુરુની ઇચ્છા પ્રત્યે સમર્પિત થઈને રહેવાનું હોય છે !

[પાર્ટ-2]

1993માં, વિષ્ણુદેવાનંદનું મૃત્યુ થયું. તેના છ વર્ષ પછી, Julie Salter – જૂલી સાલ્ટર આશ્રમ છોડવાની હિંમત કરી શકી હતી. જુલીની ફેસબૂકની પોસ્ટને કારણે મધપૂડો છંછેડાયો છે. જુલી કહે છે : “મારી આપવીતી જાહેર કરીને, બીજા લોકોને આવા અત્યાચારમાંથી બચાવવાનો મારો આશય છે. ભલે વિષ્ણુદેવાનંદનું મોત થઈ ગયું હોય, પરંતુ શિવાનંદ આશ્રમમાં યોગ શિક્ષકો દ્વારા શિષ્યાઓનું શોષણ થઈ રહ્યું છે, તે હજી ય બંધ થયું નથી !” જૂલીની પોસ્ટ વાંચીને 14 મહિલાઓએ કોમેન્ટમાં જણાવ્યું કે વિષ્ણુ-દેવાનંદ સ્વામીએ અમારી સાથે પણ આવી હરકત કરી હતી ! પામેલા કહે છે : “1978માં, વિષ્ણુદેવાનંદ લંડનમાં વિન્ડસર કેસલમાં હતા ત્યારે મારા પર બળાત્કાર કર્યો હતો. તે વખતે હું શવાસન આસનમાં ખૂબ ઊંડી ઊતરી ગઈ હતી.” લ્યૂસીલ કહે છે : “70ના દાયકાના મધ્યમાં કેનેડાના આશ્રમમાં વિષ્ણુદેવાનંદે મારી પર ત્રણ વાર બળાત્કાર કર્યો હતો. પ્રથમ બે વાર તંત્ર યોગના નામે હું સહમત થઈ હતી; પરંતુ ત્રીજી વાર તેમણે મને પૈસા આપ્યા ત્યારે મને ‘સેક્સ વર્કર જેવો’ અહેસાસ થયો હતો !“

મૅરી (નામ બદલ્યું છે) કહે છે : “શિવાનંદ આશ્રમના એક શિક્ષકે વર્ષો સુધી મને પ્રોત્સાહન આપ્યું હતું, અમારી વચ્ચે યૌનના સંબંધો થઈ ગયા હતા તેના કારણે હું મૂંઝાવા લાગી હતી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.” બીજી એક મહિલા કહે છે : “આ જ શિક્ષકે મારું પણ યૌન શોષણ કર્યું હતું. આ શિક્ષકની એક મોડસ ઓપરેન્ડી હતી; પ્રથમ સ્ત્રીને પ્રોત્સાહન આપતો, ગ્રૂમ કરતો અને પછી યૌન શોષણ કરતો હતો.“ આ સિવાય અન્ય ચાર મહિલાઓ જે એક બીજાને ઓળખતી ન હતી; પરંતુ બધાની વાત લગભગ એક સમાન હતી. કૅથરીન, (નામ બદલ્યું છે) 80ના દાયકામાં શિવાનંદ આશ્રમમાં બાળકોની શિબિરમાં ભાગ લેવા માટે ગઈ હતી; તે વખતે તેની ઉંમર 12 વર્ષની હતી. એક શિક્ષક તેમને અડપલાં કરતો હતો. માલિશ કરતો હતો અને તેમનાં હિપ્સને સ્પર્શ કરતો હતો. તે 15 વર્ષની થઈ ત્યારે તે શિક્ષક વધારે છૂટ લેવા લાગ્યો. તે વધારે અડપલાં કરતો હતો. કૅથરીન કહે છે : “છેલ્લે હું 17 વર્ષની થઈ ત્યારે તેણે યૌન શોષણ કર્યું હતું. હું નીંદરમાં હતી. જાગીને જોયું તો તે મારી ઉપર હતો. તેથી મેં આશ્રમ છોડી દીધો !” આ શિક્ષક ભારતમાં શિવાનંદ આશ્રમમાં સક્રિય છે. બીજા એક શિક્ષકનું નામ છે મહાદેવાનંદ સ્વામી ઉર્ફે મોરિજિયો ફિનોછી. તેની સામે આઠ મહિલાઓએ યૌન શોષણના આક્ષેપ કર્યા છે.

2006માં વૅન્ડી નામની કિશોરી કૅનેડાના આશ્રમમાં મહાદેવાનંદના અંગત સહાયિકા હતી. ઇમેલ આવે તેની પ્રિન્ટ કાઢીને તેમની કૅબિનમાં લઈ જવાનું કામ તેણે કરવાનું રહેતું. એક દિવસ મહાદેવાનંદ સ્વામીએ ઇમેલ અને નાસ્તો લાવવા કહ્યું અને વૅન્ડીને પોતાના બેડરૂમમાં બોલાવી. તેઓ પથારીમાં સૂતા હતા. વૅન્ડી કહે છે : “મેં ટ્રે નીચે રાખી કે તરત મહાદેવાનંદ સ્વામીએ મારો હાથ પકડી લીધો. તેણે ઓઢેલી ચાદર હટાવી તો તેની અંદર તે હસ્તમૈથુન કરી રહ્યો હતો. મહાદેવાનંદે મારા હાથ પર વીર્યનું સ્ખલન કર્યું. તેમનું વર્તન એવું હતું કે જાણે હું કોઈ માણસ ન હતી ! આ ઘટના પછી શિવાનંદ આશ્રમ સાથેના મારો સંબંધ પૂરો થયો. સ્ત્રીઓ જો આવી કોઈ ફરિયાદ સિનિયર સ્ટાફને કરે તો તેમને કહેવાતું કે આ તો આધ્યાત્મિક તાલીમ છે અને તેને ‘ગુરુની કૃપા’ કહેવાય ! તમને અમૂલ્ય જ્ઞાન આપવામાં આવી રહ્યું છે !”

સવાલ એ છે કે યૌન શોષણ અંગે શિવાનંદ આશ્રમના સંચાલકોને જાણકારી હતી કે કેમ? જૂલી કહે છે : “2007માં મારામાં હિંમત આવી હતી અને મેં યૌન શોષણની ફરિયાદ કરી હતી. મેં આશ્રમની EBM-Executive Board Members કારોબારી સમિતિના એક સભ્યની મુલાકાત લઈને રજૂઆત કરી હતી. EBMની રચના વિષ્ણુદેવાનંદે કરી હતી, જેથી પોતાના મૃત્યુ બાદ શિવાનંદ આશ્રમનું કામકાજ સંભાળી શકે. મેં કારોબારી સભ્ય સ્વામી મહાદેવાનંદનો સંપર્ક કર્યો હતો. એ પછી 2006માં મેં કારોબારીના બીજા ચાર સભ્યોને મળીને ફરિયાદ કરી હતી. EBMના વકીલે મને પૂછેલ કે ‘કથિત શોષણનો મામલો આટલાં વર્ષો પછી કેમ ઉઠાવી રહ્યાં છો?’ 30 જેટલી મહિલાઓએ યૌન શોષણની ફરિયાદ કરી હતી. આ મહિલાઓ વિદેશી હતી. ભારતીય મહિલાઓનું પણ શોષણ થતું હતું; પરંતુ તેઓ ફરિયાદ કરવામાં ડરતી હતી ! સ્વામી વિષ્ણુ-દેવાનંદ 1987 સુધી, દેખીતી રીતે, બહુવિધ યુવાન મહિલા ભક્તો સાથે અપ્રગટ રીતે સેક્સ્યુઅલી સક્રિય હતા. સ્વામી વિષ્ણુ-દેવાનંદ બ્રહ્મચારી નહોતા, તેમ છતાં આજે પણ ભક્તો તેમને બ્રહ્મચારી તરીકે આદરણીય માને છે !”

ભલે આ સ્વામીઓ વિશ્વશાંતિની વાત કરે / ઉદ્ધારની-મોક્ષની વાતો કરે / હઠયોગ-રાજયોગની વાતો કરે, પુસ્તકો લખે / ફાઈલસ્ટાર આશ્રમો ઊભા કરે પરંતુ પોતે યુવતીઓને મજબૂત કરી તેમનું શોષણ કરતા અચકાતા નથી ! સાધનશુદ્ધિ અને ચિત્તશુદ્ધિ વિનાનું કહેવાતું કોઈપણ સદ્કાર્ય અંતે તો શોષણ અને અહંકારનું જ સાધન બને છે. આટલી બધી કથાઓ, આટલાં બધાં ધાર્મિક ક્રિયાકાન્ડ, આટલી બધી ધાર્મિક યાત્રાઓ; આટલાં બધાં આશ્રમો અને યોગ કેન્દ્રો; તેમ છતાં લોકોનું નૈતિક /ધાર્મિક / સામાજિક સ્તર ઉપર જવાને બદલે નીચે કેમ જાય છે? ચિત્તશુદ્ધિ અને સાધનશુદ્ધિ વિનાનું આચરણ અંતે તો વાસનાના પોષણનું સાધન બને છે. આ વાત જ્યાં સુધી શ્રદ્ધાળુ લોકો નહીં સમજે, ત્યાં સુધી ધર્મજગતના ઠગો લોકોની ભાવનાનું શોષણ કરતા જ રહેશે ! 

[પૂર્ણ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

2 November 2022 Vipool Kalyani
← વૉલક્લોક
પ્રેમ આપણો   →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved