Opinion Magazine
Number of visits: 9449966
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચીન-અમેરિકા અંજપાની અધવચ

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|20 September 2014

– ચીન-અમેરિકા અંજપાની અધવચ

– પેટાચૂંટણીનાં પરિણામો – ન તો કોમી ધ્રુવીકરણની લવજેહાદી કારી ચાલી, ન તો વિકાસમંત્રને યારી મળી

એક પા અમદાવાદમાં રિવર-ફ્રન્ટ ઉર્ફે નર્મદા મહાહોજ પર હીંચકેઝૂલ માયામહોબત અને બીજી પા લેહ-લદ્દાખમાં ઘૂસણખોરીનો ચાલુ સિલસિલો : ચીનના રાષ્ટ્રપ્રમુખની ભારતયાત્રા અને ભાજપી અછો અછો વાનાં, કેવી રીતે જોશું એને? ગમે તેમ પણ, એક બાજુએ પાકિસ્તાન સાથે વારાફરતી ગરમનરમ ઢબે રોકાયેલ રહેવાની રણનીતિ અને બીજી બાજુએ ચીન સાથે નવબજારની રાજનીતિ – લાગે છે કે સપ્ટેમ્બર ઊતરતે અમેરિકાની મુલાકાત પૂર્વે નમો ચોક્કસ ભોંય અગર આભા કેળવવાની પશોપેશમાં છે.

આ લખી રહ્યો છું ત્યારે એક મિત્ર સી.એન.એન. પરથી રવિવારે પ્રસારિત થનારી ફરીદ ઝકરિયા સાથેની વિગતવાર મુલાકાતમાં નમો સુકિ્તની આગોતરી ઝલક આપે છે કે, હિંદના મુસ્લિમો દેશને માટે મરશે, દેશને માટે જીવશે અને તેઓ દેશનું ભૂંડું કદાપિ નહીં ઇચ્છે. ઓબામા સાથેની વાટાઘાટ અને વર્ષોના વિઝા-વેગળાટ પછી મેડિસન સ્ક્વેરનો મેગા ઈવેન્ટ, આ બધાં પૂર્વે પીઆર પેરવી જારી છે, તે જણાઈ આવે છે.

છેલ્લાં પચીસ વરસમાં કોઈને નહીં એવી અને એટલી બેઠકી આસાએશ સાથે સત્તારૂઢ મોદી ભા.જ.પ. તાજેતરની પેટા ચૂંટણીઓમાં પછડાટ સાથે કંઈક મનોવૈજ્ઞાનિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો જણાય છે. વિકાસની આકાશી ખેતી અને કોમવાદની જમીની ફસલ, એવી ફાંકડી ફોર્મ્યુલા મતદારોએ બિનકોમી મતદાનથી ભોંઠી પાડી છે. ‘લવજેહાદ’નું કોમી રાજકારણ પક્ષમાં શીર્ષસ્તરેથી કશી રોકટોક વગર સ્ટાર કોમ્પેનર આદિત્યનાથે ખેલ્યું તે પછીના પીઆર વ્યાયામ તરીકે પણ ઝકરિયા સાથેની વાતને જોવા જેવી છે.

બિહારમાં નીતિશકુમારના સત્તાભાગિયા રહેલા સુશીલ મોદીએ કહ્યું છે કે, બિહારમાં આવી કોઈ આદિત્યનાથવાળી થઈ હોત તો અમે એનો સત્તાવાર રદિયો અને વિરોધ નોંધાવ્યો હોત. જે.ડી.યુ.-ભા.જ.પ. સરકારમાં આંતરધર્મી, આંતરજ્ઞાતીય લગ્નોને વિશેષરૂપે નવાજતાં હતાં અને બિહાર ભા.જ.પ. મુસ્લિમ ઉમેદવારો બાબતે ખુલ્લા દિલે આગળ જવાનું ચાલુ રાખશે એમ પણ સુશીલ મોદીએ કહ્યું છે. નરેન્દ્ર મોદીની મૌન મુદ્રા, રાજનાથસિંહની નફફ્ટ નિર્દોષતા (‘હેં, શું કહ્યું – લવજિહાદ? એ વળી કઈ બલાનું નામ છે?)’ આદિત્યનાથનું વલણ અને સુશીલ મોદીનો પ્રતિભાવ : કેવળ વ્યૂહાત્મક વાનાં માત્ર તરીકે નહીં જોતાં આ પ્રશ્ન વધુ વ્યાપક અને સઘન વિચાર માંગી લે છે.

ભા.જ.પ.માં જેઓ સુશીલ મોદીની જેમ ભલે વ્યૂહાત્મક રીતે પણ વિચારે છે, એમણે વસ્તુત: જાતતપાસ કરવા જોગ મુદ્દો એ છે કે તેઓ મુસ્લિમો વિશે કોઈ છૂટછાટની રીતે અને રહેમરાહે જુએ છે કે પછી સાથી -નાગરિક તરીકે છે. ગોવિંદાચાર્યે અને એમની તરજ પર નમોએ જે સામાજિક ઈજનેરી વ્યૂહ અપનાવ્યો એમાં ઓ.બી.સી. અને બીજાઓને સમાવવાનો એટલે કે ઉજળિયાત તબકાને અતિક્રમવાનો અભિગમ હતો. 1992-93માં ભા.જ.પે. અયોધ્યા લેતાં લખનૌ ખોયું એનું રહસ્ય માયાવતી-મુલાયમ એક થઈ ગયાં એમાં હતું. ત્યારથી, ઉમા ભારતીના શબ્દોમાં, સમજાઈ ગયું કે ‘ચાલ, ચેહરા ઔર ચરિત્ર બદલના હોગા.’

મતલબ, હિન્દુ કહેતાં સવર્ણ હોવું પૂરતું નથી. ચાવાળા જેવી વર્ગીય ઓળખ અને ઓ.બી.સી. જેવી વર્ણીય ઓળખ તેમ જ સવર્ણવાદ મળીને વિનિંગ ફોર્મ્યુલા બને છે. પણ આ વિજયસૂત્રની ચાલના સાથી-નાગરિક હોવાના ભાવ કરતાં વધુ તો ‘ધ અધર’ સામે ગોળબંદ થવાની લાયમાંથી આવેલી હોય છે. જોવાસમજવાનું એ છે કે સમાજવાદી વૈચારિક અભિગમે આપણને વર્ગવાસ્તવ પરત્વે સભાન કર્યા. રામમનોહર લોહિયા અને આંબેડકરે પોતપોતાને છેડેથી આપણને વર્ણવાસ્તવ વિશે પણ સભાન કર્યા. પણ વર્ણ અને વર્ગની ચર્ચામાં તેઓ બધો વખત એકાન્તિક અંતિમે નહોતા.

ક્રાંતિ અને પરિવર્તનના વ્યાપક સંદર્ભમાં સમાનતા અને ન્યાયનાં મૂલ્યોની રીતે વિચારનારા એ હતા. તેથી દલિતો અને લઘુમતીઓ વિશે એમનું વલણ સાથી-નાગરિકને મળવા જોઈતા ન્યાયની દૃષ્ટિએ સમાવેશકારી હતું. લોહિયા પ્રણિત બિનકોંગ્રેસવાદે અને જયપ્રકાશના આંદોલને સંઘ પરિવારને આ વ્યાપક અભિગમની મુખોમુખ થવાનો અવસર આપ્યો, પણ યોધ્યાજ્વર સાથે વળીને ‘ધ અધર’ સામે ગોળબંદ થવાની માનસિક્તા મુખ્ય બની ગઈ.

બીજી પાસ, લાલુ-મુલાયમનું રાજકારણ નકરા નાતજાતવાદ સાથે સમીકૃત થઈ ગયું. અયોધ્યાજ્વરના અને મંડલવાદના વડા લાભાર્થી મોદી પાછલાં વરસોમાં વિકાસનો મુદ્દો આગળ કરતા થયા હોય તો પણ એમણે ગળથૂથીગત અને પરિવારગત ઘણું સમજીવિચારીને તહેદિલથી છોડવું પડે એમ છે. (કોર્પોરેટીકૃત વિકાસ વળી જુદી જ સમસ્યા સરજે છે, પણ આ ક્ષણે એમાં નહીં જઈએ.) ગમે તેમ પણ, મેડિસન સ્કવેરનું અધધધ રાવણું, ટાઈમ્સ સ્કવેર પરનું સીધું પ્રસારણ, ધારો કે વ્હાઈટ હાઉસમાં લાલ જાજમ, એ બધું પોતે થઈને કોઈ ઉગાર કે ઈલાજ નથી. સ્વાતંત્ર્ય ચળવળના અગ્રચરણરૂપે ભારત વર્ષે નવઘડતરનો જે મૂળગામી પડકાર ઝીલવાનો છે તે ચીન-અમેરિકી દોરના અંજાપામાં લોકને ચુકાઈ ન જાય તે સારુ આ બે શબ્દો.

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2014

Loading

20 September 2014 admin
← Reflection and Introspection / વિચારીશું – જાતને તપાસીશું –
Tools for Divisive Politics: Hate Speech and Patriarchy →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved