Opinion Magazine
Number of visits: 9483379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જર્નૈલ, જગદીશ અને જનતા

પ્રકાશ ન. શાહ|Samantar Gujarat - Samantar|1 December 2012

તેઓ ખસ્યા; કેમકે તેઓ સજ્જન છે – ભલે ચૂંટણીએ ચૂંટણીએ ચિરકુમાર હોય… અને પેલા બીજા ભાઈ, નામે ટાઈટલર, એ તો સીબીઆઈની કથિત ક્લીન ચિટ પૂર્વે જ ખડા થઈ ગયા હતા ! હશે ભૈ. બીજું શું કહીએ, સિવાય કે જે ગમે જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. જોકે જતે જતે, પક્ષને સારુ 'કુરબાની' આપતે આપતે, ટાઈટલરે એટલા એક ધન્યોદ્ગાર કાઢતે સંકોચ નથી કર્યો કે મીડિયા પાછળ પડી ગયું એથી ભઠ્ઠી બગડી. (બાકી બખ્ખેબખ્ખા હતા, એમ જ ને ?) જેમ બધી ગતિવિધિ તેમ મીડિયા પણ ટીકાતીત નથી, ન જ હોય. પણ ૧૯૮૪ના (જેમ ૨00૨ના) જવાબદારો જ્યારે પણ 'ઉજાસ'માં આવે, એમને મીડિયાનો જ વાંક વસે છે.

વિપળવાર વાસ્તે મીડિયાને અને આ બધી જૂનીનવી પ્રતિભાઓને ભૂલી જઈએ. ગાંધીનગરના કે નવી દિલ્હીના કે બીજા જે સત્તાપક્ષો આ પ્રતિભાઓને સાચવવા, સંઘરવા, ટિકિટબારીએ ખપાવવા આતુર હોય છે એમને એટલે કે રાજકીય અગ્રવર્ગને અને શાસકીય સત્તાસમ્પન્નોને આપણે કૈં જ નથી કહેવાનું ? રાજ્યસભાના સર્વસંમત નિર્ણય પ્રમાણે ૧૯૮૪ના સંદર્ભમાં રચાયેલ નાણાવટી કમિશનના હેવાલ પ્રમાણે જગદીશ ટાઈટલર અને સજ્જનકુમાર સામે 'વિશ્વસનીય સામગ્રી' છે; પોલીસ તપાસમાં લાંબા ગાળા લગી એમની સામેના સાક્ષીપુરાવા નહીં નોંધવાનો સિલસિલો રહ્યો છે. (નામ બદલો તો ગુજરાતની પણ આ સ્તો દાસ્તાં છે.)

દિલ્હી-પંજાબમાં આ દિવસોમાં જે તરેહનો શીખ-ઉદ્રેક જોવા મળ્યો, અગર તો પીલીભીતની આંધળીભીંત સ્કૂલના વરુણોત્સવ સાથે જે બધા હિંદુત્વ થનગનભૂષણો વાજીકરણના તાનમાં આવી ગયા : રાજકીય અગ્રવર્ગે અને શાસકીય સત્તાસમ્પન્નોએ આ બાબતે પોતાનું કોઈ જ દાયિત્વ નથી કબૂલવાનું ? 'સંત' જર્નૈલસિંહથી 'પત્રકાર' જર્નૈલસિંહ સુધી આવતાં આ જે આખું ચક્ર ફરી ગયું એને વિશે, ખરું જોતાં કાળચક્ર વિશે તેમજ સંજયબજરંગ ક્રૉસબ્રીડ શી વરુણ ઘટના વિશે આ ચૂંટણી દિવસોમાં નાગરિક સમાજ તરીકે આપણે કશી જ ઉલટતપાસ નહીં કરીએ તો કેમ ચાલશે.

જુઓ કે પંજાબમાં છેલ્લા બે દસકા દરમ્યાન રાજકારણ ઠીક ઠીક સમધારણ થવા લાગ્યું હતું. એની એ મોઈ અને એના એ દાંડિયા જેવાં કૉંગ્રેસ તેમજ અકાલી-ભાજપ રાબેતા મુજબ દાવ લેતાં હતાં. ખાલીસ્તાનખ્યાત જગજિતસિંહ ચૌહાણ ખાસ રોવાયા ગવાયા વગર પ્રભુને પ્યારા થઈ ગયા હતા. સિમરણજિતસિંહ માન અને દમદમી ટકસાલ જેવા અંતિમવાદીઓની કોઈ છીંકણી પણ લેતું નહોતું. સોનિયા ગાંધી અને મનમોહનસિંહ પરત્વે પંજાબના માનસમાં (ખાસ કરીને શીખ ઘટના સબબ) પૂર્વવત્ અસ્વીકૃતિ નહોતી. જગદીશ ટાઈટલર અને સજ્જનકુમારને આગળ કરીને કૉંગ્રેસ શ્રેષ્ઠીઓએ આ બધું ધોઈ નાખ્યું ; કેમકે જે બધું જઈ રહ્યું છે તે હોજે હોજે છે. ગુજરાતમાં ભાજપને સૂઝી હતી એવી ગૌરવયાત્રા દિલ્હી-પંજાબમાં કૉંગ્રેસને સૂઝી નહીં એમાં કલ્પનાશૂન્યતાનો ફાળો હોય કે બચ્યાખૂચ્યા વિવેકનો; પણ તાજેતરના ઘટનાક્રમે આ પ્રકારની તુલનાને એક હદ લગી અપ્રસ્તુત બનાવી દીધી છે. પત્રકાર જર્નૈલસિંહની એવોર્ડથી માંડીને ઉમેદવારી ઑફર કરતી શીખ રાજનીતિ, ઇંદિરા ગાંધીના હત્યારાઓ પરત્વે સન્માન પ્રગટ કરવાના તત્કાલીન વલણનો જ એક ઝાંખોપાતળો આવિષ્કાર નથી તો બીજું શું છે. માયા કોડનાનીની કારકિર્દી આટલી જાણીતી છતાં એમને ટિકિટ અપાય અને પછી પ્રધાન પણ બનાવાય, એ આ જ માળાનો મણકો છે.

આપણે જો વેરઝેરનું રાજકારણ ન ઇચ્છતા હોઈએ – અને ન જ ઇચ્છવું જોઈએ – તોપણ નાગરિક સમાજને નાતે શાસન કને કાયદાના શાસનની અપેક્ષા તો રહે જ ને. ૧૯૮૪ પછી નવી દિલ્હીમાં જેઓ સત્તારૂઢ થયા અને ૨૦૦૨ પછી ગાંધીનગરમાં જેઓ સત્તારૂઢ થયા એમણે આ મુદ્દે કાયદાના શાસનનું કોઈ શુચિર્દક્ષ દૃષ્ટાંત તો આપ્યું નથી. પરિણામે, જેમ ભોગ બનેલાઓનો તેમ નાગરિક સમાજના સંવેદનશીલ અને સહૃદય તબકાનો જખમ તો જેમનો તેમ દૂઝતો જ રહે છે. આવે વખતે દક્ષિણ આફ્રિકામાં સત્ય અને સમાધાન – 'ટ્રુથ ઍન્ડ રિકન્સિલિયેશન' ની જે પ્રક્રિયા ચાલી એનું સ્મરણ હૃદ્ય બની રહે છે. જોકે, આ પ્રક્રિયા પૂર્વે, પચીસેક વરસ પર ત્યાંની ચૂંટણીઓમાં જે રીતે વેરવુડ વરવહુ કૂદી પડ્યાં હતાં એ પણ મળતાં મળે એવી મિસાલ હતી. દક્ષિણ આફ્રિકામાં રંગભેદી જુલમજોહાકી ચલાવવામાં વડાપ્રધાન વેરવુડનો જોટો નહોતો. આ વેરવુડનો પુત્ર અને પુત્રવધૂ, બેઉ ગોરાં, ચૂંટણી જંગમાં પરિવારના પ્રાયશ્ચિત્તરૂપે (કહો કે કલિંગબુદ્ધિથી) રંગભેદનો ભોગ બનેલાંઓની તરફેણમાં ઝુંબેશમાં ઊતરવાપણું જોયું હતું. ન્યાય સાથે યુક્ત થવાથી તેઓ પોતાને 'મુક્ત' અનુભવતાં હતાં. નાગરિક સમાજમાં આ સિવાય બીજો કિયો મોક્ષ હોઈ શકવાનો હતો, ભલા.

આ જખ્મેરૂઝ ઝુંબેશ કહો, મોક્ષસાધના કહો એનો પ્રકીર્તિત પડાવ કોઈ હોય તો તે અલબત્ત અને અલબત્ત 'સત્ય અને સમાધાન'નો જ હતો. ભોગ બનેલાઓ પોતાની વીતકવ્યથા કહેતાં રહ્યાં, પુરાવાઓ ઊપસતા ગયા, સજા અને ક્ષમાનો દોર ચાલવા લાગ્યો. બલકે, બન્યું તો એવું કે આ નવી હવામાં મૂળના જુલમગારો પણ પોતે કરેલ જુલમોનો એકરાર કરવા લાગ્યા. કેટલાક કિસ્સામાં ગોરાઓ સામે પોતે કરેલી જવાબી હિંસા સબબ આફ્રિકન નેશનલ કૉંગ્રેસના કાર્યકરોએ પણ હૈયું ઠાલવ્યું. ગાંધીસરજ્યા પૂર્વરંગની પિછવાઈ પર શ્વેત કલાર્ક અને અશ્વેત મન્ડેલાની સમર્પિત સૂઝબૂઝે એક નવો જ અધ્યાય રચ્યો.

પંજાબ અને ગુજરાતમાં છે કોઈ આ 'ટ્રુથ ઍન્ડ રિકન્સિલિયેશન' શા યજ્ઞકર્મનો ખરીદાર ? જર્નૈલસિંહનું જોડાઉછાળ અને જગદીશનું ટિકિટઉછાળ, એ તો બધા સપાટી પરના બુદબુદ છે. ગહનગભીર જળ જેને સારુ સાદ દે છે એ તો 'સત્ય – અને – સમાધાન'ની કરુણાપ્લાવિત ન્યાયભાવના છે. જોકે દેશના રાજકીય અગ્રવર્ગ પરત્વે આવી અપેક્ષા અસ્થાને છે, કેમકે એણે સ્વરાજવારસો વીસારે પાડીને ભટકાવ અને વિખરાવનો જે રસ્તો લીધો છે એમાં નાતજાતકોમનાં વેરઝેરની મતવખારી સિવાય બીજું કશું એને દેખાતું નથી.

નાગરિક સમાજ જ્યારે રાજકારણ પાસે આશા ગુમાવે છે ત્યારે વખાના માર્યા કે ખાનદાન ઉલટભેર તે ક્યાં ક્યાં નજર નાખે છે એનું એક દૃષ્ટાંત ગુજરાતની મોરારિ ઘટના છે. કથાપુરુષથી પ્રજાપુરુષ વચ્ચેનું અંતર એ કેવું ને કેટલું કાપી શકે છે, નથી કાપી શક્તા તે કોઈ ત્રાહિત તમાશબીનની પેઠે નહીં પણ નિસબત ધરાવતા નાગરિકની રીતે જોવું સમજવું તપાસવું હું જરૂર પસંદ કરું. ૨૦૦૨માં પૂર્વ અમદાવાદની પાયચારીથી માંડીને તે પછીના ગાળામાં જુહાપુરાની સંયુક્ત સભા (સામસામા ફેંકાતા પથરાને બદલે સેતુબંધની ભાવના) ઉપરાંત તાજેતરના ગાળામાં સર્વધર્મસંવાદ તથા સદ્ભાવના પર્વનું આતિથ્ય, આ બધાંને વાસ્તે કદરબૂઝને અવકાશ અવશ્ય છે. માત્ર, 'ટ્રુથ ઍન્ડ રિકન્સિલિયેશન' ના યજ્ઞતકાજા સામે આ તો કશું એટલે કે કશું જ નથી. અને આવા દરેક વલણવળાંક વચ્ચે પાછા વિવાદી વિસામા આવી મળે છે, એ તો જુદો જ મુદ્દો થયો.

આ વાદ્યને આલોચના ગાન જ વિશેષ ભાવે, એવા કોઈ સિનિક સહજ છેડેથી નહીં પણ નાગરિક તો જાગતો સારો એવી ધર્મબુદ્ધિથી જર્નૈલસિંહ – જગદીશ ટાઈટલર પ્રકરણ નિમિત્તે આટલી નુક્તેચીની; એવી સમજ સાથે કે સત્ય જેવો દેખીતો લાંબો પણ અંતે ટૂંકો રસ્તો બીજો એકે નથી : કાશ, જતીઆવતી ચૂંટણીઓ વચ્ચે આટલાં ઓસાણ રહે !

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved