Opinion Magazine
Number of visits: 9446502
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિતા કે પતિનું નામ સ્ત્રીને કામનું કેટલું?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 May 2022

સ્ત્રી સશક્તિકરણ :

એ સાચું છે કે જન્મતાંની સાથે જ બાળકને, પોતાનું નામ મળે કે ન મળે, પણ પિતાનું નામ તો મળી જ જાય છે. સંતાનનું નામ મોડું વહેલું પડે, પણ પિતાનું નામ તો તરત જ વળગી જાય છે. જન્મ વખતે માતાનું નામ પણ નોંધાતું હશે, પણ પછી એ નામ ગૌણ થતું જાય છે ને સંતાન સાથે પિતાનું નામ જ બધે લેવાતું-પુછાતું રહે છે. એમાં જો છોકરી હોય તો લગ્ન સુધી તેની પાછળ પિતાનું નામ લાગે છે, પણ જેવી તે પરણે છે કે પિતાનું નામ ને અટક બંને ખસે છે ને તેને સ્થાને પતિનું નામ તથા તેની અટક તેનાં નામની પાછળ આવીને ગોઠવાઈ જાય છે. આ બધું પરંપરાગત રીતે ચાલ્યું આવે છે. એ ખરું કે પુત્રની સાથે પિતાનું નામ છેવટ સુધી જોડાયેલું રહે છે. કેટલાક કિસ્સાઓમાં પુત્ર પોતાનું નામ બદલે છે, પણ પિતાનું નામ છોડતો નથી. એવું પણ બને છે કે પુત્ર, પિતાનું નામ ચોક્કસ સ્ટેટસમાં ન મૂકતો હોય, પણ જ્યાં પણ માહિતી આપવાની ફરજ પુત્રને પડે છે, પિતાનું નામ જ દેવાય-લેવાય છે. એવું પુત્રીની બાબતમાં નથી. તે પરણે ત્યાં સુધી પિતાનું નામ ચાલે છે ને તે પછી તેની ઓળખ પતિનાં નામ સાથે જોડાવાથી બદલાય છે. પરણતાંની સાથે તેનું સરનામું તો બદલાય જ છે, તેની ઓળખ પણ બદલાય છે. તે પિતાની પુત્રી હતી, લગ્ન પછી તે પતિની પત્ની બની રહે છે.

એક સમય સુધી આ કશા વિરોધ વગર ચાલ્યું. ઘણા વખત સુધી એમ પણ મનાતું રહ્યું કે લગ્ન પહેલાં છોકરી પર પિતાનો હક હતો ને લગ્ન પછી પત્નીની માલિકી પતિની થતી હતી. મોટે ભાગની સ્ત્રીઓ એમ જ માનતી હોય છે કે લગ્ન થતાં તે પિતાનો ખૂંટો છોડીને પતિને બારણે બંધાય છે ને મરે ત્યાં સુધી તેણે એ બારણું જ શોભાવતાં રહેવાનું છે. પણ, પછી સ્ત્રીઓ શિક્ષિત થઈ. તેને હકનું ભાન થયું ને સમજાયું કે તે પતિની ગુલામી કરવા જ જાણે પિયર છોડીને સાસરે આવી છે. તેણે ખાવાપીવાનાં ને કપડાંલત્તાનાં બદલામાં પતિની ને સાસરાની જવાબદારી ઉપાડવાની છે ને સંતાનો ઉછેરવામાં આયખું ખુટાડવાનું છે. દેખીતું છે કે શિક્ષિત સ્ત્રીઓને આ બધું મંજૂર ન હોય. પિયરમાં પિતાને નામે ને સાસરામાં પતિને નામે જ ઓળખાવાનું હોય તો આખી જિંદગીમાં પોતાની કોઈ ઓળખ, પોતાનું કોઈ અસ્તિત્વ ખરું કે કેમ? એ પ્રશ્ન ઘણી સ્ત્રીઓને મૂંઝવતો હોય છે. પોતે શિક્ષિત હોય, નોકરી કે ધંધો કરતી હોય, કોઈ સંસ્થાનું સંચાલન કરતી હોય ને પોતાની ઓળખ માત્ર પિતા કે પતિ પર જ નિર્ભર હોય તે તો કેમ ચાલે? મહિલાઓ પોતાનાં અધિકારો બાબતે સભાન થઈ અને તેણે પિતા તરફથી મળેલી ઓળખને લગ્ન પછી પણ ચાલુ રાખવાનું સ્વીકાર્યું. પતિનું નામ કે તેની અટક તો તેણે ચલાવી લીધી, પણ પિતાની અટક પણ તેણે પતિની અટક સાથે વધારાની જોડી. ટૂંકમાં, તે પિતાની ને પતિની અટકથી ઓળખાવા લાગી. આ ફેરફાર નાનો છે, પણ મહત્ત્વનો છે. તેણે પિયરને વિસારે પાડ્યું નથી એ વાતની એમાં સ્વીકૃતિ છે.

આજે જો કે, પરિસ્થિતિ બદલાઈ છે છતાં હજી ક્યાંક એ બને જ છે. પિયર કે સાસરા પક્ષની સમજ એ રહી છે કે લગ્ન પછી કન્યાનો નવો જન્મ થાય છે એટલે તેણે પિતાનું નામ, પિતાનું ઘર, પિતાની અટક એમ બધું જ છોડવાનું છે ને જેનો ખાસ પરિચય નથી એ પતિની અટક, એનું નામ સ્વીકારવાનું છે. આમાં એની મરજી અતિશય ગૌણ બની રહે છે. કેટલાક સમાજમાં તો એવું પણ હતું ને હશે પણ, કે પત્નીનું નામ પણ બદલી કાઢવામાં આવતું. પત્નીનું પરણવા સુધીનું જે નામ હતું, જે નામે તે વર્ષો સુધી ઓળખાઈ, તે નામ પતિ ભૂંસી નાખતો ને તેનાં પર નવું નામ લખી દેતો. જાણે એ પત્ની નથી, પણ કોઈ સ્લેટ છે ને પતિ તેનાં પર લખેલું ભૂંસી કાઢે છે ને એના પર પોતાને ગમે છે તે નામ લખી દે છે. એનો વિરોધ થઈ શકતો નથી. એ નામ પછી ભૂંસાતું નથી. વ્યક્તિ ભૂંસાઈ જાય, પણ નામ તો એ જ રહે છે. કેવું છે આ? જે નામે પરિણીતા 20-22 વર્ષ સુધી ઓળખાઈ, એ નામે ભણી, સર્ટિફિકેટ મેળવ્યાં, નોકરી મેળવી, મિત્રોમાં બોલાવાઈ, કુટુંબે બોલાવી, તે મંગળફેરા ફરવા માત્રથી નામશેષ થઈ જાય? આ ઠીક છે?

એનો જ પડઘો શિક્ષિત મહિલા સમાજે એવો પાડ્યો કે હવે પતિના નામની સાથે તે પિયરની અટક પણ  જોડશે ને નામ તો તેનું અપવાદરૂપે જ બદલાશે. હવે એવું બને તો નવાઈ નહીં કે કોઈ પત્ની મંડપમાં પતિનું નામ બદલવાનો આગ્રહ રાખે. પતિ જો પત્નીનું નામ બદલી શક્તો હોય તો પત્ની શું કામ ન બદલે? સમાન અધિકાર કોને કહ્યો છે ! અત્યાર સુધી તો પત્નીએ પતિનું નામ બદલ્યું નથી, તેનો અર્થ એવો નહીં જ કે બદલાય જ નહીં ! આગળ જતાં એવું બને કે પતિની સાથે જ તે પિતાનું નામ પણ લે, પણ ત્યાં કદાચ એ ગરબડ થાય કે બેમાંથી પિતાનું કે પતિનું નામ કયું એ ન સમજાય. એટલે જ કદાચ પતિની સાથે પિતાનું નામ લેવાતું નથી. કેટલીક સ્ત્રીઓ પતિનું નામ પણ જરૂર પૂરતું જ સાથે રાખે છે, બાકી, પોતાનાં નામની સાથે હવે પિતાની કે પતિની અટકથી જ તે કામ કાઢી લે છે.

પત્ની થયા પછી, તેનું નામ તેની અટક વગેરે કાયદેસર રીતે બદલવામાં ઘણી વિધિઓ કાયદાકીય રીતે કરવાની આવે છે. તેનાં પ્રમાણપત્રો, તેની નોકરી વગેરેમાં તો તેનું પિયરનું નામ જ ચાલતું હોય છે. એ નામ બદલીને નવું નામ ને અટક વિધિવત રીતે દફ્તરોમાં નોંધાવવાનું કામ સહેલું નથી. ઘણી વાર તો એ લગ્ન કરાવનાર બ્રાહ્મણથી માંડીને અન્ય તંત્રો સુધી વિસ્તરે છે ને એમાં ઠીક ઠીક સમય, શક્તિ ને સંપત્તિ ખર્ચાય છે. આટલી મહેનત પછી જો લગ્ન ના ટક્યાં ને વાત છૂટાંછેડા સુધી પહોંચી તો મુશ્કેલીઓનો પાર નથી રહેતો. પતિએ આપેલાં નામ, અટક વગેરે ફરી વસ્ત્રોની જેમ ઉતારવાનો વારો આવે છે. જ્યાં પતિ જ પોતાનો નથી રહેતો ત્યાં તેનાં નામઠામ રાખીને શું કરવાનું? સાસરું તો છૂટે જ છે. એવે વખતે પતિનાં નામ કે અટક ઘણી સ્ત્રીઓ ચાલુ રાખતી નથી. કેટલીક સ્ત્રીઓ છૂટાછેડા પછી નામ નથી પણ બદલતી. અટક પણ પતિની જ ચાલુ રાખે છે. જો એ અટક કે નામનો દુરુપયોગ ન થાય તો કાયદો પણ એટલી છૂટ આપે છે ને નામ બદલ્યાં વગર ડિવોર્સી સ્ત્રી પોતાની રીતે રહી શકે છે. જો કે, કેટલીક સ્વમાની સ્ત્રીઓ જેમ પતિની ચીજવસ્તુઓ પાસે નથી રાખતી, તેમ જ પતિએ આપેલાં નામ કે અટક પણ સાથે નથી રાખતી. તેની મુશ્કેલી એ છે કે પતિનું નામ તે રાખી નથી શકતી કે નથી તો પતિને ઘરે રહી શકતી. વારુ, પિયર તો છૂટી જ ગયું છે, ત્યાં તો તેની જગ્યા જ નથી રહી. તે બહુ બહુ તો મહેમાન હતી, તે હવે પુત્રી તરીકે પાછી ફરી શકે એવું વાતાવરણ જ નથી. તેની જગ્યાઓ બીજી વ્યક્તિઓ વડે ભરાઈ ગઈ છે. પિયરે તેનાં વગર જીવવાનું શીખી લીધું છે, ત્યાં તે સાસરાથી ત્યજાઈ હોવાને લઈને પાછી ફરે તો પણ એ સ્થાન તેને મળે એમ નથી જે લગ્ન પહેલાં હતું. બલકે, પિયરમાં તેનું રહેવું સ્વમાનને ભોગે જ શક્ય છે. એવામાં તે પિયરનું નામ કે અટક રાખી પિયરની થવા મથે તો પણ ત્યાં તેનો સમાસ અપવાદરૂપે જ શક્ય છે. કેટલાંક કુટુંબો પાછી આવેલી સ્ત્રીને રાખે પણ છે, પણ ત્યાં તે પૂર્વવત જીવન જીવી શકે એ ગૌરવ જ બચતું નથી. એમાં જો બાળક હોય તો મુશ્કેલી ઓર વધે છે. એ વાતે તેને ફરી પરણવામાં પણ મુશ્કેલી પડે છે. તે આર્થિક રીતે પગભર હોય તો સ્વતંત્ર રીતે જીવી શકે છે કે બાળકને પણ રાખવામાં તેને બહુ વાંધો આવતો નથી, પણ જ્યાં એવું નથી ત્યાં ન તો તે સાસરે રહી શકે છે કે ન તો પિયરમાં તેની જગ્યા થાય છે ને હાલત ન ઘરની, ન ઘાટની, જેવી થાય છે.

આમાંથી ઉગરવાનું તો જ શક્ય છે જો તે આર્થિક રીતે પગભર હોય. સ્ત્રી આત્મનિર્ભર ન થાય ત્યાં સુધી તે પિયરમાં કે સાસરામાં ગમે ત્યારે પરાઈ કરી દેવાય એમ બને. કરુણતા એ છે કે શક્તિ હોવા છતાં, તે પિયર અને સાસરાએ આપેલ નામોની પાછળ એવી ઢંકાઈ જાય છે કે પોતાનો સાચો ચહેરો જગતમાં ભાગ્યે જ પહોંચે છે, એટલું જ નહીં, તેનો નકલી ચહેરો જ તેનું અસલી રૂપ હોય તેમ જીવવા કે મરવા તે વિવશ બની જાય છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

17 May 2022 admin
← “હું યુનિયનમાં માનું, પહેલેથી જ – અને યુનિયન એટલે ઍક્શન” : ઇલા ર. ભટ્ટ
પ્રવર્તમાન સ્થિતિ, રાષ્ટ્રવાદ ને ટાગોર →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved