Opinion Magazine
Number of visits: 9445969
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પરિવારની વ્યવસ્થા તૂટે, એટલે ઘરમાં ટીવી સ્ક્રીન વધે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|16 May 2022

આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે. વ્યક્તિના અને સમાજના વિકાસમાં પરિવારની ભૂમિકા કેટલી મહત્ત્વની છે તેની જાગૃતિ ફેલાય તે માટે, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ૧૯૮૩માં, દર વર્ષે ૧૫મી જૂને ‘ઇન્ટરનેશનલ ડે ફોર ફેમિલીઝ’ ઉજવવાનું નક્કી કર્યું હતું. પૃથ્વી પર અંદાજે ત્રણ લાખ વર્ષથી પરિવારનું અસ્તિત્વ છે. મનુષ્યજાતિની કોઈ જૂનામાં જૂની (ઇવન લગ્ન પહેલાંની) કોઈ સિસ્ટમ હોય તો તે પરિવાર છે. તો પછી સંયુક્ત રાષ્ટ્ર સંઘને તેના વિશે જાગૃતિ ફેલાવાની આની જરૂરિયાત કેમ લાગી? તેના જવાબમાં આપણે એક ફિલ્મની વાર્તા જાણીએ.

૧૯૯૦માં, બેરી લેવિન્સન નામના હોલીવૂડના નિર્દેશકે “એવલોન” નામની ફિલ્મ બનાવી હતી. એવલોનનો શબ્દશ: અર્થ થાય છે “સફરજનનો ટાપુ.” પ્રચલિત અર્થમાં તેને સ્વર્ગ કહેવાય છે. પ્રાચીન ઇંગ્લેન્ડની દંતકથાઓમાં ૫મી સદીના કિંગ આર્થરની એક વાર્તા મશહૂર છે. તેમાં, કામલાનના યુદ્ધમાં કિંગ આર્થર જખ્મી થયો ત્યારે, તેને નવજીવન માટે એવલોન નામના ટાપુ પર લઇ જવાયો હતો.

બેરી લેવિન્સને એવલોનના સ્વર્ગની કલ્પનાનો આધાર લઈને એવા પાંચ યહૂદી ભાઈઓ પર ફિલ્મ બનાવી હતી, જે પ્રથમ વિશ્વ યુદ્ધના સમયે પોલેન્ડમાંથી માઈગ્રેશન કરીને, સ્વર્ગ સમાન અમેરિકા આવ્યા હતા અને ત્યાં વોલપેપરનો ધંધો ઊભો કર્યો હતો. સામ ક્રિચિન્સકી અને તેના ચાર ભાઈઓ, તેમના મૂળ વતનની માફક, અમેરિકામાં સાથે રહેતા હતા અને સાથે કામ કરતા હતા. આપણે ત્યાં જેમ મકરસક્રાંતિ અથવા બૈશાખી ઉજવાય છે, તેવી રીતે અમેરિકામાં થેન્ક્સ ગિવિંગની પ્રથા છે. ફિલ્મમાં એવા એક પ્રસંગે, આ પાંચે ભાઈઓના કુલ ૨૬ પરિવારજનો ડીનર પર ભેગાં થયાં હતાં.

એ લોકો જ્યાં રહેતા હતા તે ૪૦ અને ૫૦ના દાયકાનું બાલ્ટીમોર શહેર  કૂદકે ને ભૂસકે વધી રહ્યું હતું, પરિવારોમાં ટેલિવીઝન આવ્યું હતું, ટેલિફોન આવ્યો હતો, નવાં સબર્બ બની રહ્યાં હતાં, નોકરી-ધંધામાં તેજી હતી અને માણસો વ્યસ્ત થઇ રહ્યા હતા. ફિલ્મ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ, ક્રિચિન્સકી પરિવાર વિખરાવા લાગે છે. અમુક સભ્યો વધુ મોકળાશ અને પ્રાઈવસી માટે સબર્બમાં રહેવા જાય છે. એક ભાઈ બીજા રાજ્યમાં સ્થળાંતર કરે છે. પરિવારના વડા સામ માટે સૌથી મોટો આઘાત એ હતો કે થેન્ક્સ ગિવિંગ ડીનર પર વિલંબથી આવે છે તો તેના વિના જ સૌ ખાવા બેસી ગયા હોય છે.

આપણી જેમ, યહૂદી પરિવારોમાં પણ ઘરની વડીલ વ્યક્તિને મૂકીને ખાવાનું ચાલુ કરી દેવું એ અનાદર કહેવાય છે. પરિવાર તુટવાની એ શરૂઆત કહેવાય. પ્રથા તૂટે એટલે પરિવાર તૂટે.

વર્ષો વીતે છે અને કુટુંબ-કબીલો નાનો થતો જાય છે. ૬૦ના દાયકા સુધીમાં તો વિસ્તૃત પરિવાર સાવ ખતમ થઇ જાય છે. હવે ભાઈઓ અને તેમના પરિવારમાંથી કોઈ આવતું નથી. સૌ તેમના કામમાં અને પરિવારમાં વ્યસ્ત છે. હવે, થેન્ક્સ ગિવિંગ ડીનર પર માતા-પિતા, દીકરો અને દીકરી ટેલિવીઝન સામે બેસીને ખાય છે. પછી તો દીકરો-દીકરી પણ ‘ઊડી’ જાય છે. ફિલ્મના છેલ્લા દૃશ્યમાં, સામ ક્રિચિન્સકી નર્સિંગ હોમમાં એકલતામાં જીવે છે અને વિચારે છે કે પરિવાર ક્યાં વિખરાઈ ગયો? તમે આખી જિંદગી પરિવારની મોટો કર્યો હોય, એકજુટ રાખ્યો હોય, પૈસા ભેગાં કર્યા હોય અને છેલ્લે તમે વૃદ્ધાશ્રમમાં એકાકી જીવન ગુજારીને મોતનો ઈન્તેજાર કરો.

આ ફિલ્મ આમ તો યહૂદીઓના માઈગ્રેશન પર હતી, પરંતુ એમાં મુખ્ય ચિત્રણ સ્વર્ગ સમા અમેરિકામાં પરિવારની વ્યવસ્થાના પતનનું હતું. ફિલ્મનો નિર્દેશક બેરી લેવિન્સન પોતે યહૂદી હતો અને તેણે આ ફિલ્મની વાત કરતાં એકવાર કહ્યું હતું, “મારા બાળપણમાં, અમે દાદા-દાદીઓને વળગીને બેસતા હતા અને અમારા પરિવારોની વાર્તાઓ સાંભળતા હતા … આજે લોકો ટી.વી. સામે એકલા બેસીને બીજા પરિવારોની વાર્તાઓ જુવે છે. ફિલ્મનો મુખ્ય વિષય પરિવારનું વિભાજન છે. આજે પણ એ વિભાજનની પ્રક્રિયા ચાલુ છે. એક સમયે, પરિવારો કમ-સે-કમ એક સાથે ટેલિવીઝન સામે બેસતા હતા. આજે દરેક વ્યક્તિ પાસે તેનો આગવો સ્ક્રીન છે.”

પશ્ચિમમાં પરિવારો તૂટી રહ્યા છે અને આ ફિલ્મ તેનું પ્રતિક છે. ન્યુક્લિયર ફેમિલી અથવા વિભક્ત કુટુંબની નવી પ્રથા સંયુક્ત કુટુંબની વ્યવસ્થાના પતનનું કારણ બની છે. લગ્ન, બાળકો, પેરન્ટીગ, સહજીવન વગેરે પારંપરિક બાબતોનો અર્થ બદલાઈ ગયો છે. ૬૦ના દાયકામાં બાળકોનો જન્મ પરિવારોમાં થતો હતો. આજે દશમાંથી ચાર બાળકો એકલી સ્ત્રી અથવા લગ્ન વગર કોઈની સાથે રહેતી સ્ત્રીના પેટે જન્મે છે. અમેરિકામાં વધુને વધુ સ્ત્રીઓ કામકાજ કરવા લાગી છે એટલે તેમની માતૃત્વની ભૂમિકા પણ બદલાઈ ગઈ છે.

૧૯૬૦માં, ‘બેબી બૂમ’ વખતે ૭૩ ટકા બાળકો સંયુક્ત પરિવારમાં વૈવાહિત પેરેન્ટ્સ સાથે રહેતાં હતાં. ૧૯૮૦ સુધીમાં એવાં બાળકોની સંખ્યા ૬૧ ટકા થઇ ગઈ હતી. આજે માત્ર ૪૬ ટકા બાળકો જ એવા પરિવારમાં છે. પશ્ચિમમાં પરિવારનું માળખું કેમ બદલાઈ રહ્યું છે? થોડાં કારણો :

– બાળકો ૧૮ વર્ષનાં થાય એટલે તેમને ફરજિયાતપણે ઘર બહાર સ્વતંત્ર જીવવા મોકલી દેવામાં આવે છે.

– અભિવ્યક્તિની આઝાદી અને પસંદગીની સ્વતંત્રતાના કારણે બાળકો વડીલોના વિચારોનું સન્માન કરતાં નથી અને તેમને સહજીવન તેમ જ સહકારના પાઠ ભણવા મળતા નથી.

– ધાર્મિક અથવા સાંસ્કૃતિક મૂલ્યો એક જમાનામાં પરિવારમાંથી આવતા હતાં. પશ્ચિમમાં જે જવાબદારી સ્કૂલો પર નાખી દેવામાં આવી છે. 

– વૃદ્ધાશ્રમો, અથવા પશ્ચિમની ભાષામાં કહીએ તો રીટાયરમેન્ટ હોમ્સે, એક્સ્ટેન્ડેડ ફેમિલીની ઘોર ખોદી છે. બાળકોને ગ્રાન્ડપેરેન્ટ્સના અનુભવો નથી મળતા.

– હાથમાં મોબાઈલ અને ઘરમાં ટેલિવીઝનનાં કારણે સૌ પોતપોતાનામાં વ્યસ્ત છે. સાથે બેસવું અને ગપસપ કરીને લગાવ મજબૂત કરવો હવે જરૂરિયાત રહ્યું નથી.

– નારી-સ્વતંત્રતાના મજબૂત અભિગમના કારણે પશ્ચિમમાં, વિશેષ તો અમેરિકામાં, ડિવોર્સ રમતવાત થઇ ગયા છે. લગ્નો આજીવન માટે નથી. સાથે રહેવું એ જરૂરિયાત ઓછું અને અનુકૂળતા વધુ છે.

– પશ્ચિમની સંસ્કૃતિ વર્કોહોલિક છે. ત્યાં સૌ ખૂબ કામ કરે છે. પરિણામે પરિવારજનો સાથે ભાવનાત્મક લગાવ ઊભો થાય તેવી સહિયારી પ્રવૃતિઓ ઘટી ગઈ છે. કોઈને એકબીજા માટે ટાઈમ નથી, એ આમ ફરિયાદ છે.

છેક ૧૯૩૩માં, ક્રિસ્ટોફર ડાવસન નામના ઇતિહાસકારે “ધ પેટ્રિઆર્કલ ફેમિલી ઇન હિસ્ટ્રી” નામના પુસ્તકમાં કહ્યું હતું કે ગ્રીક અને રોમન સામ્રાજ્યનું પતન તેના સમાજોમાં પરમ્પરાગત પરિવાર વ્યવસ્થાના પતનના કારણે આવ્યું હતું. આ વાત સાચી છે. સભ્યતાઓના પાયામાં પરિવારની વ્યવસ્થા છે. જ્યારે પરિવારના પાયા જ હચમચવા લાગે, ત્યારે સભ્યતા પણ જોખમમાં મુકાય.

ભારતમાં આપણે જાગવા જેવું છે. “પશ્ચિમ જેવો” વિકાસ કરવાની આંધળી દોડમાં આપણે પારિવારિક રીતે વિખરાઈ જઈએ એ એક અસલી જોખમ છે, કાલ્પનિક નહિ. ટેલિવીઝન સામે ભેગાં થઇને બીજા પરિવારોની વાર્તાઓ જોવાની શરૂઆત આપણે ત્યાં થઇ ગઈ જ ગઈ છે, અને હવે દરેકમાં હાથમાં મોબાઈલની દુનિયા પણ છે.

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 મે 2022

સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

16 May 2022 admin
← ભારતીય પ્રસાર-માધ્યમો અને બિનસાંપ્રદાયિકતા
પિતા કે પતિનું નામ સ્ત્રીને કામનું કેટલું? →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved