અંગ્રેજી સલ્તનતનો ભારતમાં પાયો નખાયો ત્યારે થોડાં વર્ષ સુધી તો પ્રજાએ ગુલામી વેઠી લીધી, પણ પછી જુલમો વધવા માંડ્યા તેમ તેમ અહીંની પ્રજાએ પણ માથું ઊંચકવા માંડ્યું. દેખીતું છે કે તે અંગ્રેજી વાઇસરોયોને માફક ન જ આવે. એ માથાં કચડવા તે વખતના જજ જેમ્સ સ્ટીફને 1870માં ઇંડિયન પિનલ કોડ(આઇ.પી.સી.)ની કલમમાં 124-એ નામની એક કલમ રાજદ્રોહને નામે ઉમેરી. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ભારતના નેતાઓ સામે એ કલમનો ઉપયોગ થયો. આ કલમ હેઠળ ભગત સિંહ, લોકમાન્ય તિલક, ગાંધી, નહેરુ જેવાઓ સામે કામ ચલાવવામાં આવ્યું. જો કોઈ વ્યક્તિ સરકાર વિરુદ્ધ લખે કે બોલે ને એ દ્વારા સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરે કે એમ કરવાનો પ્રયત્ન કરે તો તે આ કલમ હેઠળ દોષિત ઠરે છે. આ બિનજામીન પાત્ર ગુનો છે ને તેને માટે 3 વર્ષની જેલથી તે આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આમાં દંડની જોગવાઈ પણ છે. આ કાયદો અંગ્રેજોના વખતમાં હતો ને સરકારનો કોઈ વિરોધ ન કરે એટલે અમલમાં આવ્યો હતો.
એ પછી દેશ સ્વતંત્ર થયો ને લોકશાહી શાસન શરૂ થયું. અંગ્રેજોનાં શાસનમાં વિરોધ ન થાય એટલે રાજદ્રોહનો કાયદો લવાયો, પણ લોકશાહીમાં તો વિરોધનું પણ એટલું જ મહત્ત્વ હતું. વિપક્ષનું અલગથી સ્થાન સ્વીકારાયું હતું. હવે જો એ સરકારનો વિરોધ કરે તો 124 એ મુજબ રાજદ્રોહ ગણાય, પણ લોકશાહીમાં એવું નથી. એવું નથી તો રાજદ્રોહનો કાયદો પણ ન હોવો જોઈએ, પણ એ છે ને સ્વતંત્રતાનું અમૃતપર્વ ચાલે છે ત્યાં સુધી તો તે છે જ ! રાજદ્રોહ તો જે સરકારની વિરુદ્ધ પડે તેને સજા કરતો કાયદો છે ને સરકાર લોકશાહીમાં માનતી હોય ને વિરોધ તેનું મહત્ત્વનું લક્ષણ હોય તો પ્રશ્ન એ છે કે રાજદ્રોહ થાય કેવી રીતે? એટલે લોકશાહીમાં રાજદ્રોહ શક્ય જ નથી. જો એ શક્ય ન હોય તો રાજદ્રોહનો કાયદો પણ ન હોય. ન જ હોય. એટલે સુપ્રીમ કોર્ટ ભલે અત્યારે રાજદ્રોહનો કાયદો સ્થગિત કરે, પણ ખરેખર તો તેણે એ નાબૂદ કરવાની દિશામાં જ સક્રિય થવાનું રહે.
સુપ્રીમ કોર્ટે દેશદ્રોહના કાયદા પર રોક લગાવી છે ને તે જુલાઈના ત્રીજા સપ્તાહમાં સુનાવણી થાય ત્યાં સુધી રહેશે. નવી સુનાવણી ન થાય ત્યાં સુધી રાજ્ય કે કેન્દ્ર નવા કોઈ કેસ લઈ શકશે નહીં. જેના પર કેસ ચાલે છે તે કોર્ટમાં જઈ શકે છે ને જામીન મેળવી શકે છે. રાજદ્રોહની કલમ હોવી જોઈએ કે જવી જોઈએ તે અંગે સરકાર અને સુપ્રીમ વચ્ચે ચાલતો જંગ જૂનો છે. જે અંગ્રેજ સરકારે રાજદ્રોહની કલમ દાખલ કરી એ અંગ્રેજોએ પણ તેમના દેશમાંથી આ કલમ 2010માં દૂર કરી છે, પણ ભારતમાંથી એ કલમ કાઁગ્રેસનાં કે ભા.જ.પ.નાં વર્ષોનાં શાસન છતાં દૂર થઈ નથી. બંધારણમાંથી કનૈયાલાલ મુનશીએ રાજદ્રોહ શબ્દ જ દૂર કરેલો, પણ આઇ.પી.સી.માં એ શબ્દ ને કલમ હજી અકબંધ છે, તેમાં જે તે સરકારની મેલી મુરાદ કામ કરી રહી છે. કહેવાય ભલે લોકશાહી, પણ સરકારો તેની સામેનો વિરોધ લાંબો સમય સુધી સહન કરી શકતી નથી એટલે જો કોઈ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવે તો તેને રાજદ્રોહને નામે સપડાવીને પજવી શકાય એટલે પણ, આ કલમ દૂર કરવા સરકાર રાજી થતી નથી. તેમાં તે સુધારો કરવા તૈયાર છે, પણ 124-એને કાઢવાની તરફેણમાં તે નથી જ.
અંગ્રેજોના વખતમાં ન થયા હોય એટલા કેસ સ્વતંત્ર થયા પછી ભારતમાં થયા હોય તો નવાઈ નહીં. 2010 પછી 806 કેસ 10,938 લોકો સામે નોંધાયા છે. રાજ્યોની વાત કરીએ તો 2010થી 2020 સુધીમાં સૌથી વધુ કેસ-168 બિહારમાં જ નોંધાયા છે. આ ઉપરાંત તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર જેવાં ઘણાં રાજ્યોમાં રાજદ્રોહના કેસ નોંધાયા છે. આમ તો કાઁગ્રેસના વખતમાં પણ રાજદ્રોહના કેસ થયા છે, પણ 2014 પછી કેન્દ્રમાં ભા.જ.પ.ની સરકાર આવી ને ઉત્તર પ્રદેશમાં પણ યોગીની ભા.જ.પી. સરકાર આ વર્ષે બની. આ સરકારો પણ સહિષ્ણુ નથી. પોતાની સામેનો વિરોધ આ સરકારો સહી શકતી નથી. વડા પ્રધાન મોદી સામે ટિપ્પણી કરવા બદલ 149 લોકો સામે અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની ટિપ્પણી કરવા બદલ 144 લોકો સામે રાજદ્રોહના કેસ થયેલા છે. આ કેસમાં તથ્ય કેટલું છે તે તો કોર્ટ નક્કી કરશે, પણ કોઈ નેતાની ટીકા કરવા બદલ આટલા કેસ થાય તેવું ભારતમાં પહેલીવાર બન્યું છે. લોકશાહીમાં નેતાની ટીકા તો સામાન્ય બાબત છે, તો ટીકાને રાજદ્રોહમાં ન જ ખપાવાય, પણ ભારતમાં એ શક્ય છે. અહીં ટીકા પણ રાજદ્રોહ ગણાય છે.
2019ની લોકસભા ચૂંટણી વખતે કાઁગ્રેસે રાજદ્રોહની કલમ નાબૂદ કરવાનું વચન ચૂંટણી ઢંઢેરામાં આપેલું, પણ પછી એ વાત તેને યાદ આવી નથી. ન જ આવે, કારણ રાજસ્થાનની ગેહલોત સરકારે પણ 2020માં ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સામે રાજદ્રોહનો કેસ કરતી વખતે સંકોચ અનુભવ્યો નથી. સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા સામે તાજેતરમાં જ, મહારાષ્ટ્ર સરકારે રાજદ્રોહનો કેસ કર્યો છે. દંપતીએ મુખ્ય મંત્રીના ઘર સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ રાખ્યો તો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને લાગ્યું કે રાણા દંપતી સરકાર વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માંગે છે એટલે દંપતીને ઘરની બહાર જ ન નીકળવાં દીધા કે મુખ્ય મંત્રી ઠાકરેના નિવાસસ્થાને પહોંચી શકે. હનુમાન ચાલીસાનો પાઠ એ હિન્દુ વિરોધી કે સરકાર વિરોધી વાત નથી જ, છતાં રાજદ્રોહની કલમ લગાવાઈ. દંપતીને જામીન મળ્યાં છે એટલે અત્યારે તો પતિ, પત્ની બહાર છે, પણ આ અને આવા ઘણા કેસમાં સરકારોએ રાજદ્રોહના કાયદાનો ઘણો દુરુપયોગ કર્યો છે. દુરુપયોગ થયો છે એવું એટલે પણ ખરું કે જેટલા કેસ સરકારોએ કર્યા તેમાંના મોટે ભાગના પુરવાર થયા નથી ને આરોપીની નિર્દોષ છૂટવાની ટકાવારી મોટી છે. 2015થી 2020 સુધીમાં રાજદ્રોહના કાયદા હેઠળ 548 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 12 જણાંને જ સજા થઈ છે. એનો અર્થ એ થયો કે 536 જણાંને ખોટી રીતે જ આ કેસમાં સંડોવી દેવામાં આવ્યા હતા. આમ હોય તો કેવી રીતે કહેવાય કે રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ થતો જ નથી? જો છેલ્લાં આઠેક વર્ષમાં 1,500થી વધુ કાયદાઓ રદ્દ કરાયા હોય તો 152 વર્ષ જૂના રાજદ્રોહના કાયદાનો એવો તે શું મોહ છે કે સરકાર તે બદલવા તૈયાર નથી? સુપ્રીમે રાજદ્રોહનો કાયદો સ્થગિત કર્યો તો કેન્દ્રીય કાનૂન મંત્રીએ સુપ્રીમને સલાહ પણ આપી દીધી કે સરકાર કોર્ટને માન આપીને તેનાં ક્ષેત્રમાં હસ્તક્ષેપ ન કરતી હોય તો કોર્ટે પણ લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. કાનૂન મંત્રી અસહિષ્ણુની જેમ એ પણ સૂચવી રહ્યા છે કે કોર્ટે લક્ષ્મણરેખા ઓળંગી છે ને સરકારની સરહદમાં દખલ કરી છે. ખરેખર તો કાનૂન મંત્રીનું વલણ ગરિમાપૂર્ણ હોય તે અપેક્ષિત છે.
એ પણ છે કે રાજકીય ઉશ્કેરણીના કિસ્સામાં રાજદ્રોહ સિવાયની બીજી કડક કલમો કાયદામાં છે જ, તેનો ઉપયોગ થઈ જ શકે, આતંકવાદ અને મની લોન્ડરિંગ જેવી બાબતો માટે રાજદ્રોહની કલમ જરૂરી છે એવું સરકારને લાગે છે, પણ તેની આડ લઈને સરકાર ગમે તેની સામે આ કલમનો દુરુપયોગ નહીં જ કરે એની કશી ખાતરી નથી. સરકાર સામે ઉશ્કેરણીનો કોઈ મુદ્દો જ ન હોય ને સરકારને એમ લાગે કે જે તે ઉશ્કેરણી સરકારની સામેની છે ને તે રાજદ્રોહની કલમ લગાવી દે, તે વખતે સરકારનો હેતુ તો જળવાઈ રહે, પણ કોઈ નિર્દોષનો મરો થયા વગર રહે નહીં તે નક્કી છે. વળી, આતંકવાદ કે મની લોન્ડરિંગ જેવી બાબતે બીજી કલમો છે જ ને તે હેઠળ કામ ચલાવી જ શકાય, પણ સરકાર આ કલમ રાખવાની તરફેણમાં એટલે છે કે એમાં આરોપીને ખરો કે ખોટો, એકવાર તો સળિયા પાછળ ધકેલી જ દેવાય છે. કોઈક રીતનું વેર વાળવું હોય તો આ કલમ સરકારની ઘણી ઈચ્છાઓ પૂરી કરી શકે એમ છે. વિપક્ષ જેવું ખાસ રહ્યું નથી એટલે તેને તો સરકાર શું સપડાવે, પણ વિપક્ષ માતબર હોય એવી સ્થિતિમાં સરકાર આ કલમથી એકવાર તો કોઈને પણ ધંધે લગાડી શકે એમ છે. બીજું એ કે આ બિન-જમીનપાત્ર અપરાધ છે એટલે આરોપી બહાર આવી શકતો નથી. એકવાર દેશદ્રોહનો આરોપ લાગે તો વ્યક્તિ સરકારી નોકરી કરી શકતી નથી ને એ ઉપરાંત તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવામાં આવે છે. આરોપી નિર્દોષ હોય કે દોષિત, તે લાંબો સમય જેલમાં જ સડતો રહે છે. એટલે કોઈ વાતે સરકારે બદલો લેવો હોય તો આ કલમ જેવી બીજી કલમ તેને કદાચ નહીં મળે.
એ જે હોય તે, પણ આ કલમ દેશમાંથી જવી જોઈએ. તે એટલે કે એ વિરોધને રોકનારી જુલમી કલમ છે. જો વિરોધ જુલમ હોય તો આ કલમથી પણ જુલમ સિવાય બીજું કૈં જ થતું નથી ને લોકશાહીમાં વિરોધનો મહિમા હોય તો તેને રોકવા રાજદ્રોહનો કાયદો શું કામ? સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદાને જુલાઇ સુધી ભલે રોક્યો હોય, પણ ખરેખર તો તેની ગતિ આ કાયદાની નાબૂદી તરફની હોય તે અપેક્ષિત છે. જો, બંધારણમાં વાણી સ્વાતંત્ર્ય કે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય કોઈ મહત્ત્વ ધરાવે છે, તો રાજદ્રોહનો કાયદો એના પરની સીધી તરાપ છે. રાજદ્રોહનો કાયદો ખરેખર જ મહત્ત્વનો લાગતો હોય તો સરકારે વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કલમો બંધારણમાંથી દૂર કરવી જોઈએ ને ભારત લોકશાહી દેશ છે એ કહેવાનું બંધ કરવું જોઈએ.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 મે 2022