Opinion Magazine
Number of visits: 9446702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને પાંખમાં લેવાનો રશિયાનો પ્રયાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2022

સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર સ્ટ્રોક જ હોય છે, હંમેશાં મારે છે તો મીર જ મારે છે, એ હવે ક્યાં અજાણ્યું છે! જેમ ભાટ-ચારણો બાપુઓના ધીંગાણાઓની વાર્તાઓ લડાવી લડાવીને કહેતા અને બાપુનું શૌર્ય જોઇને શ્રોતાઓની છાતી ગજગજ ફૂલતી એમ આજે ભક્તોનું છે. મામૂલીમાં મામૂલી નિર્ણયને, કે ખોટા નિર્ણયને કે પછી મજબૂરીમાં લેવા પડેલા નિર્ણયને એવી રીતે રજૂ કરવામાં આવે અને ગોદી મીડિયા એવી રીતે પડઘમ વગાડે કે ભક્તો રાજીના રેડ થઈ જાય. જીવન સાર્થક થઈ જાય અને ફરી વાર શરણમાં રહેવા સંકલ્પબદ્ધ થઈ જાય.

આ હવે રોજની ઘટના છે, પણ કેટલીક ઘટનાઓ એવી હોય છે, જ્યાં લેવાયેલા નિર્ણયના સૂચિતાર્થો વાચકોને જણાવવા જોઈએ. રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ખરીદવાનો નિર્ણય આ પ્રકારનો છે. એમાં મજબૂરી પણ છે અને લાંબા ગાળાનાં સંભવિત પરિણામો પણ નજરે પડી રહ્યાં છે એટલે સમજદાર વાચકોના લાભાર્થે થોડીક સ્પષ્ટતા જરૂરી છે.

પ્રચાર એવો કરવામાં આવે છે કે ભારત વૈકલ્પિક ઉર્જાસ્રોત વિકસાવવામાં દુનિયામાં અગ્રેસર છે અને તેનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટી રહ્યું છે. સાચી વાત એ છે કે આખું જગત વૈકલ્પિક ઉર્જાસ્રોત વિકસાવવા પ્રયત્નશીલ છે, અને તેમાં ભારત એક છે અને એનાથી વધુ કડવી વાસ્તવિકતા એ છે કે ભારતનું ખનીજ તેલ પરનું અવલંબન ઘટવાની જગ્યાએ વધી રહ્યું છે કારણ કે ખપ વધી રહ્યો છે અને તેની સામે વૈકલ્પિક ઉર્જા બહુ ઓછી પડે છે.

અત્યારે ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૪૫ લાખ બેરલ્સ છે. કોરોનાકાળના અંત પછી ભારતની ખનીજ તેલની જરૂરિયાત પ્રતિદિન ૫૧ લાખ ૫૦ હજાર બેરલ્સની થશે, એમ ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતો કહે છે. અત્યારે ખનીજ તેલનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં સો ડોલર્સ પ્રતિ બેરલ છે અને જો યુદ્ધ વકરે તો હજુ વધી શકે એમ છે. યાદ રહે કે ભારતે તેની જરૂરિયાતનું ૮૫ ટકા ખનીજ તેલ આયાત કરવું પડે એમ છે. જો રોજ ૪૫થી ૫૦ લાખ બેરલ્સ તેલ સો ડોલર્સના ભાવે ખરીદવું પડે અને જો યુદ્ધને કારણે ભાવમાં ભડકો થાય તો દેશના અર્થતંત્રનું શું થાય? આ સ્થિતિમાં રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદવાનો નિર્ણય લેવાય અને એવી સમજૂતી થાય તો એનાથી રૂડું બીજું શું હોઈ શકે? આને તો ખરેખર શકવર્તી ઘટના જ કહેવી પડે.

પણ એવું નથી. રશિયા ભારતને પહેલાં ત્રીસ લાખ બેરલ્સ અને પછી ૨૦ લાખ બેરલ્સ ક્રૂડ તેલ આપવાનું છે. નહીં, પ્રતિદિન નહીં, વરસે. જે દેશની જરૂરિયાત રોજની ૪૫થી ૫૦ લાખ બેરલ્સની હોય તેને વરસમાં એક દિવસની જરૂરિયાત પૂરતું તેલ મળવાનું છે. કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાના પ્રધાન હરદીપ પૂરીએ રાજ્યસભામાં કહ્યું હતું કે ભારત દ્વારા કરવામાં આવતી ખનીજ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો એક ટકા જેટલો પણ નથી. અને સસ્તું એટલે કેટલું સસ્તું? ખરીદીના દિવસે જે બજારભાવ હોય એનાથી ૨૦ ટકા સસ્તું. જો ભાવમાં ભડકો થાય તો ભડકાના ભાવમાં ૨૦ ટકાની રાહત મળે અને એ પણ દેશની ઉર્જાની માત્ર એક ટકાની જરૂરિયાત પૂરી કરે. નથી મોટો જથ્થો કે નથી બાંધેલો ભાવ. કયો માસ્તર સ્ટ્રોક આમાં નજરે પડે છે?

તો પછી આવો નિર્ણય લીધો શા માટે? અને જો લીધો તો ભારતને રાહત થાય એવો મોટો જથ્થો શા માટે ખરીદવામાં ન આવ્યો? લાખ રૂપિયાના સવાલ આ બે છે.

ભારતે નિર્ણય લીધો નથી લેવો પડ્યો છે. મજબૂરી હતી. ૨૦ ટકાની ભાવમાં રાહત તો પડખે ઊભા રહેવા માટેનો શિરપાવ છે અને એ પણ મામૂલી.

વાત એમ છે કે યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી જગતમાં રશિયા એકલું પડી ગયું છે. પશ્ચિમના દેશોએ રશિયા ઉપર પ્રતિબંધો લાદ્યા છે, જેને કારણે રશિયાના અર્થતંત્રની કમર તૂટી જવાની છે. ઓછામાં પૂરું યુદ્ધને એક મહિનો થવા આવ્યો, પણ રશિયાનો વિજય નજરે પડતો નથી. તાકાતમાં રશિયા સામે સાવ સસલું ગણાતું યુક્રેન એક મહિનાથી ઝીંક ઝીલે છે. રશિયાનું નાક કપાયું છે અને તેના વડા વ્લાદિમીર પુતિનની આબરૂ તળિયે ગઈ છે. હવે તો વાતો થવા લાગી છે કે કદાચ પુતિનને પોતાને યુદ્ધની કિંમત ચૂકવવી પડશે. યુક્રેનના નાગરિકો યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીની સાથે છે, રશિયન નાગરિકો પુતિનની સાથે નથી.

પુતિનને મિત્રોની જરૂર છે અને મિત્રો બે છે. એક સાવ નજીક ખડે પગે ઊભેલું ચીન અને બીજું ભારત જે દૂર રહીને ટેકો તો આપે છે, પણ ઊઘાડો ટેકો આપતા સંકોચ અનુભવે છે. ભારતની દુવિધા એ છે કે ચીન શરમાયા વિના રશિયાને ઊઘાડો ટેકો આપે છે ત્યારે ભારત જો રશિયાને ટેકો ન આપે તો રશિયા ચીનની વધારે નજીક જાય. કાલ ઊઠીને જો ભારત-ચીન સરહદે સંકટ પેદા થાય તો રશિયા કદાચ મદદ ન પણ કરે! ભારતને ડર એ વાતનો છે કે જો ચીનની માફક ભારત રશિયાની પડખે ઊઘાડી રીતે ઊભું રહે તો અમેરિકા અને યુરોપના દેશો નારાજ થાય. ભારતની જરૂરિયાતનું લગભગ ૮૫ ટકા તેલ અમેરિકા અને અમેરિકા હસ્તક આરબ દેશોમાંથી આવે છે. આ સિવાય જો કાલે ચીન સાથે લશ્કરી સંકટ પેદા થાય તો અમેરિકા, યુરોપ જેવા દેશો મદદ ન કરે.

રશિયાને આ વાતની ખબર છે અને તેનો તેણે લાભ લીધો છે. રશિયા જગતને બતાવવા માગે છે કે ભારત માત્ર સલામતી સમિતિમાં ગેરહાજર રશિયાને મદદ નથી કરતું, રશિયા સાથે વ્યાપાર પણ કરે છે. રશિયાએ ભારતને પાંખમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને એ રીતે ભારતને અમેરિકા અને યુરોપના દેશોથી દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતે રશિયા પાસેથી ક્રૂડ તેલ મજબૂરીમાં ખરીદવું પડે એમ છે. ખરીદી મામૂલી છે, કારણ કે રશિયા પાસેથી તેલ ખરીદવામાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ પડે છે. એટલે તો ભારત રશિયા પાસેથી તેલ ખરીદતું નથી. આ તો રશિયાએ ભારત સાથે કરેલો પ્રદર્શન માટેનો સોદો છે જે ભારતે અલ્પ માત્રામાં કરવો પડ્યો છે.

આપણી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે. નથી રશિયાને ખુલ્લેઆમ મદદ કરી શકતું કે નથી તેનો વિરોધ કરી શકતું. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી ભારતની વિદેશનીતિ ચીનકેન્દ્રીય બની ગઈ છે અને એ મોટી મર્યાદા છે. હજુ તો અઠવાડિયું પણ વીત્યું નથી ત્યાં પરિણામ પણ દેખાવા લાગ્યા છે જેની વાત રવિવારના લેખમાં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 માર્ચ 2022

Loading

24 March 2022 admin
← અખિલ ભારતીય સેવા નિયમોમાં સુધારો : કેન્દ્ર-રાજ્ય ટકરામણનો નવો મોરચો
યુક્રેનની બહાદુરી યુક્રેનને જ ભારે પડી રહી છે … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved