Opinion Magazine
Number of visits: 9447202
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—135

દીપક મહેતા|Opinion - Opinion|5 March 2022

બોમ્બેનો એકમાત્ર બોલ ટાવર જોયો છે?

પોર્તુગીઝ ચર્ચના ઘંટ હિંદુ મંદિરોમાં કઈ રીતે પહોંચ્યા?

તમે બોમ્બેનો બોલ ટાવર જોયો છે? આપણા આખા દેશમાં માત્ર બે જ બોલ ટાવર છે અને તેમાંનો એક આપણી આ મુંબઈ નગરીમાં છે. અને એ આવેલો છે પ્રિન્સિસ ડોક ખાતે, જેનું હાલનું નામ છે ઇન્દિરા ડોક. આવા બોલ ટાવર હંમેશાં દરિયા કિનારે જ બાંધેલા હોય છે. કારણ એક જમાનામાં વહાણો અને જહાજો માટે એ ખૂબ ઉપયોગી હતા. આજે તો સ્ટીમર કે વિમાનમાં ચાલક પાસે ચોક્કસ ટાઈમ જાણવા માટે બહુ સોફેસ્ટિકેટેડ સાધનો હોય છે. અને મારા-તમારા જેવા પણ હવે રિસ્ટ વોચ વગર ફરે છે, કારણ મોબાઈલ સતત સાચો ટાઈમ બતાવવાનું કામ પણ કરે છે. પણ એ વખતે દરિયાઈ સફર વખતે ચોક્કસ ટાઈમ જાણવાનું ખૂબ જરૂરી હોવા છતાં એ માટે આજના જેવું કોઈ સાધન નહોતું.

કોલાબા વેધશાળા, બંધાઈ ત્યારે

એ ખોટ પૂરી કરવા બંધાયા બોલ ટાવર. દરિયા કિનારે ઠીક ઠીક ઊંચો ટાવર. તેના પર આજે ઝંડો ફરકાવવા માટે હોય છે તેવી કાઠી. તેના પર એક મોટો ગોળો કહેતાં બોલ, મોટે ભાગે લાલ રંગનો. ઝંડો ફરકાવવા માટે જેમ ગરગડીની વ્યવસ્થા હોય છે તેમ અહીં બોલને ઉપર-નીચે લઈ જવા માટે વધુ વિકસિત સગવડ. આ લાલ બોલને ૨૪ કલાકમાં ફક્ત એક જ વખત ઉપર ચડાવવામાં આવે : બપોરે એક વાગે (અમેરિકામાં બપોરે બાર વાગે). એક વાગવામાં પાંચ મિનિટ બાકી હોય ત્યારે બોલને અડધી કાઠી સુધી ઉપર ચડાવવામાં આવે. બારામાં ઊભેલાં બધાં જહાજોના કેપ્ટનની નજર એ બોલ પર ખોડાયેલી હોય. અઢી મિનિટ પછી બોલને કાઠી પર પૂરેપૂરો ઉપર ચડાવાય. અને બરાબર એક વાગે ધડામ દઈને બોલ કાઠીની નીચે. એ જ ઘડીએ વહાણોના કેપ્ટન પોતપોતાના મરીન ક્રોનોમિટરમાં બપોરના એક વાગ્યાનો ટાઈમ ગોઠવી દે.

આ બોલ ટાવરનો વિચાર આવ્યો ગ્રેટ બ્રિટનના રોયલ નેવીના કેપ્ટન રોબર્ટ વોચોપને. દુનિયાનો પહેલો બોલ ટાવર તેણે પોતે જ બ્રિટનના પોર્ટસમાઉથ ખાતે ઊભો કર્યો. એ પછી માત્ર બ્રિટનમાં જ નહિ, પણ તેની હકૂમત નીચેના દેશોમાં પણ ઝડપથી બોલ ટાવર બંધાવા લાગ્યા. લંડનની ગ્રીનવિચ ઓબ્ઝર્વેટરી ખાતે ૧૮૩૩માં બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો. બ્રિટિશ પ્રજા પોતાની પરંપરાઓને બહુ ચુસ્ત રીતે વળગી રહે છે. આજે હવે કોઈ વહાણ ટાઈમ બોલને જોઈને પોતાની ઘડિયાળમાં ટાઈમ એડજસ્ટ કરતું નથી. છતાં આજે પણ રોજ બપોરે એક વાગે ગ્રીનવિચ બોલ ટાવર પરના બોલને નીચે ઉતારવામાં આવે છે.

મુંબઈનો એકમાત્ર બોલ ટાવર, ઇન્દિરા ડોક

અમેરિકામાં પહેલો બોલ ટાવર ૧૮૪૫માં કામ કરતો થયો. પણ મુંબઈમાં તે પહેલાં દેશનો પહેલો બોલ ટાવર કામ કરતો થઈ ગયો હતો. આજે પણ જે કાર્યરત છે તે કોલાબા વેધશાળાની સ્થાપના છેક ૧૮૨૬માં થઈ હતી. અને તેની ઈમારત પર ૧૮૪૦માં દેશનો પહેલો બોલ ટાવર ઊભો કરવામાં આવ્યો હતો. એ વખતે આકાશી ગ્રહ-નક્ષત્રો, સૂર્ય-ચંદ્ર વગેરેનાં સ્થાનને આધારે વેધશાળા ચોક્કસ સમય નક્કી કરતી અને બોલ ટાવરની મદદથી વહાણોને તે જણાવતી. ૧૮૬૫માં આ બોલ ટાવરને બોમ્બે કાસલ ફ્લેગ સ્ટાફ ટાવર ખાતે ખસેડવામાં આવ્યો. આ બોમ્બે કાસલ એટલે આજના આઈ.એન.એસ. આંગ્રેનો વિસ્તાર. અને ૧૮૯૧માં મુંબઈનો બીજો બોલ ટાવર બંધાયો પ્રિન્સિસ ડોક ખાતે. એને કારણે સ્થાનિક લોકો આ ડોકને ‘ઘડિયાળ ગોદી’ તરીકે ઓળખાતા થયા. બીજા ઘણા બોલ ટાવરની જેમ વખત જતાં આ ટાવર પર પણ મોટા ડાયલવાળી ઘડિયાળ મૂકવામાં આવી છે. આજે તો હવે મુંબઈનો આ એકમાત્ર બોલ ટાવર બિસમાર હાલતમાં છે. વળી સમગ્ર ડોક એરિયા ‘પ્રતિબંધિત ક્ષેત્ર’ હોવાથી આમ આદમી માટે ત્યાં જવાનું શક્ય નથી.

ટાવરનો બીજો પ્રકાર તે બેલ ટાવર. મિનારા પર અથવા ઈમારતના સૌથી ઊંચા સ્થાને ઘંટ મૂકવામાં આવ્યો હોય તે બેલ ટાવર. હિન્દીમાં તેને ઘંટાઘર કહે છે. આવા ટાવર સૌથી વધુ ચર્ચમાં જોવા મળે છે. પ્રાર્થનાના સમયની શ્રદ્ધાળુઓને જાણ કરવા માટે નિયત સમયે ચર્ચનો ઘંટ વાગે. ઉપરાંત, લગ્નવિધિ ચર્ચમાં થતી હોય તે વખતે, કોઈનું અવસાન થાય ત્યારે, અને ૩૧મી ડિસેમ્બરની મધરાતે નવા વરસને વધાવવા ઘંટ વાગે. આ દરેક વખતે ઘંટ અમુક ચોક્કસ રીતે વાગે એટલે તે શા માટે વાગી રહ્યો છે તે શ્રદ્ધાળુઓ સમજી જાય. હોર્નિમન સર્કલ પર આવેલા અને ખૂબ જાણીતા એવા સેન્ટ થોમસ ચર્ચનો ઘંટારવ આજે પણ દૂર સુધી સંભળાય છે.

પણ ચર્ચના ઘંટ અંગે એક ખાસ વાત માત્ર મહારાષ્ટ્રમાં જ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે અંગ્રેજો પહેલાં મુંબઈ અને તેની આસપાસનો ઘણો પ્રદેશ પોર્ટુગીઝ હકૂમત હેઠળ હતો. પોર્ટુગીઝોએ ઘણાં ચર્ચ બાંધેલાં અને તે દરેકમાં ઘંટ હતા. મુંબઈમાં દાદર, ગિરગામ જેવી કેટલીક જગ્યાએ પોર્ટુગીઝ ચર્ચ આજે પણ છે. પણ મુંબઈની બહાર વસઈ, ઠાણે, અને બીજા પ્રદેશોમાંનાં પોર્ટુગીઝ ચર્ચ આજે ખંડિયેર બની ગયાં છે. પણ આજે તેમાં ઘંટ જોવા મળતા નથી. કેમ? પહેલાં તો માની લીધેલું કે નધણિયાતા ખંડેરોમાંથી ઘંટ ચોરાઈ ગયા હશે. પણ ના. એમાંના ઘણા ઘંટ આજે મહારાષ્ટ્રના કોઈ ને કોઈ હિંદુ મંદિરમાં જોવા મળે છે! જો કે કેટલાક મંદિર એ ઘંટ વાપરતા નથી, માત્ર લટકાવી રાખે છે.

એમ કેમ? કારણ ખ્રિસ્તી ચર્ચ અને હિંદુ મંદિર, બંનેમાં ઘંટનો ઉપયોગ જુદી રીતે થાય છે. ચર્ચમાં તેનો ઉપયોગ આસપાસના શ્રદ્ધાળુઓને સંદેશો પહોંચાડવા માટે થાય છે. જ્યારે મંદિરોમાં આરતી ટાણે, આરતીના ભાગ રૂપે, ઘંટારવ થાય છે. એ ઉપરાંત ભક્તો આવતાં-જતાં ઘંટ વગાડે છે. એટલે ચર્ચના ઘંટ ઘણા મોટા હોય છે જેથી અવાજ પડઘાય અને દૂર સુધી જાય. તેની જીભ પણ એવી રીતે બનાવેલી હોય છે કે બને તેટલો મોટો અવાજ થાય. જ્યારે મંદિરના ઘંટમાં બહુ મોટો અવાજ જરૂરી નથી. કારણ મંદિર બહાર કોઈને સંદેશો મોકલવાનો નથી. આરતી વખતે નગારાં, ઝાંઝ, પખાજ વગેરેનો ઉપયોગ પણ ઘણાં મંદિરમાં થાય છે. ત્યારે એનો અવાજ દબાઈ જાય એટલો મોટો ઘંટનો અવાજ ન હોવો જોઈએ. એટલે કેટલાંક મંદિરોમાં ઘંટની જીભ કાઢી અથવા બાંધી દેવામાં આવે છે, જેથી કોઈ એ ઘંટ વગાડે નહિ. પણ આગુ સે ચલી આઈ હૈ એ ન્યાયે ઘંટ મંદિરમાં બંધાયેલો રહે છે.

નાશિકના મંદિરમાં પોર્ટુગીઝ ચર્ચનો ઘંટ

ચર્ચના ઘંટ મંદિરમાં કઈ રીતે પહોંચ્યા એનો પણ રસિક ઇતિહાસ છે. એક શબ્દમાં કહેવું હોય તો એનું કારણ છે યુદ્ધ. ૧૭૩૭ના માર્ચની ૨૮ તારીખથી ૧૭૩૯ના મે મહિનાની ૨૩મી તારીખ સુધી ચાલેલું પોર્ટુગીઝો અને મરાઠા વચ્ચેનું યુદ્ધ. બાજીરાવ પેશ્વાના નાના ભાઈ ચીમાજી આપ્પાની સરદારી નીચે મરાઠા સેનાએ વસઈ અને તેની આસપાસના પ્રદેશ પર આક્રમણ કર્યું, અને અંતે પોર્ટુગીઝ હાર્યા. પોતાનાં કિલ્લા, ચર્ચ, કોઠી (ઓફિસ) વગેરે રેઢાં મૂકીને પોર્ટુગીઝ ભાગ્યા. એ વખતે ચૌલ, વસઈ, દહાણુ, પાલઘર, દમણ, સાલસેટ, મુંબઈમાં બધું મળીને લગભગ ૧૦૦ પોર્ટુગીઝ ચર્ચ હતાં. તેમાંના કેટલાક ચર્ચના ઘંટ કઢાવીને પોતાના સૈન્યના સરદારોને વિજયની ખુશાલીમાં ચીમાજીએ ભેટ આપ્યા! પણ આવી મસ મોટી, ભારે, ભેટ ઘરમાં તો સાચવવી મુશ્કેલ. એટલે સરદારોએ એ ઘંટ પોતાના વિસ્તારના કોઈ ને કોઈ મંદિરને ભેટ આપી દીધા! નાશિકના રામેશ્વર મંદિરમાં, ઓસ્માનાબાદના તુળજાભવાની મંદિરમાં, પૂણેના ભીમાશંકર મંદિરમાં, કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં, આજે પણ આવા ચર્ચના ઘંટ જોવા મળે છે.

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ચીરા બજાર

પણ આ ઘંટ અગાઉ પોર્ટુગીઝ ચર્ચમાં હતા એમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? એક, એમાંના કેટલાક ઘંટ પર Made in Portugal કે Made in Goa એવું કોતર્યું છે. બીજું, ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય ફાંટા છે, રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટ. તેમાં રોમન કેથલિક સંપ્રદાયમાં મધર મેરી પૂજાય છે, પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયમાં નહિ. એટલે કેથલિક સંપ્રદાયના ચર્ચના ઘંટ પર AM અક્ષરો કોતર્યા હોય છે, જે લેટિન Ave Mariaના સંક્ષેપાક્ષરો છે. જ્યારે પ્રોટેસ્ટન્ટ ચર્ચના ઘંટ પર IHS અક્ષરો કોતર્યા હોય છે જે ઈશુ ખ્રિસ્તના નામના સંક્ષેપાક્ષરો છે. આ ઉપરાંત ઘણાખરા ઘંટ પર ક્રોસ પણ કોતરેલો હોય છે. હવે, જો મંદિરના ઘંટ પર આમાંની કોઈ નિશાની હોય તો દેખીતું છે કે એ ઘંટ પહેલાં કોઈ પોર્ટુગીઝ ચર્ચમાં હતો. અને હા, આ યુદ્ધ પહેલાં જે ઘંટ વસઈના પોર્ટુગીઝ ચર્ચમાં હતા તેમાંનો એક ઘંટ મુંબઈમાં પણ જોવા મળે છે. ક્યાં? ગિરગામ રોડ પરના ચીરા બજાર વિસ્તારમાં ૧૮૭૨માં  બંધાયેલા  અને આજે પણ અડીખમ ઊભેલા સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ચર્ચમાં. પણ ૧૮૭૨ પહેલાં આ ઘંટ ક્યાં હતો, અને અહીં કેવી રીતે આવ્યો એ એક કોયડો છે. પણ એક રીતે તો આખી મુંબઈ નગરી જ કોયડાઓની નગરી છે ને!

પ્રીતમ લખલાણી

પ્રતિભાવ:

જિંદગી પણ કેવી છે? મુંબઈમાં જન્મ્યો અને અમેરિકા આવ્યો ત્યાં સુઘી ઘાટકોપરમાં જ રહ્યો/જીવ્યો. આજે અમેરિકામાં ૪૫ વરસ વીતી ગયા પછી પણ હું મુંબઈથી દૂર જઈ શકયો નથી. તમારો પ્રત્યેક લેખ વાચું છું અને જાણે મુંબઈમાં છું એમ વાંચતાં વાંચતાં પ્રત્યેક ક્ષણે જીવું છું, મેં માણેલું, જીવેલું મારું મુંબઈ. ખૂબ ખૂબ આભાર સાથે આવતા લેખની રાહ જોતો અરબી સમુદ્રનો છોરો … પ્રીતમ લખલાણી

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 05 માર્ચ 2022

Loading

5 March 2022 admin
← દીના પાઠકને ૧૦૦મા વર્ષે સલામઃ લિંબુ પાણીની માફક
રશિયાનો યુક્રેન પર હુમલોઃ પુતિનની મહત્ત્વાકાંક્ષાઓની લોહિયાળ ભૂલ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved