અત્યંત દુ:ખદ રીતે 2022ની શરૂઆત ધાર્મિક દુર્ઘટનાથી થઈ છે. વૈષ્ણોદેવી પવિત્ર તીર્થધામ છે ને ત્યાં શ્રદ્ધાળુઓ એટલી સંખ્યામાં આવ-જા કરતા રહે છે કે અપવાદરૂપે પણ ત્યાં ભીડ ન હોય એવું બનતું નથી. રાતના 2.45નો સમય. આમ તો જગત પોઢી ગયું હોય, પણ વૈષ્ણોદેવીનું ભવન બારે મહિના ભીડથી ભરેલું હોય છે. 2022ની પહેલી અને વહેલી સવારે પણ રાબેતા મુજબ હજારોની ભીડ હતી. ત્યાં કૈં એવું થયું કે એકદમ નાસભાગ મચી ગઈ અને કૈં ખબર પડે ત્યાં તો 12 લાશ પડી ને 20 લોકો ઘવાયા. તેમાંના કેટલાંક તો ગંભીર છે ને હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. મૃતકોની સંખ્યા વીસની થઈ હોવાનું પણ કહેવાય છે. આવે વખતે બીજું કૈં થાય કે ન થાય, પણ વળતર જાહેર થવા લાગે છે. અહીં પણ જાહેર થયું. કેન્દ્ર સરકારે મૃતકોને નામે 2 લાખ અને ઘાયલોને 50 હજાર જાહેર કરી દીધા છે. જમ્મુ-કાશ્મીરનાં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાએ પણ મૃતકોનાં સંબંધીઓને 10 લાખ અને ઘાયલોને 2 લાખ વળતર પેટે જાહેર કર્યા છે. ઘણીવાર તો મૃતકોની ખબર પડે ન પડે કે તેના સંબંધીઓ જડે કે ન જડે, તો પણ વળતર જાહેર થઈ જતું હોય છે. કેમ જાણે એટલું કરવાથી જવાબદારી પૂરી થઈ જતી હોય છે. આટલી પ્રોમ્પ્ટ સર્વિસ ભાગ્યે જ બીજે મામલે જોવા મળે છે. પ્રશાસનને પણ એ જાહેરાતની ખબર હશે કે કેમ, તે નથી ખબર, પણ આટલી ઝડપી સેવા માટે તો પ્રજાએ પ્રશાસનને બિરદાવ્યે જ છૂટકો છે. મૃતકોની સંખ્યા વધે તો તે પ્રમાણે વળતર પણ વધે એમ બને. એ સાથે જ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ગૃહ મંત્રી વગેરે શોક સંવેદના પ્રગટ કરવામાં જરા પણ પાછળ નથી પડતા એ વાતનીય નોંધ લેવી જ પડે એમ છે.
જો કે, વૈષ્ણોદેવીમાં એવું શું થયું કે લાશો પડી તે અંગે ચોક્કસ વિગતો જાહેર થઈ નથી. સાધારણ રીતે બને છે તેમ ઘટનાની તપાસ કોઈને સોંપાય છે, પણ એનો છેડો ભાગ્યે જ આવતો હોય છે. ઘણી વાર તો તપાસ સોંપાય છે જ એટલે કે હકીકત બહાર ન આવે. જેટલાં મોઢાં એટલી વાતો હોય છે ને એટલી વાતો હોય છે કે ન જાણવાથી વધુ સ્વસ્થ રહી શકાય. વૈષ્ણોદેવી પ્રકરણમાં પણ સાચું હાથમાં આવતું નથી. જમ્મુ-કાશ્મીરના ડી.જી.પી. દિલબાગસિંહનું કહેવું છે કે શ્રદ્ધાળુઓ વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો ને એમાં ધક્કા-મુક્કી થતાં ભાગદોડ મચી ગઈ. કેટલાંક નજરે જોનારાઓનું કહેવું છે કે લોકો એંશી હજાર જેટલા ભેગા થઈ ગયા હતા અને વ્યવસ્થા પૂરતી ન હતી. એ પણ છે કે વર્ષોથી ભીડ થાય જ છે ને વ્યવસ્થા થતી હોય તો પણ તે હંમેશ અપૂરતી જ હોય છે. એમાં નવાં વર્ષે જે બન્યું એ સંદર્ભે એવું પણ કહેવાય છે કે થોડા વી.આઇ.પી.ઓ આવવાના હતા ને એમને માટે રસ્તો કરવાની કોશિશો સી.આર.પી.એફ.ના જવાનો, દંડાથી ડરાવીને કરી રહ્યા હતા. એમાં થર્ડ ચેકપોસ્ટ પર સ્થિતિ એવી થઈ કે કોઈ ચસી જ ન શકે. ન આગળ જવાય કે ન પાછળ ને ઉપરથી વી.આઇ.પી.ઓ માટે જગ્યા કરવાનું દબાણ ! એવામાં નાસભાગ સિવાય શું થઈ શકે? નાસભાગ જ થઈ અને વીસેક જીવો નવાં વર્ષની સવાર જોવા ન પામ્યા.
આવું કૈં પહેલીવાર નથી બન્યું. થોડે થોડે વર્ષે જાણીતા તીર્થધામોમાં કે કોઈ ખાસ વારતહેવારે ભયંકર ભીડ થાય છે ને એમાં કૈં એવું થાય છે કે લોકો કમોતે મરે છે ને સંબંધીઓને રડતાં પાર નથી આવતો. ગયા ડિસેમ્બરની પહેલી તારીખે ભાવનગરના ઘોઘા ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં ભારે પવન ફૂંકાતા ડોમ તૂટયો હતો ને ભાગદોડ મચી ગઈ હતી. સદ્દભાગ્યે મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પણ ત્યારે પણ રાજ્યમાં કમોસમી વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી હતી જ ! તે છતાં ભક્તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આવાં જોખમ વચ્ચે ભીડ ન થઈ હોત તો સારું થયું હોત, એવું નહીં? 2018ના દશેરાએ જલંધરથી અમૃતસર જતી ટ્રેનની અડફેટે આવી જવાથી 59 વ્યક્તિઓ કપાઈ ગઈ હતી ને માત્ર 150 મીટરની લંબાઈમાં લાશોના કટકા વેરાઈ ગયા હતા. વાત તો એટલી જ હતી કે લોકો રેલવે લાઇન નજીક રાવણ દહનનો કાર્યક્રમ જોવા જઈ રહ્યા હતા ને ટ્રેન 100 કિલોમીટરની ઝડપે આવી ધમકી હતી. એ હજી સુધી ખબર નથી પડી કે રેલવે લાઇનની નજીક રાવણ દહનના કાર્યક્રમની પરવાનગી કોણે ને કયા આધારે આપી હતી? આઠેક વર્ષ પર રાવણ દહન નિમિત્તે જ પટનામાં બે લાખ લોકો ભેગા થયા હતા ને એકાએક ધક્કામુક્કી થઈ હતી ને 33 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એના અગાઉના વર્ષે છઠની પૂજા નિમિત્તે પુલ તૂટતાં બિહારમાં 73 લોકો ડૂબી ગયા હતા. તમિલનાડુના સબરીમાલામાં 2019માં ટ્રક અને ટેમ્પો ભટકાતાં 10 ભક્તોનાં મોત થયા હતા ને 5 ઘાયલ થયા હતા. સબરીમાલામાં જ ભાગદોડને કારણે એકથી વધુ વખત સેંકડોની સંખ્યામાં મોત થયાની ઘટના નવાઈની વાત નથી. કુંભના મેળાઓ જ્યાં પણ થાય છે, ક્યારેકને ક્યારેક ભાગદોડ મચે જ છે ને સેંકડો લોકો એનો ભોગ બને છે.
2022ની જ નવાં વર્ષની વાત કરીએ તો અમૃતસર, કાશી, હૈદરાબાદ, ગાઝિયાબાદ જેવાં શહેરોનાં મંદિરોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો હતો. આવી ભીડ કરવાનું આમ તો કોઈ કારણ હોતું નથી, પણ વાર તહેવારે લોકો મંદિરો પર ધસી જતાં હોય છે ને ભીડમાં રહેવાનો ધર્મ બજાવતા હોય છે. અનેક તકલીફો વેઠવા સિવાય ભાગ્યે જ કશી પ્રાપ્તિ હોય છે, પણ લોકોને આમ જ ફાવતું હોય છે એટલે જીવને જોખમે પણ ભીડનો લાભ લેતા હોય છે. એવી બીજી ઘણી ઘટનાઓ છે જેમાં ધાર્મિક કારણોસર લોકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. કૈં નથી થતું ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો, પણ કૈં થયા વગર ન જ રહે એવી સ્થિતિ ઘણી વખત થાય છે. ભીડ બેકાબૂ થાય જ છે અને ધક્કામુક્કીમાં ખૂબ ખરાબ રીતે લોકો મરે પણ છે. એવે વખતે અપૂરતી વ્યવસ્થાને નામે પ્રશાસનને ભાંડવાનું સહેલું છે, પણ લોકો ભીડ કરવાને જ પોતાનો ધર્મ માનતા હોય તો વ્યવસ્થા વધી વધીને કેટલીક વધવાની હતી? પ્રશાસન વળતર આપીને કે શોક પ્રદર્શિત કરીને ફરજ બજાવી લે છે, પણ લોકોએ પણ એ જોવાનું રહે જ છે કે જે કૈં થાય છે તેમાં તેમની કોઈ જવાબદારી બને છે કે કેમ? એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની વકરતી સ્થિતિમાં ને ઓમિક્રોનમાં થઈ રહેલ વધારાને કારણે સરકારે 31 ડિસેમ્બરની રાતની ઉજવણી પર રોક લગાવી હોય, ત્યારે વૈષ્ણોદેવીમાં હજારોની સંખ્યામાં ઊમટી પાડવાનું કોઈ કારણ ખરું? અમર્યાદ સંખ્યામાં ભીડ થતી જ રહેતી હોય ત્યાં ને તંત્રોની કામ કરવાની ઇચ્છાશક્તિ જ મરી પરવારી હોય ત્યાં જોખમો વધે જ તેટલી સાદી સમજ પણ શ્રદ્ધાળુઓ દાખવી ના શકે?
છેલ્લાં થોડાં વર્ષોમાં જે ભક્તિભાવ એકાએક વધી પડેલો જણાય છે તે ફેરવિચારને પાત્ર છે. મંદિરોમાં અવરજવર વધી છે ને આશ્ચર્ય એ વાતનું છે કે એમાં યુવા ભક્તોની સંખ્યા વધારે છે. સાધારણ રીતે ભક્તિભાવ વૃદ્ધોમાં વધતો હોય છે, પણ હવે યુવાનોની ભીડ મંદિરોમાં વધતી આવે છે એ વાત નવી છે. આ યુવાનો ઘણી બાબતોમાં વૃદ્ધો કરતાં વધારે વહેમી ને અંધશ્રદ્ધાળુ છે. આ ભક્તિ રાજકારણ પ્રેરી ન હોય એમ ઈચ્છીએ, કારણ જ્યારથી કોરોના પ્રવેશ્યો છે ને સાવધાનીની વાતો વધી છે, ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન પણ વધતું જ આવે છે. ચૂંટણી જીતવા રાજકીય પક્ષો કોઈ પણ હદે જઈ શકે એમ છે. એમને ભીડ કરવામાં કોરોના કદી આડે આવતો નથી. એનો જ પડઘો ધાર્મિક ભીડમાં પણ પડતો સંભળાય છે. દુનિયામાં લાખોની સંખ્યામાં કેસ વધતા હોય ને ભીડ ન થાય એટલે રાજ્યોમાં કરફ્યુ નખાતો હોય કે 144મી પણ લાગુ કરાતી હોય, તો મંદિરોમાં નવા વર્ષની સવારે ભીડ કરવાનું સલાહભરેલું કેટલું તે વિચારવા જેવું છે. આવી ભીડને કારણે સંક્રમણ તો વધે જ છે, પણ વૈષ્ણોદેવી જેવી ઘટનાઓ જોખમ પણ વધારે જ છે.
કોઈ દેવીદેવતા ભીડ કરવાનું કહેતાં નથી તો આવી ભીડ દ્વારા કઇ ભક્તિ કે કયો ધર્મ, ભક્તો નભાવે છે તે નથી સમજાતું. આવી ભક્તિથી ઈશ્વર ને ધર્મ વધારે રાજી થતા હોય એવું પણ નથી જણાતું, એટલું ચોક્કસ છે કે આ જે ચાલી રહ્યું છે એમાં ભક્તિ ઓછી ને દેખાડો વધારે છે. આવી ભીડથી કમસેકમ સંક્રમણ તો નથી જ ઘટતું એ દીવા જેવું સ્પષ્ટ છે, તો કોને ખુશ કરવા ભક્તો આવું ભયંકર સાહસ કરતાં હશે તે અકળ છે. આ ધર્મ છે? ધર્મ આવો જોખમી હોય? આવો જોખમી હોય તો તે ધર્મ હોય? જે રીતે ધર્મ અત્યારે મંદિરોમાં ઊછરી રહ્યો છે તે દર્શનનો નહીં, પણ પ્રદર્શનનો મહિમા વધારી રહ્યો છે ને તે ભક્તોનું હિત કરે છે એવું માનવાની ભૂલ કરવા જેવી નથી. ધર્મને વધુને વધુ અંગત બનાવવાની જરૂર છે ને આપણે તેને જાહેર દેખાડાનો વિષય બનાવી દીધો છે તે દુ:ખદ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 જાન્યુઆરી 2022