Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માનવજાતને અસંમતિ દ્વારા ફાયદો થયો છે કે નુકસાન ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2021

ગયા વખતના લેખમાં મેં ઉપસંહાર કરતાં સવાલ કર્યો હતો કે માનવજાતને અસંમતિ દ્વારા ફાયદો થયો છે કે નુકસાન? અસંમતિ નિંદવાયોગ્ય છે કે મહિમાયોગ્ય? તમે શું નિષ્કર્ષ પર પહોંચ્યા એની ખબર નથી, પણ ચર્ચા આગળ વધારીએ.

સમાજમાં કેટલાક લોકોને અસંમતિ પરવડતી નથી. એ એવા લોકો હોય છે જે પ્રસ્થાપિત સમાજવ્યવસ્થાનાં લાભાર્થી હોય છે. પ્રસ્થાપિત વ્યવસ્થા કાયમ માટે ટકી રહે એમાં તેમનો લાભ હોય છે. એને માટે તેઓ શામ-દામ-દંડ-ભેદ એમ દરેક સાધનનો ઉપયોગ કરે છે. સૌથી પ્રભાવી સાધન હોય છે દિલ અને દિમાગ ઉપર કબજો. એને માટે અસ્મિતાઓનો જાપ જપવામાં આવે છે. આપણે આ સંસારમાં સૌથી વધુ મહાન છીએ. આપણે આ સંસારમાં સૌથી મહાન એટલા માટે છીએ કે આપણી પાસે આખી દુનિયાને ઈર્ષા થાય એવો અલભ્ય વારસો છે. મહાન પરંપરા અને ઇતિહાસ છે. આપણી પાસે બીજાઓને નથી મળ્યો એવો અલભ્ય વારસો છે, એટલે ઈર્ષાળુ લોકો આપણી ઈર્ષા કરે છે. તેઓ ઈર્ષા કરે છે માટે આપણા દુશ્મન છે, માટે દુશ્મનોને ઓળખી કાઢવા જોઈએ અને તેમનાથી બચવું જોઈએ.

હવે સવાલ આવે કે દુશ્મનને કઈ રીતે ઓળખવા અને તેનાથી કઈ રીતે બચવું?

દુશ્મનો બે પ્રકારના હોય છે. એક આંતરિક અને બાહ્ય. આમાંથી બાહ્ય દુશ્મનો તો બીવડાવવા પૂરતા જ ખપના હોય છે, બાકી સ્થાપિત હિતોનાં ખરા દુશ્મનો તો આંતરિક હોય છે. એ લોકો જે શંકા કરે છે, જે પ્રશ્ન કરે છે, જે વિરોધ કરે છે, જે અસંમત થાય છે, જે ગૃહીતોને પડકારે છે, જે પ્રમાણો માગે છે, જે તર્કશુદ્ધ દલીલો કરે છે, જે સ્થાપિત હિતોના સ્વાર્થને ઓળખી બતાવે છે, જે વધારે સારો વિકલ્પ બતાવે છે, જે વિકલ્પો વચ્ચે સારાસારની ચર્ચા કરે છે અને ચર્ચા કરવાનું પ્રસ્થાપિતોને ઈજન આપે છે. એ બધા આંતરિક દુશ્મન છે. પ્રસ્થાપિત વ્યવસ્થામાં સ્વાર્થ ધરાવનારા લોકોને ખબર છે કે આમાં પરિવર્તનની સંભાવના છે અને તે પરવડનારી નથી. વર્તમાનમાં તમે જોશો અને ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે પરિવર્તનનો વિરોધ કરનારાઓ ચર્ચામાં નથી ઊતરતા; પણ અસંમત થનારાઓની પહેલાં તેઓ ઉપેક્ષા કરે છે, એનાથી પરિણામ ન મળે તો ઠેકડી ઉડાડે છે અને એ પછી પણ પરિણામ ન મળે તો તેઓ દુશ્મન જેવો વહેવાર કરે છે. ચર્ચામાં તેઓ ક્યારે ય નહીં ઊતરે કારણ કે તેમને ખબર છે કે સ્વાર્થનું તર્કશાસ્ત્ર હંમેશાં નબળું હોવાનું.

હવે સવાલ આવે છે કે દુશ્મનથી બચવું કેવી રીતે? ઉપેક્ષા, ઠેકડી, ગાળો, ધાક-ધમકી, ખરીદવાનો પ્રયાસ, પીટાઈ અને છેવટે હત્યા વગેરે સાધનો અસરકારકપણે પરિવર્તનને રોકી શકતાં નથી. કારણ એ છે કે જેમને પ્રસ્થાપિત વ્યવસ્થામાં કોઈ લાભ નથી, પણ અન્યાય થઈ રહ્યો હોય એવા લોકો અસંમતિના સૂરોને ભલે મોડેથી પણ કાન આપવા લાગે છે અને દેખીતી રીતે દરેક યુગમાં અને દરેક સમાજમાં લાભાર્થીઓ કરતાં જેમનો લાભ લેવામાં આવતો હોય એની સંખ્યા વધારે હોવાની. હજુ રામરાજ્ય જગતમાં કોઈ સ્થળે સ્થપાયું નથી, જ્યાં પ્રત્યેક માણસ એક સરખો લાભાર્થી હોય. એ માણસજાતનું શમણું છે અને એ શમણાંનો પણ સ્થાપિત હિતો ઉપયોગ કરે છે.

તો શામ-દામ-દંડ અને ભેદમાંથી પહેલા ત્રણ એક હદથી વધારે ઉપયોગી નથી નીવડતા. આ સિવાય એમાં પરિસ્થિતિ વણસવાનો અને ભડકો થવાનો ભય રહે છે. જો પ્રસ્થાપિત વ્યવસ્થાને લાંબો સમય ટકાવી રાખવી હોય તો સૌથી ઉપયોગી સાધન ભેદ છે. પરંપરાનો અને આપણા અનોખાપણાનો મહિમા કરીને લોકોના દિલ અને દિમાગ ઉપર કબજો જમાવો. અસ્મિતાઓનું મહિમાશાસ્ત્ર વિકસાવીને લાગણીઓનાં પૂર વહેવડાવો એટલે બનશે એવું કે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે એ જ માણસ લાગણીથી દોરવાઈને લાભ લેનારના બચાવમાં ઊભો રહેશે. શોષિત જ શોષકની રક્ષા કરવા લાગશે. એમ માનીને કે તે પરંપરાની અને અસ્મિતાની રક્ષા કરી રહ્યો છે. બીજી બાજુ વિડંબના એ છે કે શોષિત એ માણસને જ સતાવશે જે માણસ શોષિતને શોષણથી બચાવવાની અને તેના લાભની વાત કરી રહ્યો છે. આવું માત્ર આજે થઈ રહ્યું છે એવું નથી, માણસ જાતે સમાજ વિકસાવ્યો ત્યારથી થઈ રહ્યું છે. ફરક એટલો છે કે આજે જેનો લાભ લેવામાં આવી રહ્યો છે તેને સ્થાપિત હિતોનો ગુરખો બનાવવાનાં સાધન વધારે હાથવગાં થયાં છે અને તે વધુ અસરકારક છે.  

પણ એ પછી ય અસંમતિનો સૂર શાંત થતો નથી. પરિવર્તનની ચિનગારી બુઝાતી નથી. વૈદિકયુગમાં બ્રાહ્મણોએ વેદોને અપૌરુષેય તરીકે ઓળખાવ્યા. વેદોના મંત્રોને ઈશ્વરે ખુદે ઋષિઓના મુખે કહેલા વચન તરીકે ઓળખાવ્યાં. ઈશ્વરીયવચન ક્યારે ય કાલબાહ્ય નીવડે નહીં એવી દલીલ કરવામાં આવી. બ્રાહ્મણોનો જન્મ બ્રહ્માના મુખેથી થયો છે અને માત્ર પુણ્યશાળી જ આવું ભાગ્ય લઈને જન્મે છે એટલે તે વિશેષ પ્રજા છે એમ સમજાવવામાં આવ્યું. બ્રાહ્મણ પવિત્ર જ હોય અને પવિત્ર માણસ ક્યારે ય ખોટું કરે જ નહીં એમ સમજાવવામાં આવ્યું. જેમનું શોષણ કરવામાં આવતું હતું એ શોષિતો શોષકોના પક્ષે ઊભા રહે અને તેમના ગુરખા બનીને તેમનું રક્ષણ કરે એ માટેની પાકી વ્યવસ્થા કરવામાં આવી હતી.

પણ એ છતાં ય …! એની વચ્ચે ભગવાન મહાવીરે કહ્યું કે આપણે જે માનીએ અને કહીએ એ જ સત્ય એવું કોઈ દા’ડો ન બને. સત્ય એકાંતિક ન હોઈ શકે. મહાવીર સ્વામીએ સત્યની આઠ સંભાવનાઓ બતાવી આપી જે અષ્ટભંગી તરીકે ઓળખાય છે અને તેમનું દર્શન અનેકાંતવાદ તરીકે ઓળખાય છે. ભગવાન બુદ્ધે કહ્યું કે પરમકૃપાળુ ઈશ્વર તેનાં પેદા કરેલાં સંતાનો વચ્ચે વહાલા-દવલાંનો ભેદ ન કરે. કોઈ વિશેષ સૌભાગ્યશાળી અને કોઈ ઓછા સૌભાગ્યશાળી એવું ઈશ્વર કરે? તેમણે સાવલ કર્યો કે તમારાં જીવનને કોઈ બીજો માણસ ત્રાજવે તોળે, દક્ષિણા લઈને પાસ કરે અને સ્વર્ગમાં જવાનો ગેઇટપાસ આપે એવી વ્યવસ્થા ઈશ્વર કરે? જો ઈશ્વર આવું કરે તો એને કૃપાળુ ન કહેવાય.

મહાવીર અને બુદ્ધનાં આ વચનો અસંમતિનાં વચનો હતાં. એને કારણે એકંદરે આપણને લાભ થયો કે નુકસાન? કહેવાની જરૂર નથી કે એ યુગમાં મહાવીર અને બુદ્ધના અનુયાયીઓ સાથે  એટલી હદે નફરતભર્યો વહેવાર કરવામાં આવતો હતો જેવો આજે હિન્દુત્વવાદીઓ મુસલમાનો સાથે કરે છે. શ્રમણ-બ્રાહ્મણ યુદ્ધ એટલું જ ઝેરીલું હતું જેવું આજે હિંદુ-મુસલમાન વચ્ચેનું છે. ત્યારે પણ જેમનો લાભ લેવામાં આવતો હતો એ લોકો જ લાભ લેનારાઓના ગુરખા તરીકે વર્તતા હતા જે આજે પણ જોવા મળી રહ્યું છે. સમાજની સાઈકલ એકંદરે એવી રીતે ચાલે છે જેમાં અસંમતિકારો સમાજને પાંચ ડગલાં આગળ લઈ જાય છે અને સ્થાપિત હિતો અને તેના સંરક્ષક ગુરખાઓ ત્રણ ડગલાં નીચે પછાડે છે. દિવસના અંતે બે ડગલાંનો નફો. અત્યારે સ્થાપિત હિતો અને તેનાં રક્ષણકર્તાઓ જોરમાં છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ડિસેમ્બર 2021

Loading

12 December 2021 admin
← ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ : ભારત-ચીન વિવાદને સ્પષ્ટતાથી સમજાવતું પુસ્તક
બે હાથ જોડીને વિનંતી છે કે મુસ્લિમો હિન્દુઓની અને હિન્દુઓ મુસ્લિમોની ઉશ્કેરણી કરવાથી દૂર રહે … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved