Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376848
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ : ભારત-ચીન વિવાદને સ્પષ્ટતાથી સમજાવતું પુસ્તક

કિરણ કાપુરે|Opinion - Opinion|11 December 2021

ભારતનાં પૂર્વ ફોરેન સેક્રેટરી નિરૂપમા રાવનું ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. પુસ્તકનો વિષય છે ભારત અને ચીન સંબંધોના આરંભનાં વર્ષો. દેશ આઝાદ થયો અને ચીન સાથે જે રીતે આપણા સંબંધો વિકસ્યા તેનો ઇતિહાસ અને વિશ્લેષણ નિરૂપમા રાવના પુસ્તકમાં છે. પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વિશેની માન્યતાઓ જનમાનસમાં દૃઢ બની ચૂકી છે તેમાં કશો ય નવો દૃષ્ટિકોણ મૂકવો તે પડકારજનક છે. આ પડકારને ઝીલીને નિરૂપમા રાવે આ વિષય પર પુસ્તક લખવાનું સાહસ કર્યું છે. રાવ સિવિલ સર્વન્ટ્સના ઊંચા પદે બિરાજી ચૂક્યાં છે. 1973ની બેચના આઈ.એ.એસ. અધિકારી તરીકે તેઓ ઇન્ડિયન ફોરેન સર્વિસમાં જોડાયાં અને આગળ જતાં 2009માં ઇન્ડિયન ફોરેન સેક્રેટરીના પદે આવ્યાં. નિવૃત્ત થવાના પૂર્વે તેઓ અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહ્યાં હતાં. વિદેશી બાબોતને લઈને તેમની સમજણના કારણે તેઓ આ પદે રહ્યાં અને હવે તેઓ પ્રોફેશનલી રાઈટીંગ કરે છે. નિરૂપમાં રાવના ‘ધ ફ્રેક્ચર્ડ હિમાલય’ પુસ્તકના રિવ્યૂ હજુ તો આવી રહ્યાં છે, પણ તે રિવ્યૂમાં એક સૂચન સર્વત્ર થયું છે કે ભારત-ચીન વચ્ચેના સંબંધો સમજવા આ પુસ્તક ઉપયોગી છે.

ભારત-ચીન સંબંધો સામાન્ય રહ્યા નથી. સીમા વિવાદથી માંડી ને વેપારી સ્પર્ધાના બાબતે બંને દેશો વચ્ચે મતભેદ છે. એશિયાની આ બંને મહાસત્તાઓના સંબંધોનું ફલક વ્યાપક છે અને એટલે તે સંબંધોનું સંપૂર્ણ આકલન કરવું અશક્ય છે. તેમાં કોઈ એક કેન્દ્રવર્તી વિષય લઈને આકલન થાય તો તે સંબંધને સહેલાઈથી સમજી શકાય. નિરૂપમા રાવે આ પુસ્તકમાં બંને દેશો વચ્ચેનો કેન્દ્રવર્તી મુદ્દો તિબેટ લીધો છે.

આ પુસ્તક અંગે ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ અખબારે નિરૂપમા રાવનો ઇન્ટરવ્યૂ લીધો છે. નિરૂપમા રાવને અહીં પહેલો પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે, ‘શું ચીન સાથેના સીમા વિવાદના કારણે તમે આ પુસ્તક લખવા પ્રેરાયાં છે?’ આ વિશે નિરૂપમા કહે છે કે, “2020માં લદાખમાં થયેલા સંઘર્ષના કારણે આ પુસ્તક પૂર્ણ કરવાનો મને ધક્કો મળ્યો. મારો ઉદ્દેશ છે બંને દેશો વચ્ચેના સૂક્ષ્મ ને જટીલ સંબંધોને વિશે એક પૂર્ણ ચિત્ર આપવું. ઉપરાંત મેં વાત પર પણ ધ્યાન આપ્યું છે કે ચીન વિશેના સંબંધ અંગે નેહરુ પર સમગ્ર દોષ ઠાલવી દેવામાં આવે છે. મેં એ તથ્યો પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કર્યો છે કે નેહરુ ચીન સાથેના ભય અને વ્યવહાર કરવાના જોખમોથી અજાણ નહોતાં. જ્યારે ચીને તિબેટમાં પ્રવેશ કર્યો ત્યારે લ્હાસામાં આપણા અધિકારી સુમૂલ સિન્હાએ જે કહ્યું હતું તે આજે પણ યાદ કરવામાં આવે છે. તેમના શબ્દો હતા : ‘ચીન તિબેટમાં પ્રવેશી ચૂક્યું છે અને હવે હિમાલયનું અસ્તિત્વ જોખમમાં છે.’”

આગળ નિરૂપમા રાવ કહે છે : “હું માનું છું કે નેહરુ પાયાના કેટલાક ભયથી વાકેફ હતા, અને તેઓ કયા પ્રકારના પડકાર આવી શકે તે વિશે પણ માહિતગાર હતા. પરંતુ તેઓ શાંત માહોલ સર્જાય તેમ ઇચ્છતા હતા. અને તેથી જ તેઓ ચીન સાથે મિત્રતા બનાવી રાખી અને સંવાદભર્યું વાતાવરણ રાખ્યું. તેમણે વિચાર્યું કે એશિયાના બે મોટા દેશો જો એક થઈને કામ કરશે તો વિશ્વ રાજનીતિમાં ભારતને લાભ થશે. અત્યારે એ સાબિત થઈ ચૂક્યું છે કે તેઓ તેમની ગણતરીમાં થાપ ખાધી છે. જો કે એ ભૂલવું ન જોઈએ કે તેમણે એવાં નિર્ણય લીધા હતા કે હિમાલયની નજીક આપણું વહીવટી માળખું ગોઠવાય. ઉપરાંત કનેક્ટિવિટી વધે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામે તે પ્રયાસ પણ તેમણે કર્યાં હતા.”

નિરૂપમા રાવને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના પ્રતિનિધિ એમ પણ પૂછે છે કે આ પુસ્તક પર પર કામ કરતી વેળાએ સરદાર પટેલનો ચીન અંગેના દૃષ્ટિકોણ અને નેહરુના મત વિશે તમે ક્યાં ભેદ જુઓ છો? આ વિશે તેઓ કહે છે : “હું માનું છું કે કોમ્યુનિઝમ પટેલને નાપસંદ હતું અને તેઓ કોમ્યુનિસ્ટ ચીન પ્રત્યે અવિશ્વાસ રાખતા હતા. ચીન તિબેટમાં પ્રવેશ્યું ત્યારથી પટેલ ચીન તરફથી કશો ય લાભ ભારતને મળશે તેમ જોતા નહોતા. નેહરુ પણ આ વાત સમજી ચૂક્યા હતા. કમનસીબે, 1950માં પટેલ અવસાન પામ્યા અને ચીન વિશેની બૃહદ્દ નીતિ ઘડાઈ ત્યારે તેઓ ન હતા. એટલે એ આપણે જાણતા નથી કે તેઓ હોત તો ચીન વિશેની તેમની હાજરીમાં નીતિ કેવી હોત. સંશોધન દરમિયાન મેં જોયું છે કે 1949થી નેહરુ એ બાબતે ચિંતા કરવા લાગ્યા હતા કે ચીન તિબેટમાં પ્રવેશી રહ્યું છે અને તિબેટના પ્રવેશથી આપણી સુરક્ષા મામલે ચિત્ર બદલાતું ગયું.”

જવાહરલાલ નેહરુ દલાઈ લામા અને ચીનના પ્રથમ વડા પ્રધાન ઝો એનલાઈ સાથે 1956માં દિલ્હી ખાતે યુનેસ્કોની બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં

રાવ આગળ કહે છે : “નેહરુ દ્વારા ચીન વિશે નીતિ ઘડવામાં આવી ત્યારે સમય શીતયુદ્ધનો હતો અને નેહરુ કોઈ પણ પક્ષે ભારતને જોતરાવવું ન પડે તેમ ઇચ્છતા હતા. ભારત વિશ્વ રાજનીતિમાં ત્રીજી શક્તિ તરીકે સ્થાપિત થાય તેમ તેમની ઇચ્છા હતી. નેહરુને ખ્યાલ હતો કે ચીન સાથેનો સૌહાર્દપૂર્ણ વ્યવહારથી એશિયામાં શાંતિપૂર્ણ માહોલ બનાવી રાખી શકાશે. આપણી સરહદની નીતિમાં ચીન માટે એક ઇંચ પણ છોડી દેવાની વાત નહોતી. જો કે ભૂલ ત્યાં થઈ જ્યારે ચીન તિબેટમાં પ્રવેશ્યું. આપણે ત્યારે તિબેટમાં રહેલાં આપણા તમામ અધિકારો છોડી દીધા અને પછી બંને દેશોની સહદર પરની એક સામાન્ય નીતિ પણ ન ઘડાઈ.”

આ પછી એક અગત્યનો પ્રશ્ન છે જે વિશે રાવે આપેલા ઉત્તરથી નેહરુની ચીન અંગેની સમજ જાણી શકાય. પ્રશ્ન છે કે, ચીનમાં ભારતના પ્રથમ રાજદૂત કે.એમ. પન્નીકરની ભૂમિકા શું રહી હતી? આ વિશે રાવનું રિસર્ચ કહે છે : “મારું માનવું છે કે નેહરુ અને પન્નીકરની સમજણ સારી હતી. તે વખતે વિદેશ વિભાગના કાર્યાલય પન્નીકરના ચીન પ્રત્યેના વલણથી નારાજ હતા, તેમ છતાં પન્નીકર પોતાના લખાણમાં જે-તે મુદ્દાને રજૂ કરતા, તેથી નેહરુને સંતોષ હતો. પન્નીકર નેહરુ સાથે સીધા જ સંદેશાની આપલે કરી શકે તે રીત સ્વીકાર્ય બનાવી શક્યા હતા. હું એમ માનું છું કે નેહરુ પન્નીકરનો મત સ્વીકાર્ય માનતા હશે અને એટલે જ્યારે તિબેટમાં ચીન આવ્યું ત્યારે પન્નીકરનું કહેવું હતું કે આ કિસ્સામાં ભારત ઝાઝું કરી શકે એમ નથી. તેથી આ સ્થિતિને ભારત દ્વારા સ્વીકારી લેવામાં આવી. મને એવું લાગે છે કે પછી પન્નીકરનું સૂચન માનીને નેહરુએ ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જેટલાં પગલાં લેવાવાં જોઈએ તે લીધાં.”

વર્તમાન સમય અંગેના પ્રશ્નો પણ નિરૂપમાને પૂછવામાં આવ્યાં છે જેમાં હાલમાં ચાલી રહેલી બંને દેશોની વાર્તા સંબંધિત પ્રશ્ન છે. આ અંગે રાવનું કહેવું છે કે : “આ વાર્તા દરમિયાન મને એવું લાગતું નથી કે ચીનને જાણવામાં આપણે કોઈ પણ થાપ ખાધી હોય. આપણે સાત દાયકાથી તેમની સાથે વ્યવહાર કરી રહ્યા છીએ. આપણે ઘણું શીખ્યા છીએ અને હવે કેટલીક ઠોસ બાબતો પર પહોંચ્યા છીએ. હવે પ્રશ્નોને સ્પષ્ટ રીતે આપણે ઓળખીએ છીએ. મને નથી લાગતું કે હવે કોઈ એવી ભૂલ થાય. ચીન સાથે સરહદ પર આપણી જોખમી અને જટિલ સ્થિતિ છે. દુનિયામાં સૌથી લાંબા ગાળાથી જે વિવાદો સરહદ પર ચાલી આવ્યાં છે તેમાંની આ ભારત-ચીનની બોર્ડર છે. મારા મતે પૂર્વીય લદ્દાખની સરહદ પર ચીન હવે વધુ પડતું પ્રવૃત્ત અને આક્રમક છે એટલે હવે બોર્ડર પર એ રીતે ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ છે. બંને દેશો વચ્ચેના સંબંધો તંગ થયા છે અને હવે સ્થિતિ શાંત રાખવા અર્થે કરાર કરવા સુધી વાત પહોંચી છે. જો કે ભારત અત્યારે ચીન સાથેના સંબંધો અંગે સાચા માર્ગે છે. આપણે ધીરજપૂર્વક સંવાદ કરી રહ્યાં છીએ. અને ક્યાંક ક્યાંક અપ્રવૃત્ત રહીને ને બળ ઘટાડીને પણ સ્થિતિ સામાન્ય કરવા અર્થે પ્રયાસ કરીએ છીએ.”

e.mail : kirankapure@gmail.com

Loading

11 December 2021 કિરણ કાપુરે
← મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == / [4]
માનવજાતને અસંમતિ દ્વારા ફાયદો થયો છે કે નુકસાન ? →

Search by

Opinion

  • ‘સાવન ભાદો’ની કાળી અને જાડી રેખાનું નમકીન આજે 70 વર્ષે પણ અકબંધ 
  • હંસને કી ચાહને કિતના મુઝે રુલાયા હૈ
  • પણે કેવળ પ્રાસંગિક થઈને રહી ગયા છીએ ….
  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • સરદારનો ગાંધી આદર્શ 
  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો

Poetry

  • વરસાદમાં દરવાજો પલળ્યો
  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved