Opinion Magazine
Number of visits: 9504142
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રતન ટાટાની સખાવત

આશા બૂચ|Gandhiana|26 November 2021

ઇતિહાસના પાને કોઈ એક દેશના વતનીઓ વિદેશે વસતા હોય તેઓ સ્વદેશમાં ચાલતી ચળવળો કે લડતોને આર્થિક તેમ જ નૈતિક સહાય અને ટેકો આપતા રહેતા હોય છે તેમ નોંધાયું છે. અમેરિકા અને અન્ય દેશોમાં વસતા જુઇશ લોકોની ઈઝરાયેલને અપાતી સહાય તેમ જ આયર્લેન્ડના વતનીઓને વિદેશે વસતા આઈરીશ લોકોની કુમક સર્વ વિદિત છે. તાજેતરમાં ભારતમાં થયેલ કિસાન ચળવળને વિદેશી સહાય મળી છે. પરંતુ મૂળ દેશમાં રહેતા વતનીઓ વિદેશે વસતા પોતાના દેશબાંધવોને તેમની માનવ હક્ક માટેની લડાઈ અને તે પણ એક અવનવી ઢબની અહિંસક લડાઈમાં તન, મન, ધનથી સહાય કરવા તત્પર થયા હોય તેવા જૂજ ઉદાહરણો છે. એવું એક અદ્વિતીય ઉદાહરણ આજે અહીં પ્રસ્તુત છે.

રેવરન્ડ નાગસે લંડન પીસ પેગોડા સ્થિત બૌદ્ધ સાધુ છે, જેઓ ગાંધી ફાઉન્ડેશનના હિતેચ્છુ છે અને તેના કાર્યક્રમોમાં સક્રિય હાજરી આપતા રહે છે. તેમણે ગાંધી ફાઉન્ડેશનના ત્રૈમાસિક ‘ગાંધી વે’માં  રતન ટાટાએ ગાંધીજીને લખેલ પત્ર આપ્યો તે પ્રકાશિત થયો, જેનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.

એ પત્રના અનુસંધાને બીજી હકીકત જાણવી રસપ્રદ બની રહેશે :  

1905માં રતન ટાટાએ ગોપાલકૃષ્ણ ગોખલે દ્વારા સ્થપાયેલ ‘સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા’ને માતબર રકમનું દાન કરેલું. તેના સ્વયંસેવક સભ્યોએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારી અને ભારતની પ્રજાના સામાજિક, આર્થિક અને રાજકીય કલ્યાણ હેતુ કામ કરવા જીવન સમર્પિત કરેલું જેને રતન ટાટાએ દસ વર્ષ સુધી ટેકો આપેલો જેનો કુલ સરવાળો 1,11,000 રૂપિયા થયેલ.

ગાંધીજીએ ટ્રાન્સવાલ-દક્ષિણ આફ્રિકામાં શરૂ કરેલી અસહકારની ચળવળમાં પણ રતન ટાટાએ ખાસ્સી રકમનું અનુદાન કર્યું, તે તેમની ઉમદા હેતુ સર થતા કાર્યોમાં આર્થિક સહાય આપવાની નૈતિક નેતાગીરીનું ઉદાહરણ પૂરું પડે છે. ગોખલેની ટ્રાન્સવાલની મુલાકાત બાદ રતન ટાટાએ પહેલું રૂ. 25,000નું દાન કર્યું. અને ત્યાર બાદ બીજા બે એટલી જ રકમના ચેક મોકલ્યા. નીચે આપેલ રતન ટાટાએ લખેલ ગાંધીજી ઉપરના જોશીલા અને ચેતનવંતા પાત્ર ઉપરથી ગાંધીજીનાં કાર્યના મૂલ્ય અને રતન ટાટાની ઉદાર સખાવતની ઝાંખી થાય.

− આશા બૂચ

યોર્ક હાઉસ,

ટ્વિકનહામ

18 નવેમ્બર 1910

પ્રિય મિસ્ટર ગાંધી,

હું ટ્રાન્સવાલમાં ભારતીય પ્રજાની પોતાના અધિકારોની સુરક્ષા માટેની લડત માટે રૂ. 25,000નો બીજી વખત ફાળો આપવા ઇચ્છું છું.

ગયે વર્ષે આ સમયે મેં આટલી જ રકમ સહર્ષ આપેલી અને ત્યારે બાદ અસમાનતા વિરુદ્ધની આ ચળવળમાં થતા ભારે ખર્ચને પહોંચી વળવા ભારતના અલગ અલગ વિભાગોમાંથી લગભગ લાખ રૂપિયાનું અનુદાન આપણા દેશવાસીઓએ કરેલ છે. આ રકમ મોકલવા બાબતનો સંતોષ છે, પરંતુ એ પૂરતી નથી. ખરેખર હું જ્યારે આ સમસ્યાની મહત્તાનો વિચાર કરું છું, અને ટ્રાન્સવાલમાં રહેતા આપણા મુઠ્ઠીભર દેશવાસીઓ જે અદ્દભુત તાકાતથી આપણી માતૃભૂમિના સન્માન ખાતર લડ્યા અને હજુ લડી રહ્યા છે; ત્યારે મારી એ કહેવાની ફરજ બની રહે છે કે પોતાનાં સપૂતો અને પુત્રીઓએ દૂર દેશમાં રહીને સત્ય માટે જે વીરતાથી સંઘર્ષ કર્યો છે, તે માટે ભારતીય જનતાએ જે ટેકો આપ્યો છે તે પૂરતો નથી.

હું કહી શકું કે વર્તમાન સમયમાં માત્ર સ્વહિત ખાતર નહીં, પરંતુ સમસ્ત દુનિયામાં વસતા ભારતીય લોકોના માન અને સુખાકારી માટેની મોટા ભાગની જવાબદારી અમારે શિરે છે. અમારે એ સમસ્યાઓથી વાકેફ થવું જોઈએ અને જે મહાન બલિદાનો અપાયાં છે અને દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય લોકોએ સ્વેચ્છએ જે યાતનાઓ સહન કરી છે, તે આપણી નિષ્ક્રિયતા અને અવગણનાને કારણે એળે ન જાય એની ખાતરી રાખવી જોઈએ. ભારતમાં રહેનાર આપણે ભૂલવું ન જોઈએ કે ટ્રાન્સવાલમાં આપણા સાથીઓએ આપણા દેશની ગરિમા જાળવવા ઘણી કઠણાઈઓ સહી અને ઘણા ત્યાગ કર્યા છે અને અલબત્ત તમારો જુસ્સો અને હિંમત અડગ રહ્યા છે, પણ તમારી પાસેના સાધનો હવે આ લાંબી લડતમાં ઘટવા લાગ્યા હશે. આથી મને લાગે છે કે તમને જો વધુ સહાય ન મળે તો આ લડતને લાંબો વખત ટકાવી નહીં શકાય. જો ભારતીય પ્રજાની મૂલવણી અને ટેકાના અભાવે આ લડત માંડી વાળવી પડે તો મને ભય છે કે આપણી શ્વેત જાતિથી ઉતરતા હોવા પણાની  સ્વીકૃતિની સમકક્ષ એ પગલું ગણાશે. તેના પરિણામ સ્વરૂપ દુનિયામાં જુદી જુદી જગ્યાએ વસતા આપણા દેશબાંધવો સાથે શ્વેત પ્રજા દ્વારા કેવો વ્યવહાર કરવામાં આવશે તેનું સહેલાઈથી અનુમાન લગાવી શકાય તેવું છે.

મને ભરોસો છે કે બ્રિટનની આમ પ્રજાને આપણી પ્રજા ઉપર ગુજારવામાં આવતા અન્યાય વિષે જો માહિતી હોય તો તેઓ એને નૈતિક ટેકો ન આપે, અને તેથી જ આપણે માત્ર ભારતની જ નહીં પરંતુ ઇંગ્લેન્ડની પણ સામાન્ય જનતામાં આપણા લોકો પર કેવો જુલ્મ વર્તવામાં આવે છે એ વિષે જાગૃતિ લાવવાની કોશિષ કરવી જોઈએ.

દક્ષિણ આફ્રિકાની નવી સરકારનું પ્રથમ કાર્ય આ ગૂંચવાડા ભરેલી સમસ્યાનો સંતોષકારક ઉકેલ લાવવાનું હશે કે જે બધાનું માન  જાળવનાર અને આપણા બ્રિટિશ રાજના નાગરિકો તરીકેના દરજ્જાને સુસંગત હશે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.

જો કે માત્ર આશા સેવવી તે જ પૂરતું નથી. એ પણ દર્શાવવું જોઈએ કે આપણે કૃતનિશ્ચયી છીએ. આથી મને લાગે છે કે આ તબક્કે ભારતમાં રહેતા અમે સહુએ પોતાની સત્તાના દાયરામાં હોય તે તમામ કરી છૂટવું તે અમારી ચોખ્ખી ફરજ છે. આ અત્યંત મહત્ત્વની ચળવળમાં જોડાયેલા લોકોને ભારતમાં વસતા તેમના દેશબાંધવોનો આવશ્યક દ્રવ્યના રૂપમાં અને નૈતિક બળ ટકાવવાના અર્થમાં ઉત્સાહપૂર્ણ અને સમર્થ ટેકો મળતો રહેશે, તેવો વિશ્વાસ આપવો જરૂરી છે. જો આપને તથા આપના સાથી કાર્યકરોને થોડે ઘણે અંશે પણ આ લાગણી પ્રેરવામાં મદદરૂપ થશે તો આ સાથે બિડેલો મારો ચેક મોકલવાનો મારો મકસદ સાર્થક થશે.

આપનો અંતઃકરણપૂર્વક 

રતન ટાટા 

Loading

26 November 2021 admin
← નારાજ થઈને :
યાદ છે : →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved