Opinion Magazine
Number of visits: 9450013
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીવિચારના અભ્યાસી કિરણ કાપુરેને અભિનંદન

સંજય સ્વાતિ ભાવે|Gandhiana|21 November 2021

ગાંધીવિચારના સંશોધક, સંપાદક અને કટારલેખક કિરણ કાપુરેને આજે દિલ્હીમાં ‘વિષ્ણુ પ્રભાકર રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન’થી નવાજવામાં આવ્યા. તેમને આ સન્માન ‘ગાંધીવાદી લેખન’ માટે આપવામાં આવ્યું છે. કિરણ ગયાં ચારેક વર્ષથી ગાંધીવિચારને વરેલાં માસિક 'नवजीवनનો અક્ષરદેહ’ના દૃષ્ટિપૂર્ણ અને પરિશ્રમી સંપાદક છે.

‘અક્ષરદેહ’નો નવો અંક હાથમાં આવતાંની સાથે કેટલાંક વાચકોને તે ઉઘાડીને પાનાં ફેરવવાની તાલાવેલી હોય અને વાચકોને ત્યાં ‘અક્ષરદેહ’ના  અંકો સાચવતા હોય તે કિરણની સફળતા છે.

ચાળીસ વર્ષના કિરણ કેટલાંક વર્ષથી ‘નવજીવન’ સંસ્થાને સમર્પિત છે. સંસ્થા સાબરમતી જેલના કેદીઓના જીવનમાં ઉજાસ ફેલાવવાનું જે કામ કરી રહી છે તેમાં પત્રકાર પ્રશાંત દયાળ સાથેનો મુખ્ય આધાર કિરણ છે. આવું ‘નવજીવન’ દ્વારા ચલાવવામાં આવતાં પત્રકારત્વના અભ્યાસક્રમની બાબતમાં પણ કહી શકાય. કિરણ ધીમે સંસ્થા સાથે અભિન્ન થતા જણાય છે.

કિરણે ગુજરાત યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને ગુજરાત વિદ્યાપીઠમાંથી ગાંધીવિચારની અનુસ્નાતક પદવીઓ મેળવી છે. અત્યારે તેઓ ‘પત્રકારોએ લીધેલી ગાંધીની મુલાકાતો’ વિષય પર પી.એચડી. માટેનું સંશોધન વિદ્યાપીઠમાંથી જ કરી રહ્યા છે. તેના માટે કિરણે દુનિયાભરના દેશ અને દુનિયાના અખબારનવીસોએ લીધેલી ગાંધીજીની 600 જેટલી મુલાકાતોનો અભ્યાસ કર્યો છે.

કિરણનું આંકડાકીય વિશ્લેષણ તો અચંબિત કરનારું છે. કિરણ માટે વિષય જેટલો જ પડકાર તેના વ્યાસંગી માર્ગદર્શક અધ્યાપક ડૉ. અશ્વિન ચૌહાણ છે. એ પણ સંશોધકના અભ્યાસથી ખૂબ રાજી છે. સંશોધકના કામની ખંત અને ચોકસાઈના અનેક દાખલા અશ્વિનભાઈ દિલથી આપે છે.

'नवजीवनનો અક્ષરદેહ’ માસિકને, આરંભથી પાંચેક વર્ષના ગાળામાં, તેના પૂર્વ સંપાદક અને અત્યારના ઉત્તમ ફ્રી-લાન્સ કૉપી-એડિટર કેતન રુપેરાએ, એક ઊંચાઈએ પહોંચાડ્યું હતું. તે ઊંચાઈ કિરણે જાળવી રાખી છે. આ વર્ષમાં અત્યાર સુધી બહાર પડેલા આઠ અંકો પર નજર કરતાં કિરણની ક્ષમતાનો ઠીક અંદાજ મળી રહે છે.

ગાંધી-સંબંધિત બનાવને અચૂક આવરી લેવાની ‘અક્ષરદેહ’ની પરિપાટી જળવાઈ છે. જેમ કે, જાન્યુઆરીના અંકમાં મુખપૃષ્ઠ ચૌરીચૌરાના હત્યાંકાંડ અંગેનાં ચિત્ર ઉપરાંત સંપાદકીય નોંધ અને આ હિંસાચાર અંગેની ગાંધીજીની દીર્ઘ કેફિયત વાંચવા મળે છે.

કિરણ કેટલાક અંકોમાં એક કેન્દ્રવર્તી વિષય પસંદ કરીને તેને સંબંધિત લેખો મૂકે છે. ફેબ્રુઆરીનો અંક નવજીવન સંસ્થાએ ગાંધીસાહિત્ય ઉપરાંતના સાહિત્યને પ્રસિદ્ધ કરવા માટે ચલાવેલાં ‘નવજીવન સાંપ્રત’ પ્રકાશનનાં નવાં પુસ્તકો વિશે છે.

માર્ચ-એપ્રિલના સંયુક્ત અંકનો વિષય શિક્ષણ છે. તેમાં કિશોરલાલ મશરૂવાળા, કાકાસાહેબ કાલેલકર, બર્ટ્રાંડ રસેલ, ગિજુભાઈ બધેકાના લેખો વાંચવા મળે છે. અલબત્ત, કિરણનું સંપાદકીય મહામારીના સંદર્ભે તેમને પ્રસ્તુત જણાયેલા ટૉલ્સ્ટૉયનાં ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ પુસ્તક વિશે છે, જેનો એક અંશ પણ અંકમાં વાંચવા મળે છે.

જૂનના અંકના મુખપૃષ્ઠ પર ગાંધી-ટાગોર મેળાપની જાણીતી તસવીર છે અને અંદર તેમની વચ્ચેના વિવાદને લગતી સામગ્રી છે. અસહકાર, સ્વાતંત્ર્ય, ગ્રામસ્વરાજ, પર્યાવરણ, સ્વાસ્થ્ય, ગાંધીજીની મહત્તા જેવા વિષયો પણ નિવડેલા વિચારકોના મંતવ્યો પણ જુદા જુદા અંકોમાં વાંચવા મળતા રહે છે.

હમણાંના ઑગસ્ટ-સપ્ટેમ્બરના અંકનો વિષય ‘મહાત્મા અને વિશ્વવિભૂતીઓ’ છે જેમાં ગાંધીજીની મૂલવણી સૉક્રેટીસથી લઈને માર્ટીન લ્યૂથર કિન્ગ સુધીના અગ્રણીઓના સંદર્ભે કરતા લેખો વાંચવા મળે છે.

‘અક્ષરદેહ’ના અંકોની કેટલીક ખાસિયતો પણ છે. લેખના આરંભે તેનો સાર આપવાની વિશિષ્ટ પણ સંપાદકનો સમય માગી લેતી પૂર્વ સંપાદકે પાડેલ પદ્ધતિ ચાલુ છે. વળી, હવે તેમાં પુસ્તકોના પૂર્વપ્રસિદ્ધ અવલોકનોનાં સમયોચિત સારસંક્ષેપ ઉમેરાય છે.

જો કે સારલેખન સહિતની સંપાદકીય નોંધનો શિરમોર દાખલો ‘ગાંધીજીની દિનવારી : 100 વર્ષ પહેલાં’ વિભાગમાં કિરણનું કામ છે. અહીં ચંદુલાલ ભગુભાઈ દલાલે તૈયાર કરેલી પ્રવૃત્તિઓની તારીખવાર યાદી તો જાણે છપાય જ છે. પણ તેના પહેલાં સંપાદક ગાંધીના આખા ય મહિનાને આવરી લેતી એક સારરૂપ નોંધ લખે છે જે  મહેનતની કસોટીરૂપ છે ! આ કામ કિરણ જ કરી શકે એવું લાગે. સંપાદન કાર્ય માટેની અદ્યતન ટેક્નોલૉજિની તેમની સારી એવી જાણકારી પણ અહીં કામમાં ન લાગે.

સંપાદક કિરણ પુસ્તકોના પ્રેમી અને પરખંદા છે. એટલે પુસ્તકોને સ્થાન આપવા માટેની તેમની સ્પેસ અવકાશપૂરકો(ફિલર્સ)થી લઈને આખા અંક સુધી વિસ્તરેલી છે. નૂપુરિયાં (ફિલર્સ) તરીકે અંક કે લેખના વિષય સંબંધિત પુસ્તકોની નાની-મોટી યાદી આપે છે. નવાં પુસ્તકોનાં અવલોકનો છાપે છે, પહેલાં છપાયેલાં અવલોકનોના સંક્ષેપો તે પ્રસંગોચિત છાપે છે. ત્રીજાં પૂંઠે નવજીવન સંસ્થાના કામ કે કાર્યક્રમની માહિતી જ્યારે ન હોય ત્યારે પુસ્તકો હોય છે. ભાગ્યે જ કોઈ અંક એવો હોય કે જેમાં પુસ્તકને લગતું કંઈ ન હોય, અને એવું બને તો એ  કદાચ કિરણની સરતચૂક જ હોય !

‘ગુજરાતમિત્ર’ દૈનિકમાં ચાલી રહેલી કિરણની કૉલમ ‘ઇનસાઇડ આઉટસાઇડ’ના દસ વર્ષ તાજેતરમાં પૂરાં થયાં. અખબારી લેખનમાં જે જાળવવું મુશ્કેલ ગણાય તેવું ગુણવત્તાનું સાતત્ય આ કૉલમમાં છે. કિરણના  લેખો લંડન-સ્થિત વિપુલ કલ્યાણીના ‘ઓપિનિયન’, અને પત્રકાર પ્રશાંત દયાળના ‘નવજીવન’નાં પોર્ટલ્સ પર પણ જોવા મળે છે.

વિષયની પસંદગીમાં વૈવિધ્ય અને સાંપ્રત સંદર્ભનું સંયોજન, મહેનતથી એકઠી કરેલી અદ્યતન માહિતી અને ચુસ્ત રીતે મૂકેલી વિગતો, અલ્પોક્તિમાં આપેલાં પોતાનાં મંતવ્ય તેમ જ  ક્વચિત વ્યક્તિગત સ્પર્શ  સાથેના તેમના લેખો વાચનીય હોય છે.

તાજેતરમાં તેમણે બાલદિન નિમિત્તે જવાહરલાલ નહેરુએ દીકરી ઇન્દિરાને લખેલા પત્રોના પુસ્તક વિશે લખ્યું. ગુજરાતની પોલીસ હડતાળના સંદર્ભે તેમણે પોલીસો કેવા કપરા સંજોગોમાં કામ કરે છે તે અંગેના એક વિશ્વસનીય અહેવાલની માહિતી આપી. નોબેલ સન્માન મેળવનાર બે પત્રકારો વિશે તેમણે બહુ સરસ લેખ કર્યો. દલિત વિષય પરનાં કર્મશીલ લેખક-સંશોધક ગેલ ઑમ્વેટ વિશેના લેખમાં અભ્યાસ અને આકાશવાણીના ઉદ્દઘોષક સાદિક નૂર પઠાન પરના લેખમાં આત્મીયતા નોંધપાત્ર છે.

‘ઓપિનિયન’નાં પોર્ટલ પર સચવાયેલા લેખોમાંથી પસાર થતાં પણ આ કૉલમિસ્ટનું ઉચ્ચ સ્તર ધ્યાનમાં આવે છે. તેમાંથી કેટલાકના વિષયો છે : દિલ્હીમાં બની રહેલા આપખુદી સેન્ટ્રલ વિસ્ટાને કારણે નૅશનલ આર્કાઇવ્ઝ ઑફ  ઇન્ડિયા પર તોળાતું જોખમ, મહામારીના કાળમાં ચિંતનીય જણાયેલો ટૉલ્સ્ટૉય, એરિક ફ્રોમ અને દર્શક જેવા ‘અગ્રદૂતોનો બોધ’, આ જ કાળમાં સાત પ્રવાસી મજૂરોના સ્થળાંતરની દાસ્તાન બતાવતી ફિલ્મ ‘1232 કિલોમીટર’, બંગાળની ચૂંટણી અને રવીન્દ્રનાથ ટાગોરના રાષ્ટ્રવાદનો ખ્યાલ.

કિરણના ચૂંટેલા લેખોના સંચયમાંથી બે મૌલિક પુસ્તકો થઈ શકે. હાલમાં તેમના નામે બે તાજેતરમાં બહાર પડેલાં સંપાદનો છે : ‘ગાંધીલિખિત ચરિત્રો’ અને ‘સંઘર્ષ અને પુરુષાર્થનો સમન્વય’ નામે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અશ્વિન શાહની જીવનકથા.

અશ્વિન શાહ પરના પુસ્તકનો યશ કિરણ તેમનાં જીવનસંગિની હેમલને આપે છે. વાચન-સર્જનમાં રસ ધરાવતાં પુસ્તકપ્રેમી હેમલ પોતાની રીતે મહેનતુ વ્યાવસાયિક લેખક અને કિરણના ઘણાં લખાણોનાં પહેલાં ક્રિટિકલ વાચક છે.

આ હસમુખા દંપતીની દીકરી નિર્વિષા ઘરની પાસેનાં ઝાડને દરરોજ ભણાવે છે. પણ તેઓ આ અદ્દભુત વર્ગોના વીડિયો કે ફોટા લેવાના કે શેર કરવાના બિલકુલ વિરોધી છે !

ગાંધી પરના સંશોધક/સંપાદક તરીકે અને કૉલમિસ્ટ તરીકે કિરણની માહિતીનો વ્યાપ, તેના એકંદર કામનું ઊંડાણ અને તેમની મહત્તા જોતાં તેમણે ચાળીસ વર્ષની ઉંમરે ઘણું સિદ્ધ કર્યું કહેવાય. પણ કિરણની ઉપલબ્ધિઓ ઓછી જાણીતી છે. જો કે કિરણને 2019માં કાન્તિ ભટ્ટ પત્રકારત્વ પુરસ્કાર મળી ચૂક્યો છે.

ગાંધી-વિચારનો દરિયો ઉલેચતા આ માણસનું વ્યક્તિત્વ કાગળની હોડી જેવું હળવું ફૂલ છે. તેમનાં સૌજન્ય, સંકોચશીલતા, સાદગી અને સરળતા વ્યક્તિને સ્પર્શી જાય છે.

અશ્વિન ચૌહાણની દૃષ્ટિએ ગુજરાતમાં ગાંધીવિચારના નવી પેઢીના જે નિષ્ઠાવાન અભ્યાસીઓ છે તેમાં કેતન રુપેરા અને ગાંધી આશ્રમનાં કિન્નરીબહેન ભટ્ટની સાથે કિરણ કાપુરેનો પણ સમાવેશ થાય છે. સોશ્યલ મીડિયાની સૂંઠને ગાંગડે ગાંધી થવાના આ જમાનામાં  ગાંધીની ધરતીનાં આ લૂણનાં મૂલ પિછાણવાં જેવાં છે.

કિરણ-હેમલનાં ઘરના પુસ્તકસંગ્રહમાં ‘ગાંધીજીનો અક્ષરદેહ’ છે, તે કિરણના હૈયે પણ વસેલો છે. કિરણ ગુજરાતીમાં ગાંધી વિષય પરના જ્ઞાનકોશ જેવો તો નહીં પણ મહિતીકોશ જેવો તો ખરો જ !

કિરણને અભિનંદન, શુભેચ્છા !

(નોંધ : ‘વિષ્ણુ પ્રભાકર રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન’ કિરણ કાપુરે ઉપરાંત જુદાં જુદાં રાજ્યોના ચાર યુવાઓને સાહિત્ય, પર્યાવરણ અને રચનાત્મક કાર્ય, મહિલા સશક્તિકરણ અને ગાંધીવાદી પત્રકારિતાનાં ક્ષેત્રોમાં પ્રદાન માટે  આપવામાં આવ્યું છે.)

પૂરક માહિતી : ડૉ. અશ્વિન ચૌહાણ / તસવીર સૌજન્ય : નીતિન કાપુરે

21 નવેમ્બર 2021

Loading

21 November 2021 admin
← રાજ્ય સંસ્થા દીનાનાથ બને
કૃષિ કાનૂન ન ખેંચાયા હોત, તો સરકાર ખેંચાઈ ગઈ હોત ! →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved