Opinion Magazine
Number of visits: 9450683
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે દિવસે મા પોતાના બાળકને અંગ્રેજી ભાષામાં પ્રેમ કરવા લાગશે, તે દિવસે માતૃભાષાનું નિધન થશે

અનિલ જોશી|Opinion - Opinion|18 November 2021

‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાઇસ ચેરમેન તરીકે મેં સેવાઓ આપી છે. અહીં અકાદમીના ઉદ્દેશ ગુજરાતની અકાદમીથી સાવ અલગ છે. મૂળ ઉદ્દેશ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોની માતૃભાષા સમૃદ્ધ કરવી.

ગુજરાતમાં અઢી લાખ વિદ્યાર્થીને લખતાં -વાંચતાં આવડે નહીં, એ માતૃભાષાની મોટી હોનારત છે. ગુજરાતની સાહિત્ય અકાદમી હોય કે પછી સાહિત્ય પરિષદ હોય એમના સિલેબસમાં ભાષા વિકાસ નથી, પણ સાહિત્ય વિકાસ છે. સાહિત્યકારનો વિકાસ છે. એવોર્ડ વિકાસ છે. અધ્યક્ષ અને પ્રમુખનો વિકાસ છે, પ્રકાશકોનો વિકાસ છે. સરકારી નિશાળોના શિક્ષકોનું કોઈ સાંભળતું નથી. સરકારી ફતવો અપાય છે કે આઠ ધોરણ સુધી વિદ્યાર્થીને નાપાસ કરવાની મનાઈ છે. આવો ફતવો બહાર પાડનાર સરકારને નાપાસ કરી દેવી જોઈએ; અકાદમી અને સાહિત્ય પરિષદને નાપાસ કરી દેવી જોઈએ.

મારી માતૃભાષા ગુજરાતી છે. મુંબઈ મહાપાલિકાના ભાષા પ્રશિક્ષણ ઓફિસર તરીકે મેં સેવાઓ આપી છે. મારા એ અનુભવને આધારે માતૃભાષા વિષે મારાં થોડાંક નિરીક્ષણ આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. પહેલી વાત તો એ કે તમારે પ્રાથમિક શાળામાં ભાષા શીખવવી છે કે સાહિત્ય ભણાવવું છે ? એકથી છ ધોરણ સુધી બાળકોને માત્ર ભાષા જ શીખવવી જોઈએ. બાળક સાતમાં ધોરણમાં આવે પછી જ એનો સાહિત્ય પ્રવેશ થાય છે. પહેલી વાત તો એ કે આપણી સરકારી નિશાળોમાં ભાષા શિક્ષણ વિષે કોઈ વિચાર કરતું નથી. સહુ સરકારી સિલેબસનાં ગુલામ છે. ભાષા માટે કોઈ વૈજ્ઞાનિક અભિગમ નથી. ભાષા એક વિજ્ઞાન છે એ વાત કોઈ સ્વીકારતું નથી. શિક્ષકને મન પાઠ્યપુસ્તક એ જ પવિત્ર પુસ્તક છે. આ ભ્રમણા છે.

આપણા વિખ્યાત ભાષા વિજ્ઞાની મરહૂમ પ્રબોધ પંડિતે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે એક નિશાળમાં શિક્ષકે લોકબોલી બોલતાં બાળકો પાસે વર્ષાઋતુ ઉપર લખવા કહ્યું. એમાં એક બાળકે "ઘરો પડી જ્યો" જેવું વાક્ય લખ્યું. શિક્ષકે લાલ કુંડાળું કરીને એ બાળકને કહ્યું કે "ઘરો પડી જ્યો" નહિ પણ એમ લખ "ઘરો પડી ગયા" પેલા બાળકે સીધો સવાલ કર્યો કે "સાહેબ મારા ગામમાં બધા જ અને મારા ઘરમાં બધા જ ‘ઘરો પડી જ્યો’ બોલે છે એમાં ખોટું શું છે ?" શિક્ષકે જવાબ આપ્યો : વ્યાકરણની દૃષ્ટિએ એ ખોટું છે”. આ સાંભળીને એ બાળક કહે છે : “સાહેબ, અમે જે બોલીએ છીએ એને તમે વ્યાકરણમાં નાખો ને જેથી વ્યાકરણ થોડું પવિત્ર થાય”.

અહીં સમજવાનો મુદ્દો એ છે કે પ્રાથમિક શાળામાં જે બાળક આવે છે તે લોકબોલી લઈને આવે છે. એ બાળકોને લોક્બોલીમાથી પ્રમાણભાષા સુધી લઇ જવા જોઈએ પણ આ દૃષ્ટિ શિક્ષકોમાં હોતી નથી. આનું સીધું પરિણામ એ આવે છે બાળકોને ગુજરાતી વાંચતા જ આવડતું નથી. ગુજરાતમાં જ કેટલા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે. તમારે જો ભણતાં બાળકને ભાષા શીખવવી હોય તો સહુથી પહેલાં બાળકનું ગુજરાતી શબ્દભંડોળ વિકસાવો. બાળક જે ભાષા બોલે છે એનું સન્માન કરો.

હવે ગુજરાતી વિષયનું પરીક્ષા વખતે જે પેપર કાઢવામાં આવે છે એમાં વર્ષોથી સ્ટુપીડ જેવા પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે "નિબંધ લખો, પૂર્વાપર સંબંધ લખો, આપેલો પરિચ્છેદ વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો, સંધિ છૂટી પાડો, વગેરે વગેરે. "એક પૂરીની આત્મકથા લખો”. એક વિદ્યાર્થીએ મને પૂછેલું કે "સાહેબ, પૂરીને આત્મા હોય છે ?" હું ચૂપ થઇ ગયો.

આવા પ્રશ્નપત્રો માત્ર સાહિત્યલક્ષી છે, ભાષાલક્ષી નથી. કેળવણીકારો એટલું સમજતા નથી કે બાળકને જો ભાષા આવડશે તો જ સાહિત્ય વાંચશે. ટેક્સ્ટબુકો પણ બહુ રેઢિયાળ હોય છે.નમાતૃભાષા બચાવી લેવી હોય તો ટેક્સ્ટબુકો ને સરકારી ઈજારાશાહીમાંથી મુક્ત કરવી જોઈએ. સરકારી પાઠ્યપુસ્તકો બનાવવાની એક ફોર્મ્યુલા હોય છે. ૫૦૦ ગ્રામ દેશપ્રેમ નાખો ,૧૦૦ ગ્રામ ભાવાત્મક એકતા નાખો, ૫૦ ગ્રામ સાંપ્રદાયિક સદ્દભાવનો તૈયાર મસાલો નાખો, ૧૦૦ ગ્રામ ગ્રામ્યસંસ્કૃતિની કોથમીર છાંટો. જસ્ટ ટુ મિનીટ. સરકારી પાઠ્યપુસ્તક તૈયાર થઇ ગયું.

મારાથી ભાષાના વિખ્યાત લેખક પુ.લ. દેશપાંડેને કોઈએ પૂછ્યું હતું : “સાહેબ, તમારી કોઈ કૃતિ પાઠ્યપુસ્તકમાં છે ? “પુ.લ. દેશપાંડેએ તરત જવાબ આપ્યો : "ભાઈ, સરકારી પાઠ્યપુસ્તકમાં તુકારામનું મૂલ્ય દોઢ માર્કનું હોય એમાં મારો ક્યા ચાન્સ લાગે ?” બીજું પાઠ્યપુસ્તકમાં ‘શેઢો’, ‘પાદર’, ‘ફળિયું’,’કેડી’, ‘ઓસરી', ‘ગમાણ’, ‘ડેલી', ‘આગળિયો’ અને ‘ચોક' જેવા શબ્દો આવે છે, એનો અર્થ મહાનગરમાં ભણતાં બાળકો બિલકુલ સમજી શકતા નથી. મહાનગર કે સ્માર્ટ સિટીનાં બાળકો માટે આ શબ્દોનો સાવ પરદેશી છે.

ટૂંકમાં કહું તો ગામડાંની નિશાળોમાં ભણતાં બાળકો પાસે અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરની ભાષા મૂકવી અને શહેરનાં બાળકો પાસે ગામડાંની વાતો મૂકવી, એ ભેંશ પાસે ભાગવત વાંચવા જેવું છે. એકવીસમી સદી આવી ગઈ તો ય પાઠ્યપુસ્તકમાં પનિહારી કૂવે પાણી ભરવા જાય છે. એન્જીન ગાડી ભખ ભખ કરતી ધુમાડા કાઢે છે, બીજું બાલસાહિત્ય બહુ લખાતું નથી.

સાહિત્યના બધા જ કાર્યક્રમોમાં સફેદ વાળ જ દેખાય છે. સાહિત્ય પરિષદ અને અકાદમી પોતપોતાની રીતે કામ કરે છે, પરંતુ પ્રાથમિક સ્તરે ભાષા શિક્ષણ સાથે એમને કોઈ નિસ્બત નથી. ઇવેન્ટો કરો. અધિવેશનો ભરો; જય જય ગરવી ગુજરાત.

જે  દિવસે મા પોતાના બાળકને અંગ્રેજી ભાષામાં પ્રેમ કરવા લાગશે તે દિવસે માતૃભાષાનું નિધન થશે.

સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 17 નવેમ્બર 2021

Loading

18 November 2021 admin
← રોટલા બને છે, ફેફસાં બળે છે
‘દિલ્હી’ બધી રીતે ઝેરી છે … →

Search by

Opinion

  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved