Opinion Magazine
Number of visits: 9483002
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|24 July 2014

પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. એટલે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે

મારું મારા બાપનું અને તારામાં મારો ભાગ એવા વલણનું કેટલીક વાર અવળું પરિણામ આવતું હોય છે જેનો પંજાબના સિખોને હવે અનુભવ થઈ રહ્યો છે. હરિયાણા સરકારે હરિયાણામાંના સિખ ગુરુદ્વારાના પ્રબંધનનો અધિકાર શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) પાસેથી લઈ લીધો છે અને એની જગ્યાએ હરિયાણા માટે અલગ હરિયાણા શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (HSGPC)ની રચના કરી છે. ગુરુદ્વારાના પ્રબંધનની આ વ્યવસ્થા હરિયાણા વિધાનસભામાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે અને નવા ખરડાને હરિયાણાના રાજ્યપાલ જગન્નાથ પહાડિયાએ મંજૂરી પણ આપી દીધી છે. હરિયાણા સરકારના અલગ HSGPC રચવાના નિર્ણયનો પંજાબે વિરોધ કર્યો છે. પંજાબના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલે કહ્યું હતું કે આ ભારતના સિખોને વિભાજિત કરવાનું કૉન્ગ્રેસનું કાવતરું છે. પંજાબના અકાલીઓએ હરિયાણાના રાજ્યપાલને ખરડો પાછો મોકલવાનો આગ્રહ રાખ્યો હતો, પરંતુ રાજ્યપાલે પ્રતિસાદ આપ્યો નહોતો. હરિયાણા રાજ્યપાલની મુદત આવતા મહિને પૂરી થાય છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. હવે પછી રાજ્યપાલ BJPના આવશે અને ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થશે ત્યારે આ કાયદો રદ કરાવીશું એવું આશ્વાસન મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલે પંજાબના સિખોને આપ્યું છે. દરમ્યાન અમૃતસરના અકાલ તખ્તે હરિયાણાના ત્રણ સિખ નેતાઓને પંથબહાર કરવાની જાહેરાત કરી છે. આ ત્રણ નેતાઓએ HSGPC માગણી કરી હતી અને HSGPCને સિખોનો ટેકો મળે એ માટે પ્રયાસ કર્યો હતો. 



સંગઠિત ધર્મ માનવસમાજ માટે ઉપકારક કરતાં અપકારક વધારે નીવડે છે. સિખ ધર્મ આમ તો હિન્દુ ધર્મના અનેક પંથોમાંનો એક પંથ જ હતો. એને ૩૦૦ વર્ષ પહેલાં ગુરુ ગોવિંદ સિંહે ચોક્કસ ઓળખ આધારિત સંગઠીત સ્વરૂપ આપ્યું હતું. એ પછી ક્રમશ: સિખ પંથ ધર્મનું સ્વરૂપ પામવા લાગ્યો હતો. એને હિન્દુથી અલગ ધર્મનું સ્વરૂપ આપવામાં સિખો જેટલો જ અને કદાચ વધુ ફાળો અંગ્રેજોનો અને આર્યસમાજીઓનો છે. ધર્મ જેટલો સંગઠિત એટલો એ વધુ આગ્રહી હોવાનો અને ધર્મના નામે જ્યારે આગ્રહો રાખવામાં આવે છે ત્યારે સ્વતંત્ર વિચાર ધરાવનારાઓને કે ભિન્ન ઉપાસના પદ્ધતિમાં માનનારાઓને સતાવવામાં આવે છે. સિખ ધર્મમાં આવું એક સદીથી બની રહ્યું છે. પંજાબમાં ખાલિસ્તાનના નામે અલગતાવાદી-ત્રાસવાદી આંદોલન થયું હતું એ પણ સિખ ધર્મના આ સ્વરૂપનું પરિણામ છે. બાકી અલગ-અલગ રાજ્યોનાં ગુરુદ્વારાઓના પ્રબંધનની અલગ- અલગ વ્યવસ્થા હોય એમાં શું ફરક પડે છે? એનાથી સિખો સિખ મટી નથી જવાના કે નથી સિખ ધર્મને કોઈ આંચ આવવાની. હા, SGPCનો SGPC દ્વારા સ્થાપિત અને અંકુશિત અકાલી દળની વગમાં ઘટાડો થાય એવું બને. ધર્મના ઠેકેદારોને આ વાતની પીડા છે અને આવી આ લોકની પીડાને પરલોક સાથે સંબંધ ધરાવતા ધર્મ સાથે જોડીને તેઓ પોતાનો સ્વાર્થ સાધતા હોય છે.



SGPC રચના અંગ્રેજોએ કાયદો કરીને ૧૯૨૫માં કરવી પડી હતી. સિખો પંજાબમાં ગુરુદ્વારા કબજે કરતા હતા અને પંજાબમાં મહંતોના હાથમાંથી ગુરુદ્વારા છોડાવવાનું અથવા કહો કે પડાવી લેવાનું હિંસક આંદોલન ચાલતું હતું. છેવટે અંગ્રેજ સરકારે સિખો સામે ઝૂકી જઈને બધાં જ ગુરુદ્વારાનો વહીવટ SGPC દ્વારા કેન્દ્રીય  રીતે થાય એની વ્યવસ્થા કરી આપી હતી. એ સમયે પંજાબ બૃહદ પંજાબ હતું જેમાં અત્યારના પંજાબનો, પાકિસ્તાનના પંજાબનો, આજના હરિયાણાનો અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થતો હતો. એ આખા પ્રદેશના ગુરુદ્વારાઓનો વહીવટ SGPC પાસે હતો. ૧૯૪૭માં ભારતનું વિભાજન થયું અને પશ્ચિમ પંજાબનાં ગુરુદ્વારાઓનો વહીવટ સિખોની વસ્તી વિનાના પાકિસ્તાન સરકારના હાથમાં આવ્યો. એ ગુરુદ્વારાઓમાં નાનકદેવના જન્મસ્થાને બંધાયેલા નાનકાનાસાહેબ ગુરુદ્વારનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન સરકારે પાકિસ્તાન ગુરુદ્વારા પ્રબંધક સમિતિની રચના કરી છે જે ગુરુદ્વારાઓનો વહીવટ કરે છે. બાકીના પંજાબનું વિભાજન SGPC અને અકાલી દળના આગ્રહના કારણે ૧૯૬૬માં થયું હતું અને પંજાબી ભાષાની બહુમતીવાળા આજના પંજાબની રચના કરવામાં આવી હતી. અકાલીઓ તો ધર્મના ધોરણે સિખ સુબાની એટલે કે સિખોના અલાયદા રાજ્યની માગણી કરતા હતા જેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો અને ભાષાના ધોરણે પંજાબની રચના કરવામાં આવી હતી. 



પંજાબનું વિભાજન કરવાની માગણી હરિયાણાના અને હિમાચલ પ્રદેશના લોકોએ નહોતી કરી. વિભાજન પછી લાહોરથી લાલા લજપતરાયનું બાવલું એ સમયના પંજાબની રાજધાની શિમલામાં સ્થાપવામાં આવ્યું હતું. ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે પશ્ચિમ પંજાબ ગુમાવેલા સિખો બાકીના પંજાબના વિભાજનની માગણી કરીને નાના પણ સિખોની બહુમતીવાળા અલાયદા રાજ્યનો આગ્રહ કરશે. પંજાબી અસ્મિતા કરતાં સિખ અસ્મિતા કેટલી પ્રબળ છે એ આમાં જોઈ શકાય છે. માટે તો ભારત સરકારે સતર્ક રહેવાની જરૂર છે. પંજાબનું વિભાજન થવા છતાં અને હરિયાણા અને હિમાચલ પ્રદેશ પંજાબથી અલગ રાજ્ય બનવા છતાં ગુરુદ્વારાઓનો વહીવટ આજ સુધી SGPCના હાથમાં હતો. એક બાજુ ધર્મના નામે રાજ્યને વિભાજિત કરવું અને બીજી બાજુ ધર્મના નામે બીજાં રાજ્યોનાં ગુરુદ્વારાઓના વહીવટી અધિકારો માટે આગ્રહ રાખવો એ વિસંગતિ છે. હરિયાણાના સિખોએ જ અલગ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની માગણી કરી હતી જે તેમને આપવામાં આવી છે.



આગળ કહ્યું એમ સંગઠિત ધર્મ માનવજાત માટે ઉપકારક કરતાં અપકારક વધુ છે. અકાલીઓને અલગ ઓળખ પણ જોઈએ છે અને વગ વિસ્તારવી પણ છે. ધર્મના કોમવાદી રાજકારણનો આ સ્વભાવ છે. પ્રકાશ સિંહ બાદલે વડા પ્રધાનને દરમ્યાનગીરી કરીને હરિયાણા સરકારે ઘડેલા HSGPC ધારાને રદ કરવાની માગણી કરી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી પછી નરેન્દ્ર મોદી અકાલી દળ પર કૃપા કરે તો નવાઈ નહીં. અહીં એક વાત નોંધવી જોઈએ કે ૧૯૮૦ના દાયકાના અનુભવ પછી અકાલીઓના ખાલસા રાજકારણને પ્રોત્સાહન આપતાં પહેલાં સો વાર વિચારવું જોઈએ. ધર્મ અસંગઠિત હશે તો દેશ સંગઠિત રહી શકશે.

સૌજન્ય : ‘મંતવ્ય-સ્થાન’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 24 જુલાઈ 2014

http://www.gujaratimidday.com/features/columns/sikh

Loading

24 July 2014 admin
← એક ઉર્ધ્વમુખી શૂન્ય
એક સુરતીએ મુંબઈમાં શરૂ કર્યું પહેલું ગુજરાતી છાપખાનું →

Search by

Opinion

  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૮ (સાહિત્યવિશેષ : જૉય્યસ)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved