Opinion Magazine
Number of visits: 9448809
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાત્સલ્યમૂર્તિ પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|27 September 2021

• પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના એક વિદ્યાર્થીને આકસ્મિક રીતે પૈસાની જરૂર પડી. સાહેબના પત્ની અંજના બહેને તેમના ખુદના કન્યાદાનમાં આવેલા પાંચ હજાર રૂપિયા તેને આપ્યા.

• સુરેન્દ્રનગરમાં રહેતાં એક પૂર્વ વિદ્યાર્થીને ઘર બાંધવા માટે પૈસાની જરૂર પડી. સાહેબે તેને ઘરની તિજોરીની ચાવી આપીને કહ્યું કે ‘લે, તારા હાથે આમાંથી મકાનમાં ખૂટે એટલા પૈસા લઈ લે અને જોજે થોડા વધારે લેજે. વળી જરૂર પડે ગામથી અમદાવાદ ભાડું ભરીને ન અવાય.’

• ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં યોગેન્દ્રભાઈની કેબિનમાં ચાર વાગ્યે તે વિદ્યાર્થીઓ સાથે દરરોજ દાબડા ઉજાણી કરતા. તેમાં એક વખત ગામડાનો એક નવોસવો દલિત ગરીબ વિદ્યાર્થી તેના ડબ્બામાંની ‘બાફેલા બટાકાની લાલઘૂમ ભાજી અને રેશનના ક્વોટાના ઘઉંની બે પડવાળી રોટલી’ બાબતે ખૂબ મૂંઝારો અનુભવતો હતો. તે પામી ગયેલા સાહેબે તેની પાસેથી ટિફિન આંચકીને ‘મને તો આ સૂકી ભાજી બહુ ભાવશે’ એમ કહીને ‘ચામડા જેવી રોટલીના ટુકડામાં ભાજીનું ફોડવું ભરી મોંમાં મૂક્યું અને સુંદર રીતે ડોકું હલાવ્યું’ અને ‘વિદ્યાર્થીને જાણે ભીતરથી અજવાળું ઉમટ્યું’.

• માંડ 22-23 વર્ષનાં યોગેન્દ્રભાઈ સુરેન્દ્રનગરની કૉલેજમાં આચાર્ય હતા. એ વખતે એ સૂટ-બૂટ પણ પહેરતાં. એક વખત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારી એક વિદ્યાર્થીનીને કાર્યક્રમ શરૂ થાય તેની થોડી જ મિનિટો પહેલાં સ્ટેજ પાછળ ઊલટી થઈ. સાફ કરવા કોઈ ઝડપથી આવી રહ્યું ન હતું. સૂટ-બૂટમાં સજ્જ આચાર્યએ જાતે સફાઈ કરી.

• સાહેબ પાસે પહેલી વખત ભણનારી એક વિદ્યાર્થિનીએ પહેલી પરીક્ષામાં પેપર ખૂબ સુંદર રીતે લખ્યું હતું. સાહેબે તેના ઘરે ફોન કરીને દીકરીનાં મા-માબાપને અભિનંદન આપ્યા એટલું જ નહીં તેના ઘરે મળવા પણ ગયા. પછી તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓના કિસ્સામાં બન્યું તેમ તેમ વ્યાસ સાહેબ એ વિદ્યાર્થિનીના પરિવારના વડીલ બની ગયા.

• એક વિદ્યાર્થીના હૃદયના ઑપરેશન વખતે સાહેબ તેમના તબીબ દીકરાને લઈને ઑપરેશન પહેલાં હૉસ્પિટલ પહોંચી ગયા હતા.

• એક વખત એક વિદ્યાર્થિનીને ત્યાં ગયા, તેનું નાનું બાળક છાનું જ ન રહે. તો વ્યાસ સાહેબ અને તેમના પત્ની આખો સમય દીકરાને રમાડવામાં જ ગૂંથાયાં.

• સાહેબની કેબિનમાં એક ‘સત્યનારાયણની પોથી’ હતી. તેઓ પુરસ્કારના, બહારનાં વ્યાખ્યાનો, પુરસ્કાર વગેરેના પૈસા એમાં રાખતા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમાંથી મદદ કરતાં. આ પોથી વિશે તેમના સહુ વિદ્યાર્થીઓને ખબર રહેતી, અને એનો હિસાબ પણ વિદ્યાર્થીઓ જ રાખતા.

• ગરીબ વિસ્તારની શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતાં તેમના એક પૂર્વ વિદ્યાર્થીએ લખેલા એક પોસ્ટકાર્ડ માત્રથી સાહેબે એ શાળાના બધા વિદ્યાર્થીઓને રાહતદરે પુસ્તક મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપી હતી.

ઉપર્યુક્ત પ્રસંગો ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ નામના પુસ્તકમાં વાંચવા મળે છે. વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓ પ્રાધ્યાપક યોગેન્દ્રભાઈ વ્યાસના જીવનનું હાર્દ હતા, અને તેઓ વિદ્યાર્થિનીઓ-વિદ્યાર્થીઓના જીવનનો અવિભાજ્ય હિસ્સો હતા.

આ વિરલ હકીકતની પ્રતીતિ ‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના પાને-પાને થાય છે.

અહીં યોગેન્દ્રભાઈના 156 વિદ્યાર્થીઓએ તેમનું ઘડતર કરનાર આ અધ્યાપકના જીવનપ્રસંગો નિર્મળ ભાવે અકૃત્રિમ રીતે આલેખ્યા છે.

સાહેબના પૂર્વ વિદ્યાર્થિની ડૉ. નીલોત્પલા ગાંધીએ સંપાદન કરેલું આ પુસ્તક ‘ડૉ. યોગેન્દ્ર વ્યાસ વિદ્યાર્થી પરિવાર’ના નેજા હેઠળ પ્રકાશિત થયું છે. 2000ના વર્ષમાં વ્યાસ સાહેબ ભાષાભવનમાંથી ઔપચારિક રીતે નિવૃત્ત થયા તે અવસર સાધીને, નિલોત્પલાબહેન અને સાથીઓએ કેવળ પોસ્ટકાર્ડ પર મોકલેલાં નિમંત્રણના હાર્દિક પ્રતિસાદ પરથી આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં 1961થી માંડીને તેમના નિવૃત્તિ વય દરમિયાન યોગેન્દ્રભાઈ પાસે ભણી ચૂકેલા વિદ્યાર્થી વર્ગે સરને યાદ કર્યા છે.

વ્યાસ સાહેબની ભાષાવિજ્ઞાન અને સાહિત્ય વિષયોની સજ્જતા તેમ જ તેમની વર્ગ શિક્ષણમાં હથોટીનું વર્ણન તો અહીં હોય જ.

સાથે તેમની સંખ્યાબંધ છબિઓ આ પુસ્તકમાં અંકાયેલી છે : વિદ્યાર્થીઓ સાથે ઉજાણીમાં અંતકડીમાં ગીતો ગાનારા, લાડુના વાળનારા, ચોસઠ વિદ્યાર્થીઓને પોતાને ત્યાં જમાડનારા, કૉલેજના કાર્યક્રમમાં ‘કૉલેજના શશી કપૂર’ના ફિશપૉન્ડનો ‘મેરા નામ શશી કપૂર નહીં, રાજકપૂર રખો’ કહીને જવાબ વાળનારા, સિગરેટ પીતાં પીતાં કૉલેજની લૉબીમાં ફરનાર જી.એસ.ને લાફો મારી દેનાર, યુવક મહોત્સવ માટે વિદ્યાર્થીને રવિવારને દિવસે પોતાના ઘરે આખો દિવસ બોલાવીને રિહર્સલ કરાવનાર, બહારગામના અને નોકરી કરતાં વિદ્યાર્થીઓ માટે વર્ષો સુધી રવિવારે સવારે ત્રણ-ચાર કલાકના વર્ગ લેનારા, વિદ્યાર્થીઓના ફૉર્મ પર ટ્રુ કૉપીની સહીઓ કરવામાં કે તેમણે લખેલાં જવાબો તપાસવામાં કલાકો વીતાવનારા વ્યાસ સાહેબ ….. આ યાદી ઘણી લાંબી થઈ શકે.

‘આનંદઘરની વાત્સલ્યમૂર્તિ’ પુસ્તકના આવા શિક્ષક અત્યારે તો લગભગ દરેક બાબતે કાલ્પનિક, દંતકથા જેવા લાગે છે !

પ્રાધ્યાપક યોગેન્દ્ર વ્યાસ અને તેમનાં પત્ની અંજુબહેનની સ્મૃતિને આદરપૂર્વક વંદન !

27 સપ્ટેમ્બર 2021

સૌજન્ય : સંજયભાઈની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

27 September 2021 admin
← ચાલો, પાનમસાલા ખાઈએ …
ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (11) →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved