Opinion Magazine
Number of visits: 9448805
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોસ્પિટલોનું પોસ્ટમોર્ટમ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|27 September 2021

કે.બી.સી.ના શુક્રવારના ખાસ એપિસોડમાં જેકી શ્રોફ અને સુનિલ શેટ્ટી ઉપસ્થિત રહ્યા હતા ને જીતેલી રકમનો ઉપયોગ શેમાં થવાનો છે એવા અમિતાભ બચ્ચનના સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે એ રકમ થેલિસેમિયાની તથા આંખ, કાન વગેરેના બાળ દરદીઓની સંસ્થામાં ઈલાજ તરીકે વપરાશે. અમિતાભ બચ્ચન દરદીઓના ઈલાજ માટે ક્યારેક મદદ કરે છે ને પાન મસાલાની જાહેરાત કરીને કમાણી પણ કરે છે. અજય દેવગણ અને શાહરુખ ખાન પણ પડીકીની જાહેરાતો કરીને ચેરિટી પણ કરતા હશે. આ બધા સજજનો પાન મસાલા ખવડાવીને લોકોને હોસ્પિટલે મોકલે છે ને પછી લોકોને આર્થિક સહાય કરીને જીવદયાનાં કામો પણ કરે છે, તે પણ કમાલ જ છે ને !

કેટલીક હોસ્પિટલો ખરેખર દરદીઓની મફત સારવાર કરે છે ને દરદી સક્ષમ હોય કે ન હોય, પૂરી મદદ કરે છે. એવી ઘણી સંસ્થાઓ ને ટ્રસ્ટો આ દેશમાં છે જે શક્ય તે તમામ સહાય દરદીઓને કરે છે, છતાં દેશમાં માંદગીઓથી પીડાતા એટલા બધા દરદીઓ છે કે ગમે એટલી સહાય પૂરી ન જ પડે. દૂર શું કામ જવું, ખાંસી, શરદીનો ઈલાજ સાધારણ ડોક્ટર પાસે પણ સેંકડોથી ઓછામાં થતો નથી. સાધારણ માણસ દવાખાને જાય તો વધારે માંદો પડે એવી સ્થિતિ છે, કારણ ઈલાજ કરવાના પૈસા એકઠા કરવામાં જ તેની માંદગી વધે એમ બને.

એક સમય હતો જ્યારે ડોક્ટર નાડી પકડીને ઈલાજ કરતો ને તે કારગત પણ નીવડતો. આજે તબીબી વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે અનેક પ્રકારના ટેસ્ટ્સ કરી આપનારી લેબોરેટરીઓ કામ કરતી થઈ છે એટલે નિદાન વધુ ચોક્કસ થયું છે. એને લીધે ઈલાજ પણ વધુ ચોક્કસ થયો છે. આ જ્યાં પારદર્શી રીતે થાય છે ત્યાં પરિણામો અસરકારક મળે જ છે, પણ સવાલ એ છે કે પારદર્શીપણું રહ્યું છે ખરું? જ્યાં રહ્યું છે ત્યાં સલામ ભરવાની રહે, પણ જ્યાં નથી ત્યાં વધારે કમાવા અનેક પ્રકારની ભ્રષ્ટતાઓ આચરાય છે તે હકીકત છે. ડોક્ટરો હંમેશ ભગવાન પછીને સ્થાને છે અને રહેશે, પણ કેટલાક ડોક્ટરો ભગવાનનું સ્થાન ચૂકીને ભગવાનને ત્યાં દરદીઓને મોકલવામાં પણ સફળ થાય છે. એમાં જેન્યુઇન મિસટેક્સ માફ, પણ બેદરકારી ને બેવકૂફી માફ ન થાય. બીજા, સાચી હકીકત કદી જાણી શકે એમ નથી, પણ ડોક્ટરો તે જાણે છે. જો કમાણીની લાલચમાં આત્મા મરી ન ગયો હોય તો એને ખબર હોય છે કે દરદીને ક્યાંથી, કેટલો વેતરાયો છે? ડોક્ટરને ખબર હોય છે કે કેટલી દવાઓ કમિશન આધારિત છે ને કેટલાં ટેસ્ટ મિશન આધારિત છે?

એ સાચું છે કે તબીબી શિક્ષણ મોંઘું છે. આજે તો સાધારણ શિક્ષણને પણ સાધારણ માણસો પહોંચી નથી શકતા. લોન વગર ભણી જ ન શકાય એ સ્થિતિ છે. તેમાં તબીબી કે ઈજનેરી શિક્ષણ લાખોમાં પહોંચે છે ને એ શિક્ષણ લેવું હોય તો વાલીઓ ને વિદ્યાર્થીઓ એટલા વેતરાય છે કે લોન જ નહીં, જિંદગી પણ હપ્તાઓમાં વહેંચાતી રહે છે. વાત એટલેથી પૂરી થતી નથી, દવાખાનું કે હોસ્પિટલ ખોલવાનાં આવે છે તો લાખો કરોડોનું આંધણ થાય છે. આ બધું છેવટે પડે તો છે દરદીને માથે જ ! કેટલાક ડોક્ટરો શક્ય તેટલી ઓછી ફી રાખીને દરદીને ખરેખર સાજો કરવા મથે છે. કોરોના મહામારીમાં કેટલા ય ડોકટરોએ દરદીને બચાવવા જીવ ખોયો છે, તો ડોક્ટરોની બીજી બાજુ એવી પણ છે કે ડોક્ટરે પોતે બચવા દરદીનો જીવ લીધો પણ છે.

એ ખરું કે ડોક્ટરે પણ લોન ભરવાની છે, હોસ્પિટલ નિભાવવાની છે, સ્ટાફના ખર્ચા કાઢવાના છે, ઓપરેશનનાં સાધનો, મશીનો વસાવ્યાં છે તે ખર્ચો પણ કાઢવાનો છે. આ સ્થિતિ હોય ત્યાં ડોક્ટર ઈચ્છે તો પણ સારવાર સસ્તી કરી શકતો નથી ને ફી વધારવા લાચાર બને છે. જ્યાં વસૂલવી જ પડે એમ છે ત્યાં ભલે ડોક્ટરો ફી લે, પણ જ્યાં રાહત થઈ શકે એમ છે ત્યાં તે અપાવી જોઈએ એટલું જ ઉમેરવાનું છે. આ રાહત તબીબી શિક્ષણ સસ્તું થાય તો પણ આપી શકાય. સંસ્થાઓએ અને સરકારે કમ સે કમ તબીબી શિક્ષણ સસ્તું થાય એ દિશામાં વિચારવું જોઈએ. આપણે હવે, વિકાસ, મોંઘવારી વધતી જાય તેને ગણીએ છીએ. એ વિચારી લેવું જોઈએ કે ક્યાં સુધી મોંઘું થાય તો, પરવડે તેમ છે કે અનંત મોંઘવારી થાય તો ચાલે એમ છે? પ્રગતિ અટકવી ન જોઈએ, પણ મોંઘવારી, એ જ પ્રગતિ હોય તો એ કેટલી હદે યોગ્ય છે તે વિચારવાનું રહે. જો દૂધ 25નું લિટર કરી શકાતું હોય તો 30નું લિટર કરવાથી કયો હેતુ સિદ્ધ થાય છે? અહીં એવી દલીલ થઈ શકે કે ભાવ ઓછો કરીએ તો ઉત્પાદકને ઓછું મળે ને બીજી વસ્તુ મોંઘી હોય તો એ ઓછી રકમ તેને ન જ પરવડે, પણ સમાંતરે બીજા ભાવ ઘટે તો ઉત્પાદકને બૂમ પાડવાનું કારણ ન રહે તે ખરું કે કેમ? અહીં તબીબી સેવાઓ સસ્તી થવી જોઈએ એટલું જ સૂચવવું છે. ઘણી હોસ્પિટલો ફાઇવ સ્ટાર ફેસિલિટીઝ ધરાવે છે ને એવી જાહેરાતો પણ કરે છે કે તે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ ધરાવે છે કે તેનું ઓપરેશન થિયેટર કે તેનાં મશીનો વર્લ્ડ ક્લાસ છે. એવી વ્યવસ્થાનો આનંદ જ હોય, પણ સાથે જ સવાલ પણ થાય કે એ વ્યવસ્થા સાધારણ માણસ માટે છે ખરી? એ જો અમીરો માટે જ હોય તો પેલો સાધારણ માણસ તો એનાથી દૂર જ રહેવાનોને? ને કેન્સર કે હાર્ટ ટ્રબલ તો એને પણ થાય જ છે, એટલે એણે તો આ બધી વ્યવસ્થાઓ હોવા છતાં મરવાની તૈયારી જ રાખવાનીને ! આ યોગ્ય છે?

અહીં એવી દલીલ થઈ શકે કે એવા જરૂરતમંદોએ બીજી આર્થિક મદદ કરતી સંસ્થાઓ કે ટ્રસ્ટોની મદદ લેવી જોઈએ. ઘણી સંસ્થાઓ સામેથી એવી મદદની જાહેરાત કરે પણ છે, પણ આ બધાં દ્વારા સાધારણ વ્યક્તિએ તો ઓશિયાળા બનવાનું જ આવે છે. સાધારણને સ્વમાનનો અધિકાર ન હોય ને એણે જિંદગી બચાવવા કોઇની મદદ આભારવશ થઈને લેવી પડે તો ભલે તેમ, પણ હોસ્પિટલો ખરેખર એ જ ફી લે છે જે અનિવાર્ય છે, એમ પૂછીએ તો જવાબ નિરાશ કરનારો મળે એમ બને. કેટલીક હોસ્પિટલો ખરેખર દરદીને સાજો કરવા ઓછામાં ઓછી ફી લેતી હશે, પણ એવી ઓછી જ હોવાની.

એવું નથી થતું કે સ્ટેન્ટની જરૂર જ ન હોય ને તે મૂકાયાં હોય? એવી કેટલી સર્જરીઓ છે જે ન થઈ હોત તો ચાલ્યું હોત? એવા કેટલા ટેસ્ટ્સ છે જેની જરૂર જ ન હતી ને તે થયા હોય? આ બાબત ડોક્ટરો કરતાં કોણ વધારે સારી રીતે કહી શકે? દરદી તો ડોક્ટરને તેની જાત સોંપી દે છે. તે નથી જાણતો ઓપરેશન થિયેટરમાં તેની સાથે શું થાય છે તે ! તેનાં શરીરમાં કૈં મુકાય છે કે કાઢી લેવાય છે, તેનાથી તે અજાણ છે. તે તો એ ભરોસે જ છે કે તેની સાથે સારું જ થયું છે ને ફી ચૂકવીને તે ઘરે જાય છે. આ ફી તેણે માંગી ભીખીને કાઢી હોય એમ બને. બને કે તેને કોઇની મહેરબાનીથી તે મળી હોય. હવે ડોક્ટરે રમત કરી હોય તો એ રમત દરદી સાથે તો થાય જ છે, તેને મદદ કરનારી વ્યક્તિ કે સંસ્થા સાથે પણ થાય છે. અહીં સવાલ એ થાય કે એ પૈસા ડોક્ટરની કે હોસ્પિટલની હોજરી ભરવા માટે જ છે?

એવું ઘણી વાર લાગે છે કે કેટલીક હોસ્પિટલો દરદીને લૂંટવાને ઇરાદે જ મોટું બિલ કરતી હોય છે. આમાંનું ઘણું ટાળી શકાય એમ હોય છે, પણ એવું થતું નથી. કોરોનામાં કેટલાય દરદીઓ એ રીતે લાખોમાં લૂંટાયા છે ને પૂરતી ટ્રીટમેન્ટ વગર મર્યાં પણ છે, તે ત્યાં સુધી કે બિલ ન ચૂકવાયું હોય તો લાશ સોંપવાના અખાડા પણ થયા છે. આ માનવતાની વિરુદ્ધ છે. આવે વખતે કહેવાનું એ છે કે બીજા કોઈ પણ ધંધામાં ભ્રષ્ટાચાર થાય તો તેથી આર્થિક હાનિ પહોંચે છે, પણ તબીબી વ્યવસાયમાં આર્થિક હાનિ ઉપરાંત દરદીની જિંદગી પણ જોખમમાં મુકાય છે ને એટલે એ અપરાધ વધારે ક્રૂર અને અમાનવીય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તબીબી સેવાઓ સસ્તી હોવી જોઈએ. એક બાળકને અપાતું એક ઈંજેકશન 16 કરોડનું હોય તો એ અમીર માબાપને પણ ન પોષાય ને સાધારણ માણસ તો આખો વેચાઈ જાય તો પણ બાળકને ન બચાવી શકે. એનો અર્થ એ થયો કે ઈલાજ હોય તો પણ તેનો અર્થ રહેતો નથી. એવી જ રીતે મોંઘાં મશીનો, મોંઘી હોસ્પિટલ હોય કે ન હોય, કોઈ ફેર પડતો નથી ને મેડિકલ સાયન્સ ઢગલો શોધખોળનું ગૌરવ લેતું હોય તો તેથી રાજી થઈને ય શું, જ્યાં એ મોટા માનવ સમુદાયની કોઈ પીડા દૂર ન કરી શકતું હોય? જે તબીબી વ્યવસ્થા વ્યાપક જનસમુદાયને લાભ ન કરી શકતી હોય તો તેથી માનવ સેવા થાય છે એમ માનવું ભૂલ ભરેલું છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 27 સપ્ટેમ્બર 2021

Loading

27 September 2021 admin
← ચાલો, પાનમસાલા ખાઈએ …
ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (11) →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved