Opinion Magazine
Number of visits: 9449801
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ ?

રમેશ ઓઝા|Opinion - Opinion|19 September 2021

આ જગતમાં એવો એક પણ ધર્મ નથી જેણે પોતાની અનુયાયી પ્રજાને એક તાંતણે બાંધી રાખી હોય. ધર્મનો સ્વભાવ જ એવો છે જેમાં ફણગા ફૂટે અને ફાંટા પડે. ઇસ્લામમાં મુસલમાનોને એક સૂત્રે બાંધી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં ય વરવી વાસ્તવિકતા એ છે કે આજે મુસલમાન મુસલમાનને મારી રહ્યો છે. ધર્મના નામે સૌથી વધુ હિંસા મુસલમાનોમાં અંદરોઅંદર થાય છે.

તો જગતની કોઈ ધાર્મિક પ્રજા સંગઠિત નથી પણ પેલો આભાસ તો સાથેને સાથે જ રહે છે કે, જુઓ, માત્ર આપણે સંગઠિત નથી, બીજાઓ સંગઠિત છે.

તો પછી કરવું શું? ધર્મ જો અનુયાયી પ્રજાને એક સૂત્રે ન બાંધી રાખી શકતો હોય અને ધર્મનો રાજકીય ઉપયોગ કરવો જરૂરી હોય તો શું કરવું જોઈએ?

આનો એક ઉપાય શોધવામાં આવ્યો કે ધર્મનો માત્ર ઓળખ પૂરતો ઉપયોગ કરવામાં આવે, ધાર્મિકતા અને ધર્મનિષ્ઠાની કોઈ જરૂર નથી. તમે હિંદુ પરિવારમાં જન્મેલા હિંદુ છો એટલું તમારા હિંદુ હોવા માટે પૂરતું છે; પછી તમે શૈવ છો, વૈષ્ણવ છો, રામાનુજી છો, પુષ્ટિમાર્ગીય છો, રામ, કૃષ્ણ કે શિવજીને માનો છો કે બીજા કોઈને માનો છો એનાથી કોઈ ફરક નથી પડતો. ઈશ્વરમાં નહીં માનનારા નાસ્તિક હો તો પણ તમે હિંદુ હોઈ શકો છો. જેમ ગુજરાતી પરિવારમાં જન્મેલો ગુજરાતી ગુજરાતી હોવાપણું નકારતો નથી એમ જ હિંદુ પરિવારમાં જન્મેલા હિન્દુએ હિંદુ હોવાપણું નકારવું ન જોઈએ. બસ આટલી જ જરૂરિયાત છે. આટલી જ અપેક્ષા છે. ગુજરાતી વાંચતા લખતાં ન આવડે એ જેમ ગુજરાતી હોવાની ઓળખ ધરાવે છે એમ હિંદુ પરિવારમાં જન્મેલ કોઈ હળાહળ નાસ્તિક હિંદુ કેમ ન હોઈ શકે?

આ જે નવો ઉપાય શોધવામાં આવ્યો છે એને કોમવાદ તરીકે ઓળખાવવામાં આવે છે. હિંદુ હિંદુ પરિવારમાં જન્મેલી એક કોમ છે, તેને ધાર્મિકતા સાથે, ધર્મશ્રદ્ધા સાથે, ધર્મનિષ્ઠા સાથે કોઈ સંબંધ નથી. ભારતમાં હિંદુ કોમવાદી રાજકારણ દાખલ કરનારા વિનાયક દામોદર સાવરકર પોતે અંગત જીવનમાં નાસ્તિક હતા. તેમણે ગાયને નિરર્થક પશુ તરીકે ઓળખાવી હતી. તેમણે કોઈ સેક્યુલર માણસ હિંદુ ધર્મની ચિકિત્સા કરે એનાં કરતાં પણ વધારે આકરી ચિકિત્સા હિંદુ ધર્મની કરી છે. ઇસ્લામનો ઉપયોગ કરીને પાકિસ્તાનની સ્થાપના કરનારા મહમ્મદ અલી ઝીણા અઘોષિત નાસ્તિક હતા. તેમને નમાજ પઢતા પણ નહોતું આવડતું. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટેનાં આંદોલનનું નેતૃત્વ કરનારા લાલકૃષ્ણ અડવાણી કોઈ અર્થમાં ધાર્મિક નથી. ધર્મનું રાજકારણ કરતા હોય પણ ધાર્મિક ન હોય એવાં બીજાં સેંકડો ઉદાહરણ આપી શકાય.

જેણે ભારતનું વિભાજન નોતર્યું એ હિન્દુત્વવાદીઓ અને પાકિસ્તાનની માગણી કરનારા મુસ્લિમ લીગીઓ એમ એ બેમાંથી કોઈ રૂઢ અર્થમાં ધાર્મિક નહોતા. એ બધા જ ભણેલાગણેલા હતા, અંગત જીવનમાં પ્રગતિશીલ અને આધુનિક હતા, સ્ત્રીઓ માટે ઘરમાં પરદા અને ઘૂંઘટનો રીવાજ નહોતો, વગેરે. દરેક અર્થમાં તેઓ આધુનિક હતા. તેમનો ધર્મ સાથેનો સંબંધ માત્ર અને માત્ર કોમી હતો અર્થાત્ સંખ્યાનો હતો. હિંદુ અને મુસલમાન એ ચોક્કસ ધર્મના પરિવારમાં જન્મ લીધેલી કોમ છે અને માટે તેણે સંગઠિત થવું જોઈએ. આનાથી વધારે ધર્મનો કોઈ ખપ નથી. ડૉ. સુબ્રમણ્યમ સ્વામી જેવા અનેક નેતાઓ સંઘપરિવારમાં મળી આવશે જેમનાં સંતાનોએ (દીકરીઓએ સુદ્ધાં) મુસલમાન કે અન્ય વિધર્મી સાથે લગ્ન કર્યાં છે.

કોમી રાજકારણ કરનારાઓએ બન્ને બાજુએથી એક સરખા પ્રશ્નનો સામનો કરવો પડે છે. સેક્યુલારિસ્ટો સવાલ કરી રહ્યા છે કે અંગત જીવનમાં તમે જરા ય ધર્મનિષ્ઠ નથી, પરિવારમાં સેક્યુલર જીવન મૂલ્યો અપનાવો છો તો જાહેરજીવનમાં શા માટે ધર્મના નામે કોમી રાજકારણ કરો છો? ધર્મને સંખ્યામાં કેદ કરવો અને ધર્મને હ્રદયમાંથી રસ્તા ઉપર લાવવો એ ધર્મનો દુરુપયોગ નથી? તમે ધર્મની સેવા કરો છો કે કુસેવા કરો છો? આને ધર્મદ્રોહ ન કહેવાય? જે લોકો ધર્મમાં શુદ્ધ નિષ્ઠા ધરાવે છે એવા લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે અંગત જીવનમાં જે લોકો સેક્યુલર હોય એ ધર્મનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? કોઈ એક જગ્યાએ રહો. ધર્મ અને શાસ્ત્રોના ઉપદેશો જો માનવી માટે સંપૂર્ણ અને અંતિમ માર્ગદર્શક હોય અને તમે જો તમારા ધર્મ માટે ગૌરવ અનુભવતા હો તો પછી તમે તમારા વહાલા ધર્મના આદેશોની અવગણના કેવી રીતે કરી શકો?

બંધનમુક્ત થયા પછી વિનાયક દામોદર સાવરકર જ્યારે ‘હિંદુ મહાસભા’માં જોડાયા અને ‘હિંદુ મહાસભા’ને તેમણે હિંદુ ધાર્મિક રાજકીય સંગઠનની જગ્યાએ હિંદુ કોમી રાજકીય સંગઠનમાં ફેરવવાનો પ્રયાસ કર્યો ત્યારે એ સમયના દિગ્ગજ હિંદુ નેતા મદનમોહન માલવિયાએ સવાલ કર્યો હતો કે ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ તત્ત્વનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? આપણો ધર્મ જે કહેતા અને કરતા રોકતો હોય એ માત્ર રાજકીય ફાયદાઓ માટે કેવી રીતે કરી શકાય? જે ધર્મને ન સાંભળે અને જે ધર્મને ન અનુસરે એ સાચો ધર્મનિષ્ઠ (અહીં સાચો હિંદુ) કેવી રીતે હોઈ શકે. માત્ર કોઈની સામે રાજકીય સરસાઈ મેળવવા માટે મર્યાદા ઓળંગવાની? કહેવાની જરૂર નથી કે મદનમોહન માલવિયા સાવરકરના પ્રવેશ પછી ‘હિંદુ મહાસભા’થી અળગા થઈ ગયા હતા.

પણ કોમવાદીઓને એનાથી કોઈ ફરક પડતો નથી. તેઓ એમ માને છે કે ધર્મ તેના કોમી સ્વરૂપમાં જોડી રાખવામાં ઉપયોગી નીવડી શકે, પણ ધાર્મિકતા તો જરા ય ઉપયોગી ન થઈ શકે. ધર્મશ્રદ્ધા, ધર્માદેશ, ધર્મમાર્ગ નામની ચીજ આવી નહીં કે ફાંટા ફૂટ્યા નહીં. તરત માળો વિખાય જાય અને હિંદુઓનો તો માળો પણ ન રચી શકાય.

અહીં ત્રણ સવાલ ઉપસ્થિત થાય છે : એક, જો ધર્મ માટે સાચો પ્રેમ જ નથી તો ભારતીય તરીકેની ઓળખ વિકસાવવામાં વાંધો શું છે? દેશ માટે સાચો પ્રેમ પણ હોવાનો અને દેશ માટેની ભક્તિમાં પ્રામાણિકતા પણ હોવાની. બે, ધર્મની કોમી ઓળખ વિકસાવીને જે તે પ્રજાને જોડી તો શકાય, પણ તેને કાયમ માટે જોડી રાખી શકાશે ખરી? ત્રણ, એ માર્ગમાં ફાયદો જ ફાયદો છે કે એમાં કોઈ જોખમ પણ છે?

વિચારો!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2021

Loading

19 September 2021 admin
← વતનની માટી
ગુજરાતના નવા મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને ખુલ્લો પત્ર … →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved