Opinion Magazine
Number of visits: 9447412
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભા.જ.પ. એવા મુખ્ય મંત્રી પસંદ કરે છે જે કદાવર ન હોય ને કદાવર બની શકે તેમ ન હોય

રમેશ ઓઝા|Opinion - Opinion|16 September 2021

૨૦૧૬ના ઓગસ્ટ મહિનામાં આનંદીબહેને પટેલે વિજયભાઈ રૂપાણીની માફક અચાનક પોતાનાં રાજીનામાંની જાહેરાત કરી હતી અને તેમના અનુગામી મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીને કોઈની નજર ન લાગે એમ વીણીને પસંદ કરવામાં આવ્યા હતા. વીણવાનો માપદંડ એવો હતો કે મુખ્ય પ્રધાન બનનારો માણસ કદાવર ન હોવો જોઈએ અને કદાપી કદાવર બનવાની ક્ષમતા ધરાવતો ન હોવો જોઈએ. રાજ્યોમાં મુખ્ય પ્રધાનો પૂછીને પાણી પીનારા હોવા જોઈએ કે જેથી ભવિષ્યમાં કેન્દ્રીય નેતૃત્વ સામે પડકાર પેદા ન કરે. પણ આમાં સમસ્યા એ છે કે સરેરાશ ગજું ધરાવતા માણસમાં આવડત પણ સરેરાશ હોવાની એનું શું કરવું? પણ આની ચિંતા તો એણે કરવાની હોય જેને શાસનમાં રસ હોય, માત્ર સત્તામાં રસ ધરાવાનારાઓએ આની ચિંતા કરવાની જરૂર નથી.

ગુજરાતના અને ભા.જ.પ.ના દુર્ભાગ્યે વિજય રૂપાણી ધાર્યા હતા એનાથી વધારે આવડત વિનાના સાબિત થયા. થોડી વીણવામાં ભૂલ થઈ. ખાસ કરીને કોવીડના બીજાં મોજાં વખતે તેમણે જે ભૂંહડિયો વાળ્યો એની તો ગુજરાતની વડી અદાલતે નોંધ લેવી પડી અને સરકારને ખખડાવવી પડી હતી. ગુજરાતમાં વિજય રૂપાણી ચાને ગલ્લે બે ઘડી મોજ અને ઠેકડીનો વિષય હતા. હવે તેમની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલ નામના કોઈ ધારાસભ્યને ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વીણીને પસંદ કરવામાં આવ્યા છે. તેઓ પટેલ છે એ તેમની લાયકાત છે, બીજી લાયકાતો વિષે કોઈ કશું જાણતા નથી, કદાચ પસંદ કરનારાઓએ પણ આશરે આશરે તેમની પસંદગી કરી હશે. તેઓ પહેલી વખતના ધારાસભ્ય છે.

એક સમય હતો જ્યારે બી.જે.પી. પક્ષઅંતર્ગત લોકતંત્ર માટે ગર્વ અનુભવતો હતો અને આવું સાચું લોકતંત્ર ધરાવનારા ભારતમાં માત્ર ત્રણ પક્ષો હતા. બે સામ્યવાદી પક્ષો (ભારતીય સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ) અને ત્રીજો બી.જે.પી. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ એ સમયના પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુની વડા પ્રધાનપદ માટે પસંદગી કરી ત્યારે માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે સરકારને સામ્યવાદી પક્ષની ફિલસૂફી મુજબ દિશા આપવા જેટલી બેઠકો ડાબેરી મોરચો નથી ધરાવતો એટલે જ્યોતિ બસુ વડા પ્રધાન નહીં બને. મોઢામાં આવી ચુકેલો કોળિયો ફગાવી દીધો હતો. જ્યોતિ બસુએ પક્ષના નિર્ણયને માથે ચડાવ્યો હતો અને વડા પ્રધાનપદ જતું કર્યું હતું. ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આ અભૂતપૂર્વ ઘટના હતી.

સામ્યવાદીઓની જેમ બી.જે.પી. પણ પક્ષઅંતર્ગત લોકતંત્રનો ઉજ્વળ ઇતિહાસ ધરાવે છે. ખુદ નરેન્દ્ર મોદી પક્ષઅંતગર્ત લોકતંત્રના લાભાર્થી છે. ૨૦૦૨ના ગોધરા-ગુજરાત કાંડ પછી એ સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ આગ્રહ કર્યો હતો કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપવું જોઈએ. પક્ષની ગોવામાં મળેલી કાર્યસમિતિએ નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહે એવો ઠરાવ કર્યો હતો જે પક્ષના સર્વોચ્ચ નેતા વાજપેયીએ માન્ય રાખ્યો હતો. એ પછી ૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે દાવેદારી કરી ત્યારે પણ તેમને લાલકૃષ્ણ અડવાણી અને બીજા સિનિયર નેતાઓનો વિરોધ હોવા છતાં લોકતાંત્રિક બહુમતીનો લાભ મળ્યો હતો. પક્ષની પરંપરા એવી રહી છે જેમાં પક્ષના મંચ ઉપર મુક્ત ચર્ચા થાય અને બહુમતીના આધારે નિર્ણય લેવાય. પણ હવે એ યુગ પૂરો થયો છે.

courtesy : Manjul; 13 September 2021

પોતપોતાના પ્રાંતમાં વ્યાપક લોકસંપર્ક ધરાવનારા કદાવર નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવાની અને ભવિષ્યમાં કદાવર નેતાઓ પેદા ન થાય એવી જોગવાઈ કરવાના રાજકારણને કૉન્ગ્રેસ સિસ્ટમ તરીકે ઓળખાવવામાં આવે છે. ઇન્દિરા ગાંધીના સમયમાં આની શરૂઆત થઈ હતી અને રાજીવ ગાંધીએ તે પરંપરા કાયમ રાખી હતી. રાજીવ ગાંધીએ બેંગલોરમાં પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે કર્ણાટકને નવા મુખ્ય પ્રધાન મળશે. ત્યારે કર્ણાટકના કદાવર નેતા વીરેન્દ્ર પાટિલ મુખ્ય પ્રધાન હતા અને તેમને વડા પ્રધાન રાજીવ ગાંધીના કથનથી આંચકો લાગ્યો હતો. વીરેન્દ્ર પાટિલને વિશ્વાસમાં લેવાની જરૂર રાજીવ ગાંધીએ નહોતી અનુભવી. ૧૯૮૨માં ઇન્દિરા ગાંધીએ પણ આ જ રીતે મહારાષ્ટ્રમાં બાબાસાહેબ ભોંસલે નામના ભૂપેન્દ્ર પટેલ જેટલા જ સાવ અજાણ્યા અને નાના કદના વિધાનસભ્યને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. આ માણસ કોણ છે એવો પ્રશ્ન ત્યારે પણ પૂછાયો હતો.

ઈરાદો પોતાના સ્થાનને સુરક્ષિત રાખવાનો હતો. જો પક્ષઅંતર્ગત લોકતંત્ર હોય તો લોકતંત્રનો લાભ લઈને આવડત ધરાવનારા મોટા ગજાના નેતાઓ પેદા થાય. પોતાની સ્વતંત્ર લોકચાહના ધરાવનારા મોટા કદના નેતાઓ હોય તો તેમની વાત સાંભળવી પડે. તેઓ કદાચ કોઈ બાબતનો વિરોધ પણ કરે અને વિરોધનો સામનો કરવો પડે અને વળી એવું પણ બને કે તેમના વિરોધ સામે ઝૂકવું પણ પડે જે રીતે એક સમયે કૉન્ગ્રેસમાં જવાહરલાલ નેહરુને પણ ઝૂકવું પડતું હતું અને બી.જે.પી.માં વાજપેયી અને અડવાણીને ઝૂકવું પડ્યું હતું. આગળ જતા કદાચ એવું પણ બને કે કોઈ ઐશ્વર્યવાન કદાવર નેતાની તરફેણમાં ખુરશી પણ ખાલી કરવી પડે. સત્તાને પ્રેમ કરનારાઓને અને સરમુખત્યારી માનસ ધરાવનારા નેતાઓને આ પસંદ હોતું નથી, એટલે તેઓ કદાવર નેતાઓને કિનારે રાખે છે અને કરે છે. કોઈ હોય તો પડકારે ને! જો વાજપેયી-અડવાણીએ તેમના યુગમાં બીજા પક્ષોની જેમ કૉન્ગ્રેસ સિસ્ટમ અપનાવી હોત તો આજે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન ન હોત.

આની પણ એક કિંમત હોય છે અને એ કિંમત કૉન્ગ્રેસ પક્ષ આજે ચૂકવી રહ્યો છે. કૉન્ગ્રેસની જે તાકાત હતી એ રાજ્યોના ગજાદાર નેતાઓની સંયુક્ત તાકાત હતી અને એ તાકાત લોકતાંત્રિક માર્ગે ગામડાથી શરૂ કરીને દિલ્હી સુધી પહોંચતી હતી. એ તાકાત દિલ્હીથી રાજ્યોમાં નહોતી આવતી. આનો સૌથી મોટો ફાયદો એ હતો કે રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં સમગ્ર દેશમાં ખૂણેખૂણેથી અનેક મજબૂત, રચનાત્મક અને વિચારનારા હાથોની વિશાળ ભાગીદારી જોવા મળતી હતી. ઇન્દિરા ગાંધીએ ભાગીદારી કરી શકે એવા નેતાઓને ખતમ કરી નાખ્યા અને તેની જગ્યાએ લાભાર્થીઓ તેમ જ કૃપાર્થીઓને પેદા કર્યા અને પરિણામે પક્ષ અંદરથી નિર્બળ થતો ગયો. કૉન્ગ્રેસ નિષ્પ્રાણ બનતી ગઈ અને હવે તો કલેવર પણ તૂટી રહ્યું છે.

કૉન્ગ્રેસનો વર્તમાન બી.જે.પી.નું ભવિષ્ય બની શકે છે અને બનશે જ જો આ પરિપાટી ચાલુ રહેશે.  ઇન્દિરા ગાંધી પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગતાં હતાં કારણ કે તેઓ અસલામતીથી પીડાતાં હતાં. નરેન્દ્ર મોદી પણ એ જ લક્ષણો ધરાવે છે અને માટે એ જ માર્ગે ચાલે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 સપ્ટેમ્બર 2021

Loading

16 September 2021 admin
← No, Thank You
અપેક્ષા એટલી જ છે કે મંત્રીમંડળ ‘મંતરી’મંડળ ન બને … →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved